You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગીર જંગલમાં રિલાયન્સના મોબાઇલ ટાવર, સિંહોનું સંરક્ષણ કે તેમને કનડગત?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
ગીરના જંગલમાં મોબાઇલ ટાવર લગાવાના નિર્ણયથી અનેક પર્યાવરણવિદ નારાજ છે.
આશરે 6800 જેટલા લોકોએ ગીરના જંગલવિસ્તારમાં મોબાઇલ ફોન માટેના ટાવર ન લગાવવાની અરજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પર્યાવરણખાતાને કરી છે.
આ પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય સરકાર ગીર અભયારણ્યમાં મોબાઇલ ટાવર લગાવવા માગે છે, તે નિર્ણય તાત્કાલિક ધોરણે રદ કરવો જોઈએ.
રિલાયન્સ જિયો કંપનીએ જૂનાગઢ અને ગીર સોમનાથમાં ઠેકઠેકાણે મોબાઇલ ટાવર લગાવવાની મંજૂરી માગી છે.
કુલ 35માંથી 34 મોબાઇલ ટાવર ગીર અભયારણ્યમાં અને એક ટાવર ગિરનારની તળેટી પાસે લગાવવાની મંજૂરી માગવામાં આવી છે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે ડિસેમ્બર 22ના રોજ યોજાયેલી સ્ટેટ બોર્ડ ઑફ વાઇલ્ડવલાઇફની એક મિટિંગમાં રિલાયન્સ જિયોએ આ ટાવર જંગલવિસ્તારમાં મૂકવાની પરવાનગી માગી હતી.
જો કે આ પરવાનગી આપવી કે નહીં તે નિર્ણય હવે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કરવાનો છે અને આ ટાવરને પરવાનગી ન આપવાની માગ સાથે અનેક પર્યાવરણવિદ સામે આવ્યા છે.
શું કહે છે પર્યાવરણવિદ અને નિષ્ણાતો?
જંગલવિસ્તારમાં મોબાઇલ ટાવર લગાવવાના સરકારના નિર્ણયથી અનેક પર્યાવરણવિદ ચિંતામાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઓનલાઇન પિટિશન કરનારા પર્યાવરણવિદ ગોવિંદભાઈ વેકરિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે જંગલમાં મોબાઇલ ટાવર લગાવવાની વાત જ વાહિયાત છે, મને એ નથી સમજાતું કે ટાવરની જંગલમાં શી જરૂર.
તેઓ કહે છે કે આ પ્રકારના ટાવરથી જંગલી પ્રાણીઓને તકલીફ થશે. આ જ રીતે અન્ય એક પર્યાવરણવિદ રેવતુભા રાયજાદાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, જંગલમાં ટાવર લગાવવાથી માત્ર તકલીફો જ વધશે, તેનાથી કોઈ સમાધાન નહીં મળે.
જો કે સવાલ એ છે કે જંગલમાં મોબાઇલ ટાવરનો વિરોધ કેમ થઈ રહ્યો છે.
આ અંગે વેકરિયા કહે છે કે "જંગલમાં ટાવર એ માત્ર એક દિવસનિ પ્રક્રિયા નથી. ટાવર લાગાવ્યાં બાદ, તેના મેન્ટનન્સ માટે, દેખરેખ માટે, સર્વિસ માટે અનેક વખત લોકોએ જંગલમાં છેક અંદર સુધી આવવું પડશે, જેને આપણે હ્યુમન ઇન્ટરવેન્શન કહી શકીએ છીએ."
આ માનવીય હસ્તક્ષેપને કારણે જંગલના પ્રણીઓ પરેશાન થશે, એવું તેઓ માને છે.
રેવતુભાનું માનવું છે કે, "જંગલનાં પ્રાણીઓને માણસનાં સંસાધનોની જરૂર નથી. હાલમાં જંગલની અંદર અમુક સ્થળોએ મોબાઇલ નૅટવર્ક મળતું હોય છે, અને તે પૂરતું છે, હવે બીજા કોઈ ટાવરની જરૂર નથી."
આ વિશે બીબીસી ગુજરાતીએ વનવિભાગના કેટલાક નિવૃત્ત અધિકારીઓ સાથે પણ વાત કરી.
ઘણાં વર્ષો સુધી ગીરમાં ફરજ બજાવનારા અને પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ તરીકે નિવૃત્ત થનારા આઈએફએસ અશોક શર્માએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે મોબાઇલ ટાવરની જંગલમાં કોઈ જરૂર નથી. તેઓ કહે છે કે જંગલમાં ટાવર આવશે તો વનવિભાગના અધિકારીઓ ટેક્નૉલૉજી પર નિર્ભર થશે, જેની અસર ફૂટ પેટ્રોલિંગ પર થશે.
તેઓ કહે છે કે સરકારે આ ટેકનૉલૉજિકલ ડિઝાસ્ટર તરફ આગળ ન વધવું જોઈએ.
આવી જ રીતે નિવૃત્ત આઈએફએસ અધિકારી ઉદય વોરાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, "હાલમાં જે રીતે વનખાતું કામ કરી રહ્યું છે, તેની પદ્ધતિમાં કોઈ મોટો ફેર ન આવી શકે."
"હાલમાં વનખાતાના અધિકારીઓ વૉકી-ટૉકી થકી સંપર્ક કરી શકે છે, અને તે ટેકનૉલૉજી સારી છે. આ માટે મોબાઇલ ટાવર લગાવીને પ્રાણીઓ પર વધારાનું ભારણ ન મૂકવું જોઈએ."
કેમ લાગી રહ્યાં છે ટાવર?
કેન્દ્ર સરકારે 2017 પહેલાં દેશના જંગલવિસ્તારોમાં ટાવર લાગાવવા માટે એક ઍક્સપર્ટ કમિટીની રચના કરી હતી.
આ કમિટીની રિપોર્ટના આધારે જંગલવિસ્તારોમાં ટાવર લગાવવા માટે એક ઍડ્વાઇઝરી બહાર પાડવામાં આવી હતી.
આ ઍડ્વાઇઝરીનું પાલન કરીને કોઈ પણ મોબાઇલ કંપની જંગલવિસ્તારમાં ટાવર લગાવી શકે છે.
ધ ઇન્ડિયન એક્સ્પ્રેસના અહેવાલ પ્રમાણે એટલા માટે રિલાયન્સ જિયોએ રાજ્યમાં કુલ 45 જેટલાં મોબાઇલ ટાવર ગુજરાતના વિવિધ જંગલવિસ્તારોમાં લગાવવાની પરવાનગી માગી છે.
તેમાં 35 ગીર વિસ્તારમાં, 8 શૂલપાણેશ્વરમાં અને 2 રતનમહાલમાં લગાવવાની પરવાનગી માગી છે.
શું કહેવું છે રિલાયન્સ જિયોનું?
ડિરેક્ટર, કૉર્પોરેટ અફેર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેટ, પરીમલ નાથવાણીએ એક ટ્વીટ મારફતે આ તમામ સવાલોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો.
જ્યાં સુધી વાઇલ્ડલાઇફ વિંગ તરફથી સ્પષ્ટ ગાઇડલાઇન્સ ન મળે, ત્યાં સુધી ટાવર લગાવવાનો નિર્ણય રોકી દીધો છે.
તેમણે ટ્વીટમાં કહ્યું હતું કે ગુજરતના વનવિભાગની વાઇલ્ડલાઇફ વિંગના સારા કૉમ્યુનિકેશન માટે આ ટાવર લગાવવામાં આવી રહ્યાં હતાં, અને તેની પાછળ કોઈ કૉમર્સિયલ હેતુ નથી.
તેમણે ટ્વીટમાં જણાવ્યું કે રિલાયન્સ જિયો દેશના ડિજિટલ રિવોલ્યુશનમાં ઉપયોગી નીવડે તે દિશામાં કામ કરે છે. આ કંપની પર્યાવરણ અને જીવસૃષ્ટીનાં સંવર્ધન માટે સંવેદનશીલ અને સતર્ક છે.
તેમણે લખ્યું છે કે ગુજરાત સરકારના વનવિભાગે રિલાયન્સ જિયોને 2020માં વિનંતી કરી હતી કે ગીરના આરક્ષિત વિસ્તારમાં અને તેની આસપાસના વિસ્તારમાં જિયોનું નૅટવર્ક આવે તેવી વ્યવસ્થા કરે.
જિયોએ એ માટે એક ટેકનિકલ ફિઝિબિલિટી સર્વે કર્યા બાદ ઓછામાં ઓછી સામગ્રી અને વધુમાં વધુ કવરેજના ધ્યેયથી સરકારમાં પ્રસ્તાવ મૂક્યો હતો.
જો કે આ અંગે બીબીસી ગુજરાતીએ પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ દીનેશ શર્મા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. એસએમએસનો પણ તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો.
સિંહોનું છેલ્લું ઘર?
દુનિયાભરમાં આફ્રિકા બાદ માત્ર ગુજરાતમાં જ સિંહોની હાજરી જોવા મળે છે. હાલમાં ગીર નૅશનલ પાર્ક, અભયારણ્ય તેમજ ગ્રૅટર ગીર કે જેનો મોટો ભાગ જંગલ ન હોય તેવો વિસ્તાર છે, તેમાં 674થી વધુ સિંહો છે.
સિંહોની મોટી સંખ્યા જંગલની બહાર અમરેલી, ભાવનગર અને રાજકોટ જેવા જિલ્લાઓમાં પણ જોવા મળે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો