મહારાષ્ટ્રમાં સગીરા સાથે બળાત્કારના કેસમાં 26ની ધરપકડ, SIT કરશે તપાસ - Top News

મહારાષ્ટ્રના ડોંબિવલીમાં એક સગીરા સાથે બળાત્કારના કેસમાં 26 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સગીરાની ફરિયાદ પર 29 લોકો વિરુદ્ધ માનપાડા પોલીસચોકીમાં કેસ નોંધવામાં આવ્યો છે.

ડોંબિવલી મુંબઈને અડીને આવેલા થાણે જિલ્લામાં છે અને પોલીસે આ કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરી છે.

સમાચાર સંસ્થા એએનઆઈના મતે પોલીસે જણાવ્યું કે આરોપીઓ સગીરાના મિત્રો હતા. હજુ ત્રણ આરોપીની શોધખોળ ચાલી રહી છે.

આ મામલે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરીને આકરી સજાની માગ કરી છે.

એનસીપીનાં ધારાસભ્ય વિદ્યા ચૌહાણ પણ સમર્થકો સાથે માનપાડા પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં.

પ્રદર્શનકારી મહિલાઓએ આરોપીઓને તેમને સોંપવા અને સૌની સામે સજા આપવાની માગ કરી હતી.

અહેવાલો અનુસાર આ કેસમાં પીડિતાને નવ મહિનાથી બ્લૅકમેલ કરવામાં આવી રહી હતી અને અલગઅલગ જગ્યાએ લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

'પીએમ કૅરમાં ભેગું થયેલું ફંડ સરકારનું નથી', દિલ્હી હાઈકોર્ટમાં PMOનો જવાબ

કોરોનાની મહામારી દરમિયાન બનાવવામાં આવેલા પીએમ કૅર્સ ફંડ (પ્રાઇમ મિનિસ્ટર્સ સિટિઝન્સ અસિસ્ટન્સ ઍન્ડ રિલિઝ ઇન ઇમરજન્સી સિચ્યૂઍશન ફંડ - PM CARES) ભારત સરકારનું ફંડ નથી.

વડા પ્રધાન કાર્યાલય તરફથી દિલ્હી હાઈકોર્ટમાં આ જવાબ આપવામાં આવ્યો છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે વડા પ્રધાનની કચેરીએ દિલ્હીની હાઈકોર્ટને જણાવ્યું છે કે વડા પ્રધાન નાગરિક સહાય અને રાહત આપાતકાલીન પરિસ્થિતિ ભંડોળ (PM CARES Fund) ભારત સરકારનું ભંડોળ નથી પરંતુ તે એક ચૅરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલું છે. આથી તે સરકારનું ફંડ નહીં હોવાથી થર્ડ પાર્ટી સંસ્થા છે. આ સ્થિતિમાં, પીએમ કૅર્સ ફંડને માહિતીના અધિકારની મર્યાદામાં લાવી શકાય નહીં.

અત્રે નોંધવું કે સમ્યક ગંગવાલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે અને તેમાં એવી માગ કરવામાં આવી છે કે દેશના લોકોએ પીએમ કૅર્સ ફંડમાં રહેલાં નાણાંનું દાન કર્યું છે, પરંતુ તેમાં કોઈ પારદર્શિતા નથી.

આથી બંધારણની કલમ 12 હેઠળ પીએમ કૅર્સ ફંડને 'રાજ્ય' તરીકે જાહેર કરવું જોઈએ.

આ અરજી પર સુનાવણી કરતાં દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો હતો. જેના પર કેન્દ્ર અને પીએમઓ એ સ્પષ્ટ કર્યું કે ન તો પીએમ કૅરને આરટીઆઈ હેઠળ લાવવામાં આવશે અને ન તો તેને રાજ્ય જાહેર કરવામાં આવશે કારણ કે તે ભારત સરકારનું ફંડ નથી.

વડા પ્રધાનકચેરીના અંડર સેક્રેટરી પ્રદીપકુમાર શ્રીવાસ્તવે જણાવ્યું, "દિલ્હી હાઈકોર્ટને સરકારે જણાવ્યું હતું કે પીએમ કૅર્સ ફંડને ન તો જાહેર અધિકાર તરીકે માહિતીઅધિકારના દાયરામાં લાવી શકાય છે અને ન તો તેને રાજ્ય તરીકે જાહેર કરી શકાય છે."

તેમણે કહ્યું કે, "પીએમ કૅર ફંડનું ઑડિટ ઑડિટર કરે છે, જે ભારતના કંટ્રોલર અને ઑડિટર જનરલ પેનલમાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. ટ્રસ્ટને તમામ દાન ઑનલાઈન પેમેન્ટ, ચેક અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થયેલી રકમનું ઑડિટ કરવામાં આવે છે અને વેબસાઇટ પર ટ્રસ્ટ ફંડનો ખર્ચ પણ બતાવવામાં આવે છે."

કોરોના મૃતકોના પરિવારને સરકાર પચાસ હજારનું વળતર આપશે

દેશમાં કોરોના મૃતકોને વળતર આપવાની માગણી લાંબા સમયથી થઈ રહી છે, વિપક્ષે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે તો સુપ્રીમ કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે અને એ મામલે સરકારે હવે પચાસ હજાર રૂપિયાનો આંકડો નક્કી કર્યો હોવાના સમાચાર છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર સરકારે કોરોનાથી મૃત્યુ પામનાર વ્યકિતના પરિવારને 50 હજાર રૂપિયા વળતર આપી શકે છે.

આ રકમ આપદા રાહત ભંડોળમાંથી આપવામાં આવશે અને તે પરિવારના સભ્યના આધાર કાર્ડ સાથે જોડાયેલા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

નેશનલ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીએ આ અંગે ગાઇડલાઇન તૈયાર કરી છે અને તેને ગૃહ મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી છે. સુપ્રીમ કોર્ટમાં આ અંગે ગુરુવારે સુનાવણી થશે.

સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર કોરોનાથી મૃત્યુ પામનાર વ્યકિતના પરિવારને વળતર આપવાનો નિર્ણય મૃત્યુ પ્રમાણપત્ર અને અન્ય દસ્તાવેજોની તપાસ બાદ ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી કરશે અને પૈસાની ચૂકવણી સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી દ્વારા કરવામાં આવશે.

સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે કોરોનાથી થયેલા મૃત્યુની નોંધણી માટે અલગથી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલી છે.

રાહુલ અને પ્રિયંકા બિનઅનુભવી - કૅપ્ટન અમરિંદરસિંહ

રાજીનામું આપનાર પંજાબના મુખ્ય કૅપ્ટન અમરિંદરસિંહે કહ્યું છે કે રાહુલ અને પ્રિયંકા ગાંધીમાં અનુભવ નથી અને તેમને ખોટી સલાહ આપવામાં આવે છે.

બુધવારે એમણે કહ્યું કે ત્રણ અઠવાડિયાં અગાઉ એમણે રાજીનામું આપવાની દરખાસ્ત કરી હતી પણ એમને પદ પર રહેવા માટે કહેવામાં આવ્યું હતું.

અંગ્રેજી અખબાર ધ હિંદુના અહેવાલ અનુસાર અમરિંદરસિંહે કહ્યું કે હું જીત બાદ પદ છોડવા માટે તૈયાર હતો પણ હાર પછી ક્યારેય નહીં. મેં ત્રણ અઠવાડિયા અગાઉ સોનિયા ગાંધીને રાજીનામું આપવાની દરખાસ્ત કરી હતી પણ એમણે મને પદ પર રહેવા કહ્યું.

એમણે કહ્યું, પંજાબમાં ફરી જીત બાદ મેં અન્ય કોઈને મુખ્ય મંત્રીપદ આપવા માટે કહ્યું હતું પણ એવું ન થયું. હવે હું લડીશ. જ્યારે કૉંગ્રેસ ધારાસભ્યદળની બેઠક ગુપ્ત રીતે બોલાવવામાં આવી તો મને અપમાન લાગ્યું. મને ભરોસોમાં લેવામાં ન આવ્યો. હું ધારાસભ્યોને વિમાનમાં લઈને ગોવા નહોતો ગયો. હું તુક્કાઓમાં ભરોસો નથી કરતો. રાહુલ અને પ્રિયંકાને ખબર છે એ મારી રીત નથી. પ્રિયંકા અને રાહુલ મારા સંતાનો જેવા છે. જે કંઈ પણ થયું, એ આ રીતે નહોતું થવા જેવું, હું દુખી છું.

અમરિંદરસિંહે કહ્યું, રાહુલ અને પ્રિયંકા પાસે અનુભવ નથી અને સલાહકારો એમને ખોટી જાણકારીઓ આપે છે.

અમરિંદરસિંહે કહ્યું કે એમણે રાજકીય વિકલ્પ ખુલ્લો રાખ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો