You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રફાલ નડાલ : નડાલની ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં અદ્બુત જીત, 21મા ગ્રાન્ડ સ્લૅમ ટાઇટલ પર કબજો- પ્રેસ રિવ્યૂ
સ્પેનના ખેલાડી રાફેલ નડાલે તેમની કારકિર્દીનું 21મું ગ્રાન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યું છે. તેમણે ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં રશિયાના દાનિલ મેદવેદવને ખૂબ જ કપરી મૅચમાં પરાજય આપ્યો હતો.
નદાલે બે સેટ ગુમાવ્યા બાદ ત્રણમાં જીત નોંધાવી ઑસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.
તેમણે 2-6, 6-7 (5-7), 6-4, 6-4, 7-5થી જીત મેળવી હતી.
નોંધનીય છે કે યુએસ ઓપન ચૅમ્પિયન મેદવેદેવ પોતાના સળંગ બીજા મોટા ટાઇટલ તરફ આગળ વધી રહ્યા હતા.
શરૂઆતમાં 25 વર્ષીય મેદવેદેવનો મૅચ પર કાબૂ હતો. પરંતુ નડાલે પોતાની લડાયકક્ષમતાથી હારના મુખમાંથી જીત કાઢી લાવ્યા.
35 વર્ષીય નડાલ આમ તો આ પહેલાં પણ ઘણી વખત વિજયનો સ્વાદ ચાખી ચૂક્યા છે, પરંતુ આ તેમની કારકિર્દીની સૌથી લડાયક અને યાદગાર મૅચ હશે તેમાં કોઈ બેમત નથી.
નોવાક જોકોવિચ અને રોજર ફેડરરની ગેરહાજરીમાં તેઓ મૅન્સ સિંગલ્સ ખિતાબ જીતનારા ખેલાડીઓની યાદીમાં એક ખિતાબથી આગળ નીકળી ગયા હતા.
આ મૅચ કેટલી કપરી હતી તેનો અંદાજ એ વાત પરથી મેળવી શકાય છે કે બંને દિગ્ગજો વચ્ચેનો આ મુકાબલો પાંચ કલાક અને 24 મિનિટ સુધી ચાલ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફેડરર, જોકોવિચ બંને પાછળ
તેની સાથે સૌથી વધુ મેન્સ સિંગલ્સ ટાઇટલ જીતવાના મામલામાં નડાલ રોજર ફેડરર અને નોવાક જોકોવિચ બંને કરતાં આગળ નીકળી ગયા છે.
નડાલે 2009માં પ્રથમ વખત ઑસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો હતો. ત્યાર બાદ ચાર વખત ફાઇનલમાં હારી ગયા હતા.
સાથે જ નડાલ ટેનિસના ચાર પ્રમુખ ખિતાબને ઓછામાં ઓછા બે વખત જીતવાનો ઇતિહાસ રચનારા ચોથા ખેલાડી બની ગયા છે.
ફેડરર અને જોકોવિચના નામે અત્યાર સુધી 20-20 ગ્રાન્ડ સ્લૅમ છે.
નડાલે નર્ષ 2020માં ફ્રેન્ચ ઓપનના ફાઇનલમાં નોવાક જોકોવિચને હરાવીને પોતાનો 20મો ગ્રાન્ડ સ્લૅમ ખિતાબ જીત્યો.
ભારતમાં અત્યાર સુધીમાં કેટલા લોકોને રસીના બંને ડોઝ મળ્યા?
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે દેશની 75 ટકા વયસ્ક વસતીને કોરોના રસીના બંને ડોઝ અપાયાનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો છે.
સ્વાસ્થ્યમંત્રીએ ટ્વીટ કર્યું કે "કોરોના સામેની લડાઈમાં અમે સતત મજબૂત થઈ રહ્યા છીએ. આપણે બધા નિયમોનું પાલન કરવાનું છે અને જલદી રસી લેવાની છે."
તો વડા પ્રધાન મોદીએ સ્વાસ્થ્યમંત્રીના ટ્વીટને રિટ્વીટ કરીને લખ્યું કે "આ મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધી માટે આપણા દેશવાસીઓને અભિનંદન."
"એ બધા પર ગર્વ છે, જેઓ રસીકરણ અભિયાનને સફળ બનાવી રહ્યા છે."
ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસની રસીના 1,65,70,60,692 ડોઝ અપાઈ ચૂક્યા છે.
છત્તીસગઢમાં 'અમર જવાન જ્યોતિ' બનશે, રાહુલ ગાંધી શિલાન્યાસ કરશે
છત્તીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલે જાહેરાત કરી છે કે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુરુવારે રાજધાની રાયપુરમાં 'અમર જવાન જ્યોતિ'નો શિલાન્યાસ કરશે.
'અમર જવાન જ્યોતિ' રાયપુરમાં છત્તીસગઢ સશસ્ત્રદળોની ચોથી બટાલિયનના પરિસરમાં બાંધવામાં આવશે એમ સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.
મુખ્ય મંત્રી બઘેલે કહ્યું, "કૉંગ્રેસ પક્ષનો બલિદાનનો ઇતિહાસ છે અને તેના ઘણા મહાન નેતાઓએ દેશ માટે સર્વસ્વનું બલિદાન કર્યું છે. પાર્ટી બલિદાનોનું સન્માન કેવી રીતે કરવું તે જાણે છે. આપણો ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે જે સમાજ પોતાના શહીદોનું સન્માન નથી કરતો, પોતાના બલિદાનની યાદોને સાચવતો નથી, તે બરબાદ થઈ જાય છે."
1972માં દેશનાં પ્રથમ મહિલા વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશના શહીદોના સન્માનમાં નવી દિલ્હીમાં અમર જવાન જ્યોતિ પ્રગટાવી હતી.
જોકે, કેન્દ્ર સરકારે અમર જવાન જ્યોતિને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક સાથે ભેળવી દીધી હતી.
કેન્દ્રના પગલાથી અસંમત ભૂપેશ બઘેલે કહ્યું કે તેનાથી તેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે પરંતુ હવે છત્તીસગઢમાં 'શહીદો'ના સન્માનમાં અમર જવાન જ્યોતિ સળગતી રહેશે.
ધંધૂકામાં કિશન ભરવાડની હત્યાકેસમાં મૌલવી સહિત ત્રણની ધરપકડ
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, ધંધૂકામાં કિશન ભરવાડની હત્યાના સંબંધમાં અમદાવાદ (ગ્રામ્ય) પોલીસે મૌલવી સહિત ત્રણની ધરપકડ કરી છે.
પોલીસે અમદાવાદના જમાલપુરના રહેવાસી મૌલાના મોહમ્મદ અયુબ જાવરાવાલા (51), ધંધૂકાના રહેવાસી સબ્બીર ચોપડા (25) અને ઈમ્તિયાઝ પઠાણ (27)ની ધરપકડ કરી છે. તેઓને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
પોલીસે જણાવ્યું હતું કે મૌલાના જાવરવાલાએ ચોપડા અને પઠાણને પિસ્તોલ અને કારતૂસ આપ્યાં હતાં જેનાથી 25 જાન્યુઆરીએ ધંધૂકામાં કિશન ભરવાડ (27)ની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
આ મહિનાની શરૂઆતમાં કિશન ભરવાડની ફેસબુક પોસ્ટ પર ફરિયાદ બાદ ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જામીન પર છોડવામાં આવ્યા હતા.
વિશ્વ હિંદુ પરિષદે બે દિવસ પહેલા ધંધૂકામાં બંધનું એલાન આપ્યું હતું અને ગુજરાત સરકારે શનિવારે આ હત્યા કેસની તપાસ એટીએસને સોંપવાનો નિર્ણય લીધો હતો.
મૃતક કિશન ભરવાડ ધંધૂકામાં ઝેરોક્ષની દુકાન ચલાવતા હતા અને તે સુરેન્દ્રનગર જિલ્લાના ચચાણા ગામના જમીનદાર પરિવાર છે. પોલીસે જણાવ્યું હતું કે મહિના પહેલાં જ કિશનને ઘેર બાળકનો જન્મ થયો હતો.
પોલીસે જણાવ્યું હતું કે કિશન તેમના પિતરાઈ ભાઈ ભૌમિક બોળિયા સાથે ટુ-વ્હીલર પર ધંધૂકાના મોઢવાડા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે 25 જાન્યુઆરીના રોજ સાંજે 5.30 વાગ્યાની આસપાસ મોટરસાઈકલ પર આવેલા ચોપડા અને પઠાણે ગોળીબાર કર્યો હતો જેમાં કિશન ભરવાડનું મોત થયું હતું.
અમદાવાદ (ગ્રામ્ય) પોલીસ અધીક્ષક વીરેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે પોલીસે શનિવારે હથિયાર કબજે કર્યું હતું અને પંચનામું કરવામાં આવ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો