You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુંબઈ, પાલઘર, થાણે અને રત્નાગિરિમાં ભારે વરસાદની આગાહી, અનેક લોકોનાં મૃત્યુ
મુંબઈમાં વરસાદે ભારે તારાજી કરી છે, અનેક લોકો મૃત્યુ પામ્યાં છે અને લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી આવી છે.
રવિવારે બપોર બાદ વરસાદ ધીમો પડ્યો હતો પરંતુ એ પછી એણે ફરી જોર પકડ્યું હતું.
હવામાન વિભાગે મુંબઈ, થાણે, પાલઘર અને રત્નાગિરિ એમ ચાર જિલ્લામાં આગામી ચોવીસ કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે અને અલગઅલગ ઘટનાઓમાં 20 લોકો મૃત્યુ પામ્યાં છે.
જોકે, ધ હિંદુના અહેવાલ મુજબ મુંબઈમાં અલગઅલગ ઘટનામાં આઠ સગીરો સહિત 31 લોકો ભારે વરસાદને કારણે મૃત્યુ પામ્યાં છે.
ભારે વરસાદને પગલે અનેક લોકોનાં મૃત્યુ
મુંબઈના ચેમ્બુરમાં ભારે વરસાદથી બનેલી બે અલગઅલગ ઘટનામાં 20 લોકો મૃત્યુ પામ્યાં છે.
મુંબઈમાં વાશી નાકા નજીક ન્યૂ ભારતનગરમાં ભારે વરસાદને પગલે શનિવારે મધરાતે એક વૃક્ષ તૂટી પડ્યું હતું અને તેને લીધે દીવાલ ધસી પડી હતી. આ ઘટનામાં 17 લોકો મૃત્યુ પામ્યાં છે અને બે લોકો રાજાવાડી હૉસ્પિટલમાં સારવાર બાદ રજા આપવામાં આવી છે.
અન્ય ત્રણ લોકો વિક્રોલી નજીક ઇમારત તૂટી પડતા થયેલા અકસ્માતમાં મૃત્યુ પામ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અકસ્માત પંચશીલ ચાલી વિસ્તારમાં સૂર્યનગર પાસે ભારે વરસાદને કારણે મધરાતે 3.30 વાગે આ ઘટના બની હતી.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
મૃતકોના પરિવારજનોને વડા પ્રધાનના આપદા રાહતભંડોળમાંથી 2 લાખની સહાય અને ઈજાગ્રસ્તને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ મૃતકોના પરિવારજનોને 5 લાખની સહાય અને ઈજાગ્રસ્તોને મફત સારવાર આપવાનું કહ્યું છે.
ભૂસ્ખલનને કારણે 15-20 ઝૂંપડીઓ તૂટી પડી છે અને એનડીઆરએફ દ્વારા તેમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આશંકા છે કે હજી ત્યાં વધારે લોકો દબાયેલા હોઈ શકે છે.
મુંબઈમાં શનિવાર રાતથી ભારે વરસાદ છે અને અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે તો છત્રપતિ શિવાજી ટર્મિનસથી થાણેની રેલ સેવાઓને અસર પહોંચી છે.
મુંબઈમાં ગણતરીના સમયમાં 200 મિલીલિટર વરસાદ પડ્યો, જેના કારણે સેન્ટ્રલ રેલવે અને વેસ્ટર્ન રેલવેએ લોકલ રેલ સેવાઓ અટકાવી દેવી પડી હતી.
સમચાર સંસ્થા પીટીઆઈએ કહ્યું કે, ગત રાત્રે થયેલા વરસાદે 2005માં 26 જુલાઈએ થયેલા વરસાદની યાદ અપાવી દીધી. એ વખતે ફક્ત 24 કલાકમાં 944 મિલીલિટર વરસાદ મુંબઈમાં પડ્યો હતો.
ભારતીય હવામાન વિભાગે મુંબઈમાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે મુંબઈના વરસાદને લઈને કહ્યું કે, આ સ્થિતિ બદલાય તેવી આશા નથી.
અધિકારીઓએ કહ્યું કે, ફક્ત છ કલાકમાં 100 મિલીલિટરથી વધારે વરસાદ પડ્યો પણ આટલાં વરસાદનું અનુમાન નહોતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો