કોરોના વાઇરસ : આ વૈશ્વિક બીમારીનો અંત ક્યારે આવશે અને જીવન સામાન્ય બનશે?

    • લેેખક, જૅમ્સ ગેલેઘર
    • પદ, સ્વાસ્થ્ય અને વિજ્ઞાન સંવાદદાતા

કોરોના વાઇરસના કારણે આખી દુનિયા પર જાણે શટર લાગી ગયું છે. જે સ્થળો પર એક સમયે લોકોની ભીડ જામેલી હતી, ત્યાં આજે સન્નાટો પ્રસરી ગયો છે.

શહેરોમાં લૉક-ડાઉન છે, સ્કૂલો બંધ છે, યાત્રા કરવા પર પ્રતિબંધો લગાવી દેવાયા છે અને એક લોકોને એકત્રિત થવા પર મનાઈ ફરમાવી દેવાઈ છે.

ત્યારે દરેકના મનમાં સવાલ થાય છે આ બધાનો અંત આવશે ક્યારે?

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને કહ્યું હતું કે તેમને એવો વિશ્વાસ છે કે આગામી 12 અઠવાડિયાની અંદર દેશ કોરોના પર નિયંત્રણ મેળવી લેશે.

પરંતુ ખરી વાત તો એ છે કે જો કોરોના પૉઝિટીવ દર્દીઓના કેસ ઘટવાના શરૂ થઈ જાય, તો પણ આપણે આગામી ત્રણ અઠવાડિયામાં કોરોનાના અંતથી ઘણા દૂર હોઈશું.

આ સુનામીનો અંત થવામાં લાંબો સમય વીતી શકે છે - કદાચ તેના માટે વર્ષો પણ લાગી શકે છે.

દુનિયાના દેશો આ મામલે વ્યૂહરચના ઘડી શકે છે કે કેવી રીતે પ્રતિબંધો હટાવીને કોરોનાને દુનિયાથી દૂર કરવો.

જોકે, કોરોના વાઇરસ મૂળમાંથી હાલ તો નહીં જઈ શકે.

યુનિવર્સિટી ઑફ ઍડિનબર્ગના પ્રોફેસર માર્ક વુલહાઉસ કહે છે, "વ્યૂહરચના ઘડવી ખૂબ મુશ્કેલ કામ છે. આ માત્ર યુકેની સમસ્યા નથી પણ દરેક દેશોની સમસ્યા છે. આ એક મોટો વૈજ્ઞાનિક અને સામાજિક પડકાર છે."

કોરોના વાઇરસથી મુક્તિ મેળવવાના ત્રણ રસ્તા હોઈ શકે છે.

  • રસી
  • ચેપ સામે લડવા લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે
  • અથવા તો હંમેશાં માટે આપણે આપણું રહન-સહન અને સોસાયટીને બદલી નાખીએ.

આ એ રસ્તા છે, જેનાથી વાઇરસને ફેલાતો અટકાવી શકાય છે.

રસી બનવામાં હજુ 12-18 મહિનાનો સમય લાગી શકે છે

રસીની વાત કરીએ તો તેનાથી એક વ્યક્તિને રોગપ્રતિકારક શક્તિ મળે છે. એટલે જો વ્યક્તિ વાઇરસના સંપર્કમાં આવે છે, તો પણ તે બીમાર પડતી નથી.

જો દુનિયાની 60% વસતીમાં રોગપ્રતિકારક શક્તિ હોય અને વાઇરસ ફેલાય છે, તો તેનો વ્યાપ વધતો નથી.

હાલ જ અમેરિકામાં એક વ્યક્તિ પર રસીનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.

રસીની શોધ તીવ્ર ઝડપથી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ તેની કોઈ ગૅરન્ટી નથી કે તે સફળ થશે કે પછી તે વૈશ્વિક સ્તરે લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારશે.

એવો અનુમાન છે કે આ રસી બનતા હજુ કદાચ 12થી 18 મહિનાનો સમય લાગી શકે છે. પરંતુ આ પ્રતિબંધોના સમયગાળા વચ્ચે આટલો સમય રાહ જોવી એ ખૂબ અઘરી છે.

પ્રાકૃતિક રોગપ્રતિકારક શક્તિ

જ્યારે હૉસ્પિટલમાં ગંભીરાવસ્થામાં રહેલા દર્દીઓ માટે પથારી ઓછી પડે છે, ત્યારે લોકોનાં મૃત્યુ થાય છે.

જ્યારે કેસ ઓછા થવા લાગે છે, ત્યારે પ્રતિબંધો હઠાવવા માટે થોડો સમય મળી જાય છે. એવું ત્યાં સુધી થાય છે જ્યાં સુધી કેસ ફરી વધવા ન લાગે અને ફરીથી પ્રતિબંધો ન મૂકવા પડે.

જોકે, દરેક વસ્તુ પર આપણી મરજી પ્રમાણે પ્રતિબંધ લગાવવા શક્ય નથી. પરંતુ તેનાથી લોકોમાં હર્ડ ઇમ્યુનિટીની શક્યતા રહે છે.

જોકે, તે મેળવવામાં વર્ષો લાગી શકે છે.

પ્રોફેસર નીલ ફ્રૅગસનના જણાવ્યા પ્રમાણે, "આપણે વાઇરસને એક સ્તર સુધી ફેલાવતા રોકવાની વાત કરીએ છીએ, જેનાથી કદાચ દેશમાં થોડા જ લોકોને ચેપ લાગવાની શક્યતા છે."

"જો આપણે બે કરતાં વધારે વર્ષ સુધી પ્રતિબંધો ચાલુ રાખીએ તો તેનાથી લોકોની રોગપ્રતિકારક શક્તિ વધી શકે છે."

પરંતુ તેમાં સવાલ એ છે કે તે રોગપ્રતિકારક શક્તિ કેટલા સમય સુધી ટકી શકશે.

ત્રીજો ઉપાય - આપણા વ્યવ્હારમાં પરિવર્તન

પ્રોફેસર વુલહાઉસ કહે છે, "ત્રીજો ઉપાય છે કે આપણે હંમેશાં માટે આપણો વ્યવ્હાર બદલી નાખીએ, જેનાથી આપણે ચેપથી દૂર રહી શકીએ."

"તેમાં એ દરેક પગલાંનો સમાવેશ થાય છે જે આપણે હાલ લઈ રહ્યાં છીએ. આ સાથે કડક રીતે ટેસ્ટ કરવાની જરૂર છે અને જેમ કોઈ ચેપની ખબર પડે તેમ તુરંત જ દર્દીને આઇસોલેટ કરી દેવા જેથી ચેપ ફેલાય નહીં. આપણે પહેલાં પણ રોગને વિશે માહિતી મેળવવા પ્રયાસ કર્યો પરંતુ એ પ્રયાસ સફળ ન થયો."

કોરોનાના ઇન્ફેક્શનને રોકી શકે તેવી દવા શોધવી તે એક વ્યૂહરચના હોઈ શકે છે. એ દવા એવી હોઈ શકે કે જો કોઈ વ્યક્તિમાં લક્ષણ દેખાય અને તેમને એ દવા આપી દેવામાં આવે તો ચેપ ફેલાય નહીં.

જો ગંભીરાવસ્થમાં રહેલા દર્દીઓના ઇલાજ માટે બેડની સંખ્યા વધારવામાં આવે, તો વાઇરસના વ્યાપને વધતા રોકી શકાય છે.

જ્યારે યુકેના ચીફ મેડિકલ એડવાઇઝરને ક્રિસ વ્હિટીને તેમની વ્યૂહરચના અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે રસીની શોધ થઈ રહી છે અને આશા છે કે તે જલદી જ તૈયાર થશે.

તેમણે ઉમેર્યું, "વૈશ્વિક સ્તરે વિજ્ઞાન કંઈક નિરાકરણ લઈને આવશે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો