પ્રજાસત્તાક દિવસ : રામનાથ કોવિંદે કહ્યું કે, સરકાર ખેડૂતોના હિત માટે બધી રીતે સમર્પિત છે.

72મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ દેશને સંબોધન કરતાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું કે કૃષિ ક્ષેત્રે એવા સુધારા કરવામાં આવ્યા છે જે લાંબા સમયથી અપેક્ષિત હતા.

તેમણે કહ્યું કે, "પૂર્ણ ઝડપથી આગળ વધી રહેલા આર્થિક સુધારાઓના પૂરક તરીકે નવા કાયદા બનાવીને કૃષિ અને શ્રમના ક્ષેત્રમાં એવા સુધારા કરવામાં આવ્યાં છે જે લાંબાથી અપેક્ષિત હતા. શરુઆતમાં આ સુધારાઓ અંગે મનમાં આશંકા ઉત્પન્ન થઈ શકે છે, પરતું ખેડૂતોના હિત માટે સરકાર બધી રીતે સમર્પિત છે."

તેમણે વધુમાં જણાવ્યું કે, "પ્રતિકૂળ કુદરતી પરિસ્થિતિઓ, અનેક પડકારો અને કોરાના વાઇરસની આફત હોવા છતાં કૃષિ ઉત્પાદનમાં ખેડૂતોએ કોઈ ઘટાડો આવવા દીધો નથી."

તેમણે કહ્યું કે, આ કૃતજ્ઞ દેશ આપણા અન્નદાતા ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણ રીતે વચનબદ્ધ છે.

રાષ્ટ્રપતિએ દેશના તમામ ખેડુતો, સૈનિકો અને વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા.

ટૂંકા ગાળામાં કોરોના વાઇસની વૅક્સિન વિકસાવનાર ભારતના વૈજ્ઞાનિકોને રાષ્ટ્રપતિએ અભિનંદન આપતા જણાવ્યું કે દિવસ-રાત કામ કરીને અને કોરોના-વાઅરસને ડી-કોડિંગ કરીને ખૂબ જ ટૂંકા સમયમાં રસી વિકસાવીને, આપણા વૈજ્ઞાનિકોએ સંપૂર્ણ માનવતાના કલ્યાણ માટે એક નવો ઇતિહાસ બનાવ્યો છે.

સાથે તેમણે ડૉક્ટરો, નર્સો, આરોગ્ય કર્મચારીઓ, આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલા સંચાલકો અને સફાઈ કામદારોનો પણ ઉલ્લેખ કર્યો, જેમને પોતાનો જીવ જોખમમાં નાખીને દરદીઓની સંભાળ લીધી છે અને ઘણાં લોકોએ તો પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.

રાષ્ટ્રપતિએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભવિષ્યમાં આવા રોગચાળાનું જોખમને ઓછું કરવાના હેતુથી જળવાયુ પરિવર્તનના મુદ્દાને વૈશ્વિકસ્તરે પ્રાથમિકતા આપવામાં આવશે.

તેમણે વડા પ્રધાનના 'આત્મનિર્ભર ભારત અભિયાન'ના વખાણ કર્યા અને તેને આપત્તિને અવસરમાં ફેરવનાર અભિયાન તરીકે ઓળખાવ્યું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો