બજેટ 2021ની મહત્ત્વની જાહેરાતોને સરળતાથી સમજો

નાણા મંત્રી નિર્મલા સીતારમણે સોમવારે નાણાંકીય વર્ષ 2021-22નું સામાન્ય બજેટ રજૂ કર્યું. બજેટમાં સરકારે કંઈ કંઈ જોગવાઈ કરી છે તેના પર એક નજર નાખીએ.

  • બજેટમાં ટૅક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી.
  • એગ્રી-ઇન્ફ્રા ડેવલપમૅન્ટ સેસ લાગશે.
  • એમએસપી વધારીને ઉત્પાદનના ખર્ચથી 1.5 ગણી વધારવામાં આવી.
  • સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 12.5 ટકા કરી દેવામાં આવી.
  • કપાસ પર કસ્ટમ ડ્યૂટી વધારીને 10 ટકા કરી દેવામાં આવી – વિદેશથી આયાત કરવામાં આવેલાં કપડાં મોઘાં થશે. કાચા રેશમ અને રેશમી યાર્ન પર હવે કસ્ટમ ડ્યૂટી 15 ટકા કરી દેવામાં આવી છે.
  • 3 વર્ષની સમયમર્યાદામાં 7 ટેક્સસ્ટાઇલ પાર્ક બનાવવામાં આવશે.
  • કૉપર પર ડ્યૂટી ઘટાડીને 2.5 ટકા કરવામાં આવી છે. સ્ટીલ સ્ક્રૂ અને પ્લાસ્ટિક બિલ્ડર વેર પર હવે 15 ટકા કસ્ટમ ડ્યૂટી કરવામાં આવી છે.
  • આરોગ્યનું બજેટ વધારીને 2,23,846 કરોડ કરવામાં આવ્યું.
  • સ્વચ્છ ભારત મિશન 2.0 માટે 1,41,678 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.
  • વાયુ પ્રદૂષણ સામે લડવા માટે 2217 કરોડ રૂપિયા ફાળવાશે.
  • પસંદગીના લેધરને કસ્ટમ ડ્યૂટીની બહાર રાખવાનો પ્રસ્તાવ છે.
  • સસ્તા મકાનના પ્રૉજેક્ટને એક વર્ષની ટૅક્સ માફી – સસ્તા મકાનોની ખરીદી માટે 31 માર્ચ 2022 સુધી લેનારી લૉન પર 1.5 લાખ રૂપિયાની વધારાનો ઘટાડો થશે.
  • 75 વર્ષથી વધારે ઉંમરના લોકોને ટૅક્સ રિટર્ન ભરવા પર છૂટ મળશે.
  • એનઆરઆઈનો ટૅક્સ વિવાદ હવે ઓનલાઇન નિપટાવવામાં આવશે.
  • નાના કરદાતાઓના વિવાદના ઉકેલ માટે કમિટી બનાવવામાં આવશે.
  • મેટ્રો માટે 11 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • રેલવે માટે રેલ યોજના 2030 તૈયાર, રેલવે માટે રેકૉર્ડ 1,10,055 કરોડની જોગવાઈ.
  • ડિજિટલ પૅમેન્ટને વધારવા માટે 1500 કરોડ રૂપિયાની નાણાંકીય પ્રોત્સાહન યોજનાની જોગવાઈ.
  • માર્ગ પરિવહન મંત્રાલય માટે 1,18,101 કરોડની વધારાની જોગવાઈ.
  • 2021-22માં એક હાઇડ્રોજન એનર્જી મિશન શરૂ કરવાનો પ્રસ્તાવ, આ હેઠળ ગ્રીન પાવર સ્ત્રોતોથી હાઇડ્રોજનને ઉત્પન્ન કરી શકાશે.
  • ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડને 30 હજાર કરોડથી વધારીને 40 હજાર કરોડ કરવામાં આવ્યું.
  • માઇક્રો ઇરિગેશન ફંડને 5 હજાર કરોડ રૂપિયાથી બે ગણું કરવાનો પ્રસ્તાવ.
  • ઉર્જા ક્ષેત્રમાં એક ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવશે જેમાં ગ્રાહકોને એકથી વધાર આપૂર્તિકર્તા કંપનીમાંથી પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે.
  • વીમા અધિનિયમ, 1938માં સંશોધન કરીને વીમા કંપનીઓમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણની સીમાને 49 ટકાથી વધારીને 74 ટકા કરવાની જોગવાઈ.
  • પરિયોજનાઓ, કાર્યક્રમો, વિભાગો માટે પ્રદાન કરવામાં આવનારા આર્થિક કાર્ય વિભાગના બજેટમાં 44 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ રાખવામાં આવી છે.
  • કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર રાજ્યમાં એક ગેસ પાઇપલાઇન પરિયોજના શરૂ કરવામાં આવશે. એક સ્વતંત્ર ગૅસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઑપરેટરનું ગઠન કરવામાં આવશે.
  • 2020-21માં રાજકોષીય ખોટ જીડીપીની 9.5 ટકા નક્કી કરવામાં આવી છે. 2021-22માં રાજકોષીય ખોટ જીડીપીની 6.8 ટકા થવાનો અંદાજો છે. 2025-26 સુધી રાજકોષીય ખોટને 4.5 ટકા લાવવાનો લક્ષ્ય છે.

અન્ય મહત્ત્વની જાહેરાતો

ડિપૉઝિટ ઇન્સ્યોરન્સ કવરને એક લાખથી વધારીને પાંચ લાખ કરાયું. તે માટે 1961ના કાયદામાં સંશોધન કરીને પ્રસ્તાવ લાવવામાં આવશે. તેનાથી એ બૅંકોના ડિપૉઝિટરોને લાભ થશે જેઓ હાલ તણાવમાં છે.

આ સિવાય આત્મનિર્ભર યોજના અંતર્ગત ઘણી જાહેરાતો કરવામાં આવી હતી.

સરકારે આ નીતિને મંજૂરી આપી દીધી છે. આનાથી PSUમાં વિનિવેશ માટે માર્ગ મોકળો થશે. આ દિશામાં લાગુ કરાવાની નીતિ આ બજેટમાં અપાઈ છે. રાજ્ય સરકારોને પણ પોતાના ઉપક્રમોમાં વિનિવેશની મંજૂરી અપાશે.

આ સિવાય કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે, “વર્ષ 2021-22માં જીવન વીમા નિગમનું IPO લાવવામાં આવશે, જે માટે અમે આ જ સત્રમાં જરૂરી સંશોધન કરી રહ્યા છીએ.”

વીમા કંપનીઓમાં વિદેશી રોકાણ 49 ટકાથી વધારીને 74 ટકા કરાવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

આઠ કરોડ પરિવારોને લાભ આપતી ઉજ્જવલા સ્કીમ ચાલુ રહેશે. તેમજ સિટી ગૅસ ડિસ્ટ્રિબ્યૂશન નેટવર્કમાં આવનારાં ત્રણ વર્ષોમાં વધુ 100 જિલ્લાને જોડવામાં આવશે. ગૅસ પાઇપલાઇન પ્રોજેક્ટને જમ્મુ-કાશ્મીર સુધી પહોંચાડવામાં આવશે.

તેમજ ઉજ્જવલા સ્કીમમાં પણ વધુ એક કરોડ લાભાર્થી સામેલ કરવાની વાત કરવામાં આવી છે.

નાણા મંત્રી સીતારમણે જાહેરાત કરી હતી કે ભારતમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી સાથે સો નવી સૈનિક સ્કૂલો ખોલવામાં આવશે. આ સાથે જ લદાખમાં એક સેન્ટ્રલ યુનિવર્સિટી પણ શરૂ કરવામાં આવશે.

આ સિવાય કેન્દ્રીય નાણા મંત્રીએ એલાન કર્યું છે કે વર્ષ 2021-22માં એક હાઇડ્રોજન એનર્જી મિશન શરૂ કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે, જે હેઠળ ગ્રીન પાવર સ્રોતો થકી હાઇડ્રોજન પેદા કરી શકાશે.

તેમણે કહ્યું કે કાપડઉદ્યોગને વૈશ્વિક સ્વરૂપે પ્રતિસ્પર્ધી બનાવવા માટે PLI યોજના અંતર્ગત મેગા નિવેશ ટેક્સટાઇલ પાર્ક યોજના લૉન્ચ કરવામાં આવશે.

રેલવે અંગે મહત્ત્વની જાહેરાતો

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2021-22 લોકસભામાં રજૂ કરતી વખતે જાહેરાત કરી હતી કે ચાલુ નાણાકીય વર્ષે રેલવે પાછળ 1.10 લાક કરોડ રૂપિયા ખર્ચાશે. તેમજ વર્ષ 2023 સુધી બ્રૉડ ગેજનું સંપૂર્ણ વીજળીકરણ કરવાની યોજના પણ તેમણે આ બજેટમાં આગળ મૂકી છે.

આ જુદા જુદા ઉદ્દેશોની પૂર્તિ માટે રેલવે દ્વારા રાષ્ટ્રીય રેલયોજના બનાવાઈ છે. જે માટે નૅશનલ રેલપ્લાન 2030 તૈયાર છે. જેમાં મેક ઇન ઇન્ડિયા પર ફોકસ હશે.

સામાન્ય બજેટમાં રેલવેને લગતી મહત્ત્વની જાહેરાતો પૈકી એક જાહેરાત કરતાં નાણામંત્રીએ કહ્યું હતું કે, “વેસ્ટર્ન અને ઇસ્ટર્ન ફ્રન્ટ કૉરિડૉર જૂન 2022 સુધી તૈયાર થઈ જશે.”

જળજીવન મિશન લૉન્ચ કરવામાં આવશે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યું છે કે, “જળજીવન મિશન (શહેરી) લૉન્ચ કરાશે, જેનો ઉદ્દેશ 4,378 શહેરી સ્થાનિક એકમોમાં 2.86 કરોડ ઘરેલુ નળ કનેક્શનોને સર્વસુલભ જળ આપૂર્તિ વ્યવસ્થા કરવાનો છે.”

આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના પર ખર્ચ થશે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના ભાષણમાં કહ્યું છે કે, “કેન્દ્રની એક યોજના પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના લૉન્ચ કરવામાં આવશે, આ યોજના પર આ વર્ષોમાં લગભગ 64,180 કરોડ રૂપિયા ખર્ચ થશે.”

સંશોધિત કસ્ટમ ડ્યૂટી

ણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં કહ્યું કે, “GSTને ચાર વર્ષ થઈ ગયાં છે, તેને સરળ કરવાના ઉપાય પણ કરવામાં આવ્યા છે.”

તેમણે આગળ કહ્યું કે, AIની વ્યવસ્થા વડે કરચોરી કરનારાઓને પકડવામાં આવી રહ્યા છે. પાછલા અમુક મહિનાઓમાં સારી એવી ઉઘરાણી થઈ છે.

તેઓ આગળ જણાવે છે કે, “કાઉન્સિલની અધ્યક્ષા તરીકે હું આપને આશ્વાસન આપું છું કે તેને વધુ સુવિધાજનક બનાવાશે. અમે કસ્ટમ ડ્યૂટીમાં ઘણા ફેરફાર કર્યા છે.”

“જે 80 યોજનાઓની ઉપયોગિતા ખતમ થઈ ગઈ હતી તે હઠાવી દેવાઈ છે. 400 કરતાં વધુ જૂની છૂટની સમીક્ષા કરવામાં આવશે. 1 ઑક્ટોબર, 2021થી સંશોધિત કસ્ટમ ડ્યૂટી લાવવામાં આવશે.”

બજેટ 2021ના નાણામંત્રીના કેટલાક મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવ

ઇલેક્ટ્રૉનિક, મોબાઇલ ઇંડસ્ટ્રી દેશમાં ખૂબ ઝડપથી વધી રહી છે. કેટલીક છૂટછાટો સમાપ્ત કરી દેવાઈ છે. તેનાં કેટલાંક પાર્ટ્સને કરપાત્ર બનાવાશે.

કાપડ સંબંધિત પ્રસ્તાવ : નાયલૉન ચિપ, નાયલૉન ફાઇબર પર બીસીડી ઘટાડીને પાંચ ટકા કરાઈ. જેમાં કેમિકલ્સ સાથે જોડાયેલી વ્યવસ્થા પણ સુધારવામાં આવી છે.

ઑટોપાર્ટમાં કૅપિટલ ઇક્યુપ્મેન્ટ: ટનલ બોરિંગ મશીન પર છૂટને સમાપ્ત કરવામાં આવી. MSMEના વિકાસને વેગ આપવા માટે ઘણાં પગલાં લેવામાં આવી રહ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો