કોરોના વાઇરસથી લડવા હનુમાન ચાલીસાનો પાઠ કરો : પ્રજ્ઞા ઠાકુર - TOP NEWS

ભાજપના સંસદસભ્ય પ્રજ્ઞા ઠાકુરે શનિવારે લોકોને 5 ઑગસ્ટ સુધી હનુમાન ચાલીસાનો પાઠ કરવાની અપીલ કરી.

તેમનું માનવું છે કે આમ કરવાથી વિશ્વને કોરોના મહામારીમાંથી મુક્તિ મળશે.

'એનડીટીવી'ના અહેવાલ પ્રમાણે ભોપાલ બેઠકથી ભાજપના સંસદસભ્ય પ્રજ્ઞા ઠાકુરે ટ્વીટ કર્યું કે કોરોના મહામારીનો અંત લાવવા અને લોકોના સારા સ્વાસ્થ્યની કામના માટે ચાલો આપણે આપણે સૌ ભેગા થઈને આધ્યાત્મિક પ્રયાસ કરીએ.

તેમણે લખ્યું, "તમારા ઘરે 25 જુલાઈથી 5 ઑગસ્ટ દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરો."

તેમણે એમ પણ લખ્યું કે 5 ઑગસ્ટે દીપ પ્રગટાવી અને ઘરે ભગવાન રામની આરતી કરી આ વિધિ સમાપ્ત કરો. એ દિવસને આપણે દીવાળીની જેમ ઉજવીશું.

ગુજરાતમાં ખાનગી શાળાઓ ફરી શરૂ કરશે ઑનલાઇન વર્ગો

ગુજરાતમાં સોમવારથી ખાનગી શાળાઓના ઑનલાઇન વર્ગો ફરી શરૂ થઈ જશે.

અમદાવાદ મીરરના અહેવાલ પ્રમાણે રાજ્યમાં ખાનગી શાળાઓના સંગઠન 'સ્વનિર્ભર શાળામંડળ'એ આ નિર્ણય લેતાં કહ્યું કે લડાઈ તેમની અને રાજ્ય સરકાર વચ્ચે છે, આથી વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લેવાયો છે.

રાજ્ય સરકાર તરફથી આદેશ કરાયો હતો કે જ્યાં સુધી શાળાઓમાં પહેલાંની જેમ વિદ્યાર્થીઓની શારીરિક હાજરી સાથેના વર્ગો શરૂ નથી થતાં ત્યાં સુધી શાળાઓ ફી લઈ શકશે નહીં.

આના વિરોધમાં રાજ્યમાં ખાનગી શાળાઓએ ઑનલાઇન વર્ગો લેવાના બંધ કરી દીધા હતા.

શાળામંડળે શનિવારે સાંજે આ નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું કે તેમને વાલીઓ તરફથી વર્ગો શરૂ કરવા માટે વિનંતી કરાઈ છે.

ઉપરાંત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ધણા વિદ્યાર્થીઓની JEE, NEET અને અન્ય

પ્રવેશપરીક્ષાઓ બાકી છે અને તેમના ભણતરને અસર ન પહોંચે તે માટે આ નિર્ણય કરાયો છે.

અયોધ્યામાં ભૂમિપૂજનની તૈયારી, યોગી આદિત્યનાથે આપી દીપોત્સવની સૂચના

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યાની મુલાકાત દરમિયાન કહ્યું કે 4 અને 5મી ઑગસ્ટની રાત્રે દરેક ઘર પ્રકાશિત થઈ ઉઠશે.

એનડીટીવીની ખબર અનુસાર મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ રામમંદિરના ભૂમિપૂજનની નિયત તારીખના 10 દિવસ પહેલાં અયોધ્યાની મુલાકાતે પહોંચ્યા હતા.

મુખ્ય મંત્રી તેમની અયોધ્યા મુલાકાતની શરૂઆતમાં રામજન્મભૂમિ સંકુલ પહોંચ્યા, જે 5 ઑગસ્ટના સમારોહનું મુખ્ય સ્થળ છે.

મુખ્ય મંત્રીએ બેઠકમાં કહ્યું કે 4 અને 5 ઑગસ્ટની રાત્રે દરેક ઘર અને મંદિરમાં દીપોત્સવ થશે.

અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજનનો સમારોહ કોરોના વાઇરસ મહામારી વચ્ચે યોજાશે, જેમાં 150થી 200 નિર્ધારિત વ્યક્તિઓ ભાગ લેશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો