You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નૂપુર શર્મા વિવાદ : સાઉદી અરેબિયાથી લઈને પાકિસ્તાન અને OIC સુધી વિરોધ, ભાજપે શું કહ્યું?
ભાજપના નેતાઓ દ્વારા પયગંબર મહમદ પર કરાયેલી એક વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને કતાર અને કુવૈતે રવિવારે એમના દેશસ્થિત ભારતીય રાજદૂતનો સમન્સ મોકલ્યા અને પોતાનો વિરોધ પ્રગટ કર્યો.
રવિવારે આ મામલે પોતાની નારાજગી વ્યક્ત કરતાં કતારના વિદેશ મંત્રાલયે દોહાસ્થિત ભારતીય રાજદૂત દીપક મિત્તલને સમન્સ મોકલ્યા હતા. કતારના વિદેશમંત્રી સુલતાન બિન સાદ અલ-મુરાઇઝીએ ભારતીય રાજદૂતને આ બાબતે કતારની પ્રતિક્રિયાની આધિકારીક નૉટ પણ સોંપી હતી.
મંત્રાલયે પોતાના એક નિવેદનમાં આ અંગે જાણકારી આપી છે. આ સાથે જ ભારતમાં સત્તારૂઢ ભાજપ દ્વારા કરાયેલી કાર્યવાહીનું સ્વાગત કર્યું છે, જેમાં વિવાદાસ્પદ નિવેદન આપનારાં નેતાઓનાં નિલંબનની વાત કરાઈ છે.
આ સાથે જ એવું પણ કહ્યું કે કતાર ભારત સરકાર તરફથી આ મામલે જાહેર માફી અને આ વિવાદાસ્પદ ટિપ્પણીઓની નિંદાની અપેક્ષા રાખે છે.
અહીં એ વાત પણ નોંધનીય છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ હાલ કતારના પ્રવાસે છે.
રવિવારે તેમણે કતારના વડા પ્રધાન અને ગૃહમંત્રી શેખ ખાલિદ બિન અબ્દુલઅજિઝ અલ-થાની સાથે મુલાકાત કરી.
કતારમાં ભારતીય દૂતાવાસના પ્રવક્તાએ જણાવ્યું કે "અપમાનજનક ટિપ્પણી કરનારા વિરુદ્ધ પહેલેથી કાર્યવાહી કરી દેવામાં આવી છે."
એક ટેલિવિઝન શો દરમિયાન પયગંબર મહમદ પર વિવાદિત ટિપ્પણી કર્યા બાદ વિવાદોમાં આવેલાં નેતા નૂપુર શર્માને ભાજપે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અફઘાનિસ્તાને નિંદા કરી
અફઘાનિસ્તાનની તાલિબાર સરકારે 'ભારતની સત્તાધારી પાર્ટીના એક નેતાના પયગંબર મહમદની વિરુદ્ધ આપત્તિજનક શબ્દોના ઉપયોગની સખત નિંદા કરી છે.'
તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે એક ટ્વીટમાં લખ્યું કે "અમે ભારત સરકારને આગ્રહ કરીએ છીએ કે તે આવા ધર્માંધ લોકોને ઇસ્લામના અપમાન અને મુસલમાનોની ભાવનાને ભડકાવતા રોકે."
તો 57 મુસ્લિમ દેશના સંગઠન ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક ઑપરેશન એટલે કે ઓઆઈસીએ પયગંબર વિરુદ્ધનાં નિવેદનો પર વિરોધ નોંધાવ્યો છે.
ઓઆઈસીએ એક ટ્વીટમાં કહ્યું કે સંગઠનના મહાસચિવ ભારતની સત્તાધારી પાર્ટીના એક અધિકારી તરફથી પયગંબર અંગે કરાયેલા અપમાનની સખત નિંદા કરે છે.
ઓઆઈસીએ સંયુક્ત રાષ્ટ્રને આગ્રહ કર્યો કે તે "ભારતમાં મુસલમાનોને નિશાન બનાવવાને લઈને" યોગ્ય પગલાં ભરે.
પાકિસ્તાન અને બહરીનની પ્રતિક્રિયા
બહરીને પણ નૂપુર શર્માની ટિપ્પણીને લઈને નિવેદન જાહેર કર્યું છે.
બહરીનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે તે ભારતમાં ભાજપના પોતાના પ્રવક્તાને સસ્પેન્ડ કરવાના નિર્ણયનું સ્વાગત કરે છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પણ ટ્વિટર પર લખ્યું, "પાકિસ્તાને ભારતીય જનતા પાર્ટીના બે વરિષ્ઠ નેતાઓના નિવેદન પર ઇસ્લામાબાદમાં હાજર ભારતીય દૂતાવાસના પ્રમુખને બોલાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે."
અગાઉ રવિવારે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કહ્યું હતું કે તેઓ ભાજપ પ્રવક્તાના પયગંબર મહમદ પર આપેલા દુખદાયી નિવેદનની કડક શબ્દોમાં નિંદા કરે છે.
તો માલદીવમાં પણ વિપક્ષી પાર્ટીએ સંસદમાં આ નિવેદન વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કર્યો છે.
માલદીવના વિપક્ષી પાર્ટી પ્રોગ્રેસિવ કૉંગ્રેસ ગઠબંધને ટ્વિટર પર આ મામલે નિવેદન જાહેર કર્યું છે.
પાર્ટીએ લખ્યું છે, "પ્રોગ્રેસિવ કૉંગ્રેસ ગઠબંધન ભારતની સત્તાધારી ભારતીય જનતા પાર્ટીનાં પ્રવક્તા નૂપુર શર્મા તરફથી પયગંબર મહમદ વિરુદ્ધ આપેલા અપમાનજનક અને ખેદજનક નિવેદનની નિંદા કરે છે."
કુવૈતની પ્રતિક્રિયા
આ વચ્ચે કુવૈતના વિદેશ મંત્રાલયે પણ નૂપુર શર્મા મામલે રવિવારે ભારતીય રાજદૂતને સમન્સ પાઠવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો.
કુવૈતના વિદેશ મંત્રાલયના એશિયા મામલાના સહાયક સચિવે પણ સંબંધિત નિવેદનની આકરા શબ્દોમાં ટીકા કરી છે.
જોકે, નૂપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાના નિર્ણયને તેમણે આવકાર્યો છે.
ભારતે કુવૈતની નારાજગી પર પણ એવી જ પ્રતિક્રિયા આપી જેવી દોહામાં ભારતીય દૂતાવાસ દ્વારા આપવામાં આવી હતી.
આ મામલે મુસ્લિમ સમૂહો તરફથી નારાજગી વ્યક્ત કરવામાં આવ્યા બાદ ભાજપે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે તે તમામ ધર્મોનું સન્માન કરે છે અને કોઈ પણ ધાર્મિક વ્યક્તિત્વના અપમાનની નિંદા કરે છે.
આ મામલે આરબ દેશોના સોશિયલ મીડિયા પર પણ આકરી પ્રતિક્રિયા જોવા મળી રહી છે. ત્યાં ભારતીય ઉત્પાદનોના બહિષ્કારનું પણ આહ્વાન કરવામાં આવ્યું છે.
સાઉદી અરેબિયામાં લોકોમાં શું કહી રહ્યા છે લોકો?
નૂપુર શર્માના આ નિવેદનને પોતાના ટ્વિટર હૅન્ડલ પર શૅર કરનારા મહમદ ઝુબૈરે રવિવારે ફરી એક ટ્વીટ શૅર કરીને જણાવ્યું કે મધ્યપૂર્વના દેશો કતાર, ઓમાન, સાઉદી અરેબિયા અને ઇજિપ્તમાં આ વિવાદ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે.
એક ટ્વિટર યુઝર મહમદ મક્કીએ લખ્યું, "પયગંબર મહમદનું વધુ એક અપમાન. અલ્લા શાંતિ કાયમ રાખે. જો આટલા બધા લોકો તરફથી કડક પ્રતિક્રિયા મળી હોત તો આવી હિંમત ના થાત. દુર્ભાગ્યથી પ્રતિક્રિયાઓ પૂરતી નથી."
જ્યારે રેહાન નામના એક યુઝરે લખ્યું, "કેટલાક કલાકોથી ભાજપના પ્રવક્તાનાં ટ્વીટ અને નિવેદન સાઉદી અરેબિયામાં ટૉપ ટ્રેન્ડમાં છે. વિશ્વને ભારતીય મુસલમાનો અને ઇસ્લામ વિરુદ્ધ થઈ રહેલા અપરાધો પર ધ્યાન આપવું જોઈએ."
જહાંજેબ નામના ટ્વિટર યુઝરે લખ્યું કે મોદીના ભારતમાં મુસલમાનો વિરુદ્ધ નફરત અને હિંસા એક જરૂરી વસ્તુ છે. હવે તેમની સરકાર તરફથી આ વિષય પર આકરી પ્રતિક્રિયાની જરૂર છે. મુસ્લિમ જગતે તરત તેમનો બહિષ્કાર કરવો જોઈએ.
ખુદને ડૉક્ટર કહેનારા સફીઉલ્લા સિદ્દિકીએ લખ્યું,"આરબ દેશોના મુસ્લિમોમાં તાકાત છે કે તેઓ એ તમામ લોકો પર સ્થાયી રીતે પૂર્ણવિરામ લગાવી શકે છે, જે અમારા સન્માનીય અલ્લાના અંતિમ પયગંબરનું અપમાન કરી શકે."
શું છે સમગ્ર મામલો?
હવે આ સમગ્ર મામલો આંતરરાષ્ટ્રીય બનતો દેખાઈ રહ્યો છે.
કતારમાં ભારતીય દૂતાવાસના પ્રવક્તાએ આ મામલે મીડિયા દ્વારા પૂછાયેલ સવાલોના જવાબમાં કહ્યું કે, "બંને દેશોના રાજદ્વારીઓ વચ્ચે થયેલ બેઠકમાં ધાર્મિક વ્યક્તિત્વ અંગે ભારતની વ્યક્તિ દ્વારા કરાયેલ આપત્તિજનક ટ્વીટ સંબંધે ચિંતા વ્યક્ત કરાઈ."
તેમણે કહ્યું કે આ ટ્વીટ કોઈ પણ પ્રકારે ભારત સરકારના વિચારોને નથી દર્શાવતું. આ શરારતી તત્ત્વોના વિચાર છે.
"આપણો સાંસ્કૃતિક વારસો અને અનેકતામાં એકતાની મજબૂત પરંપરાને અનુરૂપ ભારત સરકાર તમામ ધર્મોનું સર્વોચ્ચ સન્માન કરે છે. અપમાનજનક ટિપ્પણી કરનારા વિરુદ્ધ પહેલાંથી જ કઠોર કાર્યવાહી કરી દેવાઈ છે. આપણે શરારતી તત્ત્વો વિરુદ્ધ સાથે મળીને કામ કરવું જોઈએ."
ગત મહિને નૂપુર શર્માએ 'ટાઇમ્સ નાઉ'ની એક પૅનલમાં ભાગ લીધો હતો. જેમાં જ્ઞાનવાપી મસ્જિદને લઈને થઈ રહેલા વિવાદ અંગે ચર્ચા થઈ રહી હતી.
નૂપુર શર્માએ જ્યારે પોતાની વાત મૂકી ત્યારે તેઓ કંઈક એવું બોલી ગયાં હતા કે જેના કારણે વિવાદ થયો હતો.
તેમના આ નિવેદન બાદ પત્રકાર અને ફૅક્ટ ચેક વેબસાઇટ Alt Newsના સહસંસ્થાપક મહમદ ઝુબૈરે પોતાના ટ્વિટર ઍકાઉન્ટથી આ વીડિયો શૅર કર્યો અને નૂપુર પર પયગંબર મહમદ અંગે વિવાદિત ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો.
તે બાદ આ મામલો એટલો આગળ વધ્યો કે ભારત-પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર તેનો ઘણો વિરોધ થયો.
તે દરમિયાન ભાજપ દિલ્હીના પ્રવક્તા નવીનકુમાર જિંદલે પણ લઘુમતિ સમુદાય વિરુદ્ધ એક ટ્વીટ કરીને વિવાદ સર્જ્યો હતો. તેની પણ ઘણી ટીકા થઈ.
નવીનકુમાર જિંદલે દિલ્હી પોલીસને એ વાતની ફરિયાદ કરી કે તેમને સતત ધમકી મળી રહી છે. તેમના જીવને જોખમ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો