ગરોળી : શું ગરોળી ભોજનમાં પડવાથી તે ઝેરી બની જાય? ગરોળી ઘરમાં ન હોય તો માણસનું શું થાય?

    • લેેખક, શોભના
    • પદ, બીબીસી તમિળ

સુરતમાં હાલમાંજ એક સાત મહિનાની બાળકીએ કથિત રીતે ગરોળી મોઢામાં નાખી લીધી હોવાને કારણે તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

જોકે સુરત સિવિલ હૉસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉક્ટર ગણેશ ગોવેકરે જણાવ્યું કે "બાળકનાં માતાએ જણાવ્યું કે અમારી પાસે કેસ આવ્યો કે સાત મહિનાની બાળકી ગરોળી ખાઈ ગઈ છે. તેમાં ઝેરની અસર થઈ હોવાનાં લક્ષણ નહોતાં. તેનાં માતાપિતાએ જણાવ્યું કે બાળકીના હાથમાં મરેલી ગરોળી મળી હતી અને મોઢામાં આંગળી નાખીને ગરોળીના પગ મળ્યા હતા. જોકે બાળકી સ્થિર છે."

ગરોળી એવાં પ્રાણીઓમાં આવે છે જે આપણી આસપાસ, આપણાં ઘર-મકાનોની દીવાલો પર સામાન્ય રીતે જોવા મળે છે. અને કેટલાકને તેના પર ચીતરી ચડતી હોય છે.

સામાન્ય રીતે આપણે પ્રાણીઓ અંગે વાત કરીએ ત્યારે આપણે જંગલો અને પહાડો અંગે વિચારીએ છીએ. જોકે આપણે આસપાસનાં પ્રાણીઓ અને કીડાઓનું મહત્ત્વ સમજતા નથી.

આપણને તેનાથી ઘણા લાભ થતો હોય છે, પણ આપણે તેના પર વધુ ધ્યાન આપતા નથી.

ગરોળી એક એવું સરિસૃપ પ્રાણી છે. તેનું નામ સાંભળતાં જ ઘણા લોકોને ચીતરી ચડવા લાગે છે. કેટલાક તેને અશુભ માને છે.

જોકે વાસ્તવમાં તેને સ્થાન નથી મળતું જેની તે હકદાર છે. તે પરિસ્થિતિજન્ય સંતુલનમાં પણ ભૂમિકા નિભાવે છે.

જો આપણા ઘરમાં અસલી ગરોળી ન હોય તો શું થાય? ગરોળીઓને આપણાં ઘરો સાથે શું લેવાદેવા છે?

પર્યાવરણવિદ્દ અને પશુનિષ્ણાત એ ષણુમુગનાથને આ વિષય પર બીબીસી સાથે વાત કરી. તેનું વિવરણ અહીં સવાલ-જવાબના રૂપમાં પ્રસ્તુત છે.

ગરોળીના ફાયદા શું છે?

કીડાઓને નિયંત્રિત કરવામાં ગરોળી મુખ્ય ભૂમિકા નિભાવે છે. સામાન્ય રીતે આપણે કહીએ છીએ કે આપણી દુનિયા જીવિત ચીજોથી ભરેલી છે. વાસ્તવમાં આપણે કહેવું જોઈએ કે અમે જીવિત પ્રાણીઓ નહીં પણ કીડા છીએ, કેમ કે આપણી દુનિયા કીડાઓની સંખ્યાથી બહુ વધારે છે.

આપણે જંતુઓ વિના આ દુનિયાની કલ્પના ન કરી શકીએ. તેમજ જો વધુ કીડા હોય તો સ્થિતિ ભયાવહ હોઈ શકે છે. આથી અહીં સંતુલનની જરૂર છે. તેને યોગ્ય કરવામાં ગરોળી મોટી ભૂમિકા ભજવે છે.

મચ્છરો અને માખીઓ જેવા કીડાની સંખ્યાના નિયંત્રણમાં ગરોળી મુખ્ય ભૂમિકા નિભાવે છે. પછી આ ગરોળીને પક્ષીઓ ખાઈ જાય છે. આ રીતે ખાદ્યશૃંખલા આગળ વધે છે.

ગરોળી શું ખાય છે?

ગરોળી મચ્છરો, માખીઓ, કીડા અને અન્ય કીડાને ખાય છે, જે મોટા ભાગે રાતે જોવા મળે છે.

આપણાં ઘરોમાં કેવા પ્રકારની ગરોળી જોવા મળે છે?

સામાન્ય રીતે આપણાં ઘરોમાં જોવા મળતી ગરોળીઓને ઘર, બાગ કે ઝાડની ગરોળીના નામથી ઓળખવામાં આવે છે. આ પણ ઘણા પ્રકારની હોય છે.

જોકે તેમાં વિભિન્ન પ્રકારોની શોધ કરવી જોઈએ, જેથી આપણે તે અંગે લોકોને જાગરૂક કરી શકીએ કે જાણી શકીએ.

ગરોળીને ઝેરી માનવામાં આવે છે... શું આ સાચું છે?

હકીકતમાં ગરોળીઓ મામલે ઘણી માન્યતા અને મિથક છે.

જો આપણને તે જોવા મળે તો વિચારીએ છીએ આ સારું નથી, દુર્ભાગ્ય છે.

એવું પણ કહેવામાં આવે છે કે જો ગરોળી ખાવામાં આવી જાય છે, ખાવાનું ઝેરી થઈ જાય.

પરંતુ આ બધું મિથક છે.

માત્ર ગરોળી ખાવાથી ઝેર ચડતું નથી. હકીકતમાં ગરોળી એટલી પણ ઝેરી નથી હોતી કે તેનાથી માણસ મરી જાય. શોધથી આ પુરવાર થયું છે.

જોકે ગરોળીએ ખાધેલા ખોરાકથી ઊલટી અને માથામાં દુખાવો થઈ શકે છે. આ બધું એલર્જીને કારણે થતું હોય છે. આપણે આ લક્ષણોને દવાથી ઓછાં કરી શકીએ છીએ.

જોકે આ અંગે વધુ ગહન સંશોધનની જરૂર છે.

સ્કંક (એક પ્રકારનું સરિસૃપ) પણ કીડાને નિયંત્રિત કરવામાં મોટી ભૂમિકા નિભાવે છે, તે હવે કેમ જોવા મળતું નથી?

આપણાં ઘરોની આસપાસ હવે એ જીવો માટે આદર્શ પરિસ્થિતિ ઓછી થઈ રહી છે. અત્યાર સુધી આપણાં ઘરની આસપાસ નાના-નાના બગીચા હતા, કેટલાંક ફૂલ-ઝાડ ઉગાડીએ છીએ. તેના કારણે ઘણા કીડા તેની પાસે આવી જાય છે.

ત્યાર બાદ ગરોળી અને સ્કંક તેને ખાવા માટે આવી જતા હતા. ગરોળી આ કીડાને રાતે ખાય છે, જ્યારે સ્કંક તેને દિવસે ખાય છે.

પરંતુ હવે ફૂલ-ઝાડ ઉગાડતાં નથી. આથી સ્કંક અને ગરોળીઓ પણ લુપ્ત થઈ રહ્યા છે.

જો અસલી ગરોળી ન હોય તો શું થાય?

જો અસલી ગરોળી નહીં હોય તો કીડાની સંખ્યા વધી રહેશે. તેનાથી નવા ચેપ આપણને ઘેરી લે છે.

દાખલા તરીકે મચ્છરોની સંખ્યા ઝડપથી વધી રહી છે. જળવાયુ પરિવર્તન પણ તેનું એક કારણ છે.

બીજી તરફ આપણે કેટલાક કીડાને મારવા માટે કીટનાશકોનો ઉપયોગ કરીએ છીએ. તે માણસને પણ અસર કરી શકે છે.

ગરોળી આ કીડાઓને સારી રીતે નિયંત્રિત કરી શકે છે. જો તે નહીં કરે તો આપણને ઘણી સમસ્યાઓ થશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો