કોરોના વાઇરસ : ભારતમાં એક દિવસમાં કોરોના કેસ પહેલી વાર એક લાખને પાર - TOP NEWS

ભારતમાં દિવસે દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અને છેલ્લા એક દિવસમાં કેસમાં ઉછાળો આવ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ગત 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 1,03,558 કેસ નોંધાયા છે.

કોરોના મહામારીના આંકડાઓમાં હાલના મહિનામાં કમી આવ્યા બાદ આ અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો છે.

મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશના કોરોનાને કારણે 478 મોત થયાં છે.

આ સાથે જ દેશમાં કુલ સંક્રમિતોનો આંકડો હવે 1,25,89,067 થઈ ગયો છે.

તો કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા હવે 1,65,101 થઈ ગઈ છે.

બંગાળમાં એનઆરસીની નહીં, સીએએ લાગુ કરાશે- ભાજપના નેતા કૈલાસ વિજયવર્ગીય

ભાજપના પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય પર્યવેક્ષક કૈલાસ વિજયવર્ગીયે કહ્યું કે રાજ્યમાં ભાજપની રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી) લાગુ કરવાની કોઈ યોજના નથી.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, વિજયવર્ગીયે કહ્યું કે તેમની પાર્ટી રાજ્યમાં નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) જરૂર લાગુ કરશે અને પડોશી દેશોમાંથી ભાગીને આવેલા શરણાર્થીઓને નાગરિકતા આપશે.

કૈલાસ વિજયવર્ગીયે કહ્યું, "ચૂંટણી બાદ અમે સીએએ લાગુ કરવા અંગે વિચારી રહ્યા છીએ, જેનો અમે ઘોષણાપત્રમાં વાયદો કર્યો હતો."

"અમારા માટે આ મહત્ત્વનો મુદ્દો છે. ચૂંટણી જીત્યા બાદ પણ અમારી એનઆરસી લાગુ કરવાની કોઈ યોજના નથી."

ગુજરાતના શિક્ષકને સોશિયલ મીડિયામાં પોસ્ટ બદલ કારણદર્શક નોટિસ

પાટણમાં એક શિક્ષકને સરકારની નીતિ વિરુદ્ધ લખવા બદલ કારણદર્શક નોટિસ મોકલવામાં આવી છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સરકારી વલ્લભનગર પ્રાથમિક શાળાના શિક્ષક વિજય એસ. ચૌધરીને સરકાર વિરુદ્ધ લખવા બદલ શો-કોઝ નોટિસ પાઠવવામાં આવી છે.

શિક્ષકે રાજ્યના શિક્ષણવિભાગના એક નિર્ણય પર "સવાલ" કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં કરી હતી અને નિર્ણયને "તઘલખી" ગણાવ્યો હતો.

પ્રાથમિક શિક્ષણ વિભાગના કાર્યાલય દ્વારા તેમને ગુજરાત સરકારના 1971ના નિયમ હેઠળ આ નોટિસ મોકલવામાં આવી છે.

આ નિયમ કહે છે કે કોઈ પણ કર્મચારી સરકારની નીતિઓની ટીકા ન કરી શકે. આ કારણદર્શક નોટિસ મોકલ્યા બાદ શિક્ષકને ઑફિસમાં રૂબરૂ આવવા માટે કહેવાયું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો