You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિલ્હી-લાલ કિલ્લો : ખેડૂતોની ટ્રૅક્ટર પરેડ દરમિયાન શું-શું થયું?
વિવાદિત કૃષિકાયદાઓ અંગે પોતાનો વિરોધ પ્રગટ કરવા માટે મંગળવારે ખેડૂત સંગઠનો દ્વારા રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ટ્રૅક્ટર રેલીનું આયોજન કરાયું હતું. ખેડૂત આંદોલન સાથે સંકળાયેલા ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ટ્રૅક્ટરો સાથે દિલ્હીની વિવિધ સરહદો પરથી રાષ્ટ્રીય પાટનગરમાં પ્રવેશ કર્યો હતો.
વહેલી સવારે દિલ્હીની કેટલીક સરહદો પર પોલીસનું બૅરિકેડિંગ તોડીને આંદોલનકારી ખેડૂતો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. જે સમયાંતરે દિલ્હીના વિવિધ વિસ્તારો સુધી પહોંચ્યા હતા.
ઘણી જગ્યાઓએ ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. જેને પગલે પ્રદર્શનકારીઓ પર અમુક સ્થળે લાઠીચાર્જ કરવામાં આવ્યો તો અમુક સ્થળે ટિયરગૅસ શેલ છોડવામાં આવ્યા હતા.
મંગળવારે બપોરે આંદોલનકારીઓ પૈકી કેટલાક લાલા કિલ્લા સુધી પહોંચી ગયા હતા જ્યાં તેમણે કેસરિયો અને ખેડૂત આંદોલનનો ધ્વજ પણ ફરકાવ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમમાં અનેક ખેડૂતોનો ઈજા થઈ હોવાનું કહેવાય છે જોકે હજી તેનો ચોક્કસ આંક સામે આવ્યો નથી.
પોલીસના કહેવા મુજબ આજના દિવસમાં 83 પોલીસકર્મીઓને ઈજા થઈ છે અને ર્ષણમાં એક ખેડૂતનું દુ:ખદ મૃત્યુ નીપજ્યું છે.
ખેડૂત આગેવાનોએ ટ્રૅક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાને કેટલાંક અસામાજિક તત્ત્વોની કરતૂત ગણાવી આંદોલન સાથે તેમનો કોઈ પણ સંબંધ ન હોવાની વાત કરી હતી. જ્યારે પોલીસ પ્રશાસન દ્વારા ખેડૂતો દ્વારા નક્કી કર્યા પ્રમાણેના રૂટ પર રેલી ન આયોજિત કરાતાં ઘર્ષણ થયું હોવાની વાત કરાઈ હતી.
ખેડૂત સંગઠન દ્વારા રેલી સમાપનની જાહેરાત
મંગળવારે રાત્રે લગભગ 7.30 વાગ્યે સંયુક્ત કિસાન મોરચા દ્વારા પરેડ સમાપનનું એલાન કરાયું હતું.
સંયુક્ત કિસાન મોરચા દ્વારા એક નિવેદન જારી કરીને ગણતંત્ર દિવસના અવસરે આયોજિત પરેડને તાત્કાલિક પ્રભાવથી ખતમ કરવાનું એલાન કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમાચાર એજન્સી ANI મુજબ મોરચાએ પરેડમાં સામેલ થનારા તમામ ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ બધા પરત ફરે. સંયુક્ત મોરચાએ એ પણ જણાવ્યું કે આંદોલન જારી રહેશે.
બીજી તરફ 26 જાન્યુઆરીના રોજ યોજાયેલી ખેડૂતોની ટ્ર્રૅક્ટર પરેડમાં ઠેર ઠેર હિંસાનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. જેને પગલે હરિયાણામાં હાઇ ઍલર્ટ જાહેર કરી દેવાયું હતું.
બીજી તરફ દિલ્હી પોલીસના સંયુક્ત કમિશનર આલોક કુમારે ખેડૂતોની રેલી દરમિયાન પોલીસકર્મી સાથે હિંસા આચરનાર લોકો પર કડકર કાર્યવાહી કરવાની વાત કરી હતી.
દિલ્હીના પોલીસ કમિશનર એસ. એન. શ્રીવાસ્તવે પણ રેલી દરમિયાન થયેલી હિંસા માટે ખેડૂતોને જવાબદાર ઠેરવ્યા હતા. તેમજ તેમણે માહિતી આપી હતી કે આ હિંસામાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
દિલ્હીના ITOમાં હિંસા
દિલ્હીની વિવિધ બૉર્ડરો પરથી ટ્રૅક્ટરો સાથે ઘણા પ્રદર્શનકારીઓ દિલ્હીના ITO વિસ્તારમાં પહોંચી ગયા હતા. જ્યાં DTCની બસોની તોડફોડ કરાઈ હોવાના અહેવાલો સામે આવ્યા હતા.
તેમજ કેટલાક પ્રદર્શનકારીઓ પોલીસનાં વાહનો પર ચઢી ગયા હતા. જેને પગલે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. જોકે, આ દરમિયાન કેટલાક વડીલ ખેડૂતો સ્થિતિને કાબૂમાં લેવા માટે અને પ્રદર્શનકારીઓને શાંત પાડવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા.
પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં પોલીસે ટિયરગૅસ શેલ છોડવા પડ્યા હતા. જોકે, ઘણા સમય સુધી જાણે દિલ્હીના ITO પર પ્રદર્શનકારીઓએ કબજો કરી લીધો હોય તેવાં દૃશ્યો સર્જાયાં હતાં. જોકે, સાંજે છ વાગ્યાની આસપાસ દિલ્હીના ITO પાસેથી તમામ પ્રદર્શનકારીઓ હઠી ગયા હતા.
નોંધનીય છે કે આ ITO પાસે જ ટ્રૅક્ટર રેલી દરમિયાન એક પ્રદર્શનકારીનું મૃત્યુ થઈ ગયું હતું. પ્રદર્શનકારીઓ તેમના શબને લઈને સ્થળ પર વિરોધપ્રદર્શન કરી રહ્યા હતા.
દરમિયાન 26 જાન્યુઆરીના રોજ બનેલી ઘટનાઓ અંગે રાજકીય પ્રતિક્રિયાઓ આવવાનું પણ શરૂ થઈ ગયું હતું. દિલ્હી સરકારમાં શાસક પક્ષ આમ આદમી પાર્ટીએ પણ રેલી દરમિયાન થયેલી હિંસાની નિંદા કરી હતી. પાર્ટીએ સ્થિતિ આટલી હદ સુધી વણસવા દેવા માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી હતી.
સાથે જ પાર્ટીએ હિંસામાં સામેલ લોકોનો આંદોલન સાથે કોઈ સંબંધ ન હોવાની વાત પણ કરી હતી.
સાથે જ પંજાબના મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદર સિંહે પણ ટ્રૅક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસાની નિંદા કરી હતી.
તેમણે પણ આ હિંસામાં અસામાજિક તત્ત્વોનો હાથ હોવાની વાત કરી હતી.
નાંગલોઈમાં અફરાતફરીની સ્થિતિ
ટ્રૅક્ટર માર્ચ દરમિયાન દિલ્હીના નાંગલોઈમાં પરિસ્થિતિ બેકાબૂ બની હતી. આ સ્થળે પોલીસનાં ઘણાં વાહનો તોડી નાખવામાં આવ્યાં હતાં. તેમજ બૅરિકેડિંગ તોડીને ટ્રૅક્ટરો માટે જવા માટે રસ્તો બનાવવામાં આવ્યો હતો.
નાંગલોઈમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થતાં ટિયરગૅસના શેલ છોડવામાં આવ્યા હતા તેમજ હળવો લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. જેથી માહોલ અફરાતફરીભર્યો બન્યો હતો. આ ઘર્ષણ છતાં ખેડૂતોની રેલી રોકાઈ નહોતી તેઓ નક્કી કર્યા મુજબ દિલ્હી તરફ કૂચ કરતાં દેખાઈ રહ્યા હતા.
રાજસ્થાન-હરિયાણા સીમાથી માનેસર સુધી ખેડૂતોની શાંતિપૂર્ણ ટ્રૅક્ટર પરેડ
આમ, બીજી તરફ તમામ સ્થળો ખેડૂતોની ટ્રૅક્ટર રેલીમાં હિંસાનાં દૃશ્યો જ નહોતાં જોવા મળ્યાં.
રાજસ્થાન-હરિયાણા સીમાના શાહજહાંપુર પર કૃષિકાયદાઓના વિરોધમાં ટ્રૅક્ટરો સહિત ખાનગી ગાડીઓ સાથે 47 કિલોમિટરના નક્કી કરેલા રૂટ પર માનેસર માટે ખેડૂતો રવાના થયા હતા.
દિલ્હીમાં અનેક સ્થળે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણના સમાચાર આવ્યા હતા. જ્યારે દિલ્હી-જયપુર હાઇવે પર ખેડૂતોની ટ્રૅક્ટર પરેડ શાંતિપૂર્ણ રીતે જારી હતી.
સંયુક્ત કિસાન મોરચાનો બચાવ
ખેડૂત સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ દિલ્હીમાં અનેક સ્થળે ખેડૂતોની ટ્રૅક્ટર રેલીમાં થયેલી હિંસાની ઘટનાની નિંદા કરી છે.
મોરચાએ કહ્યું કે, "દુર્ભાગ્યપૂર્ણ છે કે અમારી તમામ કોશિશો છતાં અમુક સંગઠનો અને અસામાજિક તત્ત્વોએ અમારા અત્યાર સુધી શાંતિપૂર્વક ચાલેલા આંદોલનમાં દખલગીરી કરી, તેમણે રૂટ અને અનુશાસનનું ઉલ્લંઘન કરીને નિંદનીય કાર્ય કર્યું છે. અમારું હંમેશાંથી એવું માનવું રહ્યું છે કે શાંતિ અમારી સૌથી મોટી શક્તિ છે. આવી પ્રવૃત્તિઓથી આંદોલનને નુકસાન પહોંચે છે."
સમાચાર એજન્સી ANI મુજબા, સંયુક્ત કિસાન મોરચાએ મંગળવારના સમગ્ર ઘટનાક્રમ પર ખેદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે જે લોકોએ નક્કી કરેલા રસ્તાથી બહાર જવાનું કામ કર્યું છે તેમનાથી સંયુક્ત કિસાન મોરચો પોતાની જાતને અલગ કરે છે.
ખેડૂતોના હંગામા બાદ સિંઘુ, ગાઝીપુર, ટિકરી અને નાંગલોઈમાં ઇન્ટરનેટ સેવા બંધ
દિલ્હીના અમુક વિસ્તારોમાં સુરક્ષાની સ્થિતિને જોતાં સરકારે અસ્થાયી સ્વરૂપે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી હતી.
ગૃહમંત્રાલયે એક આદેશ જારી કરીને સિંઘુ, ગાઝીપુર, ટિકરી, મુકરબા ચોક, નાંગલોઈ અને તેની આસપાસના વિસ્તારોની ઇન્ટરનેટ સેવા અસ્થાયી સ્વરૂપે બંધ કરી દીધી હતી.
નોંધનીય છે કે આ આદેશના અમુક કલાકો પહેલાં જ ખેડૂતોની ટ્રૅક્ટર રેલી અહીંથી પસાર થઈ હતી. જેને પગલે ઘણાં સ્થળોએ પોલીસ અને પ્રદર્શનકારી ખેડૂતો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. જેને પગલે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવાયો હોવાનું મનાય છે.
દિલ્હી પોલીસનાં જૉઇન્ટ પોલીસ કમિશનર શાલિની સિંહે ખેડૂતોને નક્કી કરેલા રૂટ પરથી જ રેલી કાઢવાની અપીલ કરી હતી.
સાથે જ તેમણે સમાચાર એજન્સી ANIને પોલીસ સાથે થયેલા વ્યવહારની માહિતી આપતાં કહ્યું હતું કે, "અમે સવારથી લોકોને અપીલ કરી રહ્યા હતા કે જે રસ્તા પર રેલી કાઢવાની પરવાનગી આપવામાં આવી છે એ જ રસ્તાનો ઉપયોગ કરવામાં આવે. ઘણા લોકો એ રસ્તા પર જતા રહ્યા પરતું ઘણા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો, ટ્રૅક્ટર ચઢાવવાની કોશિશ કરી, બૅરિકેડ તોડી નાખ્યા. અમારા અમુક લોક ઘાયલ આ ઘટનાક્રમમાં ઘાયલ થયા છે."
ખેડૂત આંદોલનની છબિ ખરાબ કરવાની કોશિશ : રાકેશ ટિકૈત
સમાચાર એજન્સી ANI પ્રમાણે ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે રેલી દરમિયાન થયેલી હિંસાને ખેડૂત આંદોલનની છબિ ખરાબ કરવાનો પ્રયત્નો ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, "અમે એ લોકોને ઓળખીએ છીએ જેઓ મુશ્કેલી ખડી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમની ઓળખ થઈ ચૂકી છે. આ લોકો રાજકીય પક્ષોના લોકો છે, જેઓ ખેડૂત આંદોલનની છબિ ખરાબ કરવા માંગે છે."
ખેડૂતો પહોંચ્યા લાલ કિલ્લા સુધી
સમાચાર એજન્સી ANI પ્રમાણે આંદોલનકારી ખેડૂતો 1.30 વાગ્યાની આસપાસ લાલ કિલ્લા સુધી પહોંચી ગયા હતા.
બીજી તરફ ITO પાસે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ યથાવત્ જોવા મળ્યું હતું.
બીબીસી સંવાદદાતા કીર્તિ દુબેના જણાવ્યાનુસાર ITO વિસ્તાર પર ખેડૂતોએ કબજો કરી લીધેલો જોવા મળ્યું હતું.
અહીં પોલીસ ખેડૂતો સામે બૅકફૂટ પર જોવા મળી રહી હતી. તેમજ ઘર્ષણમાં એક ખેડૂતના મૃત્યુના સમાચાર જાણવા મળ્યા હતા.
ખેડૂતોના પ્રદર્શનને કાબૂમાં લેવા માટે પોલીસ અને સુરક્ષાદળો દ્વારા સતત ટિયરગૅસ શેલ છોડવામાં આવી રહ્યા હતા.
દરમિયાન લાલ કિલ્લા સુધી પહોંચેલા ખેડૂતોએ લાલ કિલ્લા પર ધ્વજ દંડ પર પીળા રંગનો ધ્વજ ફરકાવ્યો હતો.
આમ, ખેડૂતોની શરૂઆતમાં શાંતિપૂર્ણ જણાતી ટ્રૅક્ટર રેલીએ ઘણાં સ્થળોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. જે કારણે પોલીસ અને આંદોલનકારી ખેડૂતો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.
કેવી રીતે થઈ હિંસા?
બપોરના એક વાગ્યાની વાત કરીએ તો ખેડૂતોની ટ્રૅક્ટર પરેડ બિલકુલ શાંતિમય નહોતી રહી.
અલગઅલગ સ્થળોએથી પોલીસ અને ખોડૂતો વચ્ચે ઘણા પ્રકારના તણાવ અને ઘર્ષણના સમાચાર આવ્યા હતા.
સમાચાર એજન્સી ANIએ એક વીડિયો ટ્વીટ કર્યો છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે પોલીસ બૅરિકેડિંગ તોડીને પ્રદર્શનકારી દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે.
39 સેકન્ડના વીડિયોમાં દેખાય છે કે પ્રદર્શનકારીઓના હાથમાં લાઠીઓ છે અને તેઓ પોલીસ બૅરિકેડિંગ તોડીને આગળ વધતા જઈ રહ્યા છે. આ વીડિયો દિલ્હી-કરનાલ બાયપાસનો છે.
બીજી તરફ ખેડૂત એકતા માર્ચ ટ્વિટર હૅન્ડલથી 20 સેકન્ડનો વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો છે. જેમાં પોલીસ ખેડૂત આંદોલનકારીઓ પર દંડા વીંઝતી દેખાઈ રહી છે. પરંતુ આ વીડિયો ક્યાંનો છે એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.
તેમજ દિલ્હીના ITO પર હાજર સંવાદદાતા વિકાસ ત્રિવેદીએ કહ્યું કે પ્રદર્શનકારીઓએ હાથમાં લોખંડની રૉડ પકડી રાખી છે. હિંસાની તસવીર લેનારા અને વીડિયો બનાવનારા પર પણ હુમલા થઈ રહ્યા છે. વિકાસ સામે બે-ત્રણ લોકો લોહીલુહાણ થયા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટ્રૅક્ટર રેલીના પ્રસ્તાવિત રૂટને લઈને વિવાદ વધુ છે.
તેમજ હિંસાની શરૂઆત બાબતે નિવેદન આપતાં નાંગલોઈનાં JCP શાલિની સિંઘે કહ્યું હતું કે, "અમે સવારથી ખેડૂતોને પૂર્વ નિર્ધારિત રૂટ પર જવા માટે અપીલ કરી રહ્યા હતા પરંતુ તેઓ પૈકી અમુકે આગળ વધીને પોલીસ બૅરિકેડ તોડી નાખ્યા અને પોલીસ અધિકારીઓ પર હુમલા કરવાનું શરૂ કરી દીધું."
"અમે ખેડૂત સંગઠનોને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરીએ છીએ. ગણતંત્રદિવસે આ કોઈ શાંતિપૂર્ણ આંદોલન નથી."
શાંતિપૂર્ણ ટ્રૅક્ટર રેલીનું આયોજન કરાયું હતું
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિકાયદાઓનો વિરોધ પ્રગટ કરવા માટે મંગળવારે ખેડૂત સંગઠનો દ્વારા પ્રજાસત્તાક દિનની પરેડ બાદ દિલ્હીમાં ટ્રૅક્ટર રેલીનું આયોજન કર્યું હતું.
જેમાં દિલ્હીની આસપાસનાં વિવિધ રાજ્યોમાંથી ખેડૂતો ટ્રૅક્ટર લઈને પાટનગર દિલ્હીમાં પરેડ યોજવાના હતા. મંગળવારે સવારે ટીકરી સરહદથી ખેડૂતોની ટ્રૅક્ટર રેલી શરૂ થઈ હતી.
ત્યારબાદ સમયાંતર વિવિધ સરહદો મારફતે ખેડૂતો ટ્રૅક્ટરો લઈને દિલ્હી સુધી પહોંચ્યા હતા.
જોકે, મંગળવારે બપોર સુધી ખેડૂતોની શાંતિપૂર્ણ ટ્રૅક્ટર રેલીમાં પણ અમુક સ્થળે હિંસા થઈ હતી. તેમજ ઘણાં સ્થળોએ સુરક્ષાબળના જવાનો અને ખેડૂતો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.
ખેડૂતોની રેલી શરૂઆત ટીકરી બૉર્ડરથી થઈ હતી. ત્યાંથી ખેડૂતોએ બૅરિકેડ તોડી રેલી શરૂ કરી દીધી હતી.
રેલી શરૂ થયાના થોડા સમય સુધી શાંતિપૂર્ણ રહી હતી. રસ્તાની એક તરફ ટ્રૅક્ટરો ચાલી રહ્યાં હતાં અને સાથે ખેડૂતો પગપાળા આગળ વધી રહ્યા હતા. રેલી દરમિયાન ઠેર ઠેર દેશભક્તિનાં ગીતો વાગી રહ્યાં હતાં.
સિંઘુ બૉર્ડર પર ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
ટીકરી બૉર્ડર પર બૅરિકેડ તોડી પ્રવેશ્યા બાદ, દિલ્હી સાથે જોડાયેલી સિંઘુ બૉર્ડર વિસ્તારમાં પણ ખેડૂતો ટ્રાન્સપોર્ટનગર પાસે બૅરિકેડ તોડી દિલ્હીમાં પ્રવેશ્યા હતા.
અહીં પોલીસ ને અન્ય સુરક્ષાદળના જવાનો ટિયરગૅસ અને બંદોબસ્ત માટેનાં સાધનોથી સજ્જ હતા.
અહીં ખેડૂતો દ્વારા બૅરિકેડ તોડી સરહદમાં પ્રવેશ કરાતાં ટ્રાન્સપોર્ટ નગર પાસે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાતાં પોલીસે ટિયરગૅસ શેલ છોડ્યા હતા.
આ દરમિયાન કેટલાક ખેડૂતો પોલીસનાં વાહનો અને વૉટર કૅનન પર ચઢી ગયા હતા.
તે જ સમયે શાહજહાં-ખેડા સરહદ પર ખેડૂતોની ટ્રૅક્ટર રેલી શરૂ થઈ ગઈ હતી.
ગાઝીપુર સરહદે ખેડૂતો પર છોડાયા ટિયરગૅસ સેલ
ટ્રૅક્ટર રેલી યોજવા માટે દિલ્હીની અંદર પ્રવેશી રહેલા ખેડૂતો પર બીજી તરફ ગાઝીપુર સરહદે પણ ટિયરગૅસ સેલ છોડવામાં આવ્યા હતા.
દિલ્હી-નોએડા અને દિલ્હી-ગાઝિયાબાદના રસ્તા પર અક્ષરધામ પાસે પોલીસે ટિયરગૅસના સેલ છોડ્યાની તસવીરો સામે આવી હતી.
નોંધનીય છે કે આ તમામ સરહદોએ મોટી સંખ્યામાં પોલીસ તહેનાત હતી.
બીજી તરફ હરિયાણા બૉર્ડર પર ખેડૂતોના કૃષિકાયદાઓ પાછા ખેંચી લેવાની માગને સમર્થન કરવા અને ટ્રૅક્ટર રેલીમાં ભાગ લેવા માટે ગુજરાતથી ખેડૂતો અને કર્મશીલો 100 ટ્રૅક્ટર લઈને રેલીમાં જોડાયા હતા.
ટિકરી સરહદેથી નીકળેલી રેલી અટકાવાઈ
સવારે 9.30 વાગ્યાની આસપાસ ટિકરી સરહદેથી જે ખેડૂતો પોલીસનાં બૅરિકેડ તોડીને ટિકરી સરહદેથી નીકળેલી રેલીને નાંગલોઈ ખાતે રોકી દેવામાં આવી હતી.
સિંઘુ બૉર્ડર પર ઘર્ષણના સમાચાર આવ્યા બાદ આ રેલીને પણ પોલીસ દ્વારા રોકી દેવામાં આવી હતી.
દરમિયાન ગાઝીપુર સરહદેથી પોલીસનું બૅરિકેડિંગ તોડીને પ્રવેશેલા ખેડૂતો દિલ્હીના પ્રગતિ મેદાન વિસ્તાર સુધી પહોંચી ગયા હતા. આ કારણે ગાઝીપુર સરહદેથી પ્રવેશેલા ખેડૂતો પર પોલીસે ટિયરગૅસ શેલ છોડ્યા હતા.
પોલીસના પ્રયાસો છતાં આંદોલનકારી ખેડૂતો બૅરિકેડિંગ તોડવામાં સફળ રહ્યા હતા.
આમ, ઠેરઠરે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિ સર્જાઈ હતી.
તેમજ નાંગલોઈ ખાતે ટિકરી બૉર્ડર પરથી નીકળેલી રેલી રોકાતાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણનો માહોલ સર્જાયો હતો.
રેલી રોકાતાં ખેડૂતો આગળ વધવા માટે રાહ જોઈ રહ્યા હતા પરંતુ માર્ગ ન મળતાં ખેડૂતોએ નિર્ધારિત રૂટ સિવાયના માર્ગ પર આગળ વધવાના પ્રયાસ કર્યા હતા. ખેડૂતો રેલિંગ તોડીને આગળ વધવા પ્રયાસ કરી રહ્યા હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો