ભારતમાં એક જ દિવસમાં 1,17,000 કોરોના કેસ, વૈજ્ઞાનિકોએ આપી ગંભીર ચેતવણી

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના એક લાખથી વધારે કેસ નોંધાયા છે.

વિશ્વ આરોગ્ય સંગઠનના વડા ટેડ્રોસ ઘેબ્રેસિયસ કહ્યું છે કે ઓમિક્રૉન વૅરિયન્ટના કારણે કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને દુનિયાભરની આરોગ્યસેવાઓ પર ભાર વધી રહ્યો છે.

તેમણે પ્રેસ સાથેની એક વાતચીતમાં ચેતવણી આપી છે કે ઓમિક્રોનના કારણે બીમાર થયેલા લોકો ડેલ્ટાથી સંક્રમિત દરદીઓ કરતાં ઓછા બીમાર દેખાઈ રહ્યા છે પણ આને હળવેથી ન લેવું જોઈએ.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 1,17,100 કેસ નોંધાઈ રહ્યા છે, જ્યારે 30,836 દરદીઓ રિકવર થયા છે.

છેલ્લા 24 કલાકમાં 302 લોકોનાં મૃત્યુ થયાં હતાં. ભારતમાં હાલમાં 3,71,363 ઍક્ટિવ કેસ છે.

સંક્રમણની સુનામી સામે WHOની ચેતવણી

WHOના પ્રમુખે કહ્યું છે કે, "એવું લાગે છે કે ઓમિક્રૉન વૅરિયન્ટ ડેલ્ટાની તુલનામાં ઓછો ખતરનાક છે, ખાસ તો એ લોકો માટે જેમણે રસી લીધી છે."

"એનો એવો અર્થ જરા પણ નથી કે આને 'માઇલ્ડ' કહી દઈએ. અગાઉના વૅરિયન્ટોની જેમ જ ઓમિક્રૉનના કારણે પણ લોકો હૉસ્પિટલોમાં દાખલ થઈ રહ્યા છે."

"ઓમિક્રૉનને માઇલ્ડ સમજવો ભૂલ ગણાશે, લોકો હૉસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે અને મૃત્યુ પણ થઈ રહ્યાં છે."

તેમણે કહ્યું કે આ વખતે 'સંક્રમણની સુનામી' ઝડપથી વધી રહી છે અને એથી આરોગ્યસેવાઓ પર ભારણ વધી રહ્યું છે. દુનિયાભરમાં હૉસ્પિટલોમાં ભીડ થઈ રહી છે.

ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા કેસ

ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ગુરુવારે રાજ્યમાં 4213 કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

ગુરુવારે જે નવા કેસ નોંધાયા, તેમાંથી સૌથી વધુ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 1835 નવા કેસ નોંધાયા છે.

એ બાદ સુરતમાં કોરોનાના નવા 1105 દર્દી નોંધાયા છે. જ્યારે રાજકોટમાં 183 અને વડોદરામાં 103 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી કોરોના કેસોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. બુધવારે રાજ્યમાં કોરોનાના નવા 3,350 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ પણ ઘટ્યો છે. બુધવારે જે રેટ 97.49 હતો એ ગુરુવારે 97.10 ટકા થઈ ગયો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો