TOP NEWS : ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી, ચાઇનીઝ વસ્તુઓ પર જકાત વધારાશે

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે લગભગ 200 અબજ અમેરિકન ડૉલરની ચાઇનીઝ વસ્તુઓ પર લાદવામાં આવનારી જકાત વધારી દેવાશે.

ટ્રમ્પનું કહેવું છે કે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલને લઈને ચાલી રહેલી વાતચીત 'બહુ જ ધીમી ગતિએ' આગળ વધી રહી છે,

ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું, "10 મહિનાથી ચીન 50 અબજ ડૉલરની વસ્તુઓ પર અમેરિકાને 25 ટકા અને 200 અબજ ડૉલરની વસ્તુઓ પર 10 ટકા કર ચૂકવી રહ્યું છે."

"આપણાં અર્થતંત્રનાં સારાં પ્રદર્શન માટે આ રકમ મહત્ત્વની છે. આ દસ ટકા કરને વધારીને શુક્રવારે 25 ટકા કરી દેવાશે."

આ પહેલાં ચીન સાથે વાતચીત ચાલી રહી હોવાનું કહીને વર્ષના પ્રારંભમાં ટ્રમ્પે જકાતમાં વધારો કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

ઓડિશામાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા પ્રયાસ

'ગુજરાત સમાચાર'ના અહેવાલ અનુસાર ફોની વાવાઝોડાને કારણે ઓડિશામાં ગુજરાતના 375 પ્રવાસીઓ ફસાયા છે. જેને પગલે ગુજરાત સરકારે સૌને પરત લાવવાના પ્રયાસ આદર્યા છે.

આ ઉપરાંત ગુજરાત સરકાર ઓડિશા સરકારના સંપર્કમાં હોવાનું પણ અખબાર જણાવે છે.

અખબારના જણાવ્યા અનુસાર મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ મુખ્ય સચિવ જે. એન. સિંઘને ઓડિશા સરકાર સાથે સંપર્કમાં રહેવાની સૂચના આપી છે.

તો જામગનરના કલેક્ટરે પણ જામનગર ઉપરાંત રાજકોટના મુસાફરો સાથે સંપર્ક સાધ્યો છે.

આપને આ પણ વાચવું ગમશે

ગાઝા ઉપર હુમલા વધશે

ગાઝા પટ્ટીમાં ઇઝરાયલ અને ઉગ્રવાદીઓ વચ્ચે હિંસક અથડામણ ચાલુ છે. તાજેતરનાં વર્ષોમાં આને સૌથી ભીષણ અથડામણ ગણાવાઈ રહી છે.

ઇઝરાયલી સૈન્યનું કહેવું છે કે આ સપ્તાહ દરમિયાન પેલેસ્ટાઇનના ઉગ્રવાદીઓએ ઇઝરાયલ ઉપર 600 રૉકેટ છોડ્યાં હતાં.

ઇઝરાયલનું કહેવું છે કે ગાઝા પટ્ટીમાં તેણે 260 ઠેકાણાંને નિશાન બનાવ્યાં છે. તેણે આગામી સમયમાં વધુ મોટા હુમલા કરવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.

ગાઝાના અધિકારીઓનું કહેવું છે કે શુક્રવારથી લઈને અત્યાર સુધી 9 પેલેસ્ટાઇનવાસીઓ માર્યા ગયા છે.

રવિવારે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે તેમણે ગાઝા પટ્ટીમાં આતંકવાદીઓના ઠેકાણાં પર મોટા હુમલાના આદેશ આપ્યા છે.

આ પહેલાં શુક્રવારે નાકાબંધીના વિરોધ દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં બે ઇઝરાયેલી સૈનિકોને ઈજા પહોંચી હતી. જે બાદ ઈઝરાયેલે હવાઈ હુમલા કરીને બે ઉગ્રવાદીઓને મારી નાખ્યા હતા.

આ ઘટના બાદ બન્ને તરફથી હુમલા શરૂ કરી દેવાયા હતા.

બ્રુનેઈ : ગે સેક્સ પર પથ્થર મારીને જીવ લેવામાં નહીં આવે

બ્રુનેઈના સુલતાન હસનલ બોલ્કિયાહે પોતાના જ એક આદેશને બદલતા કહ્યું છે કે દેશમાં સજાતીય તેમજ લગ્નેતર સંબંધોને કારણે કોઈને મૃત્યુદંડ નહીં ફટકારાય.

આ વર્ષના એપ્રિલમાં બ્રુનેઈમાં સજાતીય અને અવૈધ સંબંધો રાખનારાઓ વિરુદ્ધ મૃત્યુદંડની જોગવાઈ કરાઈ હતી. જેની વિશ્વ આખામાં ટીકા થઈ હતી.

એપ્રિલમાં અગ્નિ એશિયાના આ દેશમાં નવા ઇસ્લામિક કાયદાની જાહેરાત કરવામાં આવી હતી.

જેમાં સજાતીય અને અવૈધ સંબંધો બદલ લોકોને પથ્થર મારીને મારી નાખવાની સજા આપવાની જોગવાઈ કરાઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો