અફઘાન રાજદૂતનાં દીકરીના અપહરણ મામલે પાકિસ્તાને ભારત પર આરોપ મૂક્યો

પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનના રાજદૂતનાં દીકરીના અપહરણ મામલે પાકિસ્તાને ભારત પર આરોપ મૂક્યો છે.

18 જુલાઈએ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અફઘાનિસ્તાનના રાજદૂતનાં દીકરીના અપહરણનો પ્રયાસ કરીને એમની સાથે હિંસા આચરવામાં આવી હોવાની વિગતો બહાર આવી હતી.

હવે આ કેસમાં પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદ અહમદે ઘટનામાં ભારતનો હાથ હોવાનો આરોપ મૂક્યો છે.

શેખ રશીદ અહમદે પાકિસ્તાનની ખાનગી ન્યૂઝ ચેનલ જિયોને કહ્યું કે, "અફઘાન રાજદૂતનાં દીકરી ઘરેથી ચાલતાં નીકળ્યાં અને બજાર ગયાં. ત્યાંથી તેમણે એક ટેક્સી લીધી અને ખડ્ડા બજાર જઈને ખરીદી કરી. અમારી પાસે આનું ફૂટેજ છે."

મંત્રીએ કહ્યું, "ત્યાંથી એમણે અન્ય એક ટેક્સી લીધી અને રાવલપિંડી જતાં રહ્યાં અને એક શૉપિંગ મૉલમાં ગયાં. એ પછી એમણે ત્રીજી ટેક્સી લીધી અને દામન-એ-કોહ (એક પર્યટનસ્થળ) જતાં રહ્યાં."

રશીદે કહ્યું, "અમારી તપાસમાં એક વાત સ્પષ્ટ નથી થઈ રહી કે તેઓ રાવલપિંડીથી દામન-એ-કોહ કેમ ગયાં."

શેખ રશીદે આ ઘટનાની પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ મૂક્યો છે અને કહ્યું કે પાકિસ્તાનને બદનામ કરવા માટે આ કરવામાં આવ્યું છે."

એમણે કહ્યું, "અમે આ ઘટનાની તમામ વિગતો અને સચ્ચાઈ દુનિયાની સામે લાવીશું."

આ દરમિયાન અફઘાનિસ્તાને પોતાના રાજદૂત અને અન્ય કર્મચારીઓને પાકિસ્તાનથી પરત બોલાવી લેવાનો નિર્ણય લીધો છે તેની પાકિસ્તાને નિંદા કરી છે.

અફઘાનિસ્તાને રાજૂદતનાં દીકરીના અપહરણની ઘટના બાદ આ નિર્ણય લીધો હતો.

રવિવારે શું થયું?

ઇસ્લામાબાદ પોલીસનું કહેવું હતું કે અજ્ઞાત હથિયારધારી હુમલાખોરોએ અફઘાન રાજદૂતનું અપહરણ કરવાની કોશિશ કરી અને એમાં તેઓ સફળ ન થયા. હુમલાખોરો રાજદૂતનાં દીકરી સાથે હિંસા કરીને ફરાર થઈ ગયા હતા.

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને આ ઘટનાની નોંધ લઈને વિવિધ વિભાગને તપાસનો આદેશ આપ્યો હતો.

ઇમરાન ખાને 48 કલાકમાં આ ઘટનાનો અહેવાલ રજૂ કરવા કહ્યું હતું.

અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઈએ આ મામલે ટ્વીટ કરી નિંદા કરી છે.

એમણે કહ્યું, "પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનના રાજદૂતનાં દીકરીનું અપહરણ કરવાની કોશિશ અને હિંસા ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે, હું પાકિસ્તાન સરકારને આની તપાસ કરી દોષીઓનો સજા કરવા અપીલ કરું છું."

પાકિસ્તાનસ્થિત અફઘાન રાજદૂત નજિબુલ્લાહ અલીખેલે ટ્વીટ કરીને કહ્યું, "ઇસ્લામાબાદથી શનિવારે મારી દીકરીનું અપહરણ કરવામાં આવ્યું અને તેને ખરાબ રીતે મારવામાં આવી. પણ અલ્લાહની મહેરબાનીથી તે ભાગવામાં સફળ રહી. હવે તે ઠીક છે. આ કૃત્ય અમાનવીય છે. આ ઘટના પર બેઉ દેશના સંબંધિત અધિકારીઓની નજર છે."

નજિબુલ્લાહે મધરાતે સોશિયલ મીડિયા પર એમની દીકરીની તસવીર પોસ્ટ કરી અને લખ્યું કે "મારે મારી દીકરીની તસવીર પોસ્ટ કરવા પર મજબૂર થયું પડ્યું છે, કારણ કે સોશિયલ મીડિયા પર અન્ય કોઈની તસવીર પોસ્ટ કરવામાં આવી રહી છે."

પાકિસ્તાનના ગૃહમંત્રી સૈયદ રશીદે કહ્યું કે આ ઘટનામાં સામેલ લોકોની જલદી ધરપકડ કરવા માટે પોલીસને કહેવામાં આવ્યું છે.

ઇમરાન ખાન તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકાર રાજદૂત અને એમના પરિવારના સંપર્કમાં છે.

કેવી રીતે બની ઘટના

પોલીસ અનુસાર અફઘાનિસ્તાનના રાજદૂત નજિબુલ્લાહ અલીખેલનાં દીકરી સિલસિલા બજારમાં ખરીદી કરવા ગયાં હતાં ત્યારે હથિયારધારી હુમલાખોરો એમનું અપહરણ કરીને અજ્ઞાત સ્થળે લઈ ગયાં.

પોલીસનું કહેવું છે કે રાજદૂતનાં દીકરી પોતાના ભાઈ માટે ગિફ્ટ લેવા બિલૌર વિસ્તારમાં ગયાં હતાં અને પાછા ફરતાં એમણે એક ટેક્સી રોકી હતી. તે ગાડીમાં બેસી રહ્યાં હતાં એ સમયે એક અજ્ઞાત વ્યક્તિ પણ ગાડીમાં બેસી ગઈ જેનો સિલસિલાએ વિરોધ કર્યો.

પોલીસ મુજબ એ અજ્ઞાત વ્યક્તિએ સિલસિલાનું મોં જબરદસ્તી બંધ કરી દીધું અને હિંસા દરમિયાન એ બેહોશ થઈ ગયાં.

પોલીસ અહેવાલ મુજબ જ્યારે સિલસિલા હોશમાં આવ્યાં ત્યારે તેઓ એક જંગલમાં હતાં. પછી એમને ખબર પડી કે આ સેક્ટર એફ-7નો એક વિસ્તાર છે.

પોલીસ અનુસાર એ પછી સિલસિલાએ એક ટેક્સી ભાડે કરી અને એફ-9 પાર્કમાં જઈ એક પરિચિતને ફોન કર્યો અને પછી ત્યાંથી એક સરકારી ગાડીમાં ઘરે પહોંચ્યાં.

અફઘાનિસ્તાને આ ઘટના પર આકરી પ્રતિક્રિયા આપી છે.

અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે, "પાકિસ્તાનસ્થિત રાજદૂતનાં દીકરીનું અપહરણ કરવામાં આવ્યું. તેઓ અનેક કલાકો સુધી બંધક રહ્યાં અને તેમની સાથે હિંસા આચરવામાં આવી. અપહરણકારોની પકડમાંથી છૂટ્યા બાદ તેઓ હાલ સારવાર હેઠળ છે."

વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાન સરકાર અફઘાનિસ્તાનના રાજદ્વારીઓ અને દૂતાવાસની સુરક્ષા માટે ત્વરિત પગલાં ભરે અને આરોપીઓની ઓળખ કરી ધરપકડ કરે.

અફઘાનિસ્તાને દૂતાવાસ અને કર્મચારીઓની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો