International Yoga Day : આ વર્ષની થીમ શું છે? કોરોના સમયમાં યોગ કેટલો ઉપયોગી?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

2015થી દર વર્ષે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, કોરોના મહામારીના કારણે સતત બીજા વર્ષે વર્ચ્યુઅલી યોગ દિવસની ઉજવણી થઈ રહી છે.

21 જૂનના રોજ સવારે સાડા આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધી આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું જીવંત પ્રસારણ સંયુક્ત રાષ્ટ્રના વેબ ટીવી પર જોઈ શકાશે.

દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અમુક થીમ નક્કી કરવામાં આવે છે. આવી જ રીતે આ વર્ષની થીમ છે, યોગા ફોર વેલ-બિઇંગ એટલે કે કુશળતા માટે યોગ.

કોરોના મહામારી અને યોગ

યોગ કરવાથી માત્ર વ્યક્તિની શારીરિક જ નહીં પરંતુ માનસિક ક્ષમતા પણ વધતી હોવાનું મનાય છે.

સંયુક્ત રાષ્ટ્રે કહ્યું છે, "કોરોના મહામારી દરમિયાન સ્વસ્થ રહેવા, એકલવાયા જીવનથી બચવા અને મુશ્કેલીઓ સામે લડવા વધુને વધુ લોકો યોગ અપનાવી રહ્યા છે અને આવું સમગ્ર વિશ્વમાં જોવા મળ્યું છે."

"કોરોના પૉઝિટિવ લોકોને સાજા કરવામાં યોગ મહત્ત્વની ભૂમિકા અદા કરી રહ્યું છે. યોગના કારણે તેમની અંદર ભય અને ચિંતામાં પણ ઘટાડો થયો છે."

આંતરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં સૌથી પહેલા 21 જૂનને વિશ્વ યોગદિન તરીકે ઊજવવાની દરખાસ્ત મૂકી હતી. પોતાના સંબોધનમાં વડા પ્રધાને યોગને ભારતની પ્રાચીન પરંપરાની અમૂલ્ય ભેટ ગણાવી હતી.

વડા પ્રધાનની દરખાસ્તનું 175 દેશોએ સમર્થન કર્યું હતું, સંયુક્ત રાષ્ટ્રમાં કોઈ દરખાસ્તને આટલા દેશોનું સમર્થન મળ્યું હોય એવી આ પ્રથમ ઘટના હતી.

આટલા મોટા પ્રમાણમાં સમર્થન મળતાં 11 ડિસેમ્બર 2014નો રોજ સંયુક્ત રાષ્ટ્રે જાહેરાત કરી હતી કે દર વર્ષે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઊજવવામાં આવશે.

ભારતમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી

21 જૂન 2015ના રોજ દિલ્હીના રાજપથ ખાતે પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, જુદા-જુદા દેશના રાજકીય પ્રતિનિધિઓ સહિત 36,000 લોકોએ 35 મિનિટ સુધી વિવિધ આસનો કર્યાં હતાં.

પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગદિવસની થીમ હતી 'સદ્ભાવ અને શાંતિ માટે યોગ'.

બીજા આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી 21 જૂન 2016ના રોજ ચંડીગઢ ખાતે કરવામાં આવી હતી.

વડા પ્રધાન સહિત 30,000 લોકો આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. 150 દિવ્યાંગોએ પણ ભાગ લીધો હતો. થીમ હતી 'યુવાઓને યોગ સાથે જોડવા'.

21 જૂન 2017માં લખનૌમાં 51,000 લોકો સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી કરી હતી. આ વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ હતી 'આરોગ્ય માટે યોગ'.

21 જૂન 2018ના રોજ દહેરાદુનમાં ચોથા આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વડા પ્રધાન સાથે 50,000 લોકોએ ભાગ લીધો હતો. આ યોગ દિવસની થીમ હતી 'શાંતિ માટે યોગ.'

પાંચમા આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી રાંચીમાં કરવામાં આવી હતી અને થીમ હતી 'પર્યાવરણ સાથે યોગ.'

જ્યારે કોરોના મહામારી દરમિયાન 21 જૂન, 2020માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી હતી, તેની થીમ હતી 'ઘરમાં યોગ, પરિવાર સાથે યોગ.'

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો