You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મસૂદ અઝહર મામલે ચીન ભારતનો સાથ આપવા કેમ તૈયાર થયું?
- લેેખક, સાયબલ દાસગુપ્તા
- પદ, બેઇજિંગથી, બીબીસી ગુજરાતી માટે
પુલવામા હુમલાની ઘટના બાદ મસૂદ અઝહરે દાવો કર્યો હતો કે તેમના સંગઠને આ ઘટનાને અંજામ આપ્યો હતો.
જે બાદ બ્રિટન, અમેરિકા અને ફ્રાંસ મસૂદ અઝહર વિરુદ્ધ પ્રસ્તાવ લઈને આવ્યાં હતાં.
એવામાં ચીન એનો વિરોધ કર્યા કરે તો એવો સંદેશ જતો કે તે આતંકવાદનું સમર્થન કરી રહ્યું છે. ચીન માટે આ આંતરરાષ્ટ્રીય છબીનો મામલો હતો.
પાકિસ્તાનમાં ચીનની કેટલીક પરિયોજનાઓ ચાલી રહી છે. કેટલાક દિવસો પહેલાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન ચીનના પ્રવાસ પર ગયા ત્યારે બંને દેશો વચ્ચે મસૂદ અઝહરને લઈને વાતચીત થઈ હશે.
ચીન એ તારણ પર પહોંચ્યું કે મસૂદ અઝહરનો હવે પાકિસ્તાનમાં ખાસ પ્રભાવ રહ્યો નથી. તેમના વિરુદ્ધ કોઈ નિર્ણય થવાથી મોટા વિરોધનો સામનો નહીં કરવો પડે.
એવું માનવામાં આવે છે કે પાકિસ્તાન અને ચીનની સેના વચ્ચે પણ આ મામલે વાતચીત થઈ હશે.
2011માં જ જૈશ-એ-મોહમ્મદને આતંકી સંગઠન ઘોષિત કરી દેવામાં આવ્યું હતું, માત્ર સંગઠનના નેતાને આતંકવાદી ઘોષિત કરવાનું બાકી હતું.
ભારત-પાકિસ્તાન પર શું અસર?
દુનિયામાં તમને કોઈ કંઈ આપે અને બદલામાં કંઈ ના માગે એવું સંભવ હોતું નથી. અમેરિકાએ ભારત અને ચીન બંનેને કહ્યું છે કે તેઓ ઈરાન પાસેથી ક્રૂડઑઈલ ના ખરીદે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચીને અમેરિકાની વાત ના સાંભળી જ્યારે ભારતે નુકસાન સહન કરીને પણ ઈરાન પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દીધું.
તો ભારતે આટલું મોટું બલિદાન એટલે આપ્યું હતું કે અમેરિકા મસૂદ અઝહરના મામલે ભારતને સમર્થન કરે.
મીડિયા ભલે એ દર્શવાતું રહે કે ભારતે પોતાની સચ્ચાઈના દમ પર મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી સાબિત કરી દીધા.
જ્યારે હકીકતમાં કૂટનીતિની સચ્ચાઈથી આગળ વધીને લેણદેણનો વિષય હોય છે. અહીં દરેક દેશે બીજા દેશ પાસેથી કંઈક લેવા માટે કંઈક આપવું પડે છે.
આપણે એ વિચારી લઈએ કે ચીને મસૂદ અઝહર પર પોતાની વીટો તાકાતનો ઉપયોગ ના કર્યો તો પણ ભારતે બદલામાં ચીનને કંઈ આપવું નહીં પડે તો એને કૂટનીતિની નાદાનિયત સમજવી જ રહી.
બીજી તરફ પાકિસ્તાન પર દબાણ વધશે કે તે મસૂદ અઝહર વિરુદ્ધ પગલાં ભરે. જો પાકિસ્તાન આવું નહીં કરે તો સીધો સંદેશ જશે કે તે સંયુક્ત રાષ્ટ્રની વિરુદ્ધ જઈ રહ્યું છે.
સાથે-સાથે ચીન પર પણ દબાણ વધશે કે તે પાકિસ્તાન જેવા દેશની મદદ કેમ કરી રહ્યું છે.
ભારતની નજીક આવવા માગે છે ચીન?
એ વાત તો જગજાહેર છે કે ચીન ભારતના બજારને ગુમાવવા માગતું નથી.
બીજી તરફ ભારત રાજકીય રીતે હંમેશાં ચીનનો વિરોધ કરતું આવ્યું છે.
કોઈ પણ સરકાર નહીં ઇચ્છે કે તેમના કાર્યકાળ દરમિયાન ચીન વન રોડ વન બૅલ્ટ યોજનામાં સફળ થઈ શકે.
ખુદ વિપક્ષના નેતા રાહુલ ગાંધી અનેક વખત બોલી ચૂક્યા છે કે મોદીજી ચીનથી ડરે છે.
ભારત માટે મોટી સફળતા
આજે ભલે ભારતમાં જોરશોરથી કહેવામાં આવતું હોય કે મસૂદ અઝહર મામલે ભારતને મોટી સફળતા હાથ લાગી છે, પરંતુ સાથે જ એ ના ભૂલવું જોઈએ કે 2009થી ભારત આ માંગ કરતું આવ્યું છે.
વિશ્વ પાસેથી પોતાની આ માંગને પૂરી કરાવતાં ભારતને 10 વર્ષ લાગી ગયાં છે.
એટલે આ ભારત માટે ખુશ થવાનો વિષય જરૂર હોઈ શકે છે પરંતુ કોઈ મોટી ઉપલબ્ધિ નથી.
ચૂંટણીમાં કેટલી અસર થશે?
આપણે બધા જાણીએ છીએ કે નરેન્દ્ર મોદી સારા વક્તા છે, તેઓ કોઈ પણ વાતને પોતાના ભાષણમાં સામેલ કરવાની કળા જાણે છે.
તેઓ પોતાના ચૂંટણીપ્રચારમાં કહી ચૂક્યા છે કે તેમની સરકાર ઘરમાં ઘૂસીને મારે છે. એટલે મોદી આ મામલે પૂરો ફાયદો ઉઠાવશે અને આ તકને એ જતી નહીં કરે.
મસૂદ અઝહર ના મામલે ચીનના આ પગલાનો પાકિસ્તાન વિરોધ કરી શકશે નહીં કારણ કે તે પણ એવું દર્શાવવા નહીં માગે કે ચીન સાથેના તેમના સંબંધો ખરાબ થયા છે.
ચીન અને પાકિસ્તાન એકબીજાને ભાઈ કહે છે, તેમનું માનવું છે કે તેમના સંબંધો સમુદ્રથી પણ વધારે ઊંડા છે. આવી રીતે બે પ્રેમી પણ એકબીજાને કહેતા નથી.
એટલે પાકિસ્તાન ક્યારેય પણ ચીનના આ પગલાનો વિરોધ નહીં કરે. જોકે, પાકિસ્તાનની સરકારને બદલે આઈએસઆઈ માટે આ ચિંતાનો વિષય બનશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો