પાકિસ્તાનમાં મૌલાના મસૂદ અઝહરના ભાઈ સહિત જૈશ-એ-મોહમ્મદના 44 લોકોની અટકાયત

    • લેેખક, શુમાઇલા જાફરી
    • પદ, બીબીસી સંવાદદાતા

પાકિસ્તાને ઉગ્રપંથીઓ સામે કાર્યવાહી શરૂ કરી, મૌલાના મસૂદ અઝહરના ભાઈ અને દીકરાની 'આગમચેતી રૂપે અટકાયત' કરી છે.

જૈશ-એ-મોહમ્મદે પુલવામા ખાતે સીઆરપીએફના 40 જવાનોનો ભોગ લેનાર હુમલાની જવાબદારી સ્વીકારી હતી.

પાકિસ્તાની સરકારનો દાવો છે કે તેણે જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 44 લોકોની અટકાયત કરી છે, જેમાં મુફ્તી અબ્દુલ રઉફ અસગર અને હામદ અઝહરનો સમાવેશ થાય છે.

અસગર એ ઉગ્રપંથી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સ્થાપક મૌલાના મસૂદ અઝહરના ભાઈ છે, જ્યારે હામદ પુત્ર છે.

ભારતે પુલવામા ખાતે સીઆરપીએફની ટુકડી ઉપર થયેલા હુમલા માટે પાકિસ્તાન સ્થિત ઉગ્રપંથી સંગઠન જૈશ-એ-મોહમ્મદને જવાબદાર ઠેરવ્યું હતું.

પાકિસ્તાનનું કહેવું છે કે નેશનલ ઍક્શન પ્લાન મુજબ કાર્યવાહી કરવા માટે નેશનલ સિક્યોરિટી કમિટીએ કેટલાક નિર્ણય લીધા હતા, આ બેઠક સોમવારે મળ્યા હતા.

પાકિસ્તાનના ગૃહપ્રધાનન શહરયાર આફ્રિદીના કહેવા પ્રમાણે, તેમણે આ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ નથી કરી.

સાથે જ ઉમેર્યું છે કે 'ભારત સાથે ઘર્ષણ પૂર્વે જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને પુરવા મળશે તો કેસ પણ દાખલ કરાશે.'

મૌલાના મસૂદ અઝહર પાકિસ્તાનમાં છે અને તેમની તબિયત ખૂબ જ નાદુરસ્ત છે, તેઓ ચાલી પણ શકતા નથી.

ભારત, અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રોએ મસૂદ અઝહરને 'આતંકવાદી' જાહેર કર્યાં છે.

તણાવની પૃષ્ઠભૂમિ

તારીખ 14મી ફેબ્રુઆરીના દિવસે પુલવામા ખાતે આત્મઘાતી હુમલામાં સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના 40 જવાન મૃત્યુ પામ્યાં હતાં.

પાકિસ્તાન સ્થિત ઉગ્રપંથી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આત્મઘાતી બૉમ્બર આદિલ ડારે આ જવાબદારી સ્વીકારી હતી.

બંને દેશો ઉપર લાઇન ઑફ કંટ્રોલ પર ભારે ગોળીબારી તથા બૉમ્બમારો ચાલી રહ્યો છે.

આ કાર્યવાહીને કારણે ભારત પ્રશાસિત કાશ્મીર તથા પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં અનેક લોકો ઘાયલ થયા છે તથા સેંકડો લોકોએ હિજરત કરવી પડી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો