You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉન્નાવ રેપ કેસ : ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરને જનમટીપ, રૂ. 25 લાખનું વળતર ચૂકવવા આદેશ
દિલ્હીની તીસ હજારી કોર્ટે કુલદીપ સેંગરને અપહરણ તથા બળાત્કારના કેસ જનમટીપની સજા ફટકારી છે અને રૂ. 25 લાખનું વળતર ચૂકવવા આદેશ આપ્યો છે.
સીબીઆઈએ સેંગરને મહત્તમ સજા આપવાની માગ કરી હતી.
સેંગર ભાજપના ધારાસભ્ય હતા, પરંતુ આ કેસ ચર્ચિત બનતા તેમને પાર્ટીમાંથી હાંકી કઢાયા હતા.
આ પહેલાં કોર્ટે મોડેથી ચાર્જશીટ દાખલ કરવા બદલ તપાસનીશ સંસ્થા સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ની ઝાટકણી કાઢી હતી.
સુનાવણી બાદ કોર્ટે આ કેસમાં સહ-આરોપી શશિસિંહને દોષમુક્ત જાહેર કર્યા હતા.
સુપ્રીમ કોર્ટના આદેશને પગલે આ કેસને લખનૌથી દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
તા. પાંચમી ઑગસ્ટથી આ કેસમાં દૈનિક સુનાવણી ચાલી રહી હતી.
શું છે આ કેસ ?
વર્ષ 2017માં એક યુવતીએ સેંગર ઉપર દુષ્કર્મ તથા અપહરણનો આરોપ મૂક્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે દુષ્કર્મની ઘટના ઘટી, ત્યારે યુવતી સગીરા હતાં. પીડિતા દોષિતના ઘરમાં નોકરી મેળવવા માટે ગયાં હતાં, ત્યારે તેમણે ધારાસભ્યના ઘરે દુષ્કર્મ થયા હોવાનો આક્ષેપ કર્યો હતો.
સેંગર પર યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ, તેમનાં અને તેમનાં પરિવાર વિરુદ્ધ ગુનાહિત કાવતરું ઘડવા અને હુમલો કરવા, યુવતીના પિતાને ખોટા કેસમાં ફસાવવાનો કેસ ચાલી રહ્યો છે.
કુલદીપ સેંગરને કોર્ટે દુષ્કર્મ અને અપહરણ કેસમાં કોર્ટે
દુષ્કર્મના આ કેસની સુનાવણીનું રૅકર્ડિંગ કરવામાં આવ્યું હતું.
આ કેસમાં યુવતીના પક્ષે કુલ 13 સાક્ષી રજૂ કર્યા હતા, જ્યારે બચાવ પક્ષે નવ સાક્ષી રજૂ કર્યા હતા.
યુવતીનું નિવેદન નોંધવા માટે દિલ્હીના ઍઇમ્સ (ઑલ ઇંડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિઝ) હૉસ્પિટલ ખાતે એક ખાસ અદાલત બેઠી હતી.
કુલદીપ સેંગર ઉત્તર પ્રદેશના ઉન્નાવની બાંગરમઉ બેઠક પરથી ચાર વખત ભાજપના ધારાસભ્ય ચૂંટાયા હતા. તેમના પર આક્ષેપ લાગ્યા ત્યાર બાદ તેમની ભાજપમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી.
ઑગસ્ટમાં અદાલતે સેંગર અને શશિ સિંહ પર બાળકો વિરુદ્ધ જાતીય હિંસા (પ્રૉટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિઝ, પૉક્સો) કાયદાના ધારા 376 અને 363 હેઠળ આરોપ ઘડવામાં આવ્યા હતા.
ક્યારે શું થયું હતું
4 જૂન 2017 - યુવતીએ કહ્યું કે તેઓ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરના ઘરે નોકરી મેળવવામાં મદદ માગવા માટે ગયાં હતાં, પરંતુ ત્યાં તેમની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
11 જૂન 2017- ત્યાર બાદ યુવતી ગાયબ થઈ ગયાં હતાં અને પરિવારે તેમનાં લાપતા થવાની ફરિયાદ નોંધાવી હતી.
20જૂન 2017 - યુવતી ઔરૈયાના એક ગામથી મળી આવ્યાં અને તેમને બીજા દિવસે ઉન્નાવ લવાયાં હતાં.
22 જૂન 2017- યુવતીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં અને સીઆરપીસીના (ક્રિમિનલ પ્રોસિજર કોડ) ધારા 164 હેઠળ નિવેદન લેવામાં આવ્યું હતું. યુવતીએ આરોપ લગાવ્યો હતો કે પોલીસે ધારાસભ્ય કુલદીપ સેંગરનું નામ પણ લેવા નહોતું દીધું.
3 જુલાઈ 2017- નિવેદન નોંધ્યાના 10 દિવસ પછી પોલીસે યુવતીને તેમના પરિવારને સોંપી દીધાં અને તેઓ દિલ્દી આવી ગયાં હતાં. યુવતીએ કહ્યું કે પોલીસે તેમનું શોષણ કર્યું હતું. યુવતીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સમક્ષ કુલદીપ સિંગર અને તેમના ભાઈ અતુલ સિંહ સેંગરનું નામ એફઆઈઆરમાં નોંધવાની માગ મૂકી.
24 ફેબ્રુઆરી 2018 - યુવતીનાં માતાએ ઉન્નાવના ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રૅટ કોર્ટમાં ધા નાખી.
ત્યારબાદ ભારતીય દંડ સંહિતાની (આઈ.પી.સી)ની ધારા 156 (3) હેઠળ એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) નોંધવામાં આવી હતી.
3 એપ્રિલ, 2018 - કથિત રીતે કુલદીપ સિંહ સેંગરના ભાઈ અતુલ સિંહ સેંગરે યુવતીનાં પિતા સાથે મારપીટ કરી હતી.
4 એપ્રિલ, 2018- ત્યાર બાદ ઉન્નાવ પોલીસે યુવતીનાં પિતા પર ગેરકાયદેસર હથિયાર રાખવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો અને આર્મ્સ ઍક્ટ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
8 એપ્રિલ, 2018 - યુવતીએ ધારાસભ્યનું નામ એફઆઈઆરમાં સામેલ કરવાની માગને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઘરે આત્મદાહ કરવાનો પ્રયત્ન કર્યો. પરિવારનો આરોપ હતો કે એફઆઈઆર નોંધ્યા પછી તેમને હેરાન કરવામાં આવ્યા હતા.
સીબીઆઈને તપાસ સોંપાઈ
9 એપ્રિલ, 2018- કસ્ટડીમાં જ યુવતીનાં પિતાનું અવસાન થયું હતું.
10 એપ્રિલ, 2018 - પિતાના પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં તેમને 14 જગ્યાએ ઈજા થઈ હોવાની વાત સામે આવી હતી. આ કેસમાં છ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં અને મૅજિસ્ટ્રૅટની તપાસ બેસાડવામાં આવી હતી.
11 એપ્રિલ, 2018 - રાજ્યની યોગી સરકારે આ કેસ સીબીઆઈને સોંપી દીધો હતો.
12 એપ્રિલ, 2018 - સગીરા પર દુષ્કર્મના કેસમાં ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને આરોપી બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેમની ધરપકડ કરવામાં નહોતી આવી.
અલાહાબાદ હાઈકોર્ટે આ બાબતે સુઓ-મોટો નોટિસ લેતા રાજ્ય સરકારને પૂછ્યું કે 'સરકાર ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની ધરપકડ કરશે કે નહીં?'
13 એપ્રિલ, 2018 - સીબીઆઈએ ધારાસભ્યની પૂછપરછ માટે અટકાયત કરી, પછી ધરપકડ કરી અને કેસમાં નવેસરથી એફઆઈઆર નોંધવામાં આવી હતી.
11 જુલાઈ, 2018 - સીબીઆઈએ આ કેસમાં પહેલાં ચાર્જશીટ નોંધવામાં આવી, જેમાં ધારાસભ્ય સેંગરનું નામ લખવામાં આવ્યું હતું.
13 જુલાઈ, 2018 - આ કેસમાં બીજી ચાર્જશીટ દાખલ કરવામાં આવી જેમાં યુવતીનાં પિતાને કથિત રીતે ફસાવવાના કેસમાં કુલદીપ સેંગર, ભાઈ અતુલ સેંગર અને અમુક પોલીસકર્મીઓ સહિત સાત લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા.
28 જુલાઈ 2019 - યુવતી પોતાનાં કાકી, માસી અને વકીલ સાથે રાયબરેલી જઈ રહ્યાં હતાં, ત્યાં કારને એક ટ્રકે ઠોકર મારી હતી. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે યુવતીનાં કાકી અને માસીનું તેમાં મૃત્યું થયું હતું.
લખનૌની કિંગ જ્યોર્જ હૉસ્પિટલમાં યુવતી અને તેમનાં વકીલની ટ્રીટમેન્ટ ચાલી, બંને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યાં. જે ટ્રક સાથે કારની અથડામણ થઈ તેની નંબર પ્લેટ પર ગ્રીસ લગાવીને તેનો નંબર છુપાવવામાં આવ્યો હતો.
કેસ દિલ્હી ટ્રાન્સફર
1 ઑગસ્ટ, 2019- તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ બધા પાંચ કેસ દિલ્હીની એક સીબીઆઈ અદાલતમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે દરરોજ સુનાવણી કરીને 45 દિવસમાં સુનાવણી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો.
2 ઑગસ્ટ, 2019 - સુપ્રીમ કોર્ટે યુવતીના કાકાને સુરક્ષા કારણોસર રાયબરેલીની જેલમાંથી દિલ્હીનિ તિહાડ જેલમાં શિફ્ટ કરવાનો નિર્દેશ કર્યો હતો.
5 ઑગસ્ટ, 2019- સુપ્રીમ કોર્ટ યુવતીને સારવાર માટે દિલ્હી લાવવાનો આદેશ આપ્યો હતો.
9 ઑગસ્ટ, 2019 - દિલ્હીની એક અદાલતે કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ આક્ષેપ નક્કી કરી દીધા. તેમના પર દુષ્કર્મ [376 (10)] અને ગુનાહિત કાવતરું [120 (b)] સહિત ભારતીય દંડ સંહિતાના અને ધારા હેઠળ કેસ નોંધવામાં આવ્યા હતા. પૉક્સો ઍક્ટના સેક્શન ત્રણ અને ચાર હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
14 ઑગસ્ટ, 2019- યુવતીનાં પિતાની મૃત્યુના કેસમાં પણ સેંગર સહિત નવ લોકો વિરુદ્ધ કોર્ટે આરોપ નક્કી કર્યા હતા.
7 સપ્ટેમ્બર, 2019- સુપ્રીમ કોર્ટે દિલ્હીના ઍઇમ્સમાં અસ્થાઈ રીતે અદાલત લગાવવાનો આદેશ કર્યો, જેથી કરીને યુવતીનું નિવેદન નોંધી શકાય.
29 સપ્ટેમ્બર, 2019- દિલ્હી મહિલા પંચે કહ્યું કે અદાલતના આદેશ પર દિલ્હીમાં યુવતી અને તેમના પરિવાર માટે હંગામી ધોરણે (11 મહિના માટે) રહેવાની સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવશે.
11 ઑક્ટોબર, 2019 - યુવતીની કાર પર હુમલાના કેસમાં કુલદીપ સેંગર વિરુદ્ધ ચાર્ચશીટ દાખલ કરી હતી
10ડિસેમ્બર, 2019- અદાલતે 16 ડિસેમ્બરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખશે અને જો બંને પક્ષોમાંથી કોઈ પણ નવી દલીલની માગ ન કરે, તો અદાલત પોતાનો નિર્ણય આપશે.
16 ડિસેમ્બર2019 - અદાલતે કુલદીપ સેંગરના અપહરણે દુષ્કર્મના કેસમાં દોષી ઠેરવ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો