You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : શું તમારા ફોનને પણ વાઇરસથી મુક્ત કરવો પડશે? કેવી રીતે?
કોરોના વાઇરસને કારણે વિશ્વભરમાં થયેલાં મૃત્યુનો આંકડો ત્રણ હજારને પાર કરી ગયો છે અને લગભગ એક લાખ લોકો વાઇરસના પ્રભાવમાં આવ્યા હોવાનું વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું છે.
આ દરમિયાન ભારતમાં કોરોના વાઇરસના 31 કેસો સામે આવ્યા છે. જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીયોને સંબંધિત અફવાઓથી દૂર રહેવાની સલાહ આપી છે.
વીડિયો કૉન્ફરન્સ થકી લોકોને સંબોધતાં મોદીએ જણાવ્યું છે કે લોકોએ માત્ર ડૉક્ટરનું સૂચન જ માનવું જોઈએ.
તેમણે લોકોને હાથ મિલાવવાને બદલે 'નમસ્તે' કરવાની પણ ભલામણ કરી છે.
ત્યારે કોરોના વાઇરસને લઈને લોકોમાં જોવા મળી રહેલી કેટલીક મુઝવણનો અહીં ઉકેલ લાવવા પ્રયાસ કરાયો છે.
ફોનને પણ વિષાણુથી મુક્ત કરવો જોઈએ?
કોરોના વાઇરસનું સંક્રમણ લોકો વચ્ચે ઉધરસ અને છીંકનાં સૂક્ષ્મ બિંદુઓ મારફતે ફેલાતું હોવાનું મનાય છે. જોકે, વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ વાઇરસ દિવસો સુધી સપાટી પર જીવી શકે છે.
એટલે તમારાં ઘર કે ઑફિસના ટેલિફોન, મોબાઇલ ફોનને સ્વચ્છ રાખવા જરૂરી છે.
જોકે, ફોન બનાવતી તમામ કંપનીઓ ડિવાઇસને આલ્કોહૉલ, સૅનિટાઇઝર કે સ્ટૅર્લિંઝિંગ વાઇપથી સાફ ન કરવાની ચેતવણી આપે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આવું કરવાથી ડિવાઇસની સ્ક્રીનના કૉટિંગને નુકસાન પહોંચી શકે છે.
મોબાઇલ ફોનના કૉટિંગને નુકસાન પહોંચ્યા બાદ વિષાણુઓ તેના પર ચોંટ્યા રહે એવી શક્યતા વધી જાય છે.
આધુનિક મોબાઇલ ફોન 'વૉટર-રૅઝિસ્ટન્ટ' ટેકનૉલૉજી ધરાવે છે એટલે તમે તમારા ફોનને સામાન્ય સાબુ અને પાણી તથા 'સિંગલ-યૂઝ પૅપર ટૉવેલ' થકી સાફ કરી શકો છો.
જોકે, આવું કરતાં પહેલાં ફોન 'વૉટર-રૅઝિસ્ટન્ટ' છે કે કેમ એ ચકાસી લેવું હિતાવહ છે.
કોરોના વાઇરસથી બાળકોને કેટલું જોખમ?
ચીનમાં એકઠા કરાયેલા ડેટા અનુસાર કોરોના વાઇરસની બાળકોને ખાસ અસર નથી થઈ.
આવું કદાચ એવા માટે શક્ય હોઈ શકે કે બાળકો ચેપનો પીછો છોડાવવામાં સક્ષમ હોય છે.
જોકે, જે બાળકોને અસ્થમા જેવી ફેફસાંની સમસ્યા હોય તેમને ખાસ સાવચેતી રાખવી જોઈએ.
આમ છતાં મોટા ભાગનાં બાળકો માટે કોરોના વાઇરસ એ શ્વાસ લેવાની તકલીફ માત્ર બની રહે છે અને ખાસ ચિંતાનું કારણ નથી.
જોકે, સાવચેતીનાં પગલાં તરીકે દિલ્હીમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે.
ચલણી નોટો અને સિક્કા થકી વાઇરસનો ચેપ લાગે?
ચીનની સરકારે જણાવ્યું છે કે બીમારીને ફેલાતી અટકાવવા માટે તમામ બૅન્કોને મળેલી રોકડ ગ્રાહકોને પરત આપવામાં આવે એ પહેલાં 'સ્ટૅરીલાઇઝ્ડ' કરવામાં આવશે.
એટલે સંપર્કવિહોણાં કાર્ડનો ઉપયોગ રોકડને લીધે સર્જાતા જોખમનું પ્રમાણ ઘડાડી શકે છે. જોકે, આ કાર્ડ પર પણ વાઇરસનું વહન શક્ય છે.
એટલે શ્રેષ્ઠ ઉપાય એ જ છે કે કાર્ડ, સિક્કા કે ચલણી નોટોને સ્પર્શ્યા બાદ તમારા હાથ ધોઈ નાખો.
કોરોના વાઇરસ અને ફ્લૂ વચ્ચેનો ભેદ
કોરોના વાઇરસ અને ફ્લૂ કેટલાંય સમાન લક્ષણો ધરાવે છે, એટલે નિદાન કરવું અઘરું બની રહે છે.
કોરોના વાઇરસનાં મુખ્ય લક્ષણો તાવ અને ઉધરસ છે.
ફ્લૂમાં દર્દીઓને ગળું બળે છે જ્યારે કોરોના વાઇરસના દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
માણસથી પ્રાણીને કોરોના વાઇરસનો ચેપ લાગે?
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા અનુસાર માનવમાંથી કોરોના વાઇરસ પાલવેલાં પ્રાણીઓમાં ફેલાય એવા કોઈ પુરાવા મળ્યા નથી.
કોરોના વાઇરસ તમામ પશુઓમાં જોવા મળે છે અને તેમાં માનવી પણ સામેલ છે. તે સામાન્ય રીતે એક જાતિના જીવમાં જ સંક્રમિત થાય છે અને અલગઅલગ જાતિઓ વચ્ચે તેનો ફેલાવો અસામાન્ય માનવામાં આવે છે.
એટલે જો પાલવેલાં પ્રાણીને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોય તો એનાં શ્વાસ કે ખાંસીથી માનવીને ચેપ લાગતો નથી. જોકે, સંક્રમણ ધરાવતા પ્રાણીની જીભના સ્પર્શ કે સંક્રમણ ધરાવતી વ્યક્તિની ખાસીથી આ વાઇરસ ફેલાઈ શકે છે.
એટલે પાલવેલાં પ્રાણીને સ્પર્શ્યા બાદ પણ સાબુ અને પાણીથી હાથ ધોવાનું ન ભૂલવું જોઈએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો