શિમોગા હર્ષા હત્યા કેસ : કર્ણાટકમાં બજરંગદળના કાર્યકરની હત્યા બાદ 144 લદાઈ, શાળા-કૉલેજો બંધ - પ્રેસ રિવ્યૂ

કર્ણાટકના શિમોગા (શિવમોગા)માં બજરંગદળના એક કાર્યકરની હત્યા બાદ તણાવભરી સ્થિતિ છે. જેને લઈને સુરક્ષા પણ વધારી દેવાઈ છે. સ્કૂલ અને કૉલેજો બે દિવસ માટે બંધ કરી દેવાઈ છે.

રવિવારે રાત્રે બજરંગદળના 26 વર્ષીય કાર્યકર હર્ષાની હત્યા બાદ શિમોગામાં પોલીસબંદોબસ્ત વધારી દેવાયો છે.

સોમવારે સવારે જ્યારે તેમનો મૃતદેહ ઘરે લાવવામાં આવી રહ્યો હતો. ત્યારે મોટી સંખ્યામાં બજરંગદળ અને હિન્દુ સંગઠનોના કાર્યકર્તા એકત્ર થયા હતા.

કર્ણાટકના ગૃહમંત્રી અરગા જ્ઞાનેન્દ્ર જણાવે છે કે, ચાર-પાંચ યુવકોએ બજરંગદળના કાર્યકરની હત્યા કરી હતી.

તેમણે જણાવ્યું, "મને નથી ખબર કે કોઈ સંગઠન આ હત્યા પાછળ છે કે નહીં. શિમોગામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણમાં છે. તકેદારીના ભાગરૂપે સ્કૂલ અને કૉલેજો બે દિવસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે."

શિમોગાનાં ઉપાયુક્ત સેલ્વામણિ આર. સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવે છે કે આ વિસ્તારમાં 144ની કલમ લાગુ કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે સ્થિતિ શાંતિપૂર્ણ છે, પરંતુ સ્થાનિક પોલીસ અને આરએએફને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે તહેનાત કરવામાં આવી છે.

કર્ણાટકના પૂર્વ મુખ્ય મંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ ઘટનાની નિંદા કરતા રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની માગ કરી છે.

તેમણે કહ્યું છે કે, "હું આ હત્યાની નિંદા કરું છું, કારણ કે અમે અહિંસામાં માનીએ છીએ. હત્યામાં શામેલ તમામ લોકોને સજા મળવી જ જોઈએ અને હું રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની માગ કરું છું."

કર્ણાટકના મંત્રી કે. એસ. એશ્વરપ્પાએ નિવેદન આપ્યું હતું કે, "હું બજરંગદળના કાર્યકરની હત્યાની ઘટનાથી વ્યથિત છું. હું શિવમોગા જઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કરીશ. અમે 'ગુન્ડાઇઝમ' ચલાવી નહીં લઈએ."

તેમણે આ ઉપરાંત સમુદાયને ઉદ્દેશીને પણ ટિપ્પણી કરી હતી.

જોકે, હત્યાની આ ઘટનામાં સમુદાય વિશેષની ટિપ્પણી કરવા બદલ કર્ણાટક કૉંગ્રેસ પ્રમુખ ડી. કે. શિવકુમારે એશ્વરપ્પાની ટીકા કરી છે.

તેમણે લખ્યું કે તેમના (એશ્વરપ્પા) વિરુદ્ધ માનહાનિનો કેસ થવો જોઈએ અને ભાજપે તેમને બરતરફ કરવા જોઈએ.

આંધ્ર પ્રદેશના મંત્રીનું 50 વર્ષની ઉંમરમાં હાર્ટઍટેકથી નિધન

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર આંધ્ર પ્રદેશ સરકારના ટેકનૉલૉજી અને સૂચના મંત્રી મકેપતિ ગૌતમ રેડ્ડીનું હાર્ટ ઍટેકથી અવસાન થયું છે.

રિપોર્ટ અનુસાર, 50 વર્ષીય મકેપતિ ગૌતમ રેડ્ડી દુબઈ ગયા હતા અને રાજ્ય માટે રોકાણ લાવવા માટે તેમની આ મુલાકાત ગોઠવાઈ હતી. તેઓ રવિવારે હૈદરાબાદ પરત ફર્યા હતા.

તેમને અપોલો હૉસ્પિટલ્સના ઇમર્જન્સી વિભાગમાં લઈ જવાયા હતા.

આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી વાઈ એસ જગન મોહન રેડ્ડીએ શોક વ્યક્ત કરતા કહ્યું કે તેઓ મકેપતિ ગૌતમ રેડ્ડીને ત્યારથી ઓળખતા હતા જ્યારે તેઓ યુવાન હતા. કૅબિનેટના આટલી નાની વયના સભ્યાને ગુમાવીને ઘણું દુખ થયું.

તેમણે મકેપતિ ગૌતમ રેડ્ડીના પરિવારજનોને સંવેદના પાઠવી હતી.

ગુજરાતીઓના કયા તહેવાર પર 'ગુજરાત ટાઇટન્સ'નો લોગો આધારિત છે? મૅટાવર્સ પર હાર્દિક પંડ્યાએ લૉન્ચ કર્યો

ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ)ની નવી ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સે રવિવારે મૅટાવર્સમાં પોતાનો લોગો જાહેર કર્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, "ભારતના ઇતિહાસમાં પહેલી વખત કોઈ ટીમે મૅટાવર્સમાં લોગો જાહેર કર્યો હશે."

આ લોગો ટીમના મુખ્ય કોચ આશિષ નહેરા, કૅપ્ટન હાર્દિક પંડ્યા અને બૅટર શુભમન ગિલ દ્વારા લૉન્ચ કરવામાં આવ્યો હતો.

ટીમ દ્વારા જારી કરાયેલી પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર, ગુજરાતમાં પતંગોત્સવ એક મહત્વનો તહેવાર હોવાથી લોગોમાં પતંગ જેવી ડિઝાઇન રાખવામાં આવી છે.

ભારતે નાગરિકોને યુક્રેન છોડવા કહ્યું

રશિયા-યુક્રેન વચ્ચેનો તણાવ વધતા ભારતે પણ પોતાના નાગરિકોને યુક્રેન છોડવા કહ્યું છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, રવિવારે ભારતે યુક્રેનમાં એમ્બેસી કર્મચારીઓના પરિવાર, વિદ્યાર્થીઓ અને તમામ નાગરિકોને દેશ છોડવાનું સૂચન કર્યું છે.

આ સપ્તાહમાં ભારતે આ બીજી વખત ઍડવાઇઝરી જાહેર કરી છે. જેમાં કડક શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે, હાલની પરિસ્થિતિ ખૂબ જ કપરી છે અને આવનારા દિવસોમાં કંઈ પણ થઈ શકે છે.

જોકે, રશિયા હાલમાં પણ આક્રમણની વાતોને નકારી રહ્યું છે. રશિયાએ યુક્રેનની બૉર્ડર પર 1.30 લાખ જેટલા સૈનિકો તહેનાત કરી દીધા છે.

યુક્રેનમાં મોટાભાગે ભારતીય વિદ્યાર્થીઓ રહે છે. જે મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે. આ પહેલા 15 ફેબ્રુઆરીના રોજ યુક્રેનમાં ભારતીય ઍમ્બેસીએ જે ઍડવાઇઝરી જાહેર કરી હતી, તેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને દેશ છોડવા કહ્યું હતું.

બે નાઇજિરિયન નાગરિકો પેટમાં 165 હૅરોઇનની કૅપ્સૂલ સાથે ઝડપાયા

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પરથી બે નાઇજિરિયન નાગરિકોને પેટમાં હૅરોઇનની 165 કૅપ્સૂલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

ટાઇમ્સ નાઉના અહેવાલ પ્રમાણે, આ બન્ને લોકોની 13 અને 15 ફેબ્રુઆરીના રોજ ધરપકડ કરવામાં આવી છે.

તેમના સામાનમાંથી પાચનક્રિયા સ્થૂળ કરવા માટેની દવા મળી આવતા તેઓ શંકાના ઘેરામાં આવ્યા હતા અને તેમની તપાસ હાથ ધરવામાં આવી હતી.

સોલા સિવિલ હૉસ્પિટલમાં કરવામાં આવેલી તપાસમાં તેમના શરીરમાં આ કૅપ્સૂલની હાજરી મળી આવી હતી.

જેને બહાર કાઢ્યા બાદ તપાસ કરતા તેમાં હૅરોઇન હોવાનું સામે આવ્યું હતું. બન્ને પાસેથી 165 કૅપ્સૂલમાં કુલ 1.81 કિલો હૅરોઇન મળી આવ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો