આર્થિક સંકટના કારણે પાકિસ્તાનની સેનાએ ખર્ચ ઘટાડવાની જાહેરાત કરી, ઈમરાને આવકારી

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનના સૈન્યએ પોતાના ખર્ચમાં કાપ મૂકવાની જાહેરાત કરી છે.

પાકિસ્તાનના સૈન્યએ આગામી નાણાકીય વર્ષ માટે પોતાના સંરક્ષણ બજેટમાં ઘટાડો કરવા મજબૂર થયું. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સૈન્યના આ નિર્ણયને આવકાર્યો છે.

પાકિસ્તાની સેનાના કહેવા પ્રમાણે ખર્ચ ઘટાડા છતાંય સશસ્ત્ર બળોની સજ્જતામાં કોઈ ફેર નહીં પડે. તારીખ 27 ફેબ્રુઆરીએ જેટલી સજ્જ હતી, એટલી જ ભવિષ્યમાં હશે. સેનાના મનોબળથી યુદ્ધ જીતાય છે.

ઇમરાનખાને નિર્ણય આવકાર્યો

પાકિસ્તાની સૈન્યના આ નિર્ણયની જાણકારી વડા પ્રધાન ઇમરાન ખાને ટ્વીટ કરીને આપી હતી.

ઇમરાન ખાને ટ્વીટ કર્યું, "સુરક્ષાના ઘણા બધા પડકારો વચ્ચે આર્થિક સંકટના સમયમાં સેના તરફથી પોતાના ખર્ચમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે, તે નિર્ણયનું હું સ્વાગત કરું છું."

"અમે આ નાણાંનો ઉપયોગ બલૂચિસ્તાન અને આદિવાસી વિસ્તારોમાં કરીશું."

આ પછી પાકિસ્તાન સૈન્યના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફુરે ટ્વીટ કરીને લખ્યું, "એક વર્ષ માટે સૈન્યના ડિફેન્સ બજેટમાં કરવામાં આવેલી કપાતથી દેશની સુરક્ષા પર કોઈ અસર નહીં પડે."

"અમે દરેક હુમલાનો અસરકારક રીતે જવાબ આપીશું. ત્રણેય સર્વિસ આ કપાતથી ઊભી થનારી સ્થિતિને સંભાળવા માટે કામ કરશે. બલૂચિસ્તાન અને ટ્રાઇબલ વિસ્તારોમાં સારાં કામ માટે આ જરૂરી પગલું હતું."

પાકિસ્તાનનું અખબાર ધ ટ્રિબ્યૂન નાણા મંત્રાલયના સૂત્રોના હવાલાથી જણાવે છે કે, આગામી નાણાકીય વર્ષમાં 1.270 ટ્રિલિયન રૂપિયાનું સંરક્ષણ બજેટ હોવાનું અનુમાન છે. જે હાલના નાણાકીય વર્ષના સંરક્ષણ બજેટ કરતાં 170 અબજ રૂપિયા વધારે છે.

આ બજેટમાં પૂર્વ સૈનિકોનું પેન્શન, કૂટનૈતિક ખર્ચ અને સ્પેશિયલ સૈન્ય પૅકેજ ઉપર થતા ખર્ચનો સમાવેશ થાય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

પાકિસ્તાન સૈન્યના નિર્ણયની પ્રશંસા

પાકિસ્તાન સૈન્યએ પોતાના ખર્ચમાં જાતે જે કાપ મૂક્યો છે તો તેની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે.

ડૉ. આયેશા નામનાં યૂઝરે લખ્યું, "પાકિસ્તાનના ઇતિહાસમાં આ પહેલીવાર થઈ રહ્યું છે, જ્યારે સૈન્ય પોતાના બજેટમાં જાતે કાપ મૂકી રહ્યું છે. સૈન્ય ખરેખર આદરને પાત્ર છે."

ઝુબેરે લખ્યું, "આ પગલું પ્રશંસાપાત્ર છે. આશા છે કે ફંડ આપતી વખતે પારદર્શકતા રાખવામાં આવશે."

હવે સેનાએ ભલે સંરક્ષણ બજેટમાં કાપ મૂકવાની વાત કરી હોય, પરંતુ ફેબ્રુઆરીમાં પાકિસ્તાનની સરકારે આ નિર્ણય કર્યો હતો કે દેશના સંરક્ષણ બજેટમાં કોઈ પ્રકારનો કાપ મૂકવામાં નહીં આવે.

આ દરમિયાન જ ભારતીય સૈન્યએ પાકિસ્તાનના બાલાકોટમાં સર્જિકલ સ્ટ્રાઇક કરવાનો દાવો કર્યો હતો.

ત્યારે બંને દેશોની વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પેદા થઈ હતી. જોકે ભારતીય વાયુસેનાના પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદનના પરત ફર્યા પછી બંને દેશો વચ્ચેનો તણાવ ઘટ્યો હતો.

ત્યારે પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું હતું, "બીજાની સરખામણીએ પાકિસ્તાનનું સંરક્ષણ બજેટ પહેલાંથી ઓછું છે. એવામાં આને વધારવાની જરૂર છે ના કે ઘટાડવાની."

"આપણે સુરક્ષાતંત્રને મજબૂત કરવા માટે ડિફેન્સ બજેટને વધારવાની જરૂર છે, પરંતુ તેના માટે કરવેરા વધારવા પડશે."

ગત મહિને પાકિસ્તાનની સરકારે કહ્યું હતું કે સૈન્ય અને સિવિલ સંસ્થાઓ 2019-20ના બજેટમાં પોતાનું યોગદાન આપશે.

પાકિસ્તાનના વડા પ્રધાનના નાણાકીય સલાહકાર ડૉ. હફીઝ શેખે કહ્યું હતું, "આગામી બજેટ પડકારજનક છે. અમે સરકારના ખર્ચને ખૂબ જ ઓછો કરવા પ્રયત્ન કરીશું."

કેટલું છે પાકિસ્તાનનું રક્ષા બજેટ?

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ પ્રમાણે, 2018માં પાકિસ્તાનનો કુલ સૈન્ય ખર્ચ 11.4 અબજ ડૉલર હતો, જે દેશની કુલ જીડીપી (કુલ ઘરેલું ઉત્પાદન)ના ચાર ટકા જેટલો છે.

2018માં ભારતનો સૈન્ય ખર્ચ 66.5 અબજ ડૉલર રહ્યો હતો. આ બાબતમાં 649 અબજ ડૉલર ખર્ચ સાથે અમેરિકા પહેલા ક્રમે છે.

કેટલાક દિવસ પહેલાં પાકિસ્તાન અંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ પાસેથી છ અબજ ડૉલરનું બેલ આઉટ પૅકેજ મેળવવામાં સફળ રહ્યું હતું.

1980 પછીથી અત્યારસુધીમાં પાકિસ્તાન માટે આઈએમએફનું આ 13મું બેલઆઉટ પૅકેજ છે.

પાકિસ્તાનને આ રકમ આગામી ત્રણ વર્ષ દરમિયાન મળશે. જોકે આ કરાર પર હજુ સુધી બોર્ડ ઑફ ડાયરેક્ટર્સે આની ઉપર મંજૂરીની મહોર મારી નથી.

પાકિસ્તાન પર કુલ વિદેશી દેવું કેટલું ?

પાકિસ્તાન અને આઈએમએફની વચ્ચે બેલઆઉટ પર ઑક્ટોબર 2018થી વાત ચાલી રહી હતી.

આઈએમએફની વેબસાઇટ પ્રમાણે, પાકિસ્તાન પર અગાઉના બેલઆઉટનું 5.8 અબજ ડૉલરનું દેવું છે.

2018ના બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાન પર 91.8 અબજ ડૉલરનું વિદેશી દેવું છે.

છ વર્ષ પહેલાં જ્યારે નવાઝ શરીફે પાકિસ્તાનના વડા પ્રધાન પદના શપથ લીધા ત્યારથી આમાં 50 ટકાનો વધારો થયો છે.

પાકિસ્તાનનાં દેવા અને જીડીપી (કુલ ઘરેલું ઉત્પાદન) વચ્ચેનો ગુણોત્તર 70 ટકા ઉપર પહોંચી ગયો છે. અનેક નિષ્ણાતોનું કહેવું છે કે પાકિસ્તાનના કુલ દેવામાં ચીનનું ધિરાણ લગભગ 66 ટકા છે. પાકિસ્તાને આ દેવું સાત ટકાના દરે લીધું છે.

કોઈ વિદેશી રોકાણ આવી રહ્યું નથી

પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની સૌથી જટિલ સમસ્યા એ છે કે પાકિસ્તાનમાં કોઈ વિદેશી રોકાણ કરતું નથી.

પાકિસ્તાનમાં 2018ના નાણાકીય વર્ષમાં માત્ર 2.67 અબજ ડૉલરનું રોકાણ થયું હતું, જ્યારે આ વર્ષે તેના ચાલુ ખાતામાં ખોટ 18 અરબ ડૉલરની રહી.

આઈએમએફએ કહ્યું હતું કે આગામી નાણાકીય વર્ષમાં પાકિસ્તાનમાં મોંઘવારીનો દર 14 ટકા સુધી પહોંચી શકે છે.

આઈએમએફ પાસેથી નાણાં લીધા પછી ઇમરાન ખાનની સરકારે લોકોને કરેલાં લોભામણા વાયદાઓને પૂરા કરી શકશે નહીં.

સમસ્યા એ છે કે પાકિસ્તાન પાસે ઘટી રહેલી વિદેશી વિનિમયની રકમનો કોઈ વિકલ્પ ન હતો.

ચૂંટણીપ્રચાર દરમિયાન ઇમરાન ખાન કહેતા હતા કે તે આત્મહત્યા કરવાનું પસંદ કરશે, પરંતુ દુનિયાના કોઈ પણ દેશ પાસે પૈસા માંગવા નહીં જાય.

પરંતુ ઇમરાન ખાન જ્યારે પહેલાં વિદેશી પ્રવાસમાં સાઉદીમાં પહોંચ્યાં તો તેમણે પહેલાં આર્થિક મદદની માંગ કરી. ગત મહિને સરકારે કહ્યું હતું કે ગત પાંચ વર્ષમાં પાકિસ્તાનનું દેવું 60 અબજ ડૉલરથી વધીને 95 અબજ ડૉલર થઈ ગયું છે.

પાકિસ્તાનનાં દેવા અને જીડીપી (કુલ ઘરેલું ઉત્પાદન) વચ્ચેનો ગુણોત્તર 70 ટકા સુધી પહોંચી ગયો છે.

ધ સેન્ટર ફૉર ગ્લોબલ ડેવલપમૅન્ટના રિપોર્ટ પ્રમાણે ચીનના દેવાનો સૌથી મોટો ડર પાકિસ્તાન પર છે. હાલમાં ચીનની 62 અબજ ડૉલરની યોજનાઓ પાકિસ્તાનમાં ચાલી રહી છે, જેમાં ચીનના પ્રોજેક્ટ્સ લગભગ 80 ટકા છે.

ચીને પાકિસ્તાનને ઊંચા વ્યાજ દરે ધિરાણ કર્યું હતું. આનાથી ભયને વધારે બળ મળે છે કે પાકિસ્તાન પર આવનારા સમયમાં ચીનના દેવાનો બોજો હજુ વધી જવાનો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો