You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લખીમપુર ખીરી : લખનૌ આવેલા પીએમ મોદીને પ્રિયંકા ગાંધીનો સંદેશ- લખીમપુર આવો
મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લખનઉમાં છે. ત્યાં તેઓ ત્રણ દિવસીય રાષ્ટ્રીય 'ન્યૂ અર્બન ઇન્ડિયા કૉન્ક્લેવ'નું ઉદઘાટન કરવા માટે પહોંચ્યા છે.
યુપીના સીતાપુરમાં પોલીસ હિરાસતમાં રહેલાં કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આ સમયે વડા પ્રધાન મોદીને સવાલ પૂછ્યો છે કે તેઓ લખીમપુરમાં માર્યા ગયેલા ખેડૂતોના પીડિત પરિવારોને મળવા કેમ નથી આવતા? સાથે જ તેમણે કેન્દ્રીયમંત્રીના પુત્રની ધરપકડ કેમ નથી થઈ એ પણ સવાલ પૂછ્યો છે.
લગભગ બે મિનિટનો વીડિયો ટ્વિટર પર પોસ્ટ કરીને પ્રિયંકા ગાંધીએ વડા પ્રધાનને અનેક સવાલ પૂછ્યા છે.
વીડિયોમાં તેઓ કહે છે, "મેં સાંભળ્યું છે કે આજે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવા માટે તમે લખનૌ આવી રહ્યા છો. હું તમને એ પૂછવા માગું છું કે શું તમે આ વીડિયો જોયો છે? આ વીડિયોમાં તમારા મંત્રીના એક પુત્ર ખેડૂતોને પોતાની ગાડી નીચે કચડતા જોવા મળે છે."
"આ વીડિયોને જુઓ અને દેશને જણાવો કે આ મંત્રીને બરખાસ્ત કેમ નથી કરાયા અને આ છોકરાની ધરપકડ કેમ નથી થઈ?"
ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવ સહિત વિપક્ષના બધા નેતાઓને લખીમપુર પહોંચતાં પહેલાં રોકી દેવાયા છે અને તેમને હિરાસતમાં રાખ્યા છે.
શુભમ મિશ્રા કોણ છે?
લખીમપુર ખીરીના તિકુનિયામાં થયેલી હિંસાનો ભોગ 25 વર્ષના ભાજપ કાર્યકર્તા શુભમ મિશ્રા પણ બન્યા હતા.
લખીમપુર ખીરીથી પત્રકાર અનંત ઝણાણે અનુસાર લખીમપુર ખીરીના શિવપુરના રહેવાસી શુભમ ત્રણ ગાડીઓના કાફલામાં હતા, એ કાફલો જેની પર ખેડૂતોને કચડી નાખવાનો આરોપ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી સાથે વાત કરતાં શુભમના પિતા વિજયકુમાર મિશ્રા રડી પડ્યા. તેઓ કહે છે કે તેઓ વધારે વાત કરવાની હાલતમાં નથી. જે બેરહમીથી શુભમની હત્યા થઈ, તેઓ તેને યાદ કરવા નથી માગતા.
શુભમના પિતા વિજય મુજબ શુભમ ભાજપના બૂથ ઇન્ચાર્જ હતા અને સ્થાનિક લોકોમાં ઘણા લોકપ્રિય હતા. તેમના અંતિમસંસ્કારમાં ભારે સંખ્યામાં શિવપુરના લોકો સામેલ હતા.
શુભમના કાકા અનુપ મિશ્રા સાંસદ અજય મિશ્રા ટેનીના ગામ બનવીપુરમાં કાર્યક્રમમાં હતા, જેમાં ઉપમુખ્ય મંત્રી કેશવપ્રસાદ મૌર્ય જવાના હતા.
અનુપ મિશ્રા કહે છે કે શુભમનો તેમને ફોન આવ્યો હતો કે કાકા કાર્યક્રમમાં આવી જાઓ. એટલું કહીને અનુપ રડવા લાગ્યા અને તેમણે કહ્યું કે બનવીપુર ગામ પહોંચીને તેઓ મંત્રીની દંગલ સ્પર્ધાના પુરસ્કાર વિતરણવાળા કાર્યક્રમમાં હતા અને તેમને તિકુનિયામાં બનેલી ઘટના વિશે કંઈ જાણ નથી.
મંત્રી અજય મિશ્રા ટેનીએ શુભમના પરિવારને સરકારથી મળનારી સહાય અપાવવાનું આશ્વાસન આપ્યું હતું.
શુભમને એક વર્ષની પુત્રી છે, જેનું નામ એંજલ છે.
નરેન્દ્ર મોદીને પ્રિયંકા ગાંધીનો સવાલ, 'અન્નદાતાને કચડનારાની ધરપકડ કેમ નહીં?'
ઉત્તર પ્રદેશમાં લખીમપુર ખીરીમાં રવિવારે થયેલી હિંસા બાદ કૉંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટૅગ કરીને ટ્વીટ કર્યું છે.
ટ્વીટમાં તેમણે લખ્યું છે કે, "નરેન્દ્ર મોદીજી, તમારી સરકારે કોઈ પણ પ્રકારનાં ઑર્ડર કે એફઆઈઆર વગર 28 કલાકથી મારી અટકાયત કરી છે."
"અન્નદાતાને કચળી નાખનારી વ્યક્તિની હજી સુધી ધરપકડ થઈ નથી. કેમ?"
આ સાથે જ પ્રિયંકા ગાંધીએ એક વીડિયો ટ્વીટ કર્યો છે, જેમાં એક ગાડી પ્રદર્શનકારીઓને કચડીને આગળ જતી જોવા મળે છે. જોકે આ વીડિયોની સત્યતા અને તેના સ્રોતની પુષ્ટિ નથી થઈ શકી.
ઉત્તર પ્રદેશમાં લખીમપુર ખીરીમાં રવિવારે થયેલી હિંસા બાદ જ્યાં એક તરફ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને કૉંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધીને ઘટનાસ્થળે જતાં અટકાવી દેવાયાં તો બીજી તરફ ખેડૂતનેતા રાકેશ ટિકૈત ત્યાં પહોંચવામાં સફળ રહ્યા છે.
રાકેશ ટિકૈતે લખીમપુર ખીરીમાં બીબીસીના સહયોગી પત્રકાર અનંત ઝણાણેને એક મૃતદેહ દેખાડતાં કહ્યું, "આ જુઓ, ગોળી વાગી છે...માત્ર ગાડીથી કચડ્યા નથી, ગોળીઓ પણ ચલાવી છે."
સરકાર સાથે સમજૂતીના સવાલ પર તેમણે કહ્યું, "આમાં શું સમજૂતી થાય. આનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવશે અને જેણે ભૂલ કરી છે એને સજા થશે. મંત્રી અને તેના પુત્ર બન્ને વિરુદ્ધ કેસ દાખલ કરાશે."
તેમણે એવું પણ કહ્યું કે "મંત્રી વિરુદ્ધ 120બી અને તેના દીકરા વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરવામાં આવશે. જેણે ગોળી ચલાવી એના વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરાવાશે."
આ પહેલાં વિપક્ષના નેતા અને યુપીના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવ અને કૉંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધીને લખીમપુર ખીરી જતાં અકટાવવામાં આવ્યાં છે અને તેમની અટકાયત કરી લેવાઈ છે.
તો બીજી તરફ મામલાની ગંભીરતા જોતાં મૃતક ખેડૂતોના પરિવારોને સરકારી નોકરી તથા 45 લાખ રૂપિયાની આર્થિક સહાયની રાજ્યતંત્રે જાહેરાત કરી છે.
આ જનરલ ડાયરની સરકાર : કૉંગ્રેસ
કૉંગ્રેસે સોમવારે કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રાને તત્કાલ બરખાસ્ત કરવા અને તેમના પૂત્રની ધરપકડ કરવાની માગ કરી છે.
સમચાર સંસ્થા પીટીઆઈના મતે લખીમપુર ખીરીની હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોનાં મૃત્યુ થયાં છે અને ઉત્તર પ્રદેશ પોલીસે ગૃહરાજ્યમંત્રીના પુત્ર આશિષ મિશ્રા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે.
પક્ષે પ્રિયંકા ગાંધીને વહેલી તકે મુક્ત કરવાની માગ કરી છે. કૉંગ્રેસનો આરોપ છે કે પ્રિયંકા ગાંધીને યુપી પોલીસે અટકાયતમાં રાખ્યાં છે.
કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ગૌરવ વલ્લભે કહ્યું, "આ ઘટના કોઈ એકમાત્ર ઘટના નથી. આપ આની ક્રૉનોલૉજી સમજો."
"કેટલાક દિવસો પહેલાં યુપી ભાજપના હૅન્ડલ પર એક કાર્ટુન આવે છે. કાર્ટુનમાં રાકેશ ટિકૈત અંગે એવું લખવામાં આવે છે કે તેઓ યુપી આવશે તો ચામડી ઊતરડી નાખવામાં આવશે."
"સપ્તાહ પહેલાં ગૃહરાજ્યમંત્રી કહે છે કે સુધરી જાઓ, નહીં તો સુધારી દઈશું. એ બાદ હરિયાણાના મુખ્ય મંત્રી કહે છે કે આંદોલનકારી ખેડૂતોનાં માથાં ફોડો, જેલ જાઓ અને નેતા બનો."
"શું ભાજપ આ રીતે પોતાના નેતા તૈયાર કરે છે? આ જનરલ ડાયરની સરકાર છે, અને જનતા તેને ભગાડીને જ માનશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો