એન્તેબે : ઇઝરાયલના ઇતિહાસનું સૌથી વધુ હિંમતભર્યું કમાન્ડો મિશન

મુક્તિ પામેલા બંધકોને ભેટી રહેલા તેમના સ્વજનો

ઇમેજ સ્રોત, MICHA BAR AM

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી

અમેરિકાના અખબાર 'ન્યૂ યૉર્ક ટાઇમ્સ'ના અહેવાલ મુજબ, ઇઝરાયલના જાસૂસોએ ઈરાનના એક ગુપ્તસ્થળેથી ઈરાનના પરમાણુ કાર્યક્રમની વિગતો ઉઠાવી હતી. આ દસ્તાવેજોમાંથી મળેલી જાણકારીના આધારે જ ટ્રમ્પે ઈરાનની ઉપર નિયંત્રણો લાદવાનો નિર્ણય લીધો હતો.

અહેવાલ મુજબ, તિજોરીઓ તોડીને લગભગ 50,000 કાગળિયા તથા 163 સીડીમાં વીડિયો પ્લાન તથા અન્ય વિગતોની ઉઠાંતરી કરી હતી.

31મી જાન્યુઆરીની રાત્રે આ મિશન શરૂ થયું તથા છ કલાક અને 29 મિનિટની અંદર પૂર્ણ થઈ ગયું હતું.

જોકે, આવું પ્રથમ વખત નથી બન્યું કે ઇઝરાયલે વિદેશની ધરતી પર કોઈ મોટા અભિયાનને અંજામ આપ્યો હોય.

એક અભિયાનમાં ઇઝરાયલે યુગાન્ડામાંથી બંધકોને સલામત રીતે છોડાવ્યા હતા, ઇઝરાયલના વર્તમાન વડા પ્રધાન બેન્જામિન નેતનયાહૂના ભાઈએ આ મિશનને અંજામ આપ્યો હતો.

જાસૂસી ઇતિહાસમાં 'મિશન એન્તેબે' તરીકે વિખ્યાત થયું.

ઇઝરાયલના તેલ અવીવથી 1976ની 27 જૂને પેરિસ જઈ રહેલી ઍર ફ્રાન્સની ફ્લાઇટ ક્રમાંક 139 એથેન્સમાં રોકાણ બાદ ફરી ટેક ઑફ કરી રહી હતી, ત્યારે પ્લેનમાંના ચાર પ્રવાસી તેમની સીટમાંથી અચાનક ઉઠ્યા. તેમના હાથમાં પિસ્તોલ અને ગ્રૅનેડ્ઝ હતાં.

અપહરણકર્તાઓએ ફ્લાઇટને લીબિયાના શહેર બેનગાઝી લઈ જવાનો આદેશ પાઇલટને આપ્યો.

ચાર અપહરણકર્તાઓ પૈકીના બે પેલેસ્ટાઇનના અને બે જર્મનીના હતા. ચારમાં એક મહિલા પણ હતી.

જિયાન હારતુવ એ પ્લેનમાં પ્રવાસ કરતા હતા. એ ઘટનાને સંભારતાં જિયાન હારતુવે જણાવ્યું હતું કે અપહરણકર્તાઓ પૈકીની મહિલા બ્રિજેત કુલમાને હૅન્ડગ્રૅનેડમાંથી પિન કાઢી નાખી હતી.

પછી પ્રવાસીઓને ધમકી આપતાં બ્રિજેત કુલમાને જણાવેલું કે કોઈ વિરોધ કરશે તો એ પ્લેનમાં વિસ્ફોટ કરી નાખશે.

બેનગાઝીમાં સાત કલાક રોકાઈને પ્લેનમાં ઇંધણ ભરાવ્યા બાદ અપહરણકર્તાઓએ પાઇલટને પ્લેન યુગાન્ડાના એન્તેબે ઍરપૉર્ટ પર લઈ જવાનો આદેશ આપ્યો.

line

પ્લેન સીધું જ ઈદી અમીનના દેશમાં ઊતર્યું

યુગાન્ડાના તાનાશાહ ઈદી અમીન

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, નિશાન તાકી રહેલા યુગાન્ડાના તાનાશાહ ઈદી અમીન

એ વખતે યુગાન્ડામાં તાનાશાહ ઈદી અમીનનું શાસન હતું. તેમની સંપૂર્ણ સહાનુભૂતિ અપહરણકર્તાઓની સાથે હતી.

પ્લેન એન્તેબે એરપોર્ટ પર પહોંચ્યું, ત્યારે ચાર અપહરણકર્તાઓ સાથે તેમના અન્ય સાથીઓ પણ ભળ્યા.

અપહરણકર્તાઓએ યહૂદી બંધકોને અલગ કરી નાખ્યા હતા અને દુનિયાના અલગ-અલગ દેશોની જેલોમાં કેદ કરવામાં આવેલા પેલેસ્ટાઇનના 54 કેદીઓને મુક્ત કરવાની માગણી કરી.

અપહરણકર્તાઓએ ધમકી આપી કે પેલેસ્ટાઇનના કેદીઓને મુક્ત કરવામાં નહીં આવે તો તેઓ પ્લેનમાં પ્રવાસીઓની વારાફરતી હત્યા કરી નાખશે.

એન્તેબે ઇઝરાયલથી અંદાજે 4,000 કિલોમીટર દૂર હતું એટલે કોઈ બચાવ મિશન કામગીરી બાબતે વિચારી શકાય તેમ પણ ન હતું.

પ્લેનમાંના પ્રવાસીઓના સગાંસંબંધીઓએ ઇઝારયલની રાજધાની તેલ અવીવમાં પ્રદર્શન શરૂ કરી દીધું.

બાન પકડવામાં આવેલા પ્રવાસીઓ પૈકીના કેટલાક ઇઝરાયલના વડા પ્રધાન રબીનના સગાં હતાં.

બંધકોને કોઈ પણ હાલતમાં છોડાવવાનું દબાણ રબીન પર વધી રહ્યું હતું.

line

ઇઝરાયલે મિશન માટે કમર કસી

એન્તેબે એરપોર્ટ
ઇમેજ કૅપ્શન, એન્તેબે ઍરપૉર્ટ

બંધકોમાં એક સારા ડેવિડસન હતાં. તેમણે કહ્યું હતું, "અપહરણકર્તાઓએ બંધકોને બે જૂથમાં વહેંચી નાખ્યાં હતાં. તેમણે અમુક લોકોનાં નામ બોલીને તેમને બીજા ઓરડામાં જવા કહ્યું હતું.

"થોડી વખત પછી ખબર પડી હતી કે અપહરણકર્તાઓ માત્ર જ્યૂ લોકોનાં નામ જ બોલી રહ્યા છે."

એ દરમિયાન અપહરણકર્તાઓએ જ્યૂ ન હોય તેવા 47 પ્રવાસીઓને મુક્ત કરી દીધાં હતાં. એ લોકોને એક ખાસ વિમાનમાં પેરિસ લઈ જવામાં આવ્યાં.

પેરિસમાં ઇઝરાયલની ગુપ્તચર સંસ્થા મોસાદના જાસૂસોએ 47 પ્રવાસીઓ સાથે વાત કરીને એન્તેબેની ઝીણવટભરી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો.

મોસાદના એક એજન્ટે કેન્યામાંથી એક પ્લેન ભાડા પર લઈને એન્તેબે ઉપર ઉડાન ભરી અને તેના ઘણા ફોટોગ્રાફ્સ લીધા.

રસપ્રદ વાત એ હતી કે એન્તેબે એરપોર્ટના જે ટર્મિનલ પર બંધકોને રાખવામાં આવ્યા હતા તેનું નિર્માણ ઇઝરાયલની એક કંપનીએ કર્યું હતું.

નિર્માતા કંપનીએ તે ટર્મિનલનો નકશો ઇઝરાયલની સરકારને આપ્યો.

ઇઝરાયલમાં રાતોરાત એવું જ નકલી ટર્મિનલ બનાવવામાં આવ્યું, જેથી ઇઝરાયલી કમાન્ડો તેના પર હુમલાનો અભ્યાસ કરી શકે.

line

મિશન માટે સર્વશ્રેષ્ઠ સૈનિકો

ઇઝરાયલના વડાપ્રધાન બન્યા એ પહેલાં સેના અધ્યક્ષ રાબીન (જમણે) અને વચ્ચે ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન મોશે દયાન

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલના વડાપ્રધાન બન્યા એ પહેલાં સેના અધ્યક્ષ રાબીન (જમણે) અને વચ્ચે ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન મોશે દયાન

ઇઝરાયલના સૈન્યના 200 સર્વશ્રેષ્ઠ સૈનિકોને આ મિશન માટે પસંદ કરવામાં આવ્યા હતા.

આ કમાન્ડો મિશનમાં સૌથી મોટી ચિંતા એ હતી કે એન્તેબે ઍરપૉર્ટના રનવેની લાઇટ્સ રાત્રે બંધ કરી દેવામાં આવે તો શું કરવું?

ઈદી અમીનના સૈનિકો ઇઝરાયલી વિમાનને ઊતરતું રોકવા માટે રનવે પર ટ્રક ગોઠવી દે તો શું કરવું?

એ દરમ્યાન ઇઝરાયલે સંકેત આપ્યો હતો કે તે અપહરણકર્તાઓ સાથે વાતચીત કરવા તૈયાર છે.

કમાન્ડોઝને તૈયારી માટે વધુ સમય મળે એ હેતુસર આમ કરવામાં આવ્યું હતું.

ઈદી અમીન સાથે વાત કરવાનું કામ તેમના દોસ્ત ગણાતા ભૂતપૂર્વ લશ્કરી અધિકારી બાર લેવને સોંપવામાં આવ્યું હતું.

બાર લેવે ઈદી અમીન સાથે ફોન પર અનેક વખત વાત કરી હતી, પણ બંધકોને મુક્ત કરાવવામાં તેઓ અસફળ રહ્યા હતા.

એ દરમિયાન આફ્રિકન એકતા સંગઠનની બેઠકમાં ભાગ લેવા માટે ઈદી અમીન મોરેશિયસની રાજધાની પોર્ટ લૂઈ ચાલ્યા ગયા હતા. તેથી ઇઝરાયલને વધુ સમય મળ્યો હતો.

line

ઉડતા વિમાનમાં ઈંધણ ભર્યું

બીબીસી સ્ટુડિયોમાં રેહાન ફઝલ સાથે જનરલ અશોક મહેતા(ડાબે)
ઇમેજ કૅપ્શન, બીબીસી સ્ટુડિયોમાં રેહાન ફઝલ સાથે જનરલ અશોક મહેતા (ડાબે)

જનરલ અશોક મહેતા એ સમયે ભારતીય સૈન્યમાં લેફ્ટનન્ટ કર્નલ હતા અને અમેરિકાના પોર્ટ લૈવનવર્થની કમાન્ડ ઍન્ડ જનરલ સ્ટાફ કોલેજમાં તાલીમ લઈ રહ્યા હતા.

જનરલ અશોક મહેતાએ જણાવ્યું હતું કે આ મિશન માટે 4,000 કિલોમીટર દૂર ગયા પછી 4,000 કિલોમીટર પરત પણ આવવાનું હતું અને એ સૌથી મોટી મુશ્કેલી હતી.

તેથી મિશનનું પ્લેન હવામાં ઉડી રહ્યું હતું, ત્યારે બીજા ઉડતા વિમાનમાંથી તેમાં ઇંધણ ભરવામાં આવ્યું હતું.

આ મિશનની જવાબદારી બ્રિગેડિયર જનરલ ડેમ શોમરોનને સોંપવામાં આવી હતી.

જ્યારે લેફ્ટનન્ટ કર્નલ યોનાથન નેતન્યાહૂને ફિલ્ડ ઑપરેશનના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા હતા.

ઇઝરાયલ પાસે ત્રણ વિકલ્પ હતા. એક, હુમલા માટે પ્લેનનો સહારો લેવામાં આવે. બે, નૌકાઓ વડે ત્યાં પહોંચવામાં આવે. ત્રણ, સડક માર્ગે કેન્યાથી યુગાન્ડામાં ઘૂસવામાં આવે.

આખરે એવું નક્કી થયું હતું કે એન્તેબે પહોંચવા માટે પ્લેનનો ઉપયોગ કરવામાં આવશે અને યુગાન્ડાના સૈનિકોને એવો આભાસ કરાવવામાં આવશે કે એ વિમાનોમાં રાષ્ટ્રપતિ ઈદી અમીન વિદેશ યાત્રાથી પરત આવી રહ્યા છે.

ઇઝરાયલના સાઇનાઈ બૅઝ પરથી ચોથી જુલાઈએ ચાર હર્ક્યુલિસ વિમાનોએ ઉડાન ભરી હતી.

માત્ર 30 મીટરની ઊંચાઈ પર ઉડીને તેમણે રાતો સમુદ્ર પાર કર્યો હતો, જેથી ગ્રીસ, સુદાન તથા સાઉદી અરેબિયાના રડાર તેમની હિલચાલને પકડી ન શકે.

પ્રવાસ દરમ્યાન ઇઝરાયલના સૈનિકોએ યુગાન્ડાના સૈનિકોનો યુનિફોર્મ પહેરી લીધો હતો.

line

માત્ર છ મિનિટનો સમય

ઈઝરાયલના વિમાનમાંથી ઉતરી રહેલા બંધકો
ઇમેજ કૅપ્શન, ઇઝરાયલના વિમાનમાંથી ઉતરી રહેલા બંધકો

ઇઝરાયલનાં વિમાનો રવાના થયાં પછી વડા પ્રધાન રાબીએ આ મિશનની માહિતી પ્રધાનમંડળને આપી હતી.

સતત સાત કલાક ઉડ્ડયન કર્યા બાદ પહેલું હર્ક્યુલિસ પ્લેન એન્તેબે ઉપર પહોંચ્યું હતું.

પ્લેનનું ઉતરાણ કરીને અપહરણકર્તાઓને અંકુશમાં લેવા માટે માત્ર છ મિનિટનો સમય હતો.

ઉતરાણ વખતે રનવેની લાઇટ્સ ચાલુ હતી. ઉતરાણની આઠ મિનિટ પહેલાં હર્ક્યુલિસની રૅમ્પ ખોલી નાખવામાં આવી હતી, જેથી સમય ઓછામાં ઓછો લાગે.

ઉતરાણ કરતી વખતે પાઇલટે પ્લેનને રનવેની વચ્ચોવચ રોકી દીધું હતું.

જેથી પેરાટ્રુપર્સની એક ટુકડીને નીચે ઉતારી શકાય અને એ ટુકડી પાછળ આવતાં વિમાનો માટે પ્લેન પર ઇમરજન્સી લાઇટ્સ લગાવી શકે.

line

મર્સિડીઝ વડે થાપ આપવાનો પ્રયાસ

એન્તેબેથી સહીસલામત ઈઝરાયલ પરત આવેલા બંધકોને જોઈને તેમના સગાંઓની આંખમાં આંસુ છલકાયાં હતાં
ઇમેજ કૅપ્શન, એન્તેબેથી સહીસલામત ઇઝરાયલ પરત આવેલા બંધકોને જોઈને તેમના સગાંઓની આંખમાં આંસુ છલકાયાં હતાં

પ્લેનમાંથી એક કાળી મર્સિડીઝ કાર ઉતારવામાં આવી હતી. એ મર્સિડીઝ ઈદી અમીન ઉપયોગ કરતા હતા એ કાર જેવી જ હતી.

તેની પાછળ કમાન્ડો ભરેલી બે લૅન્ડ રોવર કાર પણ ઉતારવામાં આવી હતી. એ વાહનોએ ઝડપભેર ટર્મિનલ ભણી આગળ વધવાનું શરૂ કર્યું હતું.

ટર્મિનલ સુધી પહોંચ્યા પછી જ ગોળીબારનો આદેશ કમાન્ડોઝને આપવામાં આવ્યો હતો.

ઇઝરાયલને એવી આશા હતી કે કાળી મર્સિડીઝ જોઈને યુગાન્ડાના સૈનિકો એવું સમજશે કે ઈદી અમીન બંધકોને મળવા આવી રહ્યા છે.

જોકે, ઇઝરાયલીઓને એ ખબર ન હતી કે ઈદી અમીને થોડા દિવસ પહેલાં જ તેમની કાર બદલાવી નાખી હતી અને તેઓ સફેદ મર્સિડીઝનો ઉપયોગ કરતા હતા.

line

...અને ઑપરેશનનું રહસ્ય ખુલ્લું થઈ ગયું

સૈનિકોને આવકારી રહેલા ઈઝરાયલી નાગરિકો

એ કારણે ટર્મિનલની બહાર ઊભેલા યુગાન્ડાના સૈનિકોએ તેમની રાઇફલોથી નિશાન તાક્યું હતું, પણ ઇઝરાયલના કમાન્ડોઝે તેમની સાયલેન્સરવાળી બંદૂકોથી એમને શાંત કરી દીધા.

હવે તેમનું રહસ્ય ઉઘાડું પડી ગયું હતું.

ગોળીબાર થતાંની સાથે જ કમાન્ડરે વાહનોમાંથી ઉતરીને પગપાળા ટર્મિનલ પર ધસી જવાનો આદેશ કમાન્ડોઝને આપ્યો હતો.

ટર્મિનલમાં રાખવામાં આવેલા બંધકોને કમાન્ડોઝે બુલ હોર્ન મારફત અંગ્રેજી અને હિબ્રૂમાં જણાવ્યું હતું કે તેઓ ઇઝરાયલી સૈનિકો છે અને તેમને બચાવવા આવ્યા છે.

કમાન્ડોઝે બંધકોને જમીન પર સુઈ જવા જણાવ્યું હતું અને હિબ્રૂ ભાષામાં પૂછ્યું હતું કે અપહરણકર્તાઓ ક્યાં છે?

બંધકોએ મુખ્ય હોલમાં ખુલતા દરવાજા ભણી ઇશારો કર્યો હતો. કમાન્ડોઝ હૅન્ડ ગ્રૅનેડ ફેંકીને હોલમાં ઘૂસ્યા હતા.

ઇઝરાયલી કમાન્ડોઝને જોતાંની સાથે જ અપહરણકર્તાઓએ ગોળીબાર શરૂ કર્યો હતો.

line

ઝરાયલનો એક જ સૈનિક શહીદ

કમાન્ડોઝના સફળ સાહસથી ખુશખુશાલ ઈઝરાયલીઓ

સામસામા ગોળીબારમાં તમામ અપહરણકર્તાઓ મૃત્યુ પામ્યા હતા. ત્રણ બંધકો પણ ગોળીબારની ઝપેટમાં આવી ગયા હતા.

આ દરમિયાન ઇઝરાયલનાં બે વધુ વિમાન ઍરપૉર્ટ પર ઊતર્યાં હતાં. તેમાં પણ ઇઝરાયલી સૈનિકો હતા.

ચોથું વિમાન ખાલી હતું, જેથી બચાવી લેવાયેલા પ્રવાસીઓને તેમાં લઈ જઈ શકાય.

એન્તેબે એરપોર્ટ પર ઉતરવાની 20 જ મિનિટમાં બંધકોને લૅન્ડ રોવર્સમાં ભરીને ખાલી વિમાનમાં પહોંચાડવાનું કામ શરૂ કરી દેવાયું હતું.

એ દરમિયાન યુગાન્ડાના સૈનિકોએ ગોળીબાર શરૂ કર્યો હતો અને ઍરપૉર્ટની તમામ લાઇટ્સ બંધ કરી દેવામાં આવી હતી.

મિશન પૂરું કરીને જતી વખતે ઇઝરાયલના સૈનિકોની ગણતરી કરવામાં આવી હતી. આ સમગ્ર મિશનમાં ઇઝરાયલનો એક સૈનિક શહીદ થયો હતો.

કન્ટ્રૉલ ટાવર પરથી કરવામાં આવેલા ગોળીબારમાં એક ગોળી લેફટેનેન્ટ કર્નલ નેતન્યાહૂની છાતી પર વાગી હતી અને તેઓ ત્યાં જ પટકાયા હતા.

સૈનિકો ઘાયલ નેતન્યાહૂને વિમાનમાં લાવ્યા હતા અને એન્તબેમાં ઉતરાણ કર્યાની 58 મિનિટમાં બચાવી લેવાયેલા પ્રવાસીઓને લઈને તેમના વિમાને ઉડાન ભરી હતી.

એ પહેલાં તેમણે એન્તબે ઍરપૉર્ટ પર ઊભેલાં 11 મિગ વિમાનોને નષ્ટ કરી નાખ્યાં હતાં, જેથી કોઈ તેમનો પીછો ન કરી શકે.

ઇઝરાયલ પરત આવવાના પ્રવાસ દરમિયાન નેતન્યાહૂનું મૃત્યુ થયું હતું.

આ મિશનમાં સાત અપહરણકર્તાઓ અને યુગાન્ડાના 20 સૈનિકો મૃત્યુ પામ્યા હતા.

બંધક બનાવવામાં આવેલાં એક ડોરા બ્લોકને પરત લાવી શકાયા ન હતાં, કારણ કે હુમલા વખતે તેઓ કમ્પાલાની મુલાગો હોસ્પિટલમાં હતાં.

એ પછી યુગાન્ડાના એટર્ની જનરલે ત્યાંના માનવાધિકાર પંચને જણાવ્યું હતું કે આ મિશન બાદ ઈદી અમીનના આદેશથી બે સૈનિકોએ ડોરા બ્લોકની પલંગ પરથી ખેંચીને હત્યા કરી હતી.

line

તિહાસનું સૌથી વધુ દુઃસાહસિક મિશન

ઈઝરાયલી લોકો સાથે ખુશીની ઊજવણી કરી રહેલા વિરોધ પક્ષના નેતા મેનાખિમ બેગિન
ઇમેજ કૅપ્શન, ઇઝરાયલી લોકો સાથે ખુશીની ઊજવણી કરી રહેલા વિરોધ પક્ષના નેતા મેનાખિમ બેગિન

બચાવી લેવામાં આવેલા 102 પ્રવાસીઓ અને ઇઝરાયલના કમાન્ડોઝ ચોથી જુલાઈની સવારે નૈરોબી થઈને તેલ અવીવ પહોંચ્યા હતા.

આ મિશનને ઇઝરાયલના ઇતિહાસનું સૌથી વધુ દુઃસાહસિક મિશન ગણવામાં આવે છે.

કમાન્ડો ટુકડીના સભ્ય લેફ્ટનન્ટ કર્નલ મોરે એ ઘટનાને યાદ કરતાં કહ્યું હતું, "અમે બેન ગુરિયો એરપોર્ટ પર ઉતરાણ કર્યું, ત્યારે ઇઝરાયલવાસીઓ મોટી સંખ્યામાં તેમના સન્માનમાં ઊભા હતા.

"ખુદ વડા પ્રધાન રાબીન અને તેમના પ્રધાનમંડળના તમામ સભ્યો તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા."

જનરલ અશોક મહેતાના જણાવ્યા મુજબ, વડા પ્રધાન રાબીને વિરોધ પક્ષના નેતા મેનાખિમ બેગિનને વધામણી તથા ખુશખબર આપવા માટે બોલાવ્યા હતા.

એ વખતે બેગિને કહ્યું હતું, "હું શરાબ પીતો નથી એટલે ચા પીને ઊજવણી કરીશ."

રાબીને તેમને સિંગલ મોલ્ટ શરાબ સર્વ કરી હતી અને કહ્યું હતું કે આને રંગીન ચા સમજીને પી જાઓ. બેગિને કહ્યું હતું કે આજના દિવસે હું કંઈ પણ પી શકું છું.

એ ઇઝરાયલના ઇતિહાસનો સૌથી મોટો દિવસ હતો. એ પ્રકારનું દુઃસાહસભર્યું અભિયાન અગાઉ ક્યારેય સફળ થયું ન હતું કે ભવિષ્યમાં કદાચ ક્યારેય સફળ નહીં થાય.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન