કોરોના વાઇરસ : પૅંગોલિનમાં કોવિડ-19ને મળતો વાઇરસ મળ્યો

ચીનમાં તસ્કરીથી લઇ જવાયેલા પૅંગોલિનમાં એવા વાઇરસ મળવાની ખાતરી થઇ છે જે સમગ્ર વિશ્વમાં કોહરામ મચાવી રહેલા કોરોના વાઇરસથી મેળ ખાય છે.

એક આંતરરાષ્ટ્રીય ટીમનું કહેવું છે કે ભવિષ્યમાં આ પ્રકારનું સંક્રમણ ટાળવું હોય તો જંગલી જીવોના બજારમાં આ જાનવરના વેચાણ પર સંપૂર્ણપણે રોક લગાવી દેવી જોઇએ.

પૅંગોલિન એવું સ્તનધારી પ્રાણી છે જેની ખોરાક માટે અને પારંપરિક દવાઓમાં ઉપયોગ માટે સૌથી વધુ તસ્કરી થાય છે.

જોકે, ચામાચીડિયાને કોરોના વાઇરસનો મૂળ સ્ત્રોત માનવામાં આવી રહ્યું છે અને તેમાંથી કોઈ અન્ય જીવના માધ્યમથી કોરોના વાઇરસ મનુષ્યો સુધી પહોંચ્યા.

શું કહે છે સંશોધન?

નેચર જર્નલમાં પ્રકાશિત એક નવા શોધપત્રમાં સંશોધકોએ કહ્યું છે કે એમનો જિનેટિક ડેટા બતાવે છે કે આ જાનવરને લઈને વધુ પ્રમાણમાં સાવધાની રાખવી જોઈએ અને બજારોમાં એના વેચાણ પર કડક રીતે પ્રતિબંધ લાદવો જોઈએ.

શોધકર્તાઓ પ્રમાણે ચીન અને દક્ષિણપૂર્વ એશિયાના જંગલોમાં મળી આવતા પેંગોલિન પર વધુ નજર રાખવાની જરૂર છે જેથી કોરોના વાઇરસના ઉપદ્રવમાં એમની ભૂમિકા અને ભવિષ્યમાં મનુષ્યોમાં એમના સંક્રમણના જોખમ વિશે જાણકારી મેળવવા માટે સમજ વિકસિત કરી શકાય.

માનવામાં આવી રહ્યું છે કે કીડીઓ આરોગતા આ સ્તનધારી પ્રાણીની સમગ્ર વિશ્વમાં સૌથી વધુ તસ્કરી થાય છે જે કારણે તે વિલુપ્ત થવાના આરે છે.

આ પ્રાણીની ચામડી એશિયામાં પારંપરિક ચીની દવાઓ બનાવવા માટે મોટી માગ ધરાવે છે. પૅંગોલિનના માંસને ઘણા લોકો સ્વાદિષ્ટ ગણાવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો