સેક્સ અંગેની એ વાતો જે કોરોના વાઇરસની મહામારીમાં જાણવી જરૂરી છે

    • લેેખક, સેલિસ્ટિના ઑલુલોડ
    • પદ, ન્યૂઝબીટ રિપૉર્ટર

સેક્સ કરવાથી કોરોના વાઇરસનો ચેપ લાગી શકે કે નહીં, તમે આ વિશે કદાચ વિચાર્યું હશે પરંતુ બની શકે કે આ વિશે પ્રશ્ન પૂછતા ખચકાટ થયો હશે.

તો સત્ય અને ભ્રમનો ફેર જાણવા માટે અમે આ પ્રશ્ન નિષ્ણાતો સામે મૂક્યો.

કોરોના વાઇરસના સંક્રમણના ડરથી વિશ્વભરમાં લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ અને ઘરમાં પૂરાઈ રહેવાની સલાહ આપવામાં આવી છે ત્યારે આ સમયે શું એક સાથે રહેતા દંપતીએ સેક્સથી દૂર રહેવું જોઈએ?

નવા સંબંધ બાંધવામાં પણ ચેપ લાગવાનો ખતરો રહે? ચુંબનથી ખતરો કેટલો? એવા કેટલાક પ્રશ્નોનો જવાબ બીબીસીના એક કાર્યક્રમમાં નિષ્ણાતોએ આપ્યા.

સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે હાથ મિલાવવાનું તો બંધ થયું છે ત્યારે લોકો દ્વારા ઇન્ટરનેટ પર સેક્સ અને કોરોના વાઇરસ અંગે સૌથી વધારે પૂછાતા પ્રશ્નોનાં જવાબ અહીં આપવામાં આવ્યા છે.

કોરોના વાઇરસ મહામારીના સમયમાં સેક્સ સુરક્ષિત ખરું?

આ વિશે વાત કરતા ડૉ ઍલેક્સ જ્યોર્જે કહ્યું કે " જો તમારા પાર્ટનર સાથે તમે એક જ વાતાવરણ (ઘર)માં રહેતા હો તો કોઈ સમસ્યા ન થવી જોઈએ પરંતુ જો તમારામાંથી એક પણ વ્યક્તિમાં કોરોના વાઇરસના લક્ષણ દેખાતા હોય તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અને ઘરમાં પણ અલગ-અલગ રહેવું."

ત્યારે સેક્સ બાબતોનાં નિષ્ણાત પત્રકાર ઍલિક્સ ફૉક્સ પણ માને છે કે "એવું ન માનવું જોઈએ કે એક યુગલમાંથી એકને પણ હળવા લક્ષણ દેખાતા હોય તો અન્યને પણ એવા જ લક્ષણ દેખાશે."

તેઓ કહે છે કે જો કોરોના વાઇરસના લક્ષણ દેખાતા હોય તો બંને પાર્ટનર્સે અલગ-અલગ રહેવું જોઈએ.

નવા પાર્ટનર સાથે સંબંધ બાંધવો સુરક્ષિત છે?

ડૉ ઍલેક્સનું કહેવું છે કે નવા પાર્ટનર સાથે સેક્સ સંબંધ બાંધવા માટે પણ આ સમય અનુકૂળ ન કહી શકાય કારણ કે કોરોના વાઇરસનો ચેપ લાગવાનો ખતરો સામે જ છે.

હળવા કે નજીવા લક્ષણોને કારણે કોરોના વાઇરસનું સંક્રમણ છે કે નહીં એ જાણવું ઘણી વખત અઘરું હોય છે.

ઍલિક્સ ફૉક્સ ચેતવણી આપે છે કે "એ ભૂલવું ન જોઈએ કે કોરોના વાઇરસ ધરાવતા કેટલાક લોકોમાં કોઈ પણ પ્રકારના લક્ષણ ન દેખાય એવી શક્યતા હોય છે. એવું બની શકે છે કે તેમના કારણે તેમના પાર્ટનર કે સંપર્કમાં આવતી વ્યક્તિને નજીક આવવાથી કે ચુંબનથી વાઇરસનું સંક્રમણ થાય."

ચુંબન કર્યાના અમુક દિવસો પછી જો પાર્ટનરમાં સંક્રમણના લક્ષણ દેખાય તો...?

તમારા પાર્ટનરને ચુંબન આપ્યું હોય તેના થોડા દિવસ પછી જો તેમનામાં કોરોના વાઇરસના લક્ષણ દેખાય તો તમારે ડરવાની જરૂર ખરી?

ડૉ ઍલેક્સનું કહેવું છે કે આવી પરિસ્થિતિમાં તમારે સેલ્ફ આઇસોલેશનમાં જતા રહેવું જોઈએ એટલે કે પોતાની જાતને બીજા લોકોથી દૂર રાખવી જોઈએ.

તમારે પોતાના શરીરમાં કોરોના વાઇરસના સંક્રમણના કોઈ પણ લક્ષણ પર નજર રાખવી જોઈએ. જો કોઈ લક્ષણ દેખાય તો તમારે તુરંત ડૉક્ટર અથવા હૅલ્પલાઇનની મદદ લેવી જોઈએ.

ત્ચારે અન્ય નિષ્ણાતો કહે છે કે સંબંધોમાં પોતાની જાત માટે અને પોતાના પાર્ટનર માટે આપણું વર્તન અને વલણ જવાબદારી ભરેલું હોવું જોઈએ.

જો તમારામાં લક્ષણ દેખાતા હોય તો તમારે તરત તમારા પાર્ટનરને આ બાબતે જાણ કરવી જોઈએ જેથી તેઓ સાવચેતી રાખી શકે. અને જો તમારા પાર્ટનરમાં લક્ષણ દેખાય તો તમારે સેલ્ફ આઇસોલેશમાં જવું જોઈએ.

પહેલાં કૉન્ડોમ ન વાપરતા હો તો શું હવે વાપરવાનું શરૂ કરી દેવું જોઈએ

આ બાબતે ઍલિક્સનું કહેવું છે કે “જો તમે કૉન્ડોમ સિવાય કોઈ અન્ય પ્રકારના નિરોધનો વપરાશ કરતા હતા અને તમે સેકસુઅલી ટ્રાન્સમિટેડ રોગ અંગે તપાસ કરાવેલી હોય તો કોઈ જરૂર નથી કે તમે અત્યારે કૉન્ડોમ વાપરવાનું શરૂ કરો.

”પરંતુ જો તમે પહેલાં પણ અન્ય કોઈ સાવચેતી નહોતાં રાખતા અને સેક્સુઅલી ટ્રાન્સમિટેડ ડિસિઝનો ખતરો ઉઠાવી રહ્યા હતા તો મારી સલાહ છે કે તમારે કૉન્ડોમ વાપરવું જોઈએ.”

શું ગુપ્તાંગોને અડવાથી કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાય ખરું?

ડૉ ઍલેક્સ સલાહ આપે છે કે એક બીજાનાં શરીરના ફ્લુઇડ્સ હાથ વડે કે કોઈ પણ રીતે તમારા મોઢાં અથવા નાક સુધી પહોંચવાથી કોરોના વાઇરસનો ચેપ લાગવાની શક્યતા રહે છે એટલે આ બાબતે તમારે સાવચેતી રાખવી જોઈએ.

જો તમે એક જ ઘરમાં ન રહેતા હો તો તમારે આનાથી બચવું જોઈએ.

તો આવા સમયમાં પ્રેમસંબંધનું શું?

પત્રકાર ઍલિક્સ ફૉક્સનું કહેવું છે કે “આ મહામારીએ લોકોને સારી સેક્સલાઇફ વિશે વિચારવા માટે પ્રેરણા આપી છે. હું એવા કેટલાય યુગલો વિશે જાણું છું જે અલગ-અલગ જગ્યાએ ક્વોરૅન્ટીનમાં બંધ હોવાને કારણે એકબીજાથી દૂર છે અને તે લોકો આ અંતર અને સમયનો ફાયદો ઉઠાવીને એકબીજાને કામોત્તેજક કહાણીઓ લખીને મોકલી રહ્યા છે.”

તેઓ કહે છે કે “આ એવો સમય છે જ્યારે લોકો ઘણા રચનાત્મક થઈ રહ્યા છે અને દૂર હોવા છતાં પણ એકબીજાની સાથે આનંદનો સમય પસાર કરી રહ્યા છે.”

એચઆઈવીના દર્દીને કોરોના વાઇરસનું સંક્રમણ હોવાનો ખતરો વધારે છે?

ઍલિક્સ ફૉક્સ કહે છે કે, આ બાબતે ડૉ. મિશેલ બાર્ડીની સલાહને અનુસરવી જોઈએ. એમનું કહેવું છે કે જો દર્દી એચઆઈવીની નિયમિત દવા લઈ રહ્યો હોય તથા તેમનું સીડી 4 કાઉન્ટ (સંક્રમણ સાથે લડનાર વ્હાઇટ બ્લડ સેલની સંખ્યા) પૂરતું હોય તથા લોહીમાં એચઆઈવીની માત્રા પણ અનડિટેક્ટેબલ (શોધી ન શકાય) હોય તો એવા દર્દીની રોગપ્રકિકારક શક્તિ નબળી ન ગણી શકાય.

એનો અર્થ એ છે કે આવા દર્દીને અન્ય લોકોની સરખામણીમાં કોરોના વાઇરસનું સંક્રમણ લાગવાનો વધારે પડતો ખતરો નથી હોતો.

એચઆઈવી દર્દીએ તેમની દવાઓ લેતા રહેવી જોઈએ અને સામાન્યપણે બધા માટે જે સૂચનો આપવામાં આવેલા છે તેને પાળતા રહેવું જોઈએ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો