ખેડૂતોને સ્વનિર્ભર બનાવવા સરકાર સક્રિય : પીએમ મોદી - BBC TOP NEWS

ચૌરીચૌરા સંગ્રામ શતાબ્દી સમારોહના ઉદ્ધાટન વેળા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ખેડૂતોના હિત માટે ભારત સરકારે ઘણાં પગલાં લીધા છે. આ પગલાંઓમાં 1000થી વધુ મંડીઓને ઈનામ ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પોર્ટલ સાથે સાંકળવું પણ સામેલ છે.

અત્રે નોંધવું કે બીજી તરફ ખેડૂતો નવા કૃષિકાયદાઓ સામે દિલ્હીની વિવિધ સરહદે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.

દરમિયાન દેશના વિકાસમાં ખેડૂતોના યોગદાનની પ્રશંસા કરતા વડા પ્રધાને જણાવ્યું કે ખેડૂતોને સ્વનિર્ભર બનાવવા માટે છેલ્લાં 6 વર્ષમાં ભારત સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યાં છે. આ પગલાંઓના કારણે રોગચાળો હોવા છતાં કૃષિ ક્ષેત્રમાં નોંધપાત્ર વુદ્ધિ થઈ છે.

વડા પ્રધાનનું નિવેદન એવા સમય આવ્યું છે જ્યારે હજારોની સંખ્યામાં ખેડૂતો દિલ્હીની સરહદે ત્રણ મહિના કરતા વધુ સમયથી ત્રણ કૃષિ કાયદાઓ સામે વિરોધ કરી રહ્યા છે.

ઘણાએ કહ્યું કે કૉંગ્રેસમાં આવો, રાહુલ ગાંધી બોલાવશે તો દિલ્હી જઈશ- શંકરસિંહ વાઘેલા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા ફરી કૉંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે.

શંકરસિંહ વાઘેલાએ એક વીડિયોના માધ્યમથી કહ્યું કે તેઓ કૉંગ્રેસમાં જોડાઈ શકે છે.

તેમણે કહ્યું કે "જ્યારે કૉંગ્રેસના અહમદ પટેલનું અવસાન થયું ત્યારે મારે ભરૂચ જવાનું થયું હતું. ત્યારે ઘણા કાર્યકરો મને ભેટીને રડ્યા હતા. અને ઘણાએ મને ફરી કૉંગ્રેસમાં આવવાની વાત કરી હતી."

તેમણે વધુમાં કહ્યું કે "રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે વર્ષોથી મારે પરિચય છે, તેઓ મને દિલ્હી બોલાવશે તો હું જઈશ."

"આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી સામે લડવા માટે મેં જે કંઈ કર્યું છે, કૉંગ્રેસ હાઈકમાન્ડ એના અનુસંધાને કહેશે કે આવો સાથે મળીને લડીએ, જરૂર પડે કૉંગ્રેસમાં આવો તો સારું, તો દિલ્હી જઈને એમની સાથે વાતચીત કરીશ."

તેમણે એમ પણ કહ્યું કે તેઓ કોઈ પણ શરત વિના કૉંગ્રેસમાં જોડાઈ શકે છે.

પત્રકાર મનદીપ પુનિયા જામીન પર મુક્ત

દિલ્હીની સિંઘુ બૉર્ડર પરથી ધરપકડ કરાયેલા પત્રકાર મનદીપ પુનિયાને જામીન મળી ગયા છે.

બુધવારે રાતે અંદાજે સવા નવ વાગ્યે મનદીપને દિલ્હીની તિહાર જેલમાથી મુક્ત કરવામાં આવ્યા હતા.

જેલમાંથી બહાર આવીને તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે 'તેઓ પત્રકારત્વમાં પહેલાની જેમ જ પોતાની ડ્યૂટી નિભાવશે.'

બીબીસી સંવાદદાતા પ્રશાંત ચહલ સાથેની વાતચીતમાં મનદીપ પુનિયાએ કહ્યું કે "હું એ બધા પત્રકારોનો આભાર માનું છું, જેઓ મારી સાથે ઊભા રહ્યા. ઈમાનદાર રિપોર્ટિંગની આ સમયે આપણાને દેશને જરૂર છે."

તેમણે કહ્યું કે "હું દેશના બંધારણમાં વિશ્વાસ રાખું છું. મને જામીન મળ્યા એના માટે હું માનનીય કોર્ટનો આભાર માનું છું. પણ શું મારી ધરપકડ થવી જોઈતી હતી? આ મોટો સવાલ છે."

પાકિસ્તાનમાં રસીકરણનો પ્રારંભ

પાકિસ્તાનમાં ચીનમાં બનેલી કોરોનાની રસીથી પોતાના ફ્રન્ટલાઇન વર્કરો માટે રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે.

સૌથી પહેલા દેશમાં સ્વાસ્થ્યકર્મીઓને કોરોનાની રસી અપાશે.

ઇસ્લામાબાદ સમેત દેશના અન્ય ભાગમાં હૉસ્પિટલોના કોરોના વોર્ડમાં કામ કરતા ડૉક્ટરોને કોરોનાની રસી અપાઈ છે.

ચીનની સાઇનોફાર્મે બનાવેલી રસીના દસ લાખ ડોઝ પાકિસ્તાનને મળ્યા છે.

પાકિસ્તાનના યોજનામંત્રી અસદ ઉમરે રસી આપવા માટે ચીનનો આભાર માન્યો છે અને કહ્યું કે પાકિસ્તાન ચીન તરફથી હજુ વધુ રસી ખરીદવાનું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો