You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સમયસર રસી આપી કોરોનામાં જીવ બચાવ્યો હવે ઋણ ચૂકવવા ભાજપને વોટ આપો : સી. આર. પાટીલ - BBC TOP NEWS
દાદરા અને નગરહવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં પ્રચાર માટે ભાજપના ગુજરાતના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલ પણ ઊતર્યા છે.
ઇન્ડિયન એક્સપ્રેસ લખે છે કે પાટીલે પહેલી જ રેલીમાં આપેલું નિવેદન વિવાદોમાં ઘેરાયું છે.
અહેવાલ પ્રમાણે પાટીલે મતદારોને મંગળવારે અપીલ કરતાં કહ્યું કે 'સરકારે કોવિડ-19 મહામારીમાં તમને બચાવ્યા એનું ઋણ ચૂકવવા ભાજપને મત આપો.'
સેલવાસમાં મહારાષ્ટ્રીયન સંમેલનને સંબોધતાં પાટીલે કહ્યું કે, "સમયસર અને મફત રસીના કારણે આપણે કોરોના વાઇરસથી બચી શક્યા. હવે સમય આવી ગયો છે કે ઋણ ચૂકવીએ."
આ બેઠક પરથી સાત ટર્મ સુધી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયેલા મોહન ડેલકરના મૃત્યુ બાદ બેઠક ખાલી પડતાં આ પેટાચૂંટણી યોજાઈ રહી છે.
મોહન ડેલકરનાં પત્ની કલાબહેન પણ આ ચૂંટણીમાં શિવસેનાની ટિકિટ પર લડી રહ્યાં છે. પાટીલે કલાબહેન પર પણ નિશાન સાધ્યું હતું.
ભાજપે આ બેઠક પરથી મહેશ ગાવિતને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે, જેઓ નિવૃત્ત સબઇન્સ્પેક્ટર છે; તો કૉંગ્રેસે મહેશ ધોળીને ઉતાર્યા છે, જેઓ પણ પોલીસસેવામાંથી નિવૃત્ત થયેલા છે.
પંજાબના પૂર્વ CM અમરિન્દરસિંહનો નવો રાજકીય પક્ષ, ભાજપનો લેશે સાથ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પંજાબના પૂર્વ મુખ્ય મંત્રી અમરિન્દરસિંહે નવો રાજકીય પક્ષ બનાવવાની જાહેરાત કરી દીધી છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે તેમણે પાર્ટી બનાવવાની જાહેરાત સાથે ભાજપ સાથે બેઠકોનું વિતરણ કરવા અંગે પણ શક્યતા વ્યક્ત કરી હતી.
અમરિન્દરસિંહના મીડિયા ઍડ્વાઇઝર રવીને ઠુકરાલે પૂર્વ મુખ્ય મંત્રીને ટાંકીને ટ્વીટ કર્યું છે.
જે પ્રમાણે અમરિન્દરસિંહે કહ્યું છે કે, "જો ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આવે તો 2022ની પંજાબની ચૂંટણીમાં ભાજપ સાથે બેઠકોની વહેંચણી કરવાની આશા છે."
તેમણે અન્ય પક્ષો સાથે ગઠબંધનની શક્યતા પણ વ્યક્ત કરી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો