You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ ઉદ્યોગ જે કોરોનાને લીધે થયો પાયમાલ, 20 લાખ નોકરી પર જોખમ
- લેેખક, નિધિ રાય
- પદ, બીબીસી સંવાદદાતા, મુંબઈથી
હાલમાં જ ઇન્ટરનેશનલ ઍર ટ્રાન્સપોર્ટ ઍસોસિયેશન (આઈએટીએ)એ અનુમાન લગાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ઍરલાઇન્સમાં મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યા વધશે અને 2037 સુધીમાં 8.3 અબજ હવાઈ મુસાફરો હશે.
જોકે કોરોના વાઇરસને કારણે અન્ય કેટલાય ઉદ્યોગોની જેમ હવાઈઉદ્યોગને પણ મોટો ધક્કો લાગ્યો છે.
કોરોના વાઇરસ મહામારીને કારણે અનેક દેશોએ સરહદો બંધ કરી અને લૉકડાઉનને કારણે હવાઈ યાત્રા પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો.
આઈએટીએ પ્રમાણે હવાઈ યાત્રામાં 98 ટકાનો ઘટાડો થયો.
તેનું અનુમાન હતું કે 2020માં ઍરલાઇન કંપનીઓને લગભગ 84 અબજ ડૉલરનું નુકસાન થશે તથા 2019ની સરખામણીમાં આ વર્ષે પ્રતિ મુસાફરે મુસાફરીના કિલોમિટરમાં 48 ટકાનો ઘટાડો થશે.
આ પરિસ્થિતિને જોતાં વિશ્વના ઍરલાઇનના ઉદ્યોગમાં ત્રણ કરોડ 20 લાખ જેટલી નોકરીઓ પર જોખમ છે.
એમાં કોઈ આશ્ચર્ય નથી કે ભારતીય ઍરલાઇન ઇન્ડસ્ટ્રી પણ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે.
રેટિંગ એજન્સી 'ક્રિસિલ'નું અનુમાન છે કે ભારતીય ઍરલાઇન ઇન્ડસ્ટ્રીનું 'ક્રૅશ લૅન્ડિંગ' તેની આવકમાં 24,000-25,000 કરોડ રૂપિયાના નુકસાન સાથે થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ક્રિસિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઍડ્વાઇઝરીની એક પ્રેસનોટમાં ટ્રાન્સપૉર્ટ ઍન્ડ લૉજિસ્ટિક્સના ડિરેક્ટર જગન્નારાયણ પદ્મનાભને કહ્યું, "ઍરલાઇન કંપનીઓને 17 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે."
"ઍરપૉર્ટ પર રિટેલર્સને 1,700-1,800 રૂપિયાનું નુકસાન થશે અને ઍરપૉર્ટ ઑપરેટર્સને 5,000-5,500 કરોડ રૂપિયાની ખોટ જશે."
અબજોના નુકસાનનું અનુમાન
એવી જ રીતે, સેન્ટર ફૉર એશિયા પૅસિફિક ઍવિયેશન ઇન્ડિયાનું કહેવું છે કે "આ વર્ષે એપ્રિલથી જૂન મહિના વચ્ચે ભારતીય ઍરલાઇન ઇન્ડસ્ટ્રીને ત્રણ અબજથી લઈને 3.6 અબજ ડૉલર સુધીનું નુકસાન થયાનું નોંધાયું છે."
જોકે 25 મેથી, ઍરલાઇન કંપનીઓમાં કામકાજ આંશિક રૂપે શરૂ થયું હતું.
ભારતીય ઍરલાઇન કંપનીઓમાં સારું પ્રદર્શન કરી રહેલી ઇન્ડિગોએ જણાવ્યું કે જાન્યુઆરીથી માર્ચ વચ્ચે 871 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
જ્યારે 2019માં આ ઍરલાઇન કંપનીને જાન્યુઆરીથી માર્ચ સુધીમાં 596 કરોડ રૂપિયો નફો થયો હતો.
ઇન્ડિગોની નાણાકીય બાબતોના મુખ્ય અધિકારી આદિત્ય પાંડે સાથે બીબીસીએ વાત કરી હતી.
તેમણે કહ્યું, "કોવિડ-19ની પહેલાંની પરિસ્થિતિમાં પાછા પહોંચવામાં 18થી 24 મહિનાનો સમય લાગી શકે છે અને અન્ય દેશો કેટલી જલદી આંતરરાષ્ટ્રીય ઍરલાઇન્સ ઑપરેશન ફરી શરૂ કરે છે તેના પર નિર્ભર છે."
"પોતાના સંબંધીઓ અને મિત્રોને મળવા માટે આતુર થયેલા લોકો હવે રાહ જોઈ રહ્યા છે કે ફ્લાઇટમાં મુસાફરી સુરક્ષિત અનુભવાય તો તેઓ યાત્રા કરે."
"આપણે એ સમજી ગયા છીએ કે વ્યાવસાયિક મુલાકાત ઑનલાઇન પણ થઈ શકે છે એટલે લોકો પરિસ્થિતિ નિયંત્રણમાં આવે તેની રાહ જોઈ રહ્યા છે."
'ઍરએશિયા'ના સીઈઓ સુનીલ ભાસ્કરન પણ આ વાત માને છે.
તેઓ કહે છે, "લોકોમાં ઍરલાઇન્સની મુસાફરી સુરક્ષિત હોવાની ભાવના આવશે ત્યારે જ પહેલાંની જેમ કામ ચાલુ થઈ શકશે."
બિઝનેસ ઑફ ટ્રાવેલ ટ્રૅડ (બીઓટીટી) દ્વારા ગ્રાહકોનો એક સર્વે કરવામાં આવ્યો, જેમાં જાણવા મળ્યું કે 66 ટકા જેટલા ભારતીયો આવતા ત્રણથી છ મહિનામાં ફરીથી મુસાફરી કરવા માટે તૈયાર છે.
એ સિવાય ચાર્ટર ફ્લાઇટ્સની માગ વધી છે. જે લોકોને વિશેષ વિમાનમાં મુસાફરી કરવી પોસાય એ લોકો ચેપી વાઇરસથી બચવા માટે ચાર્ટર ફ્લાઇટ બુક કરાવી રહ્યા છે.
મોંઘાં ઈંધણને કારણે ચિંતા
ઍરલાઇન્સ કંપનીઓ માટે માત્ર ગ્રાહકોનો વિશ્વાસ જ ચિંતાનો વિષય નથી પરંતુ ઍવિયેશન ટરબાઇન ફ્યૂઅલ (એટીએફ) પણ મોટી મુશ્કેલી છે.
ઍરલાઇન કંપનીઓના કુલ ખર્ચનો લગભગ 40 ટકા ભાગ માત્ર વિમાનનાં ઈંધણ પર ખર્ચ થાય છે. એટીએફ મોંઘું થતાં ઍરલાઇન કંપનીઓની મુશ્કેલી પણ વધશે.
એટીએફની કિંમતમાં એક મહિનામાં બીજી વખત વધારો થયો. દિલ્હીમાં 16 જૂને એટીએફના ભાવમાં 16.3 ટકાનો વધારો થયો, એટલે એટીએફના ભાવમાં લિટર દીઠ 5,494.5 રૂપિયાનો ઉછાળો આવ્યો.
જે હવે પ્રતિ લિટર 39,069.87 રૂપિયા થઈ ગયો છે.
આની પહેલાં ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશનની વેબસાઇટ પ્રમાણે એક જૂને એટીએફના ભાવમાં 56.5 ટકા એટલે 11,030 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો હતો.
એ સિવાય કેન્દ્ર સરકાર તરફથી એટીએફ પર 14 ટકા ઍક્સાઇઝ ડ્યૂટી અને રાજ્યો તરફથી 30 ટકા વૅટ લગાવવામાં આવે છે.
ઍક્સાઇઝ ડ્યૂટીમાં રાજ્યો પ્રમાણે ફેરફાર આવે છે. જેમકે મહારાષ્ટ્ર અને દિલ્હીમાં 25 ટકા, કર્ણાટકમાં 28 અને તામિલનાડુમાં 29 ટકા વૅટ લગાવવામાં આવે છે.
સાદા શબ્દોમાં સમજો કે કંપની એટીએફ માટે જેટલો ખર્ચ કરે છે, તેમાંથી લગભગ 25 ટકા વૅટમાં ખર્ચાય છે.
નિષ્ણાતો કહે છે, આનાથી ઍરલાઇન કંપનીઓનાં સરવૈયાં પર એવી અસરો થશે જેવી પહેલાં ક્યારેય જોવા નથી મળી.
કારણકે ઍરલાઇન કંપનીઓ વિશાળ દેવા હેઠળ દબાયેલી છે, મુસાફરો નથી અને ટિકિટના ભાવ તળીયે પહોંચી ગયા છે અને બે મહિનાથી કોઈ આવક નથી.
સરકાર દ્વારા ટિકિટના ભાવ પર નિયંત્રણ
ઍરલાઇન કંપની માટે ફ્લાઇટનાં ભાડાં પર મૂકવામાં આવેલું નિયંત્રણ મુશ્કેલીનું કારણ છે.
ભારતમાં હવાઈ યાત્રાના નિયામક, ડિરેક્ટર જનરલ ઑફ સિવિલ ઍવિયેશન (ડીજીસીએ)એ 21 મેના રોજ ડૉમેસ્ટિક ફ્લાઇટ્સ માટે ભાડાં નિર્ધારિત કર્યાં હતાં.
આ જાહેરાત ઍરલાઇન્સ કંપનીઓ અને મુસાફરોની મદદના હેતુથી કરવામાં આવી હતી.
એવું માનવામાં આવી રહ્યું હતું કે ફ્લાઇટનું ભાડું મોંઘું થઈ શકે છે, જેથી સરકારે ફ્લાઇટ ઑપરેટરોને ફ્લાઇટની ટિકિટના ભાવ નિયંત્રણમાં રાખવાનું કહ્યું હતું.
ભાસ્કરને સીએપીએ વેબિનારમાં કહ્યું, "મને આશા છે કે ભાડાનું નિર્ધારણ બહુ ટૂંકા ગાળા માટે જ હશે અને જલદી ખતમ થશે. મને નથી લાગતું કે આ સ્થાયી પગલું છે. "
સીએપીએના ડાયરેક્ટર અને સીઈઓ કપિલ કૌલે બીબીસીને કહ્યું, "ટિકિટનાં ભાડાંનું નિર્ધારણ એ દુર્ભાગ્યની વાત છે. આનાથી ઍરલાઇન્સ અને મુસાફરો બંનેના વિકલ્પો પર તરાપ મુકાઈ છે."
"આપણે ત્યાં નક્કી રિફંડ છે અને હવે નક્કી ટિકિટ ભાડાં. આનાથી ઍરલાઇન્સને નુકસાન થઈ રહ્યું હતું અને જુલાઈનો મહિનો આવતા સુધીમાં વધારે મુશ્કેલી થશે."
કાર્ગો ફ્લાઇટ્સ પાસેથી આશા
હાલ બધી ઍરલાઇન કંપની એ આવકના અન્ય સ્રોતો વિશે વિચારી રહી છે.
કાર્ગો ઑપરેશન ચાલુ થઈ ગયાં છે અને સ્પાઇસજેટ, વિસ્તારા અને ઇન્ડિગો આ ક્ષેત્રમાં કામ કરી રહી છે.
ઇન્ડિગોને લૉકડાઉન દરમિયાન કાર્ગો ઑપરેશનનું મહત્ત્વ સમજાયું છે અને તે આમાંથી શક્ય હોય એટલો લાભ લેવાનો પ્રયત્ન કરશે.
ઇન્ડિગોએ કહ્યું કે કંપનીનું ધ્યાન હવે રોકડ અને તેની પ્રવાહિતા પર રહેશે. ઇન્ડિગો રોકડની પ્રવાહિતામાં 3,000-4,000 કરોડ રૂપિયાનો ઉમેરો કરવા માગે છે, જેમાં કાર્ગો ઑપરેશનનો મહત્ત્વનો ભાગ રહેશે.
ઇન્ડિગોના મુખ્ય ફાઇનાન્સ અધિકારી આદિત્ય પાંડેએ કહ્યું, "અમે 100 જેટલી કાર્ગો ફ્લાઇટ્સનું સંચાલન કરી ચૂક્યા છીએ અને અમને આવકનો એક મજબૂત સ્રોત મળ્યો છે. અમે માત્ર કાર્ગો ઑપરેશન્સ માટે 10 વિમાનની નોંધ લીધી છે."
એવી જ રીતે સ્પાઇસ જેટે પણ જણાવ્યું કે તેણે પોતાનાં ત્રણ બૉમ્બાર્ડિયર ક્યૂ 400 યાત્રી વિમાનોને માલવાહક વિમાનમાં પરિવર્તિત કરી દીધાં છે.
આગળ શું?
રેટિંગ એજન્સી કૅર રેટિંગ્સ પ્રમાણે ઍવિયેશન સેક્ટર માટે ડિસેમ્બર 2020 સુધી કપરો સમય છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે ઍરલાઇન કંપનીઓની મદદ કરવા માટે સરકાર ઈંધણ એટલે કે એટીએફ પર લાગતા વૅટને સુસંગત બનાવી શકે છે. જે હાલ અલગ-અલગ રાજ્યોમાં જુદાજુદા દરે લાગુ પડે છે.
કૅર રેટિંગ્સ પ્રમાણે કોરોના વાઇરસ મહામારી દરમિયાન સરકાર ઍરપૉર્ટ નૅવિગેશન સર્વિસ (એએનએસ)માં પણ સો ટકાની છૂટ આપી શકે છે.
ઍરપૉર્ટ વાપરવા માટે કંપનીઓએ જે ખર્ચ આપવો પડે છે, તેને એએનએસ કહેવાય છે. એએનએસનો દર પણ દરેક ઍરપૉર્ટ પર જુદો-જુદો હોય છે અને તે વિમાનના આકાર પ્રમાણે નક્કી થાય છે.
મોટાભાગે તે ઍરલાઇનના ઑપરેટિંગ ખર્ચના સાતથી આઠ ટકા હોય છે.
ઍરલાઇન કંપનીઓ હાલ આંશિક રૂપે ફ્લાઇટ્સ ચલાવી રહી છે અને આવનારા દિવસોમાં ફ્લાઇટ્સ વધે એવી શક્યતા છે.
પરંતુ હાલ ભારતમાં જ નહીં દુનિયાની ઍરલાઇન કંપનીઓ રૅકર્ડ ખોટ ખાઈ રહી છે, જેનો અર્થ છે સંખ્યાબંધ નોકરીઓ પર જોખમ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો