આસિફ બસરા મૃત હાલતમાં મળ્યા, આપઘાતના અહેવાલો - BBC TOP NEWS

અભિનેતા આસિફ બસરા હિમાચલ પ્રદેશના મૅકલૉડગંજમાં પોતાના ઘરે ગુરુવારે મૃત મળી આવ્યા છે. ધર્મશાલા નજીક મૅકલૉડગંજ એક પ્રસિદ્ધ પ્રવાસનસ્થળ છે.

હિમાચલ પ્રદેશના પોલીસ મહાનિદેશક સંજય કુંડુંએ આસિફના મૃત્યુની પૃષ્ટિ કરી છે. તેમણે જમાવ્યું કે ગત પાંચ વર્ષથી તેઓ અહીં રહેતા હતા અને પોતાનાં એક વિદેશ મહિલા મિત્ર સાથે મળીને કૅફે-રેસ્ટોરા ચલાવતા હતા.

પોલીસ પ્રથમ નજરે આને આપઘાતને લીધે થયેલા મૃત્યુનો કેસ ગણી રહી છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસે તપાસ હાથ ધરી દીધી છે અને ફૉરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

હાલમાં જ આવેલી 'પાતાલલોક' વેબ સિરીઝમાં આસિફ જોવા મળ્યા હતા.

1993માં આવેલી 'બ્લેક ફ્રાઇડે' અને 2002માં આવેલી 'પરઝાનિયા' સહિત આસિફે કેટલીય ફિલ્મોમાં કામ કર્યું હતું.

ફિલ્મ નિર્દેશક હંસલ મહેતાએ આસિફના મૃત્યુ પર ટ્વીટ કર્યું કે આ સાચું ન હોઈ શકે. આ બહુ જ દુઃખી કરનારું છે.

આસિફ 'જબ વી મૅટ', 'કાઈ પો છે', તેમજ 'વન્સ અપોન ટાઇમ ઈન મુંબઈ' જેવી ફિલ્મોમાં અભિયન કરી ચૂક્યા હતા.

તેઓ અંગ્રેજી, હિંદી અને ઉર્દૂ થિયેટરના પણ જાણીતા અભિનેતા હતા.

નાણામંત્રીએ 'આત્મનિર્ભર ભારત 3.0' યોજનાની જાહેરાત કરી

નાણામંત્રી નિર્મલા સીતારમણે અર્થવ્યવસ્થામાં સુધારો આવે તે માટે નવા આર્થિક પૅકેજ 'આત્મનિર્ભર ભારત 3.0'ની જાહેરાત કરી છે.

આ પૅકેજ હેઠળ 'આત્મનિર્ભર ભારત રોજગાર યોજના'ની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત કોરોના વાઇરસની રિકવરીના તબક્કા હેઠળ નવી નોકરીઓ સર્જવામાં આવશે.

સંગઠિત ક્ષેત્રમાં ઈપીએફઓમાં રજિસ્ટર કંપનીઓમાં 15 હજારથી ઓછા પગારે રાખવામાં આવતા નવા કર્મચારીઓને આનો લાભ મળશે.

1 ઑક્ટોબરથી નિમણૂક કરવામાં આવેલા કર્મચારીઓને આનો લાભ મળશે અને આગામી બે વર્ષ સુધી આનો લાભ ઉઠાવી શકશે. સરકારે આના માટે સબસિડીની પણ જાહેરાત કરી છે.

નાણામંત્રીએ કહ્યું કે પહેલાં તબક્કામાં જાહેર કરવામાં આવેલી 'ઇમરજન્સી ક્રૅડિટ લાઇન ગૅરંટી સ્કીમ'ને 31 માર્ચ, 2021 સુધી લંબાવવામાં આવે છે.

'કામથ સમિતિ' તરફથી આર્થિક બોજમાં ચાલી રહેલાં 26 સૅક્ટરોની ઓળખ કરવામાં આવી છે, તેમને તે હેઠળ મદદ મળશે.

અર્ણવ ગોસ્વામીએ ઉદ્ધવ ઠાકરેને કહ્યું, 'ખેલ હવે શરૂ થયો છે'

રિપબ્લિક ટીવીના સંપાદક અર્ણવ ગોસ્વામીને સુપ્રીમ કોર્ટે જામીન આપતા તેમણે કોર્ટનો આભાર માન્યો હતો.

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર જામીન મળ્યા બાદ ન્યૂઝરૂમમાં પહોંચેલા અર્ણવ ગોસ્વામીએ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું હતું.

તેમણે કહ્યું, "ઉદ્ધવ ઠાકરે, સાંભળી લો, તમે હારી ગયા. ઉદ્ધવ ઠાકરે તમે મારી એક જૂના, ખોટા કેસમાં ધરપકડ કરી અને મારી માફી પણ ન માગી. ખેલ હવે શરૂ થાય છે."

તેમણે કહ્યું કે તેઓ હવે દરેક ભાષામાં રિપલ્બિક ટીવી શરૂ કરશે અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ તેમની ઉપસ્થિતિ છે.

ઉલ્લેખનીય છે કે 2018માં ઇન્ટિરિયર ડિઝાઇનર અન્વય નાઇક અને એમનાં માતા કુમુદ નાઇકે આત્મહત્યા કરી હતી. એ કેસમાં અર્ણવ ગોસ્વામીની મુંબઈસ્થિત ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી.

આત્મહત્યા કરનાર ઇન્ટિરિયર ડિઝાઇનર અન્વય નાઇકે અર્ણવ ગોસ્વામી, ફિરોઝ શેખ અને નીતેશ સારદાએ 5.40 કરોડની ચૂકવણી નહીં કરી હોવાનો અને તેને કારણે તેઓ આત્મહત્યા કરી રહ્યા હોવાનો આરોપ પોતાની સ્યૂસાઇડ નોટમાં કર્યો હતો.

'પરાળ આપીને ખાતર લઈ જાવ', યોગી સરકારની પ્રદૂષણ રોકવા નવી યોજના

ઉત્તર પ્રદેશ સરકારે ખેડૂતોની પરાળની સમસ્યા હલ કરવા માટે એક નવી પહેલ શરૂ કરી છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, સરકારે 'પરાલી દો, ખાદ લો' નામની એક સ્કીમ જાહેર કરી છે.

આ સ્કીમ હેઠળ ખેડૂતો પરાળ આપી જાય અને બદલામાં ખાતર લઈ જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉન્નાવ જિલ્લામાં એક ગૌશાળામાં પરાળ લેવામાં આવે છે અને બદલામાં ખાતર આપવામાં આવે છે.

ઉન્નાવના ડીએમ રવીન્દ્રકુમારે કહ્યું કે "પરાળ સળગાવવાથી પર્યાવરણ નુકસાન થતું હોય છે અને દંડનીય અપરાધ પણ છે, આ બધી સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે અમે પરાલી દો, ખાદ લો નામનો એક કાર્યક્રમ શરૂ કર્યો છે. જેમાં ખેડૂતોને કહ્યું છે કે તેઓ બે ટ્રૉલી પરાળ લઈને આવે અને એક ટ્રૉલ ખાતર લઈ જાય. તેનાથી ખેડૂતોની પરાળ રાખવાની સમસ્યા હલ થઈ જશે અને તેમને ખાતર પણ મળી રહેશે.

WHOએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો

ડબલ્યુએચઓ (વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન)ના પ્રમુખે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે.

તેઓએ ટ્વીટ કરીને કોવિડ મહામારી મામલે સરકારની પ્રતિબદ્ધતા અંગે વાત કરી હતી.

તેઓએ ટ્વીટમાં લખ્યું, "નમસ્તે, પ્રધાનમંત્રી, તમારી સાથે ટ્રેડિશનલ મેડિસિનના સંદર્ભમાં જ્ઞાન, અનુસંધાન અને પ્રશિક્ષણના સહયોગ માટે વાતચીત થઈ છે. ડબલ્યુએચઓ વૈશ્વિકસ્તરે સ્વાસ્થ્યમાં અને યુનિવર્સલ હેલ્થ કવરેજમાં ભારતના નેતૃત્વનું સ્વાગત કરે છે."

તેઓએ કોવેક્સ રસી પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતા અને કોવિડની રસી વૈશ્વિક સ્તરે બધાને ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂકવા માટે પણ નરેન્દ્ર મોદીનો ભાર માન્યો હતો.

તેઓએ લખ્યું કે આ મહામારી દુનિયા માટે એક પડકાર છે અને અમે તેને સમાપ્ત કરવા માટે ખભેખભો મિલાવીને કામ કરીશું.

આયુર્વેદ સંસ્થાનું ઉદ્ઘાટન કરશે નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 13 નવેમ્બરે ગુજરાત અને રાજસ્થાનમાં આયુર્વેદ સંસ્થાઓનું ઉદ્ઘાટન કરશે.

બિઝનેસ સ્ટાન્ડર્ડે વડા પ્રધાન કાર્યાલયના હવાલાથી લખ્યું કે ગુજરાતના જામનગરમાં તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ અને રિસર્ચ ઇન આયુર્વેદા (આઈટીઆરએ) અને રાજસ્થાનના જયપુરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ (એનઆઈએ)નું ઉદ્ઘાટન કરશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સથી થકી આ ઉદ્ઘાટનો કરશે.

2016થી દર વર્ષે ધન્વંતરિજયંતીના દિવસે આયુર્વેદ દિવસ મનાવવામાં આવે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો