આરબીઆઈના પૂર્વ ગવર્નર ડૉ. સુબ્બારાવ : વિકાસદરને 5-6 ટકા સુધી લાવવામાં ત્રણથી પાંચ વર્ષ લાગી શકે

    • લેેખક, નિધિ રાય
    • પદ, મુંબઈથી બિઝનેસ રિપોર્ટર, બીબીસી

ભારતના અર્થતંત્રને પાંચથી છ ટકાના વૃદ્ધિદર સુધી પહોંચવામાં ત્રણથી પાંચ વર્ષનો સમય લાગી શકે છે, ભારતીય રિઝર્વ બૅન્કના પૂર્વ ગવર્નર ડૉ. ડી.સુબ્બારાવનું આવું માનવું છે.

તેમણે બીબીસીને ઈમેલ મારફતે આપેલા એક સાક્ષાત્કારમાં કહ્યું કે આવું ત્યારેજ શક્ય બનશે જ્યારે સરખી તૈયારી સાથે સરખી રીતે પગલાં લેવામાં આવશે.

ભારતીય અર્થતંત્રને પાટા પર લાવવામાં શું પડકારો છે અને સમાધાન શું હોઈ શકે છે, તેમણે વિસ્તારથી કહ્યું.

મોટા પડકારો શું છે?

ડૉ. સુબ્બારાવ કહે છે કે સૌથી મોટો પડકાર છે લોકોની નોકરીઓ બચાવવી અને ફરીથી વિકાસ શરૂ કરો.

તેઓ કહે છે, "મહામારી હજી વધી રહી છે, એવામાં આપણી સામે હજુ પણ ઘણાં જોખણ છે."

"મહામારીનો પ્રકોપ ક્યારે અને કેવી રીતે ઘટશે એ વિશે પણ કંઈ ન કહી શકાય. એટલે અર્થતંત્રના પડકારો કેટલા જટિલ હશે એ વિશે અંદાજ લગાવવો શક્ય નથી."

પહેલેથી અર્થતંત્ર સુસ્ત હતું

ડૉ. સુબ્બારાવે કહ્યું કે મનરેગા હાલ લાઇફલાઇન બની છે પરંતુ આ સ્થાયી સમાધાન ન હોઈ શકે.

તેઓ કહે છે, "વિસ્તારિત મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર (મનરેગા) અસ્થાયી રીતે રાહતની લાઇફલાઇન બની છે પરંતુ આ સ્થાયી સમાધાન ન હોઈ શકે."

ડૉ. સુબ્બારાવે જણાવ્યું કે મહામારી પહેલાં પણ ભારતીય અર્થતંત્રમાં સુસ્તીની પરિસ્થિતિ જોવા મળી રહી હતી. વિકાસદર એક દાયકામાં સૌથી ઓછો- લગભગ 4.1 ટકા પર હતો, રાજકોષીય ખાધ (સરકારની કુલ આવક અને ખર્ચની વચ્ચેનું અંતર) વધારે હતી અને નાણાકીય ક્ષેત્ર ખરાબ કરજની સમસ્યાથી પરેશાન હતું.

તેઓ કહે છે કે મહામારીનો પ્રભાવ ઘટે ત્યારે આ સમસ્યાઓ વધી જશે.

ડૉ. સુબ્બારાવ કહે છે, "અર્થતંત્રની રિકવરીની શક્યતાઓનો આધાર એ વાત પર છે કે આપણે પડકારોનો કેટલો પ્રભાવી ઉકેલ લાવીએ છીએ."

ભારતીય અર્થતંત્ર મહામારીના પ્રભાવમાંથી ક્યારે બહાર આવશે અને ક્યારે રિકવરી કરશે?

ડૉ. સુબ્બારાવે કહ્યું," જો તમારો અર્થ એ છે કે અર્થતંત્રમાં સકારાત્મક વૃદ્ધિ ક્યારે થવા લાગશે તો આવતા વર્ષથી શક્ય છે પરંતું આ વર્ષના નકારાત્મક આંકડા જોતાં વધારે સકારાત્મક વૃદ્ધિ નહીં મળે."

આ નાણાકીય વર્ષમાં પ્રથમ ત્રિમાસિકના જીડીપી આંકડામાં ઘટાડો થયો હતો અને અર્થશાસ્ત્રીઓનો અંદાજ હતો કે આખા વર્ષનો ગ્રોથ નૅગિટિવ ડબલ ડિજિટમાં હોઈ શકે છે.

"જો તમારો અર્થ છે કે વૃદ્ધિદરમાં પાંચથી છ ટકાનો લાંબા સમય ટકી રહે એવો સુધાર ક્યારે આવશે, તો આમાં ત્રણથી પાંચ વર્ષ લાગશે અને તે પણ ત્યારે શક્ય થશે જ્યારે યોગ્ય પગલા લેવામાં આવશે."

સમાધાન : અર્થતંત્ર પાટા પર કેવી રીતે આવશે?

ડૉ. સુબ્બારાવનું માનવું છે કે ભારતીય અર્થતંત્રના પક્ષમાં અમુક સકારાત્મક વસ્તુઓ છે અને તેના પર વધારે કામ કરવાની જરૂર છે.

ગ્રામ્ય અર્થતંત્ર શહેરી અર્થતંત્રની સરખામણીમાં સારી રીતે રિકવર થયું છે.

તેઓ કહે છે, "જ્યારે સૌથી વધારે જરૂર હતી ત્યારે મનરેગાના વિસ્તારની યોજનાએ એક જીવાદોરીનું કામ કર્યું અને મહિલાઓ, પેન્શનભોગીઓ અને ખેડૂતોમાં તુરંત પૈસા રોકવામાં આવ્યા, જેનાથી તેમના હાથમાં પૈસા આવ્યા અને પછી માગ પેદા કરવામાં મદદ મળી."

"હાલમાં કૃષિક્ષેત્રમાં કરવામાં આવેલા અનેક સુધારો પરિસ્થિતિને કાબૂમાં લેવાની દિશામાં એક સારી શરૂઆત છે."

ભારતનો કન્ઝમ્પશન બેઝ પણ દેશ માટે એક મોટી સકારાત્મક વસ્તુ છે. દેશના 1.35 કરોડ લોકો પ્રોડક્શનને વધારવામાં મદદ કરી શકે છે.

ડૉ. સુબ્બારાવ કહે છે, "જો લોકોના હાથમાં પૈસા આપવામાં આવે છે તો તેઓ ખર્ચ કરશે જેનાથી આખરે ખપત વધશે. પરંતુ આ લક્ષ્ય હાંસલ કરવા માટે મજબૂત નીતિઓ અને દૃઢ નિશ્ચય સાથે તેમને લાગુ કરવાની જરૂર રહેશે."

'ખર્ચ વધારે સરકાર'

ભારતની કેન્દ્રીય બૅન્કમાં પદ સંભાળતા પહેલાં નાણાસચિવ રહી ચૂકેલા ડૉ. સુબ્બારાવ એ વાતથી સહમત છે કે વર્તમાન પડકારોનું સમાધાન શોધવા માટે સરકારે પૈસા ખર્ચ કરવાની શરૂઆત કરવી જોઈએ. ખાનગી ખપત, રોકાણ અને શુદ્ધ નિકાસ ગ્રોથનાં અન્ય ફૅક્ટર છે પરંતુ હાલ આ બધું મુશ્કેલ વખતમાંથી પસાર થઈ રહ્યું છે.

તેઓ કહે છે, "જો સરકાર આ સમયે વધારે નાણા ખર્ચવાનું શરૂ નહીં કરે તો ખરાબ કરજ ( બેડ લૉન) જેવી તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવો મુશ્કેલ બનશે અને અર્થતંત્રની હાલત વધારે ખરાબ થવા લાગશે."

જોકે તેમણે ચેતવણી આપી કે 'સરકારી ઉધારની સીમા નિર્ધારિત કરવી બહુ જરૂરી છે, એવું ન થઈ શકે કે તેની કોઈ સીમા જ ન હોય.'

સરકાર માટે ચાર સૂત્રીય કાર્યયોજના - ડૉ. સુબ્બારાવ

તેમણે એ પ્રમુખ ક્ષેત્રોનો ઉલ્લેખ કર્યો જેના પર સરકારે ફોકસ કરવું જોઈએ.

તેમના પ્રમાણે સૌથી પહેલા, આજીવિકાનું રક્ષણ કરવું પડશે અને આવું કરવાનો સૌથી સારો રસ્તો હશે મનરેગાનો વિસ્તાર કરવો જે સૅલ્ફ-ટાર્ગેટિંગ છે.

બીજું, રોજગારી બચાવવા અને બેડ લૉનને વધવાથી રોકવા માટે સરકારે સંકટગ્રસ્ત ઉત્પાદન એકમોની મદદ કરવી જોઈએ.

ત્રીજું, સરકારએ મૂળભૂત માળખાના નિર્માણ પર ખર્ચ કરવો જોઈએ જેનાથી સંપત્તિની સાથોસાથ નોકરીઓનું નિર્માણ થઈ શકે.

અંતે, સરકારે બૅન્કોમાં અતિરિક્ત મૂડી નાખવી પડશે જેથી ક્રૅડિટ ફ્લૉ વધારી શકાય.

આ કોયડાનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે નોકરીઓ પેદા કરવી. મહામારી શરૂ થતા પહેલાં નોકરીઓનું સર્જન એક મોટો પડકાર હતો.

નોકરીઓ ક્યાંથી આવશે?

રિસર્ચ ફર્મ 'સૅન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકોનૉમી'ના આંકડા પ્રમાણે, ઑગસ્ટમાં ભારતમાં બેરોજગારીનો દર નવ અઠવાડિયાંના ઉચ્ચતમ સ્તર એટલે કે લગભગ 9.1 ટકા પર પહોંચી ગયો હતો.

"અર્થતંત્ર એક મહિનામાં 10 લાખ નોકરીઓ પેદા કરે એની જરૂર છે, પરંતુ આપણે તેનાથી અડધી પણ નથી કરી શકતા. પરંતુ વડા પ્રધાન મોદીએ 2014માં પ્રથમ વખત આ વાયદા સાથે વિજય મેળવ્યો હતો કે તેઓ 20 વર્ષની ઉંમરવાળા લોકોની જિંદગી બદલી નાખશે જે નવો રોજગાર શોધી રહ્યા છે."

"જો તેમનો આ વાયદો પૂરો ન થાય તો આને તેમની નિષ્ફળતા તરીકે ગણવામાં આવે."

મહામારી અને પછી તેના કારણે લદાયેલા લૉકડાઉનથી નોકરીઓનું સર્જન વધારે મોટો પડકાર બની ગયું છે.

નોકરીઓ ક્યાંથી આવશે, એ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, "નોકરીઓના સર્જન માટે ભારતે મૅન્યુફૅક્ચરિંગ સૅક્ટર પર નિર્ભર થવું પડશે."

"એટલે મૅક ઇન ઇન્ડિયા, મૅક ફૉર ઇન્ડિયા અને મૅક ફૉર ધી વર્લ્ડ, આ બધા મહત્ત્વપૂર્ણ નીતિગત ઉદ્દેશ્યો છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો