You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદી અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે મિટિંગ : ચર્યાયા મરાઠા અનામત સહિતના મહત્ત્વના નવ મુદ્દા
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મિટિંગ થઈ હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દિલ્હી ખાતેના નિવાસસ્થાને મળેલી આ મિટિંગમાં મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેની સાથે નાયબ મુખ્ય મંત્રી અજિત પવાર અને પબ્લિક વર્ક્સ મંત્રી અશોક ચવાણ પણ જોડાયા હતા.
મરાઠા અનામત, પછાત વર્ગોને અનામત અને મરાઠી ભાષાને ઉચ્ચસ્તરની ભાષા જાહેર કરવા સહિતના નવ મુદ્દા પર દોઢ કલાક સુધી મિટિંગ ચાલી હતી.
મિટિંગ પછી અશોક ચવાણે કહ્યું હતું કે અમને તમામને આ મિટિંગથી સંતોષ થયો છે.
ક્યાં નવ મુદ્દાઓને લઈને થઈ મિટિંગ?
- મરાઠા અનામત – નરેન્દ્ર મોદી અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે મળેલી મિટિંગમાં મરાઠા અનામતના મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી. મરાઠા અનામતના મુદ્દે વાત કરતાં અશોક ચવાણે કહ્યું, "અમે કહ્યું કે સુપ્રીમ કોર્ટની અંદર એવી દલીલ કરવામાં આવે કે 50 ટકા અનામતના ક્વૉટામાં છૂટછાટ આપવામાં આવે."
- ઓબીસીને રાજકીય અનામત – મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસીને મળેલી અનામત પૂર્ણ થવા આવી છે. નાયબ મુખ્ય મંત્રી અજિત પવારે કહ્યું કે આની પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ચર્ચા કરવામાં આવી. અજિત પવારે કહ્યું, “ઓબીસીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલી રાજકીય અનામત નીકળી ગઈ છે. અમે વડા પ્રધાનને વિનંતી કરી છે કે શિડ્યૂઅલ કાસ્ટ, શિડ્યૂઅલ ટ્રાઇબ અને ઓબીસીને 50 ટકા અનામતમાં છૂટછાટ આપવામાં આવે.”
- કાંજુર મેટ્રો કાર શૅડ – મુંબઈ મેટ્રો કાર શૅડનો મુદ્દો મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા ઉપાડવામાં આવ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ કાંજુરમાર્ગ ખાતે મેટ્રો માટે શેડ બનાવવા જમીન આપવા વિનંતી કરી હતી.
- જીએસટીનો વિવાદ - મહારાષ્ટ્રને તાત્કાલિક ધોરણે જીએસટીનું રિફન્ડ આપવામાં આવે તેની માગ મુખ્ય મંત્રીએ કરી હતી.
- નાણા પંચનું ફંડ – ભારત સરકારના 14મા નાણા પંચ દ્વારા ફંડ આપવાને લઈને કોઈ વાત કરવામાં આવી નથી. અજિત પવારે કહ્યું કે અમે વડા પ્રધાનને ફંડ આપવા માટે રજૂઆત કરી છે.
- વાવાઝોડું અને રિલિફ ફંડ – છેલ્લાં કેટલાંક વર્ષોથી મહારાષ્ટ્રને વાવાઝોડાના કારણે ઘણું નુકસાન થાય છે. મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, “કેન્દ્ર સરકાર દ્વારા વાવાઝોડાના પીડિતોને જે સહાય આપવામાં આવે છે તે વ્યવસ્થા જૂની થઈ છે અમે વડા પ્રધાનને કહ્યું કે તેમાં પરિવર્તન કરવામાં આવે.”
- મરાઠી ભાષાને ઉચ્ચ દરજ્જા ભાષા જાહેર કરો – મરાઠી ભાષાને ઉચ્ચ દરજ્જાની ભાષા જાહેર કરવા માટે છેલ્લાં કેટલાંય વર્ષોથી માગ થઈ રહી છે. આ માગને મુખ્ય મંત્રી દ્વારા વડા પ્રધાન સમક્ષ મુકવામાં આવી હતી.
- વિધાન પરિષદના સભ્યોનો મુદ્દો – વિધાન પરિષદના 12 સભ્યોની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવતી હોય છે. રાજ્યપાલે હજુ સુધી આને મંજૂરી આપી નથી.
- પાક વીમો – ખેડૂતોને પાકવીમો આપવાની પદ્ધતિને સરળ કરવામાં આવે
નોંધનીય છે કે આ ઉપરાંત પણ અન્ય કેટલાક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. હવે જોવાનું એ રહે છે કે આ તમામ મુદ્દે હકારાત્મક ચર્ચા બાદ આ મુદ્દાઓના યોગ્ય નિરાકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા શું પ્રયાસો કરવામાં આવશે?
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો