ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો ગુજરાતમાં કોરોનાકાળમાં ભય, કઈ રીતે બચશો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાત સહિત દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ વ્યક્ત કરાય છે, ત્યારે ગુજરાતમાં મચ્છરજન્ય રોગો માથું ઊંચકી શકે છે, જેની સામે નિષ્ણાતો ચેતવે છે.
રાજ્ય સરકાર દ્વારા સંભવિત ત્રીજી લહેરની આશંકાના આધારે ઑક્સિજન, દવાઓ તથા પથારીઓની ઉપલબ્ધતા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે, પરંતુ વાહકજન્ય રોગ પણ આરોગ્યવ્યવસ્થા માટે ભારણ ઊભું કરી શકે, તેવી આશંકા પણ છે.
દર વર્ષે ચોમાસા દરમિયાન અને પછી મલેરિયા, ચિકનગુનિયા તથા ડેન્ગ્યુ જેવા રોગનો વાવડ હોય છે, સ્થાનિકસ્વરાજની સંસ્થાઓને મચ્છરના નાશ માટે સૂચના આપવામાં આવે છે.
દોઢ વર્ષથી નાગરિકોમાં હાઉ ઊભો કરનારા કોરોના ઉપરાંત ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને મલેરિયાના અમુક લક્ષણો તથા કોવિડ-19નાં લક્ષણો મહદંશે સમાન હોય છે. જે ભ્રામક ચિત્ર ઊભું કરી શકે છે, આથી ક્લિનિકલ તથા લૅબોરેટરી તપાસ પર ભાર મૂકવામાં આવે છે.

મચ્છરનો ડંખ, ડેન્ગ્યુ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ડેન્ગ્યુ એ વાઇરસજન્ય રોગ છે, જે DENV 1,DENV 2, DENV 3 કે DENV 4થી ફેલાય છે.
તે માદા એડિસ મચ્છરના કરડવાથી ફેલાય છે. આ મચ્છરના શરીર અને પગ પર કાળા અને સફેદ પટ્ટા હોવાથી તેને ટાઇગર મચ્છર પણ કહે છે.
આ પ્રકારના મચ્છર દિવસ દરમિયાન કરડે છે અને ચોખ્ખા અને સ્થિર પાણીમાં ઈંડાં મૂકે છે. ચેપ ધરાવતી વ્યક્તિને કરડ્યાના સાત દિવસ બાદ મચ્છર ચેપી બને છે તથા અન્યોમાં પણ તેનો પ્રસાર કરે છે.
એક વખત ચેપ લાગ્યા બાદ મચ્છર આજીવન ચેપી રહે છે, તેનું સરેરાશ આયુષ્ય 14 દિવસનું હોય છે. તે જીવનકાળ દરમિયાન ત્રણ વખત ઈંડાં આપે છે અને દરવખતે લગભગ 100 ઈંડાં આપે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતમાં દર વર્ષે દિલ્હી, પંજાબ, હરિયાણા, ગુજરાત, કર્ણાટક મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવાં રાજ્યોમાં તે મુખ્યત્વે દેખા દે છે.
ભારતમાં દરવર્ષે 16મી મેના દિવસે 'નેશનલ ડેન્ગ્યુ ડે' ઊજવવામાં આવે છે. નેશનલ વૅક્ટર બ્રૉન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ તેને અટકાવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવે છે.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના તારણ પ્રમાણે અમેરિકા, દક્ષિણપૂર્વ એશિયા તથા અમેરિકાના 100 જેટલા દેશોમાં તે જોવા મળે છે.

ડેન્ગ્યુનાં લક્ષણો

ઇમેજ સ્રોત, AFP
નેશનલ હેલ્થ પૉર્ટલ મુજબ, જો ડેન્ગ્યુ હેમોરહેજિક ફીવર હોય તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. NS1 અથવા IGM તપાસ દ્વારા ડેન્ગ્યુના ઍન્ટીજન અથવા તો ઍન્ટિબૉડી શોધવા માટે પરીક્ષણ કરવામાં આવે છે.
જો તે ક્લાસિકલ ડેન્ગ્યુનો તાવ હોય તો તે શરીરનાં સાંધા અને હાડકાં પર અસર કરે છે, જેથી તેને 'હાડકાંતોડ' તાવ પણ કહેવામાં આવે છે.
ડેન્ગ્યુના તાવમાં વ્યક્તિને અચાનક તાવ આવવાનો શરૂ થાય છે. તેને સખત માથાનો દુખાવો થાય છે, આંખો પાછળ દુખાવો થાય છે અને સ્નાયુ તથા સાંધામાં દુખાવો થાય છે. શરીર પર ચકામા પણ થાય છે.
જ્યારે ડીએચએફમાં વ્યક્તિને અચાનક તાવ આવવાનો શરૂ થાય છે અને પેટમાં દુખાવો થાય છે, આ સિવાય ઊલટી અને નાકમાંથી લોહી નીકળવું કે ત્વચા પર ઘસરકો પડવા, જેવી સમસ્યા થઈ શકે છે.
વ્યક્તિનો જીવનકાળ દરમિયાન એક વખત ડેન્ગ્યુ થઈ ગયો હોય, તો પણ બીજી વખત થવાની શક્યતા રહે છે
પ્રથમ વખત એક પ્રકારના વાઇરસથી ડેન્ગ્યુ થયો હોય, તો બીજી વખત અન્ય પ્રકારના વાઇરસથી ડેન્ગ્યુનો ચેપ લાગવાની શક્યતા રહે છે.

ડેન્ગ્યુના 'ડંખ'થી બચાવ અને સારવાર

ઇમેજ સ્રોત, Getty Images
માદા એડિસ ઇજિપ્તી (Aedes aegypti) મચ્છર કરડે તેના પાંચથી છ દિવસ પછી અસર દેખાતી હોય છે. તે કોઈ પણ ઉંમર કે લિંગની વ્યક્તિને થઈ શકે છે.
ડેન્ગ્યુના મચ્છરનો કરડવાનો સમય મુખ્યત્વે સૂર્યોદય પછીના બે કલાક તથા સૂર્યાસ્ત પહેલાંના બે કલાકનો છે. આ સમયગાળા દરમિયાન વિશેષ કાળજી રાખો.
જેને ડેન્ગ્યુ થયો હોય, તેને મચ્છર ન કરડે તે પણ જોવું ઘટે, જેથી કરીને તેના મારફત રોગનો પ્રસાર અટકે.
લાંબી બાંયના કપડાં પહેરો તથા શૉર્ટ્સ પહેરવાનું ટાળો.
ઘરના કોઈ ખૂણામાં, પાત્ર કે કૂંડામાં પાણી એકઠું થતું હોય તો અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત પાણી દૂર કરવાની તજવીજ હાથ ધરો.
રાત્રે ઊંઘતી વખતે તથા દિવસ દરમિયાન મચ્છરની કોઇલનો ઉપયોગ કરો. આ સિવાય મચ્છરના નાશ માટે સ્પ્રેનો ઉપયોગ કરી શકાય છે.
આ સિવાય સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવાની ભલામણ પણ કરવામાં આવે છે.
ડેન્ગ્યુની સારવાર માટે કોઈ નિશ્ચિત ઍન્ટિવાઇરલ દવા ઉપલબ્ધ નથી. યોગ્ય તબક્કે નિદાન અને સારવારને કારણે આ બીમારીના દર્દીઓમાં મૃત્યુની ટકાવારી એક ટકા કરતાં નીચે રહેવા પામે છે.
સારવાર દરમિયાન પેરાસિટેમોલની સાથે દર્દશામક આપવામાં આવે છે.
દર્દીને પુષ્કળ પ્રમાણમાં પેયપદાર્થો લેવા તથા આરામ કરવાની સૂચના આપવામાં આવે છે. જેમાં ઓઆરએસ તથા ફળોના રસનો સમાવેશ થાય છે.

મચ્છરથી ફેલાતો ચિકનગુનિયા

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાની આરોગ્ય સંસ્થા સેન્ટ્રલ ડિસીઝ કંટ્રોલ (સીડીસી)ના કહેવા પ્રમાણે ચિકનગુનિયા ચેપગ્રસ્ત ઍડિસ ઇજિપ્તી (Aedes aegypti) મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર ચિકનગુનિયા સૌથી પહેલાં 1952માં આફ્રિકન દેશ તાન્ઝાનિયામાં જોવા મળ્યો હતો.
ચિકનગુનિયા શરૂઆતમાં એશિયા અને આફ્રિકાના છુટાછવાયા વિસ્તારોમાં જ જોવા મળ્યો હતો, પરંતુ 2004 પછી તે અમેરિકા, એશિયા, આફ્રિકા અને યુરોપના 60 જેટલા દેશમાં ફેલાયો હતો.

ચિકનગુનિયાનાં લક્ષણો
એમડી ફિઝિશિયન ડૉ. પ્રવીણ ગર્ગ કહે છે, "મચ્છર કરડે તેના ત્રણ-ચાર દિવસમાં તાવ આવવાનો શરૂ થાય છે. તાવ આવે એના 12થી 24 કલાક પછી દર્દીને સાંધામાં દુખાવો થવાનો શરૂ થતો હોય છે."
તેઓ કહે છે, "દર્દીને ચોથા અને પાંચમા દિવસ સુધી સાંધામાં દુખાવો થતો રહે છે."
ડૉ. ગર્ગ ચિકનગુનિયામાં બદલાયેલાં લક્ષણોની વાત કરતાં કહે છે કે ચિકનગુનિયાના આઠમા દિવસે દર્દીના મોઢામાં ચાંદા પડેલા જોવા મળે છે. આ અગાઉ આ પ્રકારે ઓછું જોવા મળતું હતું.
એક વર્ષથી નાના અથવા ઉંમરલાયક વર્ગને, અશક્ત અથા અગાઉથી જ કોઈ રોગગ્રસ્ત વ્યક્તિને ચિકનગુનિયાની અસર ઝડપથી થઈ શકે છે.

ચિકનગુનિયા છે કે કોરોના કેવી રીતે ખબર પડે?

ઇમેજ સ્રોત, Getty Images
ચિકનગુનિયામાં પણ તાવ આવે છે અને કોરોના વાઇરસના સંક્રમણમાં પણ તાવ આવતો હોય છે. ડૉ. કહે છે કે "સામાન્ય રીતે આવી સ્થિતિમાં દર્દીએ ડૉક્ટરની જ સલાહ લેવી યોગ્ય છે."
"ચિકનગુનિયામાં બે-ત્રણ દિવસમાં જ સાંધાનો દુખાવો શરૂ થતો હોય છે. કોરોનામાં સાંધાનો દુખાવો ઘણા ઓછા કેસમાં જોવા મળે છે."
"કોરોનામાં મહદંશે શરૂઆતમાં કફ, શરદી અને ખાંસી જેવું વધારે જોવા મળે છે."

ચિકનગુનિયાની સારવાર કેવી રીતે થાય છે?
ચિકનગુનિયાનું નિદાન રક્તપરીક્ષણ તથા ELISA પદ્ધતિ દ્વારા થતી તપાસથી થાય છે.
ડૉ. પ્રવીણ ગર્ગ કહે છે કે ચિકનગુનિયા માટે હાલ સુધી કોઈ ઍન્ટિબાયોટિક અથવા દવા, રસી શોધાઈ નથી; આથી રોગના નિદાન માટે દર્દીઓએ આરામ કરવો જરૂરી છે.
જુવાનને ચિકનગુનિયા થાય તો તેને સાજા થવામાં દસેક દિવસનો સમય લાગે છે. જ્યારે ઘરડી વ્યક્તિને એકથી દોઢ મહિના જેટલો સમય લાગી શકે છે.

કોવિડ-19 અને ચોમાસાની વાહકજન્ય બીમારીઓ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
અમેરિકાના સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રૉલ ઍન્ડ પ્રિવેન્શન દ્વારા જણાવ્યા પ્રમાણે, https://www.cdc.gov/dengue/is-it-dengue-or-covid.html કોવિડ-19ની બીમારી SARS-CoV-2 દ્વારા ફેલાય છે. જે છીંક, વાતચીત દરમિયાન, ઉધરસ, નાકના કે મોંના સ્રાવથી ફેલાય છે.
કોવિડ-19 સામે દેશમાં પાંચ જેટલી રસીઓ ઉપલબ્ધ છે. આ સિવાય માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, હાથ ધોવા વગેરે જેવા પ્રોટોકોલનું પાલન કરવાની હિમાયત કરવામાં આવે છે.
પ્રસાર, ઘાતકતા તથા અસરને જોતાં કોવિડ-19 તથા ચોમાસામાં જોવા મળતી બીમારીઓ અલગ છે, પરંતુ તેમનાં અમુક લક્ષણો સમાન છે.
આ રોગોમાં તાવ, થાક, સાંધા અને સ્નાયુમાં દુખાવા જેવી સમસ્યા જોવા મળે છે.
બંનેનાં લક્ષણોમાં તફાવત કરવો મુશ્કેલ હોય છે. સૂકી ઉધરસ, ગંધ-સ્વાદનો અભાવ, ગળામાં અંતરસ વગેરે જેવાં લક્ષણો કોવિડ-19માં જોવા મળે છે. તે ડેન્ગ્યુ કે ચિકનગુનિયામાં જોવા નથી મળતાં.
જાણકારો દ્વારા તાત્કાલિક તબીબી પરામર્શ લેવાની તથા યોગ્ય નિદાન અને સારવારની ભલામણ કરવામાં આવે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













