You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વર્લ્ડ કપ : ભારતની હાર છતાં હીરો બની ગયેલો એ ગુજરાતી ક્રિકેટર
ભારત ન્યૂઝીલૅન્ડ સામે સેમિફાઇનલમાં હારતા તેનું વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટી ગયું છે પરંતુ ગુજરાતી ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની ચોતરફ પ્રશંસા થઈ રહી છે.
સમગ્ર ટુર્નામેન્ટમાં સૌથી સારું પ્રદર્શન કરનારી ટીમ આજે 18 રને હારીને વર્લ્ડ કપમાંથી જ બહાર થઈ ગઈ છે.
ભારતની ટીમ 240 રનના ટાર્ગેટ સામે 221 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ન્યૂઝીલૅન્ડની શાનદાર બૉલિંગ સામે શાનદાર રમતનું પ્રદર્શન કરતા જાડેજાએ 77 રન કર્યા હતા.
જાડેજાની બેટિંગ તો ઠીક પરંતુ એના સિવાય એવું તે તેમણે મૅચમાં શું કર્યું કે લોકો તેનાં વખાણ કરી રહ્યાં છે
જાડેજાનો શાનદાર થ્રો અને વિકેટ
બીજા દિવસે શરૂ થયેલી સેમિફાઇનલમાં ન્યૂઝીલૅન્ડે 23 બૉલ રમવાના હતા અને રોસ ટેલર ભારત સામે જોરદાર બેટિંગ કરી રહ્યા હતા.
આ સમયે ભારત સામે તેઓ મોટા શૉટ લગાવે તેવી શક્યતા હતી. 47મી ઓવરના છેલ્લા બૉલે ટેલરે મિડ વિકેટ પર એક શૉટ ફટકાર્યો હતો.
જે બાદ ટેલરે બે રન લેવાની કોશિશ કરી પરંતુ સામે બાઉન્ડરી પર રવીન્દ્ર જાડેજા હતા અને તેમનો થ્રો સીધો જ સ્ટમ્પમાં લાગતા ટેલર આઉટ થઈ ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જાડેજાના આ રનઆઉટની કૉમેન્ટેટર્સ સહિત પ્રેક્ષકોને પણ પ્રશંસા કરી હતી. જાડેજાની ગણના વિશ્વના સૌથી સારા ફિલ્ડરોમાં થાય છે.
આ રનઆઉટ દ્વારા તેમણે ન્યૂઝીલૅન્ડની મહત્ત્વની વિકેટ અપાવીને તેને મોટો સ્કોર કરતાં અટકાવ્યું હતું.
જાડેજાનો ક્લાસિક કૅચ
રવીન્દ્ર જાડેજા તેમની ફિલ્ડિંગથી સામેની ટીમના બૅટ્સમૅનને રન ન લેવા દઈને અનેકવાર પરેશાન કરતા જોવા મળે છે.
ન્યૂઝીલૅન્ડ સામેની ટેલરને રનઆઉટ કર્યા બાદ તુરંત ભૂવનેશ્વર કુમાર 48મી ઓવર ફેંકવા આવ્યા અને સામે હતા ન્યૂઝીલૅન્ડના લાથમ.
ભૂવનેશ્વર કુમારે 48મી ઓવરનો પ્રથમ બૉલ ફેંક્યો અને લાથમે તેને સિક્સ મારવાની કોશિશ સાથે ડીપ ફોરવર્ડ તરફ શાનદાર શૉટ માર્યો.
જોકે, અહીં જાડેજા ફિલ્ડિંગ કરી રહ્યા હતા અને બાઉન્ડરી લાઇનની બાજુમાં જ તેમણે ડાઇવ મારીને લાથમનો કૅચ ઝડપી લીધો.
વર્લ્ડ કપમાં થયેલા સુંદર કૅચમાં તેને ગણી શકાય તેવો એ ફિલ્ડિંગનો શાનદાર નજારો હતો.
આ કૅચને કારણે સોશિયલ મીડિયામાં લોકો જાડેજાની પ્રશંસા કરવા લાગ્યા હતા.
વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બચાવનાર ખેલાડી
ભારતે જ્યારે વર્લ્ડ કપની શરૂઆત કરી તો લીગ મૅચમાં શરૂઆતમાં રવીન્દ્ર જાડેજાને સ્થાન આપવામાં આવ્યું ન હતું.
ભારતની પ્લેઇંગ ઇલેવનમાં રવીન્દ્ર જાડેજાને આઠ મૅચ બાદ શ્રીલંકા સામે સ્થાન આપવામાં આવ્યું હતું.
જ્યાં સુધી જાડેજા પ્લેઇંગ ઇલેવનમાં ન હતા ત્યાં સુધી તેઓ અન્ય ખેલાડીઓની અવેજીમાં બેટિંગ કરવા માટે આવતા હતા.
જોકે, શ્રીલંકા અને ત્યારબાદ સેમિફાઇનલમાં જાડેજા રમ્યા હોવા છતાં તેમણે વર્લ્ડ કપમાં ફિલ્ડિંગમાં સૌથી વધારે રન બચાવ્યા હતા.
જાડેજાની ક્લાસિક 4 સિક્સ
બૉલિંગ અને ફિલ્ડિંગમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ રવીન્દ્ર જાડેજાએ બેટિંગમાં પણ સુંદર પ્રદર્શન કરતા ભારતની દબાણની સ્થિતિમાં પણ તેમણે 77 રન કર્યા હતા.
ભારતની હાર થયા બાદ પત્રકારપરિષદમાં ભારતના કપ્તાન વિરાટ કોહલીએ પણ તેમની બેટિંગની અને મૅચમાં તેમણે કરેલા પ્રદર્શનની પ્રશંસા કરી હતી.
જાડેજાએ ભારતના શરૂઆતના ધબડકા બાદ જોરદાર બેટિંગ કરતા શાનદાર 4 સિક્સ ફટકારી હતી.
આ સ્થિતિમાં આગળ આવીને આટલા શાનદાર શૉટ લગાવવા જ્યારે અઘરા હોય છે ત્યારે જાડેજાએ આ પ્રદર્શન કરી બતાવ્યું હતું.
આ ઉપરાંત તેમણે સમજણપૂર્વકની બેટિંગ કરતા ધોનીનો ખરો સાથ આપ્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો