શિમોગા હર્ષા હત્યા કેસ : કર્ણાટકમાં હિંસક વિરોધ, અત્યાર સુધી શું-શું થયું?

કર્ણાટકના શિમોગા (શિવમોગા)માં બજરંગદળના એક કાર્યકરની હત્યા બાદ તણાવભરી સ્થિતિ છે. આ મામલે અત્યાર સુધી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

મુખ્ય મંત્રી બસાવરાજ બોમ્મઈએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરતા જણાવ્યું કે, તપાસ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે.

અધિકારીઓ અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બજરંગદળના કાર્યકર્તા હર્ષાની હત્યા બાદ તણાવભરી સ્થિતિ છે. કેટલીક જગ્યાઓ પર હિંસાના પણ અહેવાલો છે. પ્રદર્શન દરમિયાન કેટલીક ગાડીઓમાં આગ પણ ચાંપવામાં આવી હતી.

સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે, ભીડને કાબૂમાં કરવા માટે પોલીસને હવામાં ગોળી ચલાવવી પડી હતી.

શિમોગામાં હાલ કલમ 144 લાગુ કરાઈ છે અને સુરક્ષા પણ વધારી દેવાઈ છે. સ્કૂલ અને કૉલેજો બે દિવસ માટે બંધ કરી દેવાઈ છે.

સોમવારે સવારે જ્યારે તેમનો મૃતદેહ ઘરે લાવવામાં આવી રહ્યો હતો. ત્યારે મોટી સંખ્યામાં બજરંગદળ અને હિંદુ સંગઠનોના કાર્યકર્તા એકઠા થયા હતા.

હિંસક વિરોધ

ઘટના બાદ કેટલાક લોકો રસ્તા પર ઊતરી આવ્યા અને વિરોધ કર્યો હતો. વિરોધનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં કેટલાક લોકો પથ્થર ફેંકતા જોવા મળે છે.

ડેપ્યુટી કમિશનર સેલ્વામણિ આરે જણાવ્યું કે, "સમગ્ર શહેરમાં 144 લાગુ કરવામાં આવી છે. સ્કૂલ-કૉલેજોમાં રજાની જાહેરાત કરવામાં આવી છે."

રાજ્યના ગૃહમંત્રી અરગા જ્ઞાનેન્દ્ર પ્રમાણે હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે.

તેમણે જણાવ્યું કે અત્યાર સુધીની જાણકારી પ્રમાણે આ મામલામાં પાંચ લોકો સામેલ હોવાની માહિતી મળી છે. જેમાંથી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

રાજકીય પ્રતિક્રિયા

કર્ણાટકના ગૃહમંત્રી અરગા જ્ઞાનેન્દ્રે જણાવ્યું હતું કે, ચાર-પાંચ યુવકોએ બજરંગદળના કાર્યકરની હત્યા કરી હતી.

તેમણે જણાવ્યું કે, "મને નથી ખબર કે કોઈ સંગઠન આ હત્યા પાછળ છે કે નહીં. શિમોગામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણમાં છે. તકેદારીના ભાગરૂપે સ્કૂલ અને કૉલેજો બે દિવસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે."

શિમોગાના ઉપાયુક્ત સેલ્વામણિ આર. સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવે છે કે આ વિસ્તારમાં 144ની કલમ લાગુ કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે સ્થિતિ શાંતિપૂર્ણ છે, પરંતુ સ્થાનિક પોલીસ અને આરએએફને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે તહેનાત કરવામાં આવી છે.

કર્ણાટકના પૂર્વ મુખ્ય મંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ ઘટનાની નિંદા કરતા રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની માગ કરી છે.

તેમણે કહ્યું છે કે, "હું આ હત્યાની નિંદા કરું છું, કારણ કે અમે અહિંસામાં માનીએ છીએ. હત્યામાં શામેલ તમામ લોકોને સજા મળવી જ જોઈએ અને હું રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની માગ કરું છું."

કર્ણાટકના મંત્રી કે. એસ. એશ્વરપ્પાએ નિવેદન આપ્યું હતું કે, "હું બજરંગદળના કાર્યકરની હત્યાની ઘટનાથી વ્યથિત છું. હું શિમોગા જઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કરીશ. અમે 'ગુન્ડાઇઝમ' ચલાવી નહીં લઈએ."

તેમણે આ ઉપરાંત ચોક્કસ સમુદાયને ઉદ્દેશીને પણ ટિપ્પણી કરી હતી.

જોકે, હત્યાની આ ઘટનામાં સમુદાય વિશેષની ટિપ્પણી કરવા બદલ કર્ણાટક કૉંગ્રેસ પ્રમુખ ડી. કે. શિવકુમારે એશ્વરપ્પાની ટીકા કરી છે.

તેમણે લખ્યું કે તેમના (એશ્વરપ્પા) વિરુદ્ધ માનહાનિનો કેસ થવો જોઈએ અને ભાજપે તેમને બરતરફ કરવા જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો