ભારત-ચીન સીમાવિવાદ : જામનગર આવી રહેલાં રફાલ વિમાનો ભારતીય વાયુદળને કેટલી તાકાત આપશે?

ઇમેજ સ્રોત, AFP
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ચીન સાથે તણાવની વચ્ચે ભારતને કુલ 36 રફાલ વિમાનમાંથી પાંચ ઍરક્રાફ્ટની પહેલી ખેપ જુલાઈ મહિનાના અંત ભાગમાં મળી જશે.
નવાં આવેલાં વિમાન ભારતમાં સૌ પ્રથમ વખત ગુજરાત ખાતેના જામનગર ઍરબેઝ ખાતે લૅન્ડિંગ કરશે. અહીંથી તેને અંબાલા લઈ જવામાં આવશે. જ્યાં આવતા મહિને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહની હાજરીમાં તેને 'સત્તાવાર રીતે' ભારતીય વાયુદળમાં સામેલ કરી લેવામાં આવશે એવા અહેવાલ છે.
વિમાન જામનગર પહોંચશે તે પહેલાં તથા પછી તેણે નિર્ધારિત પ્રક્રિયાને અનુસરવાની રહેશે.
વ્યૂહાત્મક સ્થળે આવેલું હોવાથી વાયુદળ માટે જામનગરનું ઍરબેઝ પશ્ચિમ ભારતમાં મહત્ત્વપૂર્ણ હવાઈમથક છે. આવી જ રીતે અંબાલા ઍરબેઝ ખાતે રફાલ વિમાનોની તહેનાતગી કરવા પાછળ પણ તેનું ભૌગોલિક સ્થાન મહત્ત્વપૂર્ણ છે.
ઑક્ટોબર-2019માં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ ફ્રાન્સ ગયા હતા ત્યારે તેમને ઔપચારિક રીતે પ્રથમ રફાલ વિમાનની ડિલિવરી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.
શું રફાલ વિમાનના સામેલ થવાથી ભારત સંભવિત મોરચે ચીન તથા પાકિસ્તાનને એકસાથે પહોંચી વળશે? એવી શું ખાસિયત છે, જે રફાલને અન્ય વિમાનોથી અલગ તથા વધુ ઘાતક બનાવે છે?

જામનગર : પહેલો પડાવ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
'લાઇવ હિંદુસ્તાન'ના રિપોર્ટ મુજબ, રફાલ વિમાન ફ્રાન્સમાં દાસૉના મથક બોર્ડ્યુએક્સથી નીકળશે અને રસ્તામાં મુકામ કરતું જામનગર પહોંચશે.
સંયુક્ત આરબ અમિરાતના અબુધાબી નજીક અલ-ધાફરા ઍરબેઝ ખાતે નવાં વિમાનોનું રિફ્યુલિંગ કરવામાં આવશે, અહીં અગાઉથી જ ફ્રાન્સના રફાલ વિમાનોનો કાફલો તહેનાત છે. આ પહેલાં રસ્તામાં રિફ્યુલર દ્વારા તેમાં ઈંધણ ભરવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઍરમાર્શલ (રિટાયર્ડ) અનીલ ચોપરાના કહેવા પ્રમાણે, "ઍરફોર્સના પાઇલટ રફાલ વિમાનને ભારત લાવશે એટલે જામનગર ઍરબેઝ ખાતે ઊતરશે. જ્યાં કસ્ટમ તથા અન્ય બાબતોને લગતી વહીવટી ઔપચારિક્તાઓ પૂર્ણ કરવાની રહેશે. એ પછી તેમને અંબાલા લઈ જવામાં આવશે."
"ફ્રાન્સથી ભારતની યાત્રા દરમિયાન તેઓ કૉમર્શિયલ વિમાનોની જેમ લગભગ 33 હજાર ફૂટની ઊંચાઈએ ઉડશે. આ સિવાય નાગરિક ઉડ્ડયનવિમાનોને ફાળવવામાં આવેલી રેડિયો ફ્રિક્વન્સીનો ઉપયોગ કરશે."
"આ વિમાનો જે કોઈ દેશની હવાઈ સરહદમાંથી પસાર થશે, ત્યાંના ઍર ટ્રાફિક કંટ્રોલરને પોતાની ઓળખ 'ઇન્ડિયા વન' કે 'ઇન્ડિયા ટુ' તરીકે આપશે. ઉડ્ડાણના ફૉર્મેશનમાં પોતાનો જે ક્રમ હશે, તે મુજબ પોતાની ઓળખ આપશે."
સામાન્ય રીતે એક ટ્રાન્સપૉર્ટ વિમાન પણ તેની સાથે હશે, જેમાં સંભાળ રાખનાર ક્રૂ તથા અન્ય સંરજામ હશે.
વિમાનો જ્યારે ફ્રાન્સથી નીકળશે, ત્યારે તેમાં હથિયાર નહીં હોય અને તેના ફિટિંગની કામગીરી અંબાલા ખાતે કરવામાં આવશે.
1985માં દાસૉ દ્વારા જ નિર્મિત અન્ય વિમાન 'મિરાજ'ને ફ્રાન્સથી ભારત લાવવામાં આવ્યાં, ત્યારે તેમાં ભારતની પાઇલટ ટુકડીના સભ્ય હતા.
જામનગર : 41 વર્ષનો સંયોગ

ઇમેજ સ્રોત, EPA
પશ્ચિમી દેશો પાસેથી 'રેડી-ટુ-ફ્લાય' કંડિશનમાં મળેલાં વિમાનો મોટા ભાગે જામનગર ઍરબેઝ ખાતે જ પ્રથમ ઉતરાણ કરતાં હોય છે.
ભારતીય વાયુદળના નિવૃત ગ્રૂપ કૅપ્ટન કપીલ ભાર્ગવાના કહેવા પ્રમાણે, "બ્રિટન પાસેથી ખરીદેલાં બે જેગ્યુઆર વિમાન તા. 27 જુલાઈ 1979ના ભારત આવ્યાં, ત્યારે તેમણે દેશમાં પ્રથમ વખત ઉતરાણ જામનગર ખાતે કર્યું હતું. કરારના ત્રણ મહિનાની અંદર જ તેની ડિલિવરી ભારતને મળવા લાગી હતી."
એ સમયે જેગ્યુઆર વિમાનનું બૅઝ અંબાલા હતું. બરાબર 41 વર્ષ પછી પ્રસ્તાવિત તારીખ પ્રમાણે રફાલ તા. 27મી જુલાઈએ જામનગર ઊતરશે અને હોમબૅઝ ખાતે અંબાલા જશે.
એ સમયમાં મોરારજી દેસાઈના નેતૃત્વમાં જનતા પાર્ટીની સરકાર હતી. બીજા દિવસે સરકારમાં તેમનો છેલ્લો દિવસ હતો.
2007માં ઇંગ્લૅન્ડ પાસેથી ઍડવાન્ડ્સ ટ્રેઇનિંગ જેટ હૉક ખરીદ્યાં હતાં, ત્યારે પ્રથમ બે વિમાનની ખેપ જામનગરમાં આવી હતી. આ સિવાય સ્વિટ્ઝરલૅન્ડની પિલાટસ કંપની પાસેથી બેઝિક ટ્રેઇનિંગ ઍરક્રાફ્ટ (PC-7 MkII) ભારત આવ્યાં, ત્યારે તેનું એફ.આઈ.આર. (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિજન) જામનગર જ હતું.
સામાન્ય રીતે પાઇલટને રફાલ, સુખોઈ કે અન્ય કોઈ ફાઇટર જેટ આપતાં પહેલાં પ્રથમ તબક્કામાં બેઝિક વિમાન પછી, બીજા તબક્કામાં હિંદુસ્તાન ઍરોનોટિકલ લિમિટેડ દ્વારા નિર્મિત સિતારા અને ત્રીજા તબક્કામાં હૉક જેવા વિમાનો પર હાથ બેસાડવા પડે છે.
ભારત તથા યુ.કે. દ્વારા સંયુક્ત રીતે હૉક વિમાનોને એવી રીતે મૉડિફાય કરવામાં આવ્યાં છે કે તાલીમ સિવાય યુદ્ધના સમયે આક્રમક અભિયાન પણ હાથ ધરી શકે છે.
2009માં ભારતના IL-76 વિમાનમાં ઇઝરાયલની ઍરબૉર્ન વૉર્નિંગ ઍન્ડ કંટ્રોલ સિસ્ટમ્સ (AWACS) બેસાડવામાં આવી હતી, તેઓ ભારતમાં પ્રવેશ્યાં ત્યારે તેઓ જામનગર જ ઊતર્યાં હતાં.
વિદેશથી લાંબા અંતરની મુસાફરી કરીને વિમાનને ભારત સુધી લાવનારા પાઇલટ સામાન્ય રીતે જામનગરમાં અમુક કલાકથી માંડીને એક રાતનો આરામ કરતા હોય છે અને ત્યાંથી હોમબૅઝ (જ્યાં વિમાનોની સ્ક્વૉડ્રન તહેનાત હોય) લઈ જતા હોય છે.
ભારતના પાઇલટ તથા ટેકનિશિયન, એન્જિનિયરે ફ્રાન્સમાં જઈને વિમાન વિશેની તાલીમ લીધી છે. આ પ્રકારનાં જહાજ પ્રથમ વખત ભારતીય બેડામાં સામેલ થતાં હોય ફ્રાન્સ દ્વારા પણ એક ટુકડી અંબાલા મોકલવામાં આવશે.
અંબાલા ખાતે ફ્રાન્સના કેટલાક નિષ્ણાતો અમુક સમય માટે રહેશે અને હથિયાર બેસાડવા તથા અન્ય કોઈ અડચણ ઊભી થયે મદદ કરશે.
અંબાલાનું મહત્ત્વ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ઘરે જેમ કોઈ મહેમાન આવે અને તેના આગમનની ખુશીમાં શૅમ્પેઇન ખોલવામાં આવે, એવી જ રીતે જ્યારે કોઈ નવા વિમાનને ઍરફૉર્સમાં સામેલ કરવામાં આવે ત્યારે તેને વોટર કેનન સૅલ્યુટ આપવામાં આવે છે.
ઍરબેઝના ફાયરફાઇટર બંબા પ્લેન ઉપર પાણીનો ફુવારો છોડીને તેમના આગમનને આવકારે છે.
ઍરમાર્શલ (રિટાયર્ડ) પ્રણબ કુમાર બરબોરાના કહેવા પ્રમાણે, "અંબાલા ભારતનું એવું ઍરબૅઝ છે જે એ વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ સ્થાને આવેલું છે. અહીંથી પૂર્વ અને પશ્ચિમના મોરચા લગભગ સમાન અંતરે આવેલા છે."
"અંબાલા ઉપર હવાઈ હુમલો કરતાં પહેલાં દુશ્મનનાં વિમાનોએ ભારતના હવાઈ સંરક્ષણના અનેક ઘેરાને ભેદવા પડે. એટલા સમયમાં અંબાલા ઍરબૅઝ ખાતે ઘટતું કરવાની તક મળી રહે. હવાઈ તથા જમીની સુરક્ષાવ્યવસ્થાને મજબૂત કરી શકાય."
"ભારતે ઊંડાણ સુધી ઘૂસીને મિશનને અંજામ આપી શકે તેવાં જેગ્યુઆર વિમાન ખરીદ્યાં ત્યારે તેને પણ અંબાલા તહેનાત કરવામાં આવ્યાં હતાં. 50 વર્ષ દરમિયાન અંબાલા ઍરબેઝ એટલું સજ્જ થઈ ગયું છે કે ત્યાં વધારાનો ખર્ચ કર્યા વગર નવાં વિમાનોને સામેલ કરી શકાશે."
આ સિવાય વિમાન અંબાલાથી નીકળે ત્યારે ભારતીય સીમાની અંદર હવામાં જ તેમનું રિફ્યૂઅલિંગ થઈ શકે છે, જે તેની આગળની લાંબીયાત્રાને સંભવ બનાવે છે. આવું ફૉરવર્ડ બેઝ ઉપર તહેનાત વિમાનો માટે શક્ય નથી હોતું.
ઍરમાર્શલ (રિટાયર્ડ) પી. કે. બારબોરા ભારતી ઍરફૉર્સની પૂર્વ તથા પશ્ચિમ કમાન્ડની કમાન સંભાળી ચૂક્યા છે.
રફાલનું બીજું બૅઝ હાસીમારા (પશ્ચિમ બંગાળ) ખાતે હશે, જે ચીન તરફથી ઊભા થતા કોઈ પણ ખતરાને પહોંચવાનો પ્રયાસ કરશે. હાલમાં ત્યાં સુખોઈ વિમાનો તહેનાત છે.
આમ 2022ના મધ્યભાગ સુધીમાં મળનારી 36 વિમાનની આખી ખેપ મળશે જે આ બંને ઍરબૅઝની વચ્ચે જ વપરાય જશે.
એક સાથે બે મોરચા

ઇમેજ સ્રોત, Getty Images
રક્ષાવિશેષજ્ઞ રાહુલ બેદીએ બીબીસીને જણાવ્યું હતું, "આપણે ગુણવત્તા તો જોઈશે જ, પરંતુ સાથે સંખ્યા પણ જોઈશે. જો તમે ચીન અથવા પાકિસ્તાનનો મુકાબલો કરી રહ્યા છો તો તમારે યુદ્ધવિમાનોની સંખ્યા પણ જોઈશે."
તેઓ કહે છે, "ચીન પાસે જે ફાઇટર પ્લેન છે તેની સંભ્યા ભારતથી ઘણી વધુ છે. રફાલ ખૂબ ઍડવાન્સ છે, પરંતુ ચીનની પાસે એવાં ફાઇટર પ્લેન પહેલાંથી જ છે. પાકિસ્તાનની પાસે F-16 છે અને તે પણ ખૂબ અદ્યતન છે."
"રફાલ સાડા ચાર જનરેશન ફાઇટર પ્લેન છે અને સૌથી અદ્યતન પાંચ જનરેશન છે."
ભારતના વર્તમાન ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બીપિન રાવત ભારતીય સેનાના વડા હતા ત્યારે તેમણે 'ટૂ ફ્રંટ વૉર' એટલે કે એક સાથે બે દેશોનાં આક્રમણની વાત કહી હતી.
જનરલ રાવતની આ ટિપ્પણીને ભારત વિરુદ્ધ પાકિસ્તાન અને ચીનની સાઠગાંઠ તરીકે જોવામાં આવે છે.
જો પાકિસ્તાન ભારત સાથે યુદ્ધ કરે અને ચીન પણ તેનો સાથ આપે તો શું ભારત બંનેને પહોંચી શકશે?
રક્ષાવિશેષજ્ઞ ગુલશન લુથરાએ એ.એફ.પી. સાથે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "પાકિસ્તાનને તો આપણે હૅન્ડલ કરી શકીએ છીએ, પરંતુ આપણી પાસે ચીનનો કોઈ ઈલાજ નથી. જો ચીન અને પાકિસ્તાન બંને સાથે આવી જાય તો આપણે ફસાઈ જઈશું એ નક્કી જ છે."
1965ના પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન ચીને પૂર્વનો મોરચો ખોલ્યો હતો. જેના કારણે ભારતે જેલેપલા પાસ ગુમાવી દીધો હતો, જોકે નથુલા રહી જવા પામ્યો હતો. ભારત અને ચીન વચ્ચે સીમાનું સ્થાયી ધોરણે નિર્ધારણ થઈ શક્યું નથી, જેના કારણે ગલવાન ખીણમાં ભારતના 20 સૈનિક મૃત્યુ પામ્યા હતા.
ભારતે રશિયા પાસેથી વધારાનાં MiG-29, સુખોઈ-30 MKI અને સ્વદેશી તેજસ વિમાનો દ્વારા આ ઘટતી જતી સંખ્યાને સંતુલિત કરવાની તજવીજ હાથ ધરી છે.
ટેકનૉલૉજી : વિમાનની તાકત

ઇમેજ સ્રોત, DASSAULT RAFALE
'ધ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ડિફેન્સ સ્ટડીઝ ઍન્ડ ઍનાલિસિસ' (IDSA)માં ફાઇટર જેટના વિશ્લેષકે બીબીસીને જણાવ્યું હતું, "કોઈ પણ યુદ્ધવિમાન કેટલું શક્તિશાળી છે એ તેની સેન્સર ક્ષમતા અને હથિયાર ઉપર નિર્ભર કરે છે."
"એટલે કે કોઈ ફાઇટર પ્લેન કેટલાં અંતરથી જોઈ શકે છે અને કેટલે દૂર સુધી મારી શકે છે."
"ચોક્કસપણે આ બાબતે રફાલ ખૂબ જ આધુનિક યુદ્ધવિમાન છે. ભારતે આ અગાઉ 1997-98માં રશિયા પાસેથી સુખોઈ ખરીદ્યું હતું. સુખોઈ પછી રફાલ ખરીદાઈ રહ્યું છે. 20-21 વર્ષ પછી આ સોદો થઈ રહ્યો છે, એટલે સ્વાભાવિક છે કે આટલાં વર્ષોમાં ટેકનૉલૉજી બદલાઈ છે."
તેઓ કહે છે, "કોઈ ફાઇટર પ્લેન કેટલી ઊંચાઈ સુધી જાય છે એ તેના એન્જિનની તાકાત ઉપર આધાર રાખે છે. સામાન્ય રીતે ફાઇટર પ્લેન 40થી 50 હજાર ફૂટની ઊંચાઈ સુધી જાય જ છે, પરંતુ આપણે ઊંચાઈથી કોઈ યુદ્ધવિમાનની તાકાતનો અંદાજ બાંધી શકીએ નહીં."
"ફાઇટર પ્લેનની તાકાત માપવાની કસોટી હથિયાર અને સેન્સરની ક્ષમતા જ છે."
રફાલની વિશેષતા

ઇમેજ સ્રોત, DASSAULT RAFALE
રફાલની વહનક્ષમતા સારી છે અને તેમાં અત્યાધુનિક સિસ્ટમ છે. તે એક જ સમયે હવામાંથી જમીન પર હુમલા કરવાની અને અન્ય યુદ્ધ વિમાનોને આંતરવાની ક્ષમતા ધરાવે છે.
તે ઓછી ઊંચાઈ પરથી પણ ઍર-ટુ-ઍર મિસાઇલ છોડી શકે છે. આ રફાલ વિમાનોનો અત્યાર સુધી અફઘાનિસ્તાન, લીબિયા, માલી, ઇરાક અને સીરિયા જેવા દેશોમાં થયેલાં યુદ્ધમાં ઉપયોગ થયો છે.
• રફાલ પરમાણુ મિસાઇલનું વહન કરવામાં સક્ષમ
• ખૂબ જ ઠંડા વિસ્તારમાં એન્જિન સ્ટાર્ટ થઈ શકે
• વિશ્વનાં સૌથી આધુનિક હથિયારોથી સજ્જ
• 'હેમર' મિસાઇલ જે 60-70 કિમીના ટાર્ગેટમાં આવતાં નિશાનને ભેદી શકે
• બે મિસાઇલ લગાવેલી હોય છે. એકની રેંજ 150 કિમી અને બીજી મિસાઇલની રેંજ 300 કિમી
• આ વિમાનની હરોળનું વિમાન ચીન અને પાકિસ્તાન પાસે ન હોવાનો દાવો
• ભારતીય વાયુસેનાનાં વિમાન મિરાજ-2000નું અદ્યતન વર્ઝન છે
• ભારતીય વાયુસેના પાસે આવાં 51 મિરાજ છે
• દાસૉ ઍવિએશન અનુસાર રફાલની સ્પીડ મૅક 1.8 એટલે કે 2000 કિમી/પ્રતિ કલાક છે.
• તેની ઊંચાઈ 5.30 મીટર, લંબાઈ 15.30 મીટર છે.
• રફાલ હવામાં ઊડતું હોય તે દરમિયાન પણ તેમાં ઈંધણ ભરી શકાય છે
રફાલનો ઇતિહાસ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
રફાલ બનાવતી કંપની દાસૉ અનુસાર આ વિમાન ફૉર્થ પ્લસ જનરેશન ટેકનૉલૉજીના છે અને સૌપ્રથમ 1986માં તેનું પ્રારંભિક ઉત્પાદન શરૂ થયું હતું.
ફ્રાન્સની વાયુસેના પાસે 91 રફાલ છે. અફઘાનિસ્તાનની લડાઈમાં અમેરિકાના નેતૃત્વવાળા નાટો દળે તેનો ઉપયોગ કર્યો હતો.
ઇરાકના શાસક સદ્દામ હુસૈન સામેની લડાઈમાં પણ અમેરિકાનાં દળોએ રફાલ ઉપયોગમાં લીધાં હતાં.
વર્ષ 2011માં લિબિયાના ગૃહયુદ્ધમાં પણ રફાલ સામેલ કરાયાં હતાં. ઇરાકના યુદ્ધમાં આઈ.એસ. (ઇસ્લામિક સ્ટેટ્સ)ના લડાકુઓ પર કરવામાં આવેલા હવાઈ હુમલા દરમિયાન રફાલનો ઉપયોગ થયો હતો.
ફ્રાન્સ સિવાય ઇજિપ્ત, કતારનાં વાયુદળ પણ રફાલ વિમાન ધરાવે છે, જ્યારે બ્રાઝિલ, દક્ષિણ કોરિયા અને યુ.એ.ઈ. તેમની વાયુસેના માટે આ વિમાન ખરીદવા વિચારી રહ્યા છે.
વિમાનનો 'સુપ્રીમ' વિવાદ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના અધ્યક્ષપદે ત્રણ જજોની બેન્ચે રફાલ સોદાને મુદ્દે કરવામાં આવેલી તમામ અરજીઓ ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે રફાલ યુદ્ધવિમાનની ખરીદ પ્રક્રિયા પર શંકા કરવા માટે કોઈ કારણ નથી.
અદાલતે રાષ્ટ્રીય સુરક્ષાને મહત્ત્વની ગણાવી હતી અને કહ્યું કે 'અમે પહેલાં સંરક્ષણ સાથે સંકળાયેલી બાબતની ન્યાયિક તપાસનો પ્રયાસ કર્યો પરંતુ અમારો મત છે કે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ન્યાયિક સમીક્ષાનો માપદંડ ન કરી શકીએ.'
પોતાના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે આ સોદા સાથે સંકળાયેલી પ્રક્રિયા બાબતે સંતોષ વ્યકત કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે વિમાનની કિંમત અને ઑફસેટ પાર્ટનર બાબતે એ પોતાની ફરજ નથી એવું વલણ દાખવ્યું હતું.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું હતું કે તેઓ સરકારને 126 ઍરક્રાફટ ખરીદવાં માટે ફરજ ન પાડી શકે અને અદાલત આ કેસના દરેક પાસાની સમીક્ષા કરે તે યોગ્ય નહીં ગણાય.
અદાલતે એમ પણ કહ્યું હતું કે વિમાનોની કિંમતની તુલના કરવાનું કામ અમારું નથી.
કમ્પ્ટ્રોલર જનરલે યુ.પી.એ.ના કાર્યકાળ દરમિયાનની અને એન.ડીએ.ના સમયની ડીલની સરખામણી કરતાં જે મુખ્ય તારણ આપ્યા, તે મુજબ એન.ડી.એ.ની ડીલમાં વિમાન માત્ર એક મહિના વહેલા મળશે. આ સિવાય વિમાનનો સોદો નવ ટકા જેટલો નહીં, પરંતુ માંડ ત્રણ ટકા જેટલો સસ્તો પડ્યો હતો.
આ સિવાય CAGએ નોંધ્યું હતું કે ભારતે બૅન્ક ગૅરન્ટી જતી કરી હતી, જેના કારણે દાસૉ ઍવિએશનને નાણાકીય બચત થઈ છે, જેનો લાભ તેણે ભારતને આપવો જોઈતો હતો.
ક્યારે થઈ હતી રફાલ ડીલ?

ઇમેજ સ્રોત, DASSAULT RAFALE
વર્ષ 2007માં ભારતીય વાયુસેનાએ સરકાર સમક્ષ મીડિયમ મલ્ટી-રૉલ કૉમ્બેટ ઍરક્રાફ્ટ (એમએમઆરસીએ) ખરીદવા માટે પ્રસ્તાવ મૂક્યો. જેને પગલે એ જ વર્ષે ભારત સરકારે કુલ 123 એમએમઆરસીએ ફાઇટર્સ ખરીદવાં ટૅન્ડર બહાર પાડ્યાં.
ફ્રૅન્ચ કંપની દાસૉ દ્વારા રફાલ માટે બીડ કરવામાં આવી, રશિયન MIG-35 અને સ્વિડિશ Saab JAS-39 ગ્રિપન, અમેરિકન લૉકહીડ માર્ટીન દ્વારા F-16, બૉઇંગ F/A-18 સુપર હૉર્નેટ અને યુરોફાઇટર ટાઇફુન પણ આ દોડમાં સામેલ થયાં.
વર્ષ 2010માં યૂપીએ સરકારે ફ્રાન્સ પાસેથી આ વિમાનો ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી હતી.
વર્ષ 2012થી 2015 સુધી બન્ને વચ્ચે વાટાઘાટો ચાલતી રહી. ત્યાર બાદ વર્ષ 2014માં ભાજપની સરકાર બની.
વર્ષ 2016ના સપ્ટેમ્બરમાં ભારતે ફ્રાન્સ સાથે 36 રફાલ વિમાનો માટે 59 હજાર કરોડ રૂપિયાની ડીલ કરી.
જે યુ.પી.એ. (યુનાઇટેડ પ્રોગ્રેસિવ ગવર્નમેન્ટની સરકાર) કરતાં બે ગણી હતી. વિપક્ષે આરોપ મૂક્યો કે દાસૉ ઍવિએશનની ભારતીય ભાગીદાર કંપની રિલાયન્સ ડિફેન્સ લિમિટેડને લાભ અપાવવા માટે આમ કરવામાં આવ્યું.
ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે દાસૉ પાસે ભાગીદાર તરીકે રિલાયન્સ ડિફેન્સને સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ ન હતો, ભારત સરકારે તેનો આગ્રહ કર્યો હતો.
ઓલાંદના કાર્યકાળ દરમિયાન સોદો થયો હતો, એટલે તેમની વાતના ભારતમાં પડઘા પડ્યા.
અનિલ અંબાણીએ કથિત રીતે ઓલાંદના મિત્રની ફિલ્મનિર્માણની કંપનીમાં રોકાણ કર્યું હતું, જેના કારણે ફ્રાન્સમાં પણ આ ડીલના પડઘા પડ્યા.
ભારત અગાઉ કુલ 126 વિમાન ખરીદવાનું હતું અને એવું નક્કી થયું હતું કે 18 વિમાન ફ્રાન્સ પાસેથી ખરીદશે અને 108 વિમાન બેંગ્લુરુસ્થિત 'હિંદુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ'માં બનાવશે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












