'ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ' બાબતે ગુજરાતીઓ શું માને છે?

    • લેેખક, હિમાંશુ ભાયાણી
    • પદ, બીબીસી ગુજરાતી

વિશ્વ બેંક દ્વારા રજૂ કરાયેલા વર્ષ 2018ના માટેના'ઝ ઓફ ડુઇંગ બિઝનેસ(વેપાર કરવાની સરળતા)' વિશેના અહેવાલમાં ભારતે 130મા ક્રમેથી 100મા ક્રમે પહોંચી ગયું છે.

વિશ્વ બેંકે રજૂ કરેલા 136 પાનાંના અહેવાલમાં મુખ્યત્વે મુંબઈ અને દિલ્હીમાં કરાયેલા સર્વેક્ષણોના તારણો રજૂ કરવામાં આવ્યાં છે.

આ સર્વેક્ષણમાં મુખ્યત્વે કોઈપણ પ્રકારનો નવો વ્યવસાય કરવા માટે જરૂરી સરકારી અને દસ્તાવેજી પ્રક્રિયા વૈશ્વિક સ્તરની સરખામણીએ ભારતમાં કેટલી હદે સરળ બની છે, તેનું આકલન કરવામાં આવ્યું છે.

તમને આ પણ વાંચવું ગમશે

વિશ્વ બેંક દ્વારા 190 રાષ્ટ્રોમાં હાથ ધરાયેલા આ સર્વેક્ષણમાં વેપાર કરવાની સરળતા માટે ન્યૂ ઝીલૅન્ડ મોખરાનું સ્થાન ધરાવે છે અને સોમાલિયા છેલ્લું સ્થાન ધરાવે છે.

ગુજરાતીઓ શું કહે છે?

બીબીસીએ આ સંદર્ભે ગુજરાત સ્થિત વ્યાપાર અને વાણિજ્ય સાથે સંકળાયેલા લોકો સાથે વાતચીત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે તેમના માટે વેપાર કરવાનું કેટલું સરળ છે.

નોટબંધીને એક વર્ષ પૂર્ણ થવાના આરે છે અને 'ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(જીએસટી)'ના અમલીકરણ પછી રાષ્ટ્રનું અર્થતંત્ર તૂટ્યાના સંકેતો મળ્યા છે.

ત્યારે વર્લ્ડ બેંકના અહેવાલ પ્રમાણે, ભારતની સ્થિતિ સુધર્યાના સમાચાર વેપારીઓ માટે આશા જગાવનારા સાબિત થશે?

તમને આ પણ વાંચવું ગમશે

'કિમ એન્ગ સિક્યુરિટીઝ'ના ચીફ એક્ઝિક્યુટિવ જિગર શાહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "વેપાર કરવાની સરળતામાં ભારતનો ક્રમ સુધર્યો છે તેની પાછળ મહત્વનું પરિબળ એ છે કે આજના સમયમાં નાના વ્યવસાયીઓને નાણાં મળવાનું સરળ બન્યું છે."

શાહે ઉમેર્યું કે, થોડા સમય પહેલા સુધી ભારત દેશમાં 80% નાણાકીય ધિરાણ (ક્રેડિટ ફૅસિલિટી) જૂજ કોર્પોરેટ કંપનીઓને મળતું હતું.

શાહ કહે છે કે, આ પરિસ્થિતિ બદલાઈ છે અને આજે નાના વ્યવસાયીઓને નાણાં સરળતાથી મળી રહે છે, જેનાં કારણે વેપાર કરવું ઘણું સરળ બન્યું છે.

સ્ટાર્ટ-અપ્સ શું કહે છે?

આઠેક વર્ષ માટે વીમા (ઇન્સ્યોરન્સ) ક્ષેત્રે કામ કર્યા બાદ રાજકોટ સ્થિત વિવેક વ્યાસ અને તેના મિત્ર વિમલ પોપટે https://shradhanjali.com/ નામનું સ્ટાર્ટ-અપ શરૂ કર્યું હતું.

આ સેવામાં તેઓ મૃત્યુ પામેલા લોકોની ડિજિટલ પ્રોફાઇલ તૈયાર કરી આપે છે.

વિવેક કહે છે, "જી હા. અમે અનુભવ્યું છે કે અમારી કંપની રજીસ્ટર કરાવવા માટે બહુ ધક્કા નહોતા ખાવા પડયા."

વિવેક ઉમેરે છે, "અમે સરળતાથી અમારી કંપની રજિસ્ટર કરાવી શક્યા હતા એટલે અમારે મન આ પરિસ્થિતિ એ વેપાર કરવાની સરળતા છે. ભારતનો ક્રમાંક આ દિશામાં સુધરવો એ ઘણું સૂચક છે."

ભારતમાં દર વર્ષે સિત્તેર લાખ લોકો મૃત્યુ પામે છે અને અખબારમાં પ્રકાશિત થયેલી તેમની શ્રદ્ધાંજલિ લોકોની સ્મૃતિમાં મર્યાદિત સમય માટે રહે છે.

જે અખબારમાં શ્રદ્ધાંજલિ છપાઈ હોય એ અખબારમાં બીજે દિવસે નાસ્તો પેક કરવામાં આવે છે અથવા તો કારના કાચ સાફ કરવા માટે એ છાપાંનો ઉપયોગ થતો હોય છે.

એ જોઈને વ્યવસાય શરૂ કરવાનો વિચાર વિવેકના મનમાં સ્ફૂર્યો હતો.

'લાંચ ન આપવી પડી'

ભાવનગર નજીક મહુવા સ્થિત ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ) ક્ષેત્રે નવીસવી શરૂઆત કરનારા વિનોદ જોબનપુત્રા ડુંગળી-લસણના ડિહાઇડ્રેશન યુનિટનું સંચાલન કરે છે.

તેઓ માને છે કે ભારતમાં હાલના વર્ષોમાં વેપાર કરવો સરળ બન્યો છે.

જોબનપુત્રા કહે છે, "અમારે ક્યાંય કરતા ક્યાંય કામ કરાવવા માટે લાંચ નથી આપવી પડી. પછી ભલે એ સરકારી મંજૂરીઓ લેવાની વાત કેમ ન હોય."

જોબનપુત્રા ઉમેરે છે, "હાલના સમયમાં ઑનલાઇન મંજૂરી સરળતાથી મળી જાય છે અને દિવસે-દિવસે પરિસ્થિતિમાં સુધારો જોવા મળે છે. વેપાર કરવાનું સરકારી મંજૂરી મેળવવાની દ્રષ્ટિએ સરળ બન્યું છે."

તમને આ પણ વાંચવું ગમશે

જોબનપુત્રા અને તેમના પાંચ મિત્રો દ્વારા સંચાલિત 'લાલસાઈ ડિહાઇડ ફુડ્સ'ના ઉત્પાદનનો 30 - 40% હિસ્સાની નિકાસ કરવામાં આવે છે, જ્યારે 60 - 70% હિસ્સો સ્થાનિક ભારતીય બજારમાં વેચવામાં આવે છે.

આ સંદર્ભે જોબનપુત્રા કહે છે, "એક્સપોર્ટ - ઇમ્પૉર્ટ લાઇસન્સ મેળવવું ઘણું સરળ બન્યું છે અને પૉર્ટ સંબંધી પ્રક્રિયા ઘણી સરળ બની ગઈ છે. જે વેપાર કરવાની સરળતામાં એક મહત્વપૂર્ણ બાબત છે."

જોબનપુત્રા ભારપૂર્વક કહે છે કે, જીએસટીના અમલીકરણ પછી 'સિંગલ વિન્ડો ક્લિયરન્સ' સિસ્ટમ દાખલ કરવામાં આવે તો વેપાર કરવાનું ખૂબ જ સરળ બની જાય એમ છે.

નવા સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહિત કરવાના હેતુથી સ્ટાર્ટ-અપ ચલાવી રહેલા 'ગ્લોકલ કોવર્કિંગ સ્પેસ'ના પ્રણેતા જતીન કટારિયા કહે છે કે અગાઉ વેપારનું રજિસ્ટ્રેશન કરવાની કાયદાકીય પ્રક્રિયા ખૂબ જટિલ હતી, જે હવે ખૂબ સરળ બની છે.

કટારિયા ઉમેરે છે, "બૅન્કમાં કરંટ એકાઉન્ટ ખોલાવવા માટે હવે 'ઉદ્યોગ આધાર'નો ઉપયોગ કરી શકો છે અને ઉદ્યોગ આધાર સરળતાથી મળી રહે છે."

સ્ટાર્ટ-અપ્સ માટે 'વેપાર કરવાની સરળતા'નો શું અર્થ થાય?

આ પ્રશ્નના જવાબમાં સ્ટાર્ટ-અપ વાતાવરણને જમાવવા માટે ગુજરાતમાં જેમણે ઉદ્દીપકની ભૂમિકા ભજવી છે એવા સુનીલ પારેખ કહે છે, "આ સમાચાર સ્ટાર્ટ-અપ્સ માટે ખૂબજ હકારાત્મક છે."

સુનીલ પારેખ કહે છે, "સ્ટાર્ટ-અપ્સ એ કોઈ લઘુ-ઉદ્યોગથી પણ ઘણા નાના પાયે થતી વ્યવસાયિક શરૂઆત છે.

એટલે જે પ્રકારે આવી વ્યાપારી શરૂઆત માટેની જટિલ પ્રક્રિયાઓને સરળ બનાવાઈ છે, તે વિશ્વ બેંકના અહેવાલમાં સ્પષ્ટ રીતે દેખાય છે."

તમને આ પણ વાંચવું ગમશે

પારેખ ઉમેરે છે, "મોટી કંપનીઓ તો આવી જટિલ પ્રક્રિયા માટે વ્યવસાયિકો કે આવી વ્યવસાયિક સેવાઓ આપનારી કંપનીઓને નાણાં ચૂકવીને પણ આવી સેવા લઈ શકે છે.

સ્ટાર્ટ-અપ માટે આવી મોંઘી વ્યાવસાયિક સેવાઓ લેવાનું સરળ ન હોય એટલે વેપાર કરવાની સરળતામાં આ બહુ મહત્વનું પાસું છે."

પારેખ ભારપૂર્વક કહે છે, "એક જ દિવસમાં તમારા વ્યવસાય કે વેપારના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાલમાં બહુ ઓછા દેશમાં શક્ય બની છે અને ભારતમાં એ શક્ય બન્યું છે એ જ મહત્વની અને મોટી વાત છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો