ટિકટૉક : નરેન્દ્ર મોદી સરકારનો ચાઇનીઝ ઍપ્સ પરનો પ્રતિબંધ અસ્થાયી છે?

ચાઇનીઝ મોબાઇલ ઍપ્લિકેશનો પર પ્રતિબંધના સમાચારો આજે બધા અખબારોમાં મુખ્યરૂપે છે.

ઇન્ડિયન એક્સપ્રેસે તેના પહેલા પાનાં પર એક રિપોર્ટમાં લખ્યું છે કે કેન્દ્ર દ્વારા ચીન સાથે સંબંધિત 59 મોબાઇલ ઍપ્સ ઉપર પ્રતિબંધ મૂકવાનો જે નિર્ણય લીધો છે એ 'વચગાળાનો' નિર્ણય છે. આ ઍપ્સ બનાવનાર કંપનીઓને મહત્ત્વના મુદ્દાઓ ઉપર માહિતી આપવા માટે 48 કલાકનો સમય આપવામાં આવ્યો છે.

સરકાર અને કૉર્પોરેટ અધિકારીઓ સાથે થયેલી વાતચીતના આધારે અખબારે આ અહેવાલ પ્રકાશિત કર્યો છે.

રિપોર્ટમાં લખ્યું છે કે કંપનીઓને મુખ્યત્વે ચીનના એક કાયદા વિશે પૂછવામાં આવશે. આ કાયદા અંતર્ગત ચીનસ્થિત કંપનીઓએ ચીનની ગુપ્તચર સેવાઓને પોતાનો ડેટા આપવો ફરજિયાત છે.

ઉપરાંત, ભારત સરકાર જેમની ભારતમાં કોઈ ઑફિસ નથી એવી કંપનીઓને દેશમાં ફરિયાદ અધિકારીની નિમણૂક કરવા માટે કહી શકે છે

અખબારે ટિક્ટૉક ઍપ્લિકેશનના વડા નિખિલ ગાંધીનું નિવેદન પ્રકાશિત કર્યું છે, જેમાં તેઓ કહે છે કે "સરકારે 59 ઍપ્લિકેશનોને બ્લૉક કરવા માટે વચગાળાનો આદેશ જારી કર્યો છે અને અમે તેનું પાલન કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે."

નિખિલ ગાંધીએ અખબારને એમ પણ કહ્યું હતું કે સરકાર દ્વારા તેમને સ્પષ્ટતા આપવા માટે કહેવામાં આવ્યું છે અને મળવા માટે આમંત્રણ મળ્યું છે.

ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી ટેકનૉલૉજી મંત્રાલયના વરિષ્ઠ અધિકારીને ટાંકીને ઇન્ડિયન એક્સપ્રેસએ પુષ્ટિ કહે છે કે સોમવારે જે આદેશ બહાર પાડવામાં આવ્યો છે તે એક વચગાળાનો આદેશ છે અને આ કંપનીઓના પ્રતિનિધિઓ તરફથી સ્પષ્ટતા સાંભળવાની જવાબદારી સંયુક્ત સચિવ સ્તરની પેનલને આપવામાં આવી છે.

આ સમિતિ પોતાનો અહેવાલ બીજી સચિવ-સ્તરની સમિતિને આપશે અને વડા પ્રધાન કાર્યાલય સાથે પણ સંપર્કમાં રહેશે.

આ સમિતિ ઍપને શો-કોઝ નોટિસ પણ ફટકારી શકે છે અને પૂછી શકે છે કે ચીનની એજન્સીઓએ કેટલી વખત તેમની પાસે ડેટાની માગણી કરી અને તેમણે આદેશનું પાલન કર્યું કે નહીં.

અધિકારીએ અખબારને જણાવ્યું કે ઍપ્લિકેશન્સ પર કાયમી ધોરણે પ્રતિબંધ મુકવાનો અથવા તેમની શરતોમાં કેટલાક ફેરફાર કરવા માટેનો અંતિમ નિર્ણય સેક્રેટરી લેવલ સમિતિ લેશે અને તેઓ નિર્ણય લે ત્યાં સુધી વચગાળાનો પ્રતિબંધ ચાલુ રહેશે.

ચાઇનીઝ ઍપ પરનો પ્રતિબંધ અન્યાયપૂર્ણ - ભારતનો ચીની દૂતાવાસ

ભારત સરકાર તરફથી દેશની સુરક્ષા, યુઝર્સ ડેટા અને પ્રાઇવસી સામે ભય દર્શાવતા 59 ઍપ્સ પર લાદેલા પ્રતિબંધને લઈને ચીન તરફથી પ્રતિક્રિયા આવી છે.

ભારતમાં ચીનના દૂતાવાસના પ્રવક્તા જી રોંગે આ પગલાંને અન્યાયપૂર્ણ કહીને કહ્યું છે કે ભારતે WTOના નિયમો અને દ્વિપક્ષીય સંબંધોથી એક-બીજાને થનારા લાભને ધ્યાનમાં રાખીને ભેદભાવપૂર્ણ પગલું ભરવું જોઈએ નહીં.

ચીનના દૂતાવાસ તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં ભારતના નિર્ણયને બજાર અને આંતરરાષ્ટ્રીય માપદંડનું ઉલ્લંઘન કહેવામાં આવ્યું છે.

29 જૂને ભારતના આઈટી મંત્રાલયે એક નોટિસ જાહેર કરીને સંબંધિત કાયદાઓ અને નિયમોને ટાંકીને ભારતમાં કેટલીક ચીની મોબાઇલ ઍપ્લિકેશનને એ કહીને બ્લૉક કરી હતી કે 'તે ભારતની સંપ્રભુતા અને એકતા, ભારતનું સંરક્ષણ, રાજ્ય અને વ્યવસ્થા માટે નુકસાનકારક છે.'

દૂતાવાસના પ્રવક્તાએ કહ્યું કે, 'ચીનના પક્ષને ચિંતા છે અને તે આ પગલાંનો આકરો વિરોધ કરે છે.'

'કેટલીક ચાઇનીઝ ઍપ્સને નિશાને બનાવવા માટે તેને પસંદ કરી, ભેદભાવપૂર્વક ઉઠાવવામાં આવેલાં આ પગલાંનો આધાર અસ્પષ્ટ અને સમજથી પરે છે. આ નિષ્પક્ષ અને પારદર્શી પ્રક્રિયાની સામે છે. રાષ્ટ્રીય સુરક્ષાની ભાવનાનો દુરુપયોગ છે અને સંભવિત રીતે WTOના નિયમોનું ઉલ્લંઘન પણ છે. આ આંતરરાષ્ટ્રીય વેપાર અને ઈ-કૉમર્સના સામાન્ય ચલણની વિરુદ્ધમાં છે અને ભારતમાં ગ્રાહકોના હિતો અને બજારની હરીફાઈને પણ અનુરૂપ નથી.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.