Top News : ઇમરાન ખાનનો નરેન્દ્ર મોદીને પત્ર, વિવાદો દૂર કરીને સ્થિરતા લાવવાની વાત કરી

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ તેમણે આ પત્રમાં દક્ષિણ એશિયામાં લાંબા ગાળાની શાંતિ સ્થાપવાની વાત કરી છે. સાથે જ જમ્મુ-કાશ્મીર સહિતના મુદ્દે ચર્ચા કરીને ઉકેલ લાવવાની દિશામાં પ્રયત્ન કરવાની વાત કરી છે.

બે દિવસ પહેલાં દૂતાવાસના અધિકારીઓ થકી આ પત્ર આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

તેમણે ફરી આ પત્રમાં બંને દેશો ગરીબીમાંથી બહાર આવવા પ્રયત્ન કરે તેનો આગ્રહ કર્યો છે. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકસભા ચૂંટણીમાં બીજી વખત જીત થઈ ત્યારે પણ ઇમરાને ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી.

જોકે, તેમાં બિશ્કેકમાં મુલાકાત અંગે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તે ઉપરાંત ઇમરાન ખાને પાકિસ્તાન શાંત પાડોશી દેશની નીતિ અનુસરતો હોવાનું પણ જણાવ્યું છે.

તમે આ વાંચ્યું કે નહીં?

નાસા પ્રવાસીઓ માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના દ્વાર ખોલશે

પ્રવાસીઓ આવતા વર્ષથી નાસાના આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનની મુલાકાત લઈ શકશે. જેના માટે તેમને એક રાતના 35 હજાર ડૉલર ચૂકવવા પડશે.

આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનના ઉપનિદેશક રૉબિન ગૅટેંસે કહ્યું કે દર વર્ષે ટૂંકા સમયગાળાના બે પ્રાઇવેટ અંતરિક્ષ મિશન મોકલવામાં આવશે, જેનો ખર્ચ ખાનગી કંપનીઓ ઉઠાવશે.

નાસાના જણાવ્યા અનુસાર પ્રાઇવેટ અંતરિક્ષ યાત્રીઓને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન સુધી જવા માટે ત્રીસ દિવસનો સમય લાગશે. તેઓ અમેરિકાના સ્પેસ ક્રાફ્ટમાં યાત્રા કરશે. દર વર્ષે 12 વ્યક્તિ સ્પેસમાં જઈ શકશે.

નાસાએ તેના માટે બે કંપનીઓને નિયુક્ત કરી છે, આ કંપનીઓ એટલે ઇલોન મસ્કની સ્પેસ એક્સ અને બોઇંગ.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે રજૂ કરેલા બજેટમાં 2025 સુધીમાં સ્ટેશનને સરકારી પૈસાથી ચલાવવાનું બંધ કરવાની માગ કરી હતી. જેના પગલે પહેલી વખત નાસા દ્વારા વ્યવસાયિક હેતુથી દ્વારા ખોલવામાં આવ્યા છે.

નાસાના મુખ્ય નાણાકીય અધિકારી જેફ ડેવિટે ન્યૂયોર્કમાં કહ્યું, "નાસા આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનને વ્યવસાયિક તકો માટે ખોલી રહ્યું છે. અમે પહેલી વખત આવું કરવા જઈ રહ્યા છીએ."

ગિરિરાજે મમતાને સરમુખત્યાર કિમ જોંગ સાથે સરખાવ્યાં

એનડીટીવીના અહેવાલ મુજબ કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહે પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીની સરખામણી ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન સાથે કરી છે. તેઓ પોતાના વિવાદિત નિવેદનો માટે જાણીતા છે.

ગિરિરાજે કહ્યું કે મમતા બેનરજી કિમ જોંગ ઉનની જેમ પોતાના રાજકીય વિરોધીઓને ડામી દેવા માટે ક્રૂરતા પર ઊતરી આવ્યાં છે.

તેમજ તેમણે કહ્યું કે મમતા સરકારની 'ઊલટી ગિનતી' શરૂ થઈ ગઈ છે. હારના ભયથી તેઓ કુંઠિત થઈ ગયાં છે.

સામે મમતાએ હુગલીમાં તૃણમૂલ કૉંગ્રેસની ખામીઓ પર વિચાર કરીને હાર માટે કાર્યકર્તાઓના આંતરિક કલેશને જવાબદાર ગણાવ્યો હતો. તેમણે ચેતવણી આપતા ગદ્દારોને પાર્ટી છોડી દેવાનો આદેશ આપ્યો હતો.

યોગીએ અયોધ્યામાં રામની મૂર્તિનું અનાવરણ કર્યું

ઉતર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યાનાથે શુક્રવારે અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિનું અનાવરણ કર્યું.

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ યોગીએ અયોધ્યા શોધ સંસ્થાનમાં કોદંડ રામની સાત ફૂટની કાષ્ટકલાની દુર્લભ મૂર્તિનું અનાવરણ કર્યું હતું. આ મૂર્તિ કર્ણાટકથી 35 લાખ રૂપિયામાં ખરીદવામાં આવી છે.

આ પ્રસંગે યોગીએ કહ્યું કે મોદીજીના નેતૃત્વમાં ભારત વિશ્વશક્તિ બનશે, મોદીજીએ યોગને વિશ્વમાં માન્યતા પ્રાપ્ત કરાવી.

વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્ર નબળાં હોય તો શાંતિની વાત કરી શકતાં નથી. પહેલી વખત એવું બન્યું હતું કે કોઈ વડા પ્રધાન કુંભના ઉદ્ઘાટન સમારોહમાં ગંગાપૂજન કરવા પહોંચ્યા હતા.

જગન મોહન રેડ્ડી પાંચ નાયબ મુખ્ય મંત્રી રાખશે

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી જગન મોહન રેડ્ડીએ જાહેરાત કરી છે કે તેઓ પાંચ નાયબ મુખ્ય મંત્રી રાખશે, તેઓ શનિવારે શપથ ગ્રહણ કરશે. આ એક ઐતિહાસિક ઘટના છે.

શુક્રવારે સવારે તેમણે જાહેરાત કરી છે કે તેમની કૅબિનેટમાં 25 સભ્યો અને 5 નાયબ મુખ્ય મંત્રી હશે. પાંચ સમુદાય, એસસી, એસટી, ઓબીસી, લઘુમતિ અને એક ઉચ્ચ જ્ઞાતિના નાયબ મુખ્ય મંત્રી રહેશે.

તેમણે એવું પણ કહ્યું છે કે તેમની કૅબિનેટમાં પણ આ સમુદાયના લોકોની અડધી સંખ્યા હશે. તેમજ અઢી વર્ષ બાદ તેનું વિસર્જન કરીને નવા સભ્યોને તક આપવામાં આવશે.

રાજકીય વિશ્લેષક એ. શ્રીધર રેડ્ડીના જણાવ્યા અનુસાર જગન રેડ્ડીના આ પગલાથી સમાજના નબળા વર્ગોનું પ્રતિનિધિત્વ વધશે, જે નવા નેતાઓને આગળ આવવામાં મદદ કરશે.

આપને આ પણ વાચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો