લૉકડાઉનમાં સ્વજનનું મૃત્યુ સગાંવહાલાં માટે દુ:ખ સાથે 'સમસ્યા' પણ બની રહ્યું છે

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"મારી માતાનું અવસાન થયાને 14 દિવસ થયા. અમારા ઘરમાં રિવાજ છે કે જ્યાં સુધી અસ્થિ-વિસર્જન ન થાય ત્યાં સુધી ઘરમાં રસોઈ ના બને અને સૂતક ના ઊતરે ત્યાં સુધી કોઈ વિધિ ના થાય. આજે મારી માતાનું અવસાનને 14 દિવસ થયા પણ અસ્થિ-વિસર્જન નથી થયું એટલે ઘરમાં ચૂલો નથી સળગાવી શકતા, કોઈ બ્રાહ્મણ નથી મળતો કે અમે સાબરમતીમાં અસ્થિ-વિસર્જન કરાવીએ."

આ શબ્દો છે એક નેશનલાઇઝ બૅન્કમાં કામ કરતાં અભયનંદન કુમાર અગ્રવાલના.

અભયનંદન કુમાર મૂળ રાજસ્થાનના છે અને અમદાવાદમાં એક નેશનલ બૅન્કમાં ઉચ્ચ અધિકારી તરીકે કામ કરે છે.

એમનાં માતાનું કુદરતી મૃત્યુ થયું છે, પરંતુ એમના સમાજમાં રિવાજ છે કે એમના ઘરમાં રસોડું ત્યારે જ ચાલુ થઈ શકે કે જ્યારે અસ્થિ-વિસર્જન કરાય.

ધાર્મિક રિવાજ પ્રમાણે અસ્થિ ઘરે લઈ ના જવાય એટલે સ્મશાનમાં રાખ્યા છે.

'વિધિ માટે બ્રાહ્મણ નથી મળતા'

અગ્રવાલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે વૃદ્ધ પિતાજીની ઇચ્છા છે કે અમે પહેલાં અસ્થિ-વિસર્જન કરીએ પછી જ ઘરમાં રસોડું ચાલુ કરી શકીશું.

"અત્યારે અમારા ઘરે અમારાં સગાં બે સમયનું જમવાનું આપી જાય છે પણ લૉકડાઉનમાં એમનું આવવાનું પણ અઘરું બની ગયું છે. હું રોજ સ્મશાન આવું છું અને કોઈ બ્રાહ્મણ મળે તો અમદાવાદની સાબરમતી નદીમાં અસ્થિ-વિસર્જન કરાવી ઘરના લોકોને વિધિ પૂરી કરાવ્યાનો સંતોષ આપી શકું, પણ સ્મશાનમાં પણ કોઈ બ્રાહ્મણ મળતો નથી એટલે પિતાની ઇચ્છા મુજબ અમે અસ્થિ-વિસર્જન કરી શકતા નથી."

ગુજરાતમાં અગ્રવાલ એકમાત્ર નથી એવા નથી જેમને અસ્થિ-વિસર્જન માટે વધુ તકલીફ પડતી હોય.

અમદાવાદનાં સ્મશાનગૃહોમાં અસ્થિ-ફૂલનો ભરાવો થઈ ગયો છે.

અમદાવાદ થલતેજ સ્મશાનગૃહના કર્તાહર્તા પ્રમોદ બારોટે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે સામાન્ય દિવસોમાં અમારે ત્યાં કોઈ મૃતદેહને અગ્નિસંસ્કાર કરવામાં આવે ત્યારે એમનાં સગાં અસ્થિ-ફૂલ ગંગા કે સિદ્ધપુરમાં વિસર્જન કરાવવા લઈ જાય છે.

"પણ લૉકડાઉન હોવાને કારણે સૌ કોઈ એમના મૃતક સગાનાં અસ્થિ અહીં સ્મશાનગૃહમાં રાખીને જાય છે, જેને અમે લૉકરમાં રાખી મૂકીએ છીએ. એના પર મૃતકના સગાનું નામ લખીએ છીએ. જોકે લૉકડાઉન થયા પછી અમારા કબાટ પણ ભરાઈ ગયાં છે, કારણ કે લોકો પોતાના સગાનાં અસ્થિ અહીં મૂકી રાખે છે અને વિસર્જન માટે લઈ જઈ શકતા નથી."

તેઓ વધુમાં જણાવે છે, "ઘણા લોકો સદવિચાર પરિવાર જેવી સંસ્થાની મદદથી પોતાના સગાનાં અસ્થિનું વિસર્જન કરાવે છે પણ જે લોકો જાતે અસ્થિ-વિસર્જન કરવા માગતા હોય એ લોકો અમારા લૉકરમાં મૂકી જાય છે. લૉકર ભરાઈ જવાને કારણે અમે સેવાભાવી સંસ્થાને સાચવવા આપીએ છીએ અને એની જાણ મૃતકના સગાને કરી દઈએ છીએ, જેથી લૉકડાઉન પતે એટલે એ ત્યાંથી અસ્થિ એકત્રિત કરી શકે."

અસ્થિ-ફૂલનો ભરાવો

અમદાવાદમાં 69 વર્ષીય એક મહિલાનું કુદરતી મૃત્યુ થયાં બાદ માત્ર 6 સગાં સાથે અંતિમસંસ્કાર કરવા આવેલા નીતિન પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમારા માટે સગાનું અવસાન તો એક મોટી દુખદ ઘટના તો છે જ, પણ અમને અંતિમક્રિયા કરવા માટે બ્રાહ્મણ નથી મળતા. અસ્થિ-વિસર્જન કરવાની અમારી ઘણી ઇચ્છા છે, પણ લૉકડાઉનને કારણે અમે અસ્થિ-વિસર્જન નથી કરતી શકતા એનું પણ બહુ દુખ છે."

તેઓ કહે છે, "લૉકડાઉનને કારણે અમે પણ મજબૂર છીએ. અમારા સગાનું બેસણું પણ અમે વૉટ્સઍપ પર રાખીશું. લૉકડાઉન છે અને કોરોનાનો ભય છે ત્યારે અમારે મજબૂરીમાં આમ કરવું પડે છે."

અમદાવાદ સદવિચાર પરિવાર ઘણા મૃતકનાં અસ્થિ-વિસર્જન ગયા કે હરદ્વાર જઈને કરી આપે છે.

આ સંસ્થાના મંત્રી શૈલેશ પટવારીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે અમારી સંસ્થા વર્ષોથી આ કામ કરે છે અને ઘણા લોકોના સગાના અવસાન પછી અમારી પાસે અસ્થિ મૂકી જાય છે, પણ લૉકડાઉનના કારણે અમે અસ્થિ-વિસર્જન કરી શકતા નથી એટલે અમે એને સાચવીને મૂકી રાખ્યાં છે.

"કેટલાં અસ્થિ-ફૂલ જમા થયાં છે એનો આંકડો આપવાનો ઇન્કાર કરતા પટવારીએ કહ્યું કે આ શ્રદ્ધાનો વિષય છે પણ એટલું ખરું કે અમારી પાસે અસ્થિ-કળશ વધી ગયાં છે અને લૉકડાઉન પૂરું થતા અમે એના વિસર્જનની કાર્યવાહી તુરંત પૂરી કરીશું.

બીબીસીએ જ્યારે અમદાવાદના સ્મશાનગૃહમાં આવી સેવાભાવી સંસ્થાનાં અસ્થિ સાચવનાર સ્થળની મુલાકાત લીધી તો ઘણાં સ્મશાનગૃહમાં અસ્થિ ભેગાં કરવાનાં સ્થળે તાળાં લાગેલાં હતાં.

બિનવારસી લાશની અંતિમવિધિની સમસ્યા

એનાથી મોટી સમસ્યા ગુજરાતની સરકારી હૉસ્પિટલની છે.

અહીં આવતી બિનવારસી લાશના નિકાલ માટે હૉસ્પિટલના સ્ટાફને કામ કરવું પડે છે.

સામાન્ય નિયમ પ્રમાણે બિનવારસી લાશને સાત દિવસ સુધી રાખી મૂકવામાં આવે છે અને પોલીસે એને નિકાલ કરવાનો હોય છે.

પરંતુ પોલીસ તંત્રનો મોટા ભાગનો સ્ટાફ અત્યારે લૉકડાઉનમાં લાગેલો હોવાથી સરકારી હૉસ્પિટલના પૅરામેડિકલ અને સ્વિપર સ્ટાફને અસ્થિનો નિકાલ કરવો પડે છે.

અમદાવાદની સિવિલ હૉસ્પિટલના પૅરામેડિકલ સ્ટાફનાં પ્રવિત્રાબહેન પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "પહેલાં બિનવારસી લાશનો નિકાલ પોલીસ કરતી હતી, પણ પોલીસ લૉકડાઉનમાં રોકાયેલી હોવાથી અમે જાતે હવે ડેડ બોડીનો નિકાલ કરીએ છીએ."

"અમે બિનવારસી લાશને અહીં લાવીને એના અંતિમસંસ્કાર કરી રહ્યા છીએ. જોકે આ અમારી ફરજમાં નથી આવતું પણ માનવતાના ધોરણે કરી રહ્યા છીએ."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો