કોરોના વૅક્સિનનો બીજો ડોઝ સમયસર ન મળે તો કોઈ આડઅસર થાય?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઋષિ બેનરજી
- પદ, બીબીસી ગુજરાતી
ભારતમાં કોરોના રસીકરણ ચાલી રહ્યું છે, જેમાં 18 વર્ષથી મોટી વયના લોકોની રસી આપવામાં આવી રહી છે. હાલમાં ભારતમાં કોવૅક્સિન, કોવિશિલ્ડ, સ્પુતનિક વી અને મૉડર્નાની રસી ઉપલબ્ધ છે.
આ દરમિયાન કોરોનાની રસીની અછતની વાત પણ ઊઠી હતી. જે દરમિયાન કેટલાક લોકો એવા હતા, જેમને પ્રથમ ડોઝ મળી ગયા બાદ બીજો ડોઝ મેળવવામાં હાલાકી થઈ હતી.
લોકો ટ્વિટર અને બીજા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મનો ઉપયોગ કરીને જણાવી રહ્યા છે કે તેમને વૅક્સિનનો બીજો ડોઝ લેવામાં મુશ્કેલી થઈ રહી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
અનેક રાજ્યોએ પણ વૅક્સિનનો પૂરતો સ્ટૉક નહીં હોવાની જાહેરાત કરી છે.
ભારતમાં હાલ કોવિશિલ્ડ અને કોવૅક્સિન રસી મૂકવામાં આવી રહી છે. જો કોવિશિલ્ડનો જો પ્રથમ ડોઝ લીધો હોય તો તેનો બીજો ડોઝ 6-8 અઠવાડિયાની અંદર લેવાનો હોય છે.
કોવૅક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ 4 અઠવાડિયાની અંદર લેવાનો હોય છે. પરતું ભારતના ઘણા રાજ્યો કોરોના વૅક્સિનની અછતનો સામનો કરી રહ્યા છે.
મંગળવાર આપનાં ધારાસભ્ય આતિષીએ જણાવ્યું કે 18-44 વયજૂથનાં લોકો માટે કોવૅક્સિનનો સ્ટોક પૂર્ણ થઈ જતાં દિલ્હીના 125 રસીકરણ કેન્દ્રોને મંગળવાર સાંજથી બંધ કરવા પડશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
મંગળવારે જ મહારાષ્ટ્રના આરોગ્યમંત્રી રાજેશ ટોપે જણાવ્યું કે વૅક્સિનની અછત હોવાના કારણે સરકાર 18-44 વયજૂથનાં લોકોનું રસીકરણ હાલ પૂરતું બંધ કરવાનો વિચાર કરી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે જણાવ્યું કે રાજ્યમાં 2.75 લાખ ડોઝનો સ્ટૉક છે જેનો ઉપયોગ 45 વર્ષથી ઉપરની વ્યક્તિઓના રસીકરણ માટે કરવામાં આવશે.

જો બીજો ડોઝ સમયસર ન મળે તો કોઈ આડઅસર થાય?

ઇમેજ સ્રોત, Reuters
જે લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે પરતું બીજો ડોઝ નિયત સમયમાં નથી લઈ શકાયો તો શું તેમને કોઈ આડઅસર થઈ શકે છે?
તેના જવાબમાં ઇન્ડિન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ ગાંધીનગરમાં અસોસિએટ પ્રોફેસર ડૉ. અનીશ સિન્હા બીબીસીને જણાવ્યું, "વૅક્સિનનો બીજો ડોઝ નક્કી કરેલ સમયની અંદર લઈ લેવો જોઈએ પરતું જે કોઈ કારણોસર તે શક્ય નહીં બને તો શરીરમાં કોઈ આડઅસર થતી નથી. હા, વ્યક્તિને કોરોના વાઇરસનો ચેપ લાગી શકે છે."
"જો બીજો ડોઝ નહીં મળે તો વ્યક્તિ કોરોના વાઇરસથી સંપૂર્ણ રીતે સુરક્ષિત થઈ શકતી નથી, જેના કારણે તે સંક્રમિત થઈ શકે છે. આ વ્યક્તિ પરિવારના બીજા સભ્યોને પણ સંક્રમિત કરી શકે છે. "
"જો આવા લોકોની સંખ્યા વધી જશે તો કોરોના વાઇરસની ચેઇન તોડવામાં સફળ નહીં થઈ શકાય."
તેઓ વધુમાં કહે છે, "નક્કી કરેલ સમયમર્યાદા વીતી ગયા બાદ પણ જો વ્યક્તિને વૅક્સિન મૂકવામાં આવે તો તે કોરોના વાઇરસથી સુરક્ષિત થઈ જશે."
"કોરોના વાઇરસ સામે લડવા માટે તેના શરીરમાં જરુરી ઍન્ટી બોડી ડેવલપ થઈ જશે."
"સરકારની ફરજ છે કે જ લોકોએ પ્રથમ ડોઝ લીધો છે તેમને નિયત સમયમાં બીજો ડોઝ આપવામાં આવે."
"કારણકે તેનાથી કોરોના વાઇરસની ચેઇન તૂટશે. જો આમ કરવામાં આવશે તો વધુને વધુ લોકો કોરોના વાઇરસથી સુરક્ષિત થઈ જશે અને બીમારીનો ફેલાવો અટકાવી શકાશે."

બૂસ્ટર ડોઝ કેમ જરૂરી?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ઇન્ડિયન કાઉન્સિલ ફૉર મેડિકલ રિસર્ચના પૂર્વ વડા ડૉ. જેકબ જોનને ટાંકતાં ધ ન્યૂઝ મિનિટ લખે છે કે જો તમે બીજો ડોઝ નહીં લો તો તમને કોરોના વાઇરસનો ચેપ લાગી શકે છે અને તે પણ ગંભીર પ્રકારનો ચેપ લાગી શકે છે. જો માત્ર પ્રથમ ડોઝ લીધો હોય તો અડધી ઇમ્યુનિટી મળશે જે સમય સાથે ખતમ થઈ જશે. જો તમને બુસ્ટર ડૉઝ નહીં મળે તો તમને કોરોના થઈ શકે છે.
તેઓ કહે છે કે પ્રથમ ડોઝથી જે પ્રાઇમિંગ થાય છે તે શરીરની ઇમ્યુનોલોજીકલ મેમરીમાં એક વર્ષ સુધી રહે છે. એટલે જો તમે એક વર્ષની અંદર બુસ્ટર ડોઝ લઈ લો તો તમે કોરોના વાઇરસથી સુરક્ષિત થઈ શકો છો. પરતું જો એક વર્ષ સુધી બીજો ડોઝ ન લીધો હોય તો ફરીથી પ્રથમ ડોઝ લેવો હિતાવહ છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના નિદેશક ડૉ. દિલીપ માવળંકરના કહે છે કે, "વૅક્સિનની જે 70 ટકા અથવા 90 ટકા અસરકારતા છે તે ત્યારે જ છે જ્યારે તમે બંને ડોઝ લીધા હોય."
"જો માત્ર પ્રથમ ડોઝ લીધો તો ઇમ્યુનિટી એટલી મજબૂત થતી નથી."
"પ્રથમ ડોઝ લીધા બાદ જો કોરોના વાઇરસ થઈ જાય તો એક મહિના બાદ બીજો ડોઝ લેવો જોઈએ."
"ઘણા લોકો માને છે કે જો પ્રથમ ડોઝ લીધા બાદ કોરોના વાઇરસ થાય તો બુસ્ટર ડોઝ લેવાની જરૂર નથી કારણકે કોરોના પોતે બુસ્ટર ડોઝ તરીકે કામ કરે છે."
"જો કોવિશિલ્ડ હોય તો બીજો ડોઝ ત્રણ મહિના સુધી લો તો કઈ વાંધો નહીં આવે."
"ઇંગ્લૅન્ડમાં જે સંશોધન થયું છે તેમાં બહાર આવ્યું છે કે કોવિશિલ્ડના પ્રથમ અને બીજો ડોઝમાં ત્રણ મહિનાનો સમયગાળો હોય તો સારા પરિણામ મળે છે. કોવૅક્સિન માટે એવો કોઈ ડેટા હાજર નથી."

જો પ્રથમ ડોઝ લીધા બાદ કોરોના પૉઝિટિવ આવે તો શું કરવું?

ઇમેજ સ્રોત, ANI
અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના પૂર્વ પ્રમુખ મોના દેસાઈ કહે છે, "પ્રથમ ડોઝ લીધા બાદ જો વ્યક્તિ કોરોના પૉઝિટિવ થઈ જાય તો દોઢ મહિના બાદ બીજો ડોઝ લેવો જોઈએ. આમ કરવાથી શરીરમાં ઍૅન્ટી બોડી બને છે અને ઇમ્યુનિટી મજબૂત બને છે."
તેઓ જણાવે છે કે પ્રથમ ડોઝ લેવાના 8 અઠવાડિયાની અંદર બીજો ડોઝ લઈ લેવો જોઈએ.
તેનાથી મોડું થાય તો ડોઝની બુસ્ટર ઇફેક્ટ નહીં આવે. જો તમે પ્રથમ ડોઝ લીધા બાદ સ્વસ્થ છો તો પ્રયત્ન કરો કે આઠ અઠવાડિયાની અંદર બીજો ડોઝ લઈ લો.
અનીશ સિન્હા પણ સ્વીકારે છે કે પ્રથમ ડોઝ લીધા બાદ જો કોરોના થયો હોય તો 4-8 અઠવાડિયા સુધી તમે બીજો ડોઝ નહીં લઈ શકો. પરતું સાજા થયા બાદ પણ જો તમે બીજો ડોઝ નહીં લો તો કોરોના સામે જે રક્ષણ મળવું જોઈએ તે નહીં મળે.
તમને ભવિષ્યમાં કોરોના સંક્રમણ થવાનું જોખમ છે. જો તમે બીજો ડોઝ લઈ લો તો તમને કોરોનાનો ચેપ લાગવાની શક્યતા ઘટી જાય છે.

પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે ગેપ કેમ રાખવામાં આવે છે?

ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN/Getty
અનીશ સિન્હા કહે છે, "પ્રથમ ડોઝને પ્રાઇમરી ડોઝ કહેવામાં આવે છે. તે ઇમ્યુન સિસ્ટમને પ્રાઈમિંગ કરે છે અને તેનાથી શરીરમાં મેમરી સેલ અને ઍૅન્ટી બોડી બને છે."
"બીજા ડોઝને બુસ્ટર ડોઝ કહેવામાં આવે છે. તે ઇમ્યુનિટી લેવલને બુસ્ટ કરે છે અને તેને મજબૂત બનાવે છે."
"બે ડોઝ વચ્ચે કેટલા દિવસનો ગેપ રાખવો તે ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન નક્કી કરવામાં આવે છે."
"સંશોધનમાં એ જોવામાં આવે છે કે કેટલા દિવસનો ગેપ રાખવાથી સૌથી સારું પરિણામ મળે છે અને શરીરમાં ઍન્ટી ડેવલપ થાય છે."
"એટલા માટે જ્યાં સુધી બીજો ડોઝ ન લેવામાં આવે ત્યાં સુધી વ્યક્તિની કોરોના વાઇરસથી સંક્રમિત થવાની પૂરેપૂરી શક્યતા છે. બીજો ડોઝ લીધા વગર વ્યક્તિ સુરક્ષિત નહીં બને."



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












