શું કોરોના વાઇરસ વધારે ખતરનાક બનતો જઈ રહ્યો છે?

    • લેેખક, રૅશેન શ્રેયર
    • પદ, બીબીસી હેલ્થ

અમેરિકા અને બ્રિટનમાં સંશોધકોનું કહેવું છે કે તેમણે નોવલ કોરોના વાઇરસમાં પરિવર્તન જોયા છે.

જોકે, તેમાંથી કોઈ પણ સંશોધનની પુષ્ટિ થઈ શકી નથી કે તેનાથી તેના સંક્રમણ પર શું અસર પડશે અને આવા વાઇરસ વિરુદ્ધ રસી કેટલી પ્રભાવી હશે.

વાઇરસમાં પરિવર્તન આવવું એ સામાન્ય બાબત છે. સવાલ એ છે કે તેમાંથી કયા પરિવર્તનની અસર સંક્રમણની ગંભીરતા કે ગતિ પર પડે છે?

અમેરિકામાં થયેલા એક પ્રાથમિક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે નોવલ કોરોના વાઇરસમાં એક ખાસ પરિવર્તન D614G વધારે ભારે પડી રહ્યું છે, જેના કારણે કોવિડ-19ની બીમારી વધારે સંક્રામક બની શકે છે.

જોકે, આ સંશોધન હાલ ન તો ઔપચારિક રૂપે પ્રકાશિત થયું છે અને ન તો બીજા વૈજ્ઞાનિકોએ તેની સમીક્ષા કરી છે.

ન્યૂ મેક્સિકો સ્થિત લૉસ એલેમૉસ નેશનલ લૅબના સંશોધકો કોરોના વાઇરસમાં આવી રહેલા એ પરિવર્તનને ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેનાથી આ વાઇરસનો આકાર બદલાઈ જાય છે.

આ સંશોધન ગ્લોબલ ઇનિશિએટિવ ઑન શેરિંગ ઑલ ઇન્ફ્લુએન્ઝા ડેટાના ડેટાબેઝ આધારે કરવામાં આવી રહ્યું છે.

વૈજ્ઞાનિકોએ જોયું કે આ ખાસ પરિવર્તન (D614G)ના કારણે કોરોના વાઇરસ તિવ્ર ગતિએ આગળ વધે છે. પરંતુ તેનું પરિણામ શું હશે, તે હજુ સ્પષ્ટ નથી.

‘વાઇરસમાં પરિવર્તન કોઈ ખરાબ બાબત નહીં’

કોરોનાથી સંક્રમિત દર્દીઓ પાસેથી પ્રાપ્ત ડેટાનું વિશ્લેષણ શેફીલ્ડમાં બ્રિટનના સંશોધકોએ કર્યું છે.

તેમનું કહેવું છે કે તેમને જાણવા મળ્યું છે કે બદલાયેલા કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધારે હતી. જોકે, તેમને એવો પુરાવો મળ્યો નથી કે જેનાથી એવું સાબિત થઈ શકે કે આવા લોકો વધારે ગંભીર રૂપે બીમાર હોય છે.

યુનિવર્સિટી કૉલેજ લંડનમાં થયેલા એક અધ્યયને કોરોના વાઇરસમાં થઈ રહેલાં 198 પરિવર્તનોની ઓળખ કરી છે.

આ સંશોધનમાં સામેલ પ્રોફેસર ફ્રાંસ્વા બેલૂએ કહ્યું, “વાઇરસમાં પરિવર્તન આવવું કોઈ ખરાબ બાબત નથી. પરંતુ આપણી પાસે એવા કોઈ પુરાવા નથી જેનાથી એ સાબિત થઈ શકે કે કોરોના વાઇરસ સામાન્યથી તીવ્ર કે પછી ધીમી ગતિએ બદલાઈ રહ્યો છે."

"અત્યાર સુધી આપણે એ કહી શકતા નથી કે સાર્સ CoV-2 વધારે જીવલેણ કે સંક્રામક બની રહ્યો છે.”

આ તરફ ગ્લાસ્ગો યુનિવર્સિટીના કેટલાક સંશોધકોએ પણ કોરોના વાઇરસમાં પરિવર્તન પર વિશ્લેષણ કર્યું છે.

આ ટીમનું કહેવું છે કે આ પરિવર્તન ચિંતાનો વિષય નથી.

તેમણે નિષ્કર્ષ કાઢ્યો છે કે ખરેખર કોરોના વાઇરસમાં કોઈ પરિવર્તન આવ્યો નથી અને હાલ એક જ પ્રકારના વાઇરસથી કોવિડ-19ની બીમારી ફેલાઈ રહી છે.

કોરોના વાઇરસમાં થઈ રહેલાં આ નાનાં-નાનાં પરિવર્તનો પર નજર રાખવી અને તેમનું વિશ્લેષણ એ માટે જરૂરી છે કેમ કે તેનાથી રસી શોધવામાં મદદ મળશે,

કોવિડ-19 માટે હાલ ઘણા પ્રકારની રસી પર કામ ચાલી રહ્યું છે. પરંતુ જો વાઇરસમાં સતત અલગ-અલગ પ્રકારનાં પરિવર્તન થઈ રહ્યાં છે તો રસી ઓછી પ્રભાવી બની શકે છે.

જોકે, હજુ આ વાતો માત્ર સૈદ્ધાંતિક રૂપે કહી શકાતી નથી.

વૈજ્ઞાનિકો પાસે વાઇરસમાં પરિવર્તનનો પ્રભાવ સાબિત કરવા માટે પર્યાપ્ત પ્રમાણ નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો