AAP : અરવિંદ કેજરીવાલ અને ઈસુદાન ગઢવીની પાર્ટી ગુજરાતમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહના ભાજપને ટક્કર આપી શકશે?

    • લેેખક, ઋષિ બેનરજી
    • પદ, બીબીસી ગુજરાતી

દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના ચીફ અરવિંદ કેજરીવાલ ફરી એક વાર ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન ઈસુદાન ગઢવી આમ આદમી પાટીમાં જોડાયા હતા.

ગુજરાતમાં ફેબ્રુઆરીમાં મહાનગપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકામાં 27 બેઠકો જીતીને મોટો ઊલટફેર કર્યો હતો, એ પછી ગુજરાતમાં ત્રીજા વિકલ્પની ચર્ચા શરૂ થઈ અને રાજકારણ ગરમાયું છે.

તાજેતરમાં થયેલી સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં બધાને એવી ધારણા હતી કે આપને સારી એવી બેઠકો મળશે, પરંતુ મહાનગર પાલિકામાં કૉંગ્રેસનો સફાયો થઈ જશે એવી કોઈને અપેક્ષા નહોતી.

ચૂંટણીનાં પરિણામો બાદ રાષ્ટ્રીય પ્રમુખ અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ફેબ્રુઆરીમાં ગુજરાતની મુલાકાત લીધી હતી.

એ વખતે સુરતમાં કેજરીવાલે કહ્યું હતું, "જ્યારથી પરિણામ આવ્યાં છે, ત્યારથી હું ભાજપ અને કૉંગ્રેસના નેતાઓનાં નિવેદનો સાંભળી રહ્યો છું. તેઓ હેબતાઈ ગયા છે અને થોડા ગભરાઈ ગયા છે."

"તેઓ તમારાથી અથવા આમ આદમી પાર્ટીથી ગભરાયા નથી પણ એ 16 લાખ લોકોથી ગભરાઈ ગયા છે, જેમને આપને મત આપ્યો છે."

"આજે ગુજરાતમાં નહીં પરતું સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે કે સુરતમાં શું થઈ ગયું. જો 27 લોકોએ સારું કામ કરશે તો ડિસેમ્બર 2022માં ગજબની ક્રાંતિ આવવાની છે."

સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટી મિશન 2022 હેઠળ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવવાની તૈયારી કરી રહી છે.

ગુજરાતમાં આપની લોકપ્રિયતા વધી રહી છે?

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં સારા દેખાવ બાદ આમ આદમી પાર્ટી રાજ્યમાં ત્રીજો વિકલ્પ બની શકે કે કેમ તે વિશે ચર્ચા છેડાઈ છે.

ચૂંટણી બાદ આપ પોતાના સંગઠનને મજબૂત કરવા તરફ ધ્યાન આપી રહી છે. ઘણા લોકો પક્ષમાં જોડાઈ રહ્યા છે. બીજા પક્ષના કાર્યકર્તાઓ પણ આપમાં જોડાઈ રહ્યા છે.

તાજેતરમાં સુરતમાં ભાજપના અનેક કાર્યકરોએ પાર્ટી છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જોકે, ભાજપ અને કૉંગ્રેસના કાર્યકર્તાઓ આપમાં સામેલ થઈ રહ્યા હોય એવી આ પ્રથમ ઘટના નથી.

આપના ગુજરાત પ્રમુખ ગોપાલ ઈટાલિયા હાલ સમગ્ર રાજ્યમાં પક્ષનો પાયો મજબૂત કરવાના પ્રયાસ કરી રહ્યા છે. આ માટે ઈટાલિયા અને આપના નેતાઓ દરેક તાલુકામાં કાર્યકર્તાઓની ટીમ તૈયાર કરી રહ્યા છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં સ્થાનિક પત્રકાર નરેશ વરિયા કહે છે, "કૉંગ્રેસનું સંગઠન નબળું પડી ગયું છે જ્યારે ભાજપના ઘણા કાર્યકર્તા એવા છે જેમને લાગે છે કે પક્ષમાં તેમની ઉપેક્ષા થઈ રહી છે અને તેઓ આપમાં જોડાઈ રહ્યા છે. "

"બીજું કારણ છે કે જે ભાજપના કાર્યકર્તાઓ પક્ષથી નારાજ છે અને કૉંગ્રેસમાં જવા માગતા નથી તે આપમાં જોડાઈ રહ્યા છે. ત્રીજું કારણ સ્થાનિક રાજકરણ છે."

"સુરતમાં સૌથી વધુ ભાજપના કાર્યકર્તાઓ આપમાં સામેલ થયા છે અને તે પણ એક ચોક્કસ વિસ્તારમાં. આ મોટાભાગે પાટીદાર વિસ્તાર છે, જ્યાં લોકો ભાજપથી નારાજ છે."

તેઓ વધુમાં જણાવે છે જે કાર્યકર્તાઓ આપમાં જોડાઈ રહ્યાં છે તે કેટલા મદદરૂપ પુરવાર થશે એ તો વિધાનસભા ચૂંટણીપરિણામ બાદ જ ખબર પડશે.

સરદાર પટેલ યુનિવર્સિટીમાં પૉલિટિકલ સાયન્સના વિભાગના વડા ડૉ. બલદેવ આગજા કહે છે, "ગુજરાતમાં લોકોની પક્ષ પાસે બહુ અપેક્ષા હોય અને નવા પક્ષો તેમની અપેક્ષા પ્રમાણે કામ કરી શકતા નથી. આ પક્ષો લોકો સાથે જોડાઈ શકતા નથી અને તેઓ અસફળ થઈ જાય છે. "

"આમ આદમી પાર્ટી કૉંગ્રેસના વિકલ્પ તરીકે ભલે આવી હોય પરતું ચૂંટણીમાં તે કૉંગ્રેસના મતનું જ વિભાજન કરશે. ભાજપના મત લઈ જવામાં તે સફળ થાય તેની શક્યતા બહુ ઓછી છે."

વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા કહે છે, "કૉંગ્રેસ અથવા ભાજપના કેટલાક કાર્યકર્તાઓ આપમાં સામેલ થયા છે પરતું તેનાથી આપ મજબૂત થઈ ગઈ છે એવું માની લેવું વહેલું ગણાશે. "

"આવા એકલ-દોકલ કિસ્સાઓ સામે આવ્યા છે અને સમગ્ર રાજ્યમાં આવું નથી થઈ રહ્યું. બંને પક્ષો હજુ પણ ગુજરાતમાં સારો જનાધાર ધરાવે છે. આપને શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પોતાનો જનાધાર ઊભો કરવો પડશે. તે માટેનું આયોજન કરવું પડશે."

આપ ભાજપને ટક્કર આપી શકે છે?

2022ની વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી મહેનત કરી રહી છે પરતું રાજકીય વિશ્લેષકોના મતે પક્ષ પાસે સમય ઓછો છે અને સંગઠન પણ જોઈએ એટલું મજબૂત નથી.

કૌશિક મહેતા કહે છે, "સુરતમાં આપને સારી સફળતા મળી છે પરતું તેની કોઈ ખાતરી નથી કે વિધાનસભાની ચૂંટણીમાં પણ આવી સફળતા મળશે."

"વિધાનસભાની ચૂંટણી માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ જે માળખું જોઈએ તે આપ પાસે નથી. માત્ર ગોપાલ ઈટાલિયાના ભરોસે ચૂંટણી નહીં જીતી શકાય."

"જેમ ભાજપ પાસે મતદારોને આકર્ષવા માટે મુખ્ય મંત્રી તરીકે વિજય રૂપાણી છે, તેવી રીતે આપને પણ કોઈ ચહેરો જાહેર કરવો પડશે."

"ભાજપ શહેરી વિસ્તારોમાં સારી પકડ ધરાવે છે જ્યારે કૉંગ્રેસ ગ્રામ્ય વિસ્તારોમાં મજબૂત છે. આમ આદમી પાર્ટીના ગુજરાતમાં હજુ સુધી કમિટેડ મતદારો નથી."

"જો આપ યોગ્ય મુદ્દાઓ ઉપાડે તો ભાજપ માટે મુશ્કેલી સર્જી શકે છે. કોરોના રોગચાળો, ખેડૂતની સમસ્યા, બેરોજગારી જેવા મુદ્દાઓ છે જેમાં રાજ્ય સરકાર સારી રીતે કામગીરી કરી શકી નથી."

નરેશ વરિયા પણ કૌશિક મહેતાની વાત સાથે સંમત છે.

તેઓ કહે છે, "ભાજપ પાસે સશક્ત સંગઠન છે અને હજારોની સંખ્યામાં સમર્પિત કાર્યકર્તાઓ અને નેતાઓ છે. ચૂંટણી લડવા માટે નાણાથી લઈને તમામ સંસાધનો છે."

"સૌથી મોટી વાત છે કે પક્ષ પાસે ચહેરો છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેવા મોટા ગજાના નેતા છે, જે મતદારો પર સારો પ્રભાવ પાડી શકે છે."

"પક્ષ પાસે અરવિંદ કેજરીવાલ જેવા નેતા છે પરતું ગુજરાતના મતદારોને તેઓ કેટલા પ્રભાવિત કરી શકે તે એક મોટો પ્રશ્ન છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર કરશે ત્યારે ગુજરાતીઓ તેમને અચૂક સાંભળશે."

તેઓ કહે છે કે જો આમ આદમી પાર્ટીને ગુજરાતમાં પાયો મજબૂત કરવો હોય તો રાજ્યમાં લોકઆંદોલન ચલાવવાં પડશે, જેથી જનમાનસમાં લોકપ્રિય બની શકાય. આપના નેતાઓએ દરેક તાલુકામાં જઈને પ્રચાર કરવો પડશે અને પોતાની વાત મૂકવી પડશે. પરતું હવે તે માટે વધારે સમય નથી કેમ કે સવા વર્ષ બાદ ચૂંટણી છે.

ગુજરાતમાં ત્રીજો વિકલ્પ બની શકે?

ગુજરાતમાં સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીનીમાં આમ આદમી પાર્ટીની ભૂમિકા અંગે રાજકીય વિશ્લેષક હરિ દેસાઈએ સાથે બીબીસી સાથે વાત કરી હતી.

તે વખતે હરિ દેસાઈએ જણાવ્યું હતું કે લોકોને આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પાસે અપેક્ષા છે.

તેમણે કહ્યું હતું, "માત્ર કેન્દ્ર સરકારની ટીકા કરવાથી કે કેન્દ્ર સરકાર કામ કરવા દેતી નથી એવી વાતો કરીને શાસન ન ચલાવી શકાય. "

"જોકે આ ભૂમિકા હવે કેજરીવાલને સમજાઈ ગઈ છે. ભૂતકાળમાં કેન્દ્રમાં ભાજપની સરકાર હતી અને દિલ્હીમાં કૉંગ્રેસની સરકાર હતી, ત્યારે પણ કામ થતાં હતાં, એટલે એક સંવાદનું વાતાવરણ હોવું જોઈએ.

હરિ દેસાઈએ કહ્યું હતું કે, "દિલ્હીમાં કેજરીવાલે શિક્ષણ અને આરોગ્યમાં ઘણાં સારાં કામો કર્યાં છે. ત્યારે આપણે ઇચ્છીએ કે નવી પેઢીને, નવા સંજોગોને અનુરૂપ રાજકારણ કરીને સારું શાસન આપે, એના માટે સજ્જ થાય."

રાજકીય વિશ્લેષકો માને છે કે ગુજરાતનો રાજકીય ઇતિહાસ જોવામાં આવે તો ત્રીજા પક્ષ માટે બહુ સ્થાન નથી. ભૂતકાળમાં ઘણા રાજકીય પક્ષો અસ્તિત્વમાં આવ્યા પરતું મતદારોએ જોઈએ એટલો પ્રતિભાવ આપ્યો નથી.

કૌશિક મહેતા કહે છે, "ગુજરાતનો ઇતિહાસ એવો છે કે કૉંગ્રેસ અને ભાજપ સિવાય ત્રીજા પક્ષને ક્યારેય સ્વીકાર કર્યા નથી. કિમલોક પક્ષથી લઈને કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી) તેની સાબિતી છે. સુરતમાં જે જીત મળી છે તે આમ આદમી પાર્ટી માટે લૉંચ પૅડ સાબિત થઈ છે, પરતું ત્રીજા વિકલ્પ બનવા માટે પક્ષને લાંબી મંજિલ કાપવી પડશે."

"વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી જેવા પક્ષો ત્રણથી ચાર ટકા મત મળે છે. હવે આપ કેટલા ટકા મત મેળવવામાં સફળ થાય તે જોવું રહ્યું."

નિષ્ણાંતો મુજબ વિધાનસભાની ચૂંટણી જીતવા માટે 30થી 40 ટકા મત મેળવવો પડે છે. હાલમાં આમ આદમી પાર્ટીનું જે સંગઠન છે તેમાં આટલા મત મેળવવા કઠીન છે.

નરેશ વરિયા અનુસાર ત્રીજો વિકલ્પ બનવા માટે આપને ગુજરાતમાંથી કોઈ ચેહરો લોકો સમક્ષ રજૂ કરવો પડશે. એ ચહેરો એવો હોવો જોઈએ જે ગુજરાતના લોકોને સ્વીકાર્ય હોય.

પક્ષમાં સંગઠનની સમસ્યા છે. માઇક્રો લેવલમાં પ્રચાર કરી શકે તેવા સશક્ત નેતાઓ હાલ નથી. આ બધી બાબતોનો ઉકેલ જો વહેલી તકે લાવવામાં આવે તો 2022 વિધાનસભાની ચૂંટણીમાં ફાયદો થઈ શકે છે.

સોફ્ટ હિંદુત્વ કે સેક્યુલારિઝમ?

દરેક રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં જ્ઞાતિનું ફૅક્ટર પણ કામ કરતું હોય છે અને ગુજરાત પણ તેમાં બાકાત નથી.

એક સમય ગુજરાતમાં ખામ (ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ) થિયરીનો કૉંગ્રેસ દ્વારા સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો હતો.

જોકે, ભાજપ જ્યારથી સત્તામાં આવ્યો છે ત્યારથી ગુજરાતના રાજકરણમાં હિન્દુત્વ વધારે મહત્ત્વનું બની ગયું છે.

ડૉ. બલદેવ આગજા કહે છે, "ગુજરાતમાં અત્યારે જ્ઞાતિ કરતાં ધર્મનો પ્રભાવ વિશેષ છે. 2002 પછી હિન્દુત્વવાદી મત મહત્ત્વના બની ગયા છે અને ભાજપ હિન્દુત્વના એજન્ડા પર સારી પકડ ધરાવે છે."

"હવે આમ આદમી પાર્ટી સેક્યુલર પક્ષની છાપ બનાવે છે અથવા સોફ્ટ હિન્દુત્વ તરફ જાય તે જોવાનું રહે છે. આપ જો સોફ્ટ હિન્દુત્વ પર કામ કરે તો તેને મતનો ફાયદો થઈ શકે છે."

તેઓ વધુમાં જણાવે છે કે આપ પાર્ટી હાલ પાટીદારો પર વધુ આધાર રાખી રહી છે પરતું પાટીદાર સમાજ સામાન્યતઃ ભાજપને સમર્થન કરે છે. ભાજપ પાસે પણ બ્રાહ્મણ અને પાટીદાર થિયરી છે.

વરિષ્ઠ પત્રકાર રમેશ ઓઝાએ બીબીસીને જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલની કામ કરવાની શૈલી પણ ભેદી અને રહસ્યમય છે.

તેઓ કહે છે, "આમ આદમી પાર્ટીનું વલણ જેટલું સ્પષ્ટ હોવું જોઈએ એટલું નથી. એ કેટલી સેક્યુલર છે, કેટલી રાષ્ટ્રવાદીના નામે હિન્દુત્વવાદી છે એ ભૂમિકા બહુ સ્પષ્ટ નથી. અને જાણીબુઝીને સંદિગ્ધ ભૂમિકા રાખે છે."

રમેશ ઓઝાના મતે, "જે રાષ્ટ્રીય પક્ષની જગ્યા છે એ કૉંગ્રેસ ગુમાવી રહી છે અને આમ આદમી પાર્ટી એ મેળવી શકે, પણ સેક્યુલર ડેમૉક્રેકિટ વેલ્યુ, સેક્યુલારિઝમ માટેની દૃઢ નિષ્ઠા આમ આદમી પાર્ટી વ્યક્ત કરતી નથી. એના કારણે શંકા જાય છે કે આ ભાજપ કે આરએસએસની 'બી-ટીમ' છે કે શું?"

અમે લોકો સારી વિચારધારા સાથે આવ્યા છીએ : આપ

આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રવક્તા ડૉ. ઇશાન ત્રિવેદીએ બીબીસીને જણાવ્યું કે હાલમાં ભાજપ અને કૉંગ્રેસ સિક્કાની બે બાજુ છે અને આમ આદમી પાર્ટી એક વિકલ્પ તરીકે ઊભરી રહી છે.

"કૉંગ્રેસ લોકોના પ્રશ્નો સારી રીતે ઉઠાવતા નથી. જો ભાજપ અને કૉંગ્રેસ સારી કામગીરી કરી રહ્યાં હોત તો લોકો એક વિકલ્પની માગણી ના કરતા હોત. પરતું ગુજરાતના લોકો એક વિકલ્પ માગી રહ્યા છે અને આમ આદમી પાર્ટી એ વિકલ્પ બનાવાનો પ્રયાસ કરે છે. અમને લોકો તરફથી સારો સહયોગ મળી રહ્યો છે."

આપનું સંગઠન ભાજપ અથવા કૉંગ્રેસ જેટલું મજબૂત નથી તેના જવાબમાં ડૉ. ત્રિવેદી કહે છે, "આપ એક કેડર બૅઝ્ડ પાર્ટી છે અને ધીમે-ધીમે પક્ષનું સંગઠન મજબૂત બની રહ્યું છે. જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે અમારા સંગઠન બની રહી છે."

તેઓ જણાવે છે કે વિધાનસભાની ચૂંટણીમાં કોઈ સમાજના નેતા અથવા વિચારક અથવા સારૂં વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ પણ પક્ષનો ચહેરો હોઈ શકે છે.

આપ ગુજરાતમાં સોફ્ટ હિન્દુત્વ અપનાવશે અથવા એક સેક્યુલર પક્ષ તરીકે ચૂંટણીમાં ઝપલાવશે?

તેના જવાબમાં ડૉ. ત્રિવેદી કહે છે, "પક્ષમાં દરેક ધર્મ અને સમાજના લોકો સામેલ છે. અમારી વિચારધારા છે કે દરેક ધર્મની અને દરેક વર્ગની વ્યક્તિને સાથે લઈને ચાલવું અને આ વિચારધારા સાથે અમે ચૂંટણી લડીશું."

ગુજરાતમાં કાયમ બે રાજકીય પક્ષો રહ્યા છેઃ કૉંગ્રેસ

ગુજરાત પ્રદેશન કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ બીબીસીને જણાવ્યું કે ગુજરાતની તાસીર રહી છે કે અહીં કાયમ બે રાજકીય પક્ષો રહ્યા છે. સમયંતરે વિવિધ પક્ષો ગુજરાતમાં આવ્યા અને ચૂંટણી લડ્યા પરતું પ્રભાવ પાડી શક્યા નથી.

"લોકશાહીમાં દરેક પક્ષને ચૂંટણી લડવાની સત્તા છે પરતું જે પક્ષ લોકોના પ્રશ્નો સારી રીતે ઉઠાવશે તે મતદારો ચૂંટશે."

"કૉંગ્રેસ સતત ગુજરાતના લોકોની સાથે રહી છે અને કોઈ પણ ચૂંટણી હોય પક્ષને 35 ટકા જેટલા મત મળ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી છે અને ચૂંટણી લડવાની છે તેનાથી કૉંગ્રેસને કોઈ નુકસાન થવાનું નથી. "

શું આપ કૉંગ્રેસના વોટમાં ગાબડું પાડી શકે કે કેમ? તેના જવાબ મનીષ દોશી કહે છે કે ગુજરાતના લોકોને કૉંગ્રેસ પર ભરોસો છે અને તેઓ ક્યારે પણ પક્ષનો સાથ નહીં છોડે.

ભાજપને કોઈ ફેર પડવાનો નથી : ભાજપ

ભાજપના ગુજરાત પ્રદેશ રાજકીય પ્રતિસાદ વિભાગના ધનસુખ ભંડેરીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવશે તેનાથી ભાજપને કોઈ નુકસાન થવાનું નથી. આપના ઉમેદવાર કૉંગ્રેસના મતમાં ગાબડું પાડશે.

તેઓ કહે છે, "ગુજરાતના લોકો જાણે છે કે ભાજપ રાજ્યનો કેટલો વિકાસ કર્યો છે. છેલ્લી છ ટર્મથી લોકો ભાજપને ચૂંટીને વિધાનસભામાં મોકલી રહ્યા છે જે પુરવાર કરે છે કે ગુજરાતની પ્રજાને ભાજપમાં વિશ્વાસ છે."

"આપ ભલે ચૂંટણી લડે પરતું ભાજપ ફરીથી સત્તા પર આવશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો