પ્રેસ રિવ્યુ : બંધ થઈ જશે રૂ. 2000ની નોટ?

'ધ હિંદુ'માં પ્રકાશિત રિપોર્ટ પ્રમાણે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા રૂ. 2000ની નોટ પાછી ખેંચી શકે છે.

આરબીઆઈએ તેનું છાપકામ બંધ કરી દીધું છે અથવા તો બજારમાં તેનો પુરવઠો ઓછો કરી દીધો છે.

દેશની સૌથી મોટી સાર્વજનિક બેન્ક SBI (સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા)ના રિપોર્ટના આધારે અખબારે આ અહેવાલ છાપ્યો છે.

અખબાર ઉમેરે છે કે મોટા દરની નોટોના વિકલ્પરૂપે રિઝર્વ બેન્કે રૂ. 50 કે રૂ. 200ના દરની નોટો વધારે છાપી છે.

પ્રારંભિક તબક્કામાં ચલણી નોટોનો પુરવઠો જાળવવા માટે રૂ. 2000ની નોટો વધુ પ્રમાણમાં છાપવામાં આવી હશે, તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

તમને આ પણ વાંચવું ગમશે

ભારતીયો વેકેશનથી વંચિત

એનડીટીવીએ પ્રકાશિત કરેલા અહેવાલ મુજબ કામકાજના બોજને કારણે ભારતને સૌથી વધુ વેકેશન વંચિત દેશ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.

એક્સપીડિયા વેકેશન ડિપ્રાઇવમૅન્ટ રિપોર્ટ 2017માં હાથ ધરાયેલા એક સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે વૈશ્વિક સ્તરે ભારત પાંચમો સૌથી વધુ વેકેશનથી વંચિત દેશ છે.

એક્સપેડિયા એક ઓનલાઇન ટ્રાવેલ એજન્સી છે જેના દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણમાં 55 ટકા ભારતીયોએ જણાવ્યું હતું કે તેઓ બહુ થોડી રજાઓ લઈ શકે છે, જ્યારે 28 ટકા લોકો કામના ભારણના કારણે રજા જ લેતા નથી.

સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે ભારતીયો ગત છ મહિના દરમિયાન જુદાજુદા કારણોસર રાજા કે વેકેશન લઇ શક્યા ન હતા. જેમાં

  • 37 ટકા લોકોને વેકેશન લેવું પરવડતું નથી.
  • 36 ટકા લોકોને પોતાના કાર્યમાંથી સમય મળતો નથી.
  • 27 ટકા લોકો લાંબી રાજાઓ માટે સમય બચાવે છે, જેવાં કારણોનો સમાવેશ થાય છે.

આ ઓનલાઇન સર્વેક્ષણ સપ્ટેમ્બર 2017માં નોર્થસ્ટાર રિસર્ચ પાર્ટનર્સ દ્વારા એક્સપેડિયા તરફથી 30 દેશોના 15,081 ઉત્તરદાતાઓ વચ્ચે હાથ ધરવામાં આવ્યું હતું.

જુદા જુદા કારણોસાર રજા કે વેકેશન લઇ શકતા નથી

વિશ્વમાં સૌથી વધુ વેકેશન વંચિત દેશ

  • દક્ષિણ કોરિયા 82 ટકા સાથે ટોચના સ્થાને
  • ફ્રાન્સ 66 ટકા સાથે બીજા સ્થાને
  • મલેશિયા 65 ટકા સાથે ત્રીજા સ્થાને
  • હોંગકોંગ 64 ટકા સાથે ચોથા ક્રમે

ઓછા વેકેશનમાંથી વંચિત રાષ્ટ્રો

  • નોર્વે 38 ટકા સાથે સૌ-પ્રથમ ક્રમે
  • નેધરલેન્ડ્સ 39 ટકા સાથે બીજા ક્રમે
  • આયર્લેન્ડ 44 ટકા સાથે ત્રીજા ક્રમે
  • સ્વીડન 44 ટકા સાથે ચોથા ક્રમે
  • તાઇવાન 44 ટકા સાથે પાંચમા ક્રમે રહ્યું.

ટ્રમ્પની આર્થિક સહાય અટકાવવા ધમકી

બીબીસી દ્વારા પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરી હતી.

તેમાં તેમણે ચેતવણી આપી છે કે જેરૂસલેમને ઇઝરાયલની રાજધાની જે નહીં માને, તે રાષ્ટ્રોની આર્થિક મદદ અટકાવી દેવાશે.

પેલેસ્ટાઇન, તુર્કી, સાઉદી અરેબિયા, ઇજિપ્ત, આરબ રાષ્ટ્રો, ઈરાન, જોર્ડન, યુરોપીય સંઘ, ફ્રાન્સ, ચીન, રશિયા, બ્રિટન સહિતના રાષ્ટ્રોએ આ સંદર્ભે તેમની નારાજગી વ્યક્ત કરી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય વિવેચનોની અવગણના કરી જેરૂસલેમને ઇઝરાયલની રાજધાની તરીકે માન્યતા આપી હતી.

જેરૂસલેમને ઇઝરાયલની રાજધાની ઘોષિત કરવી તે અમેરિકાના પ્રમુખ પદ માટે લડાયેલી ચૂંટણી વચનોમાં ટ્રમ્પ દ્વારા અપાયેલું એક વચન હતું.

ટ્રમ્પે કહ્યું હતું, "તેઓ (ઇસ્લામિક રાષ્ટ્રો) અમારી પાસેથી અબજો ડોલરની મદદ અને સહાય લીધા બાદ અમારા પ્રસ્તાવોને નકારી અમારી વિરુદ્ધ મતદાન પણ કરે છે.

"આ રાષ્ટ્રોને અમેરિકાના પ્રસ્તાવોનો વિરોધ કરવો હોય અને તેમની વિરુદ્ધ મતદાન કરવું હોય તો ભલે કરે, તેનાંથી કોઈ ફેર પડતો નથી .

"જો આ રાષ્ટ્રો તેમની વિરુદ્ધ જઈને મતદાન કરશે તો અમેરિકા આ રાષ્ટ્રોને મળતી નાણાંકીય સહાય બંધ કરી દેશે. આ રીતે અમેરિકા અબજો ડોલરની બચત થશે."

સંયુક્ત રાષ્ટ્ર સંઘની બેઠકમાં જેરૂસલેમને ઇઝરાયલની રાજધાની માનવાનો વિરોધ કરતો પ્રસ્તાવ રજુ કરવામાં આવે તે પહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઉપરોક્ત વાત કરી હતી.

ભાજપ છોડી ગયેલા નેતાઓ મોદીને યાદ આવ્યા

દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત થયેલી ખબર મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક જુદું જ સ્વરૂપ ભારતીય જનતા પાર્ટીની સંસદીય પક્ષની બેઠકમાં જોવા મળ્યું હતું.

ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીઓના પરિણામ બાદ સંસદ ભવન ખાતે સંસદોની પહેલી બેઠક મળી હતી.

મોદીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને શુભેચ્છા પાઠવી અને ગુજરાતમાં ભાજપે 99 બેઠકો પર ભગવો લહેરાવ્યો તે બદલ શાહને બિરદાવ્યા.

ભાજપ જે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં 150+ બેઠકો પર ભગવો લહેરાવવાનું લક્ષ્ય લઇને ચાલી રહ્યું હતું તેને આ વખતે ગુજરાતમાં આકરા પડકારો જીલવા પડયા હતા.

મોદીએ સાંસદોની કામગીરીને બિરદાવી હતી અને સાથે સાથે તેમણે શંકરસિંહ વાઘેલા, કેશુભાઈ પટેલ, યશવંતભાઈ, અરવિંદભાઈ મણિયારનો પણ ઉલ્લેખ કર્યો હતો.

આ નેતાઓનો ઉલ્લેખ કરતા મોદી ભાવુક થઇ ગયા હતા અને જુના દિવસોને યાદ કરવા સાંસદોને કહ્યું હતું.

મોદીએ યાદ કરેલા પક્ષના પાયારૂપ કાર્યકરો અને નેતાઓને પક્ષના સિંચન માટે કરેલા બલિદાનોને યાદ કરવા કહ્યું હતું.

વડાપ્રધાને સાથે સાથે એ પણ કહ્યું કે આ લોકોએ પક્ષના સિંચન માટે મદદ કરી હતી, પરંતુ કેટલાક કારણોસર આ લોકો ભાજપ છોડીને જતા રહ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો