You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પરમાણુ હુમલાના આદેશ પર શું કોઈ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ના કહી શકે?
દાવોઃ જો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પરમાણુ હુમલાના ગેરકાયદેસર આદેશ આપે, તો અમેરિકી સેના તેને માનવાની ના પાડી શકે છે.
હકીકતઃ સામાન્ય પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્રપતિના આદેશ માનવા ના નથી કહી શકતો.
પરંતુ અમેરિકી સેનાના જનરલ પરમાણુ હુમલા પર સ્પષ્ટીકરણ માગી શકે છે અને કોઈ પણ ગેરકાયદેસર આદેશને માનવાનો ઇન્કાર કરી શકે છે.
હાલ અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે વધતા તણાવના કારણે લોકો એ પૂછી રહ્યાં છે કે પરમાણુ હુમલો કરવાથી રાષ્ટ્રપતિ ટ્રમ્પને કોણ રોકી રહ્યું છે?
એક રિટાયર્ડ મિલિટરી જનરલે કોંગ્રેસને કહ્યું છે કે કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિઓમાં સેના રાષ્ટ્રપતિ ટ્રમ્પને ના કહી શકે છે.
હવે અમેરિકી સ્ટ્રટીજિક કમાન્ડના ચીફ જનરલ જૉન હાઇટને હૈલીફૈક્સ ઇન્ટરનેશનલ સિક્યુરિટી ફોરમમાં કહ્યું છે કે જો તેમને એવો કોઈ આદેશ ગેરકાયદેસર લાગ્યો તો તેની વિરૂદ્ધ સલાહ આપશે.
પણ શું કોઈની પાસે એ હક છે કે તે પરમાણુ હુમલો કરવાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશનો ઇન્કાર કરી શકે?
તમને આ પણ વાંચવું ગમશે
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરમાણુ કોડ
જો રાષ્ટ્રપતિ પરમાણુ હુમલો કરવાનો વિચાર કરે છે તો સૌથી પહેલા તેમણે તેમના સલાહકારો પાસે ઉપલબ્ધ વિકલ્પો પર ચર્ચા કરવી પડશે.
ત્યારબાદ ટ્રમ્પ પેન્ટાગનમાં મિલિટરીના વરિષ્ઠ કમાંડર્સને આ મામલે આદેશ આપશે.
આ કમાંડર રાષ્ટ્રપતિની ઓળખની પુષ્ટિ સિક્રેટ કોડ્સની મદદથી કરે છે અને જે કોડ જે કાર્ડ પર છપાયેલા હોય છે તેને 'બિસ્કિટ' કહેવામાં આવે છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જ્યાં પણ જાય છે, આ 'બિસ્કિટ' તેમની સાથે હોય છે.
રાષ્ટ્રપતિનો આ આદેશ અમેરિકી સ્ટ્રટીજિક કમાન્ડ પાસે પહોંચે છે અને પછી આગળની કાર્યવાહીના આદેશ સાથે ગ્રાઉન્ડ સ્ટાફ સુધી સંદેશ પહોંચે છે.
સેનાનો આ ગ્રાઉન્ડ સ્ટાફ જમીન પર હોઈ શકે છે, પાણીની અંદર સબમરીનમાં હોઈ શકે છે. ત્યારબાદ અહીંથી મિસાઇલ છોડવામાં આવે છે.
સવાલ ઉઠે છે કે આ પુરી પ્રક્રિયામાં શું કોઈ એવી વ્યક્તિ પણ છે કે જે અમેરિકી રાષ્ટ્રપતિના આદેશને માનવાનો ઇનકાર કરી દે.
કમાંડર ઇન ચીફ
અમેરિકામાં આ સવાલને લઇને કાયદાકીય સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ છે.
અમેરિકી રાષ્ટ્રપતિ એકમાત્ર એવા વ્યક્તિ હશે કે જે પરમાણુ હુમલાના આદેશ આપવા માટે અધિકૃત છે.
સામાન્ય પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ પાસે રાષ્ટ્રપતિના આદેશની અવગણના કરવાનો અધિકાર નથી.
કમાંડર-ઇન-ચીફની હેસિયતથી એ રાષ્ટ્રપતિના અધિકાર ક્ષેત્રમાં આવે છે.
સૈદ્ધાંતિક રૂપે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને સત્તામાંથી હટાવી શકે છે, પણ શરત એ છે કે કેબિનેટમાં એ વાત પર સંમતિ મળે કે રાષ્ટ્રપતિ તેમની જવાબદારી નિભાવવાને લાયક નથી રહ્યા.
પરંતુ ડ્યૂક યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર પીટર ફીએવરનું કહેવું છે, "એ વાત સાચી નથી કે ટ્રમ્પ ટ્વીટ કરવા જેટલી સહેલાઇથી પરમાણુ હુમલો કરાવી શકે છે.
"રાષ્ટ્રપતિ જો આદેશ આપે છે તો તે આદેશ ઘણા સ્તરથી પસાર થઈ અમલમાં લાવવામાં આવે છે. આ સિરીઝમાં નીચલા સ્તરનો જ કોઈ વ્યક્તિ પરમાણુ બટન દબાવે છે."
"હા, એ છે કે તમામ નકારાત્મક સલાહ મળવા છતાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસે હુમલો કરવા આદેશ આપવા કાયદાકીય હક છે.
"છતાંય આદેશને લાગુ કરાવવા માટે તેમણે સેનાના જનરલોને મનાવવા પડશે."
કાયદાકીય આદેશ
જનરલ હાઇટનની દલીલ છે, "જો પરમાણુ હુમલાના આદેશ ગેરકાયદેસર હશે તો તેઓ તેને માનવાથી ઇન્કાર કરી દેશે.
જો તમે કોઈ ગેરકાયદેસર આદેશને માનો છો તો બાકી ઉંમર માટે જેલમાં જઈ શકો છો."
તો એવી શું વાત હોઈ શકે છે જેના કારણે પરમાણુ હુમલાનો આદેશ ગેરકાયદેસર થઈ જાય.
કેટલાક લોકોનું કહેવું છે કે પરમાણુ હથિયારોના ઉપયોગનો કોઈ પણ આદેશ ગેરકાયદેસર જ હશે.
ભલે તમે આ દલીલ સાથે સંમત ન હો, પરંતુ કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ ગેરકાયદેસર ગણાવી શકાય છે.
ડલાસની સાઉથર્ન મેથોડિસ્ટ યુનિવર્સિટીમાં કાયદાના પ્રોફેસર એન્થની કોલાન્જલોના મતે પરમાણુ હથિયારોના ઉપયોગથી આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન થશે.
જિનોવા કન્વેન્શન જેવા કાયદાને અમેરિકાએ સહમતી આપી છે. આ કાયદા જણાવે છે કે યુદ્ધની પરિસ્થિતિઓમાં કોઈ દેશ કેવું વર્તન કરશે.
આ મત ન માત્ર પ્રોફેસર એન્થનીનો છે, પણ અમેરિકી રક્ષા વિભાગના નિયમ પણ કંઈક આવું જ કહે છે.
પ્રોફેસર એન્થની કોલાંજેલો કહે છે, "જો કોઈ રાષ્ટ્રપતિ કોઈ ગેરકાયદેસર આદેશ આપે છે તો ઊપરથી માંડીને આ આદેશનું પાલન કરવા વાળો દરેક વ્યક્તિ યુદ્ધ અપરાધ માટે જવાબદાર ગણાશે.
"આ પ્રકારના આદેશને માનવાથી ઇનકાર કરવાની તેમની જવાબદારી છે."
અધિકારી ઇન્કાર કરી શકશે?
દરેક વ્યક્તિ એ સ્થિતિમાં નથી હોઈ શકતો કે એ નક્કી કરી શકે કે આદેશ કાયદેસર છે કે ગેરકાયદેસર.
રાષ્ટ્રપતિ કે તેમના ઉચ્ચ સૈન્ય જનરલો પાસે જે જાણકારી હશે તે પાણીની અંદર હાજર સબમરીનમાં તહેનાત કોઈ સૈનિક પાસે નથી હોઈ શકે.
શક્ય છે કે તેઓ એ સ્થિતિમાં ન હોય કે એ જણાવી શકે કે આદેશ કાયદેસર છે કે ગેરકાયદેસર.
જો કોઈ જનરલ રાષ્ટ્રપતિના આદેશને માનવાથી ઇન્કાર કરી દે તો તેની નોકરી જઈ શકે છે, પરંતુ તેમની જગ્યાએ જે વ્યક્તિ લાવવામાં આવશે, તે પણ કાયદાને માનવા માટે એટલા જ બાધ્ય હશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો