કાબુલ ઍરપૉર્ટ વિસ્તારમાં રવિવારથી અત્યાર સુધીમાં 20 લોકો માર્યા ગયા- રિપોર્ટ

નેટાના એક અધિકારીએ સમાચાર એજન્સી રૉયટર્સને જણાવ્યું કે ગત રવિવારે કાબુલ પર તાલિબાનના નિયંત્રણ બાદ ઍરપૉર્ટ અને તેની આસપાસ કમસે કમ 20 લોકોનાં મોત થયાં છે.

અધિકારીએ નામ ન છાપવાની શરતે કહ્યું, "કાબુલ ઍરપૉર્ટની બહાર હાલત ખરાબ છે. અમારું ધ્યાન બધા વિદેશીઓને જલદી દેશથી બહાર કાઢવા પર છે."

તેમણે કહ્યું, "તાલિબાને સાથે કોઈ પણ ઘર્ષણથી બચવા માટે અમારાં દળો કાબુલ ઍરપૉર્ટના બહારના વિસ્તારોથી અંતર રાખી રહ્યા છે."

બ્રિટિશ રક્ષા મંત્રાલયે અગાઉ જણાવ્યું હતું કે ઍરપૉર્ટની બહાર સાત અફઘાન નાગરિકો માર્યા ગયા છે, પરંતુ વધુ માહિતી નહોતી આપી.

બ્રિટિશ રક્ષા ઉપસચિવે જાહેરાત કરી હતી કે નિકાસી પ્રક્રિયા ઝડપી કરાઈ રહી છે.

'બધું શૂન્ય થઈ ગયું', કાબુલથી ભારત પહોંચેલા અફઘાન શીખ સાંસદ

અફઘાનિસ્તાનમાં ફસાયેલા 168 લોકોને લઈને ભારતીય વાયુસેનાનું સી-17 વિમાન દિલ્હી પાસે ગાઝિયાબાદના હિંડન ઍરબેઝ પર ઊતર્યું છે.

આ વિમાનમાં 107 ભારતીય નાગરિકો પણ સામેલ છે.

અગાઉ આજે જ તાજિકિસ્તાનથી 87 ભારતીયોને લઈને ઍર ઇન્ડિયાનું વિમાન નવી દિલ્હી ઍરપૉર્ટ પર પહોંચ્યું હતું.

તેમાં બે નેપાળી નાગરિક પણ સામેલ હતા. બહાર નીકળતા પહેલાં આ બધા લોકોએ કોવિડનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો પડશે.

તો કતારની રાજધાની દોહાના રસ્તેથી સુરક્ષિત કઢાયેલા 135 ભારતીયોને લઈને એક વિમાન દિલ્હી આવી રહ્યું છે.

આ દરમિયાન કાબુલથી ભારત પહોંચેલા અફઘાન શીખ સાંસદે દુ:ખ ઠાલવ્યું અને કહ્યું બધું શૂન્ય (ખતમ) થઈ ગયું છે

કાબુલથી 168 લોકોને લઈને ગાઝિયાબાદના હિંડન ઍરબૅઝ પર પહોંચેલા વિમાનમાં અફઘાનિસ્તાનના શીખ સાંસદ નરેન્દ્રસિંહ ખાલસા પણ મોજૂદ હતા.

વિમાન ઍરબૅઝ પર ઊતર્યા બાદ પત્રકાર સાથેની વાતચીતમાં તેઓ રડી પડ્યા, તેમણે પત્રકારોને કહ્યું કે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ જોઈને રડવું આવે છે.

તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં 20 વર્ષોમાં જે કાંઈ થયું હતું તે હવે ખતમ થઈ રહ્યું છે અને બધું શૂન્ય થઈ રહ્યું છે.

સોશિયલ મીડિયા પર તાલિબાનનું સમર્થન કરતા 14 લોકોની ધરપકડ

આસામ પોલીસે શનિવારે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર અફઘાનિસ્તાન પર તાલિબાનના નિયંત્રણનું સમર્થન કરતાં 14 લોકોની ધરપકડ કરાઈ છે.

સમાચાર એજન્સી પીટીઆઈએ એક સિનિયર પોલીસ અધિકારીના હવાલાથી રિપોર્ટ આપ્યો કે આ ધરપકડ શુક્રવારે રાત થઈ હતી.

ધરપકડ કરાયેલા લોકો પર યુએપીએ, આઈટી ઍક્ટ અને સીઆરપીસીની અલગઅલગ કલમો હેઠળ કેસ નોંધાયા છે.

અધિકારીએ કહ્યું, "અમે સાવધ છીએ અને સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ પર નજર રાખી રહ્યા છીએ."

પોલીસે જણાવ્યું કે કામરૂપ મેટ્રોપૉલિટન, બારપેટા, ધુબરી અને કરીમગંજ જિલ્લામાંથી બે-બે લોકોની ધરપકડ કરાઈ છે.

આ સિવાય દરાંગ, ચાચર, હૈલાકાંડી, દક્ષિણ સલમારા, ગોઆલપારા અને હોજાઈ જિલ્લામાંથી એક-એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે.

અયોધ્યામાં ભાજપના સાંસદ અને ફિલ્મ અભિનેતાઓ 'અયોધ્યાની રામલીલા' કરશે

અયોધ્યામાં આ વખતે દશેરા પર 'અયોધ્યાની રામલીલા'નું મંચન કરાશે. તેમાં ભાજપના ઘણા સાંસદો અને ફિલ્મી દુનિયાના સિતારા રામાયણનાં વિભિન્ન પાત્રો નિભાવશે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, અયોધ્યામાં નિર્માણાધીન રામમંદિરથી બે કિલોમીટર દૂર લક્ષ્મણ કિલ્લામાં તેનું મંચન થશે.

અયોધ્યાની રામલીલાનું મંચન 6થી 15 ઑક્ટોબર વચ્ચે થશે. તેનું સીધું પ્રસારણ ઘણી ચેનલો અને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર થશે. અયોધ્યામાં ગત વર્ષે પહેલી વાર તેનું મંચન થયું હતું.

જણાવવામાં આવ્યું કે ઉત્તર-પૂર્વ દિલ્હીના ભાજપના સાંસદ મનોજ તિવારી આ રામલીલામાં ઘણી ભૂમિકા નિભાવશે.

તો ભાજપના ગોરખપુરના સાંસદ અને હિન્દી તથા ભોજપુરી ફિલ્મોના અભિનેતા રવિ કિશન પરશુરામની ભૂમિકા નિભાવશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો