મહારાષ્ટ્ર : રાષ્ટ્રપતિશાસન શું છે અને કેટલા સમય સુધી રહી શકે?

મહારાષ્ટ્રમાં કયો રાજકીય પક્ષ સરકારની રચના કરશે? આ પ્રશ્ન છેલ્લા અનેક દિવસોથી ચર્ચાઈ રહ્યો હતો.

રાજ્યપાલ દ્વારા ભાજપ બાદ શિવસેના અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ને સરકાર રચવા માટે સમય આપવામાં આવ્યો હતો.

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે મહારાષ્ટ્રમાં હવે રાષ્ટ્રપતિશાસન લાગુ કરી દેવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રના રાજ્યપાલે રાષ્ટ્રપતિશાસન માટે પ્રસ્તાવ આપ્યો હતો, જેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી મળી ગઈ છે.

જોકે શિવસેનાએ વધારાનો સમય નહીં આપવા મામલે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી છે.

જોકે, હવે સવાલ એ છે કે રાષ્ટ્રપતિશાસન શું છે? અને રાષ્ટ્રપતિશાસન દરમિયાન શું થાય?

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન

આ પહેલી વખત નથી જ્યારે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરવામાં આવ્યું હોય. આ અગાઉ મહારાષ્ટ્રમાં બે વખત રાષ્ટ્રપતિશાસન લાગુ કરવામાં આવ્યું હતું.

પહેલી વખત વર્ષ 1980માં રાષ્ટ્રપતિશાસન લાગુ કરવામાં આવ્યું, ત્યારે વડાં પ્રધાન ઇંદિરા ગાંધીએ મહારાષ્ટ્રની સરકારને બરખાસ્ત કરી હતી.

એ પછી વર્ષ 2014માં એનસીપીએ સરકારમાંથી બહાર નીકળી જવાનો નિર્ણય લીધો ત્યારે મુખ્ય મંત્રી પૃથ્વીરાજ ચૌહાણે રાજીનામું આપ્યું હતું.

એ દરમિયાન થોડા વખત માટે રાષ્ટ્રપતિશાસન લાગુ કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપતિશાસન દરમિયાન શું થશે?

રાજ્યની કારોબારી સત્તા રાષ્ટ્રપતિના હાથમાં આવી જશે અને આ દરમિયાન વિધાનસભા સ્થગિત થઈ જશે. આ બાબતોની અસર ન્યાયાલય પર નહીં પડે.

સંસદે રાષ્ટ્રપતિશાસન મામલે બે મહિનાની અંદર સહમતી આપવી પડશે.

રાષ્ટ્રપતિશાસનની અવધિ વધારવા માટે કેન્દ્ર સરકારે સંસદમાં ઠરાવ રજૂ કરવો પડે છે. જો ઠરાવને મંજૂરી મળે તો રાષ્ટ્રપતિશાસનની અવધિ વધારી શકાય છે.

આ રાષ્ટ્રપતિશાસનની સમયમર્યાદા છ મહિના અથવા એક વર્ષની હોય છે.

જો રાષ્ટ્રપતિશાસનને એક વર્ષ પૂર્ણ થયા બાદ પણ આગળ વધારવાનું હોય તો તે માટે ચૂંટણીપંચની પરવાનગી લેવાની હોય છે.

રાષ્ટ્રપતિશાસન દરમિયાન પણ રાજ્યપાલ રાજકીય પક્ષોને બહુમત સાબિત કરવા માટે નિમંત્રણ આપી શકે છે.

રાષ્ટ્રપતિશાસન દરમિયાન રાજ્યપાલ મુખ્ય સચિવ અને અન્ય સનદી અધિકારીઓની મદદથી રાજ્યનો કારભાર સંભાળતા હોય છે. આ સમયગાળા દરમિયાન નવી યોજનાઓ જાહેર કરી ન શકાય.

રાષ્ટ્રપતિશાસન શું છે?

ભારતમાં રાષ્ટ્રપતિને ત્રણ અનુચ્છેદ હેઠળ કટોકટી લાદવાની શક્તિ મળેલી છે.

અનુચ્છેદ 352 હેઠળ યુદ્ધ અથવા વિદેશી આક્રમણની સ્થિતિમાં રાષ્ટ્રીય કટોકટી લાદી શકાય.

અનુચ્છેદ 360 હેઠળ આર્થિક કટોકટી લાદી શકાય. મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય સ્થિતિ જોતાં અનુચ્છેદ 356 હેઠળ કટોકટી લાગુ કરી શકાય છે.

આ કટોકટીને રાષ્ટ્રપતિશાસન પણ કહે છે, પરંતુ બંધારણમાં આવી વ્યાખ્યાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

બંધારણમાં આનો ઉલ્લેખ 'રાજ્યમાં બંધારણીય મશીનરીની નિષ્ફળતા' તરીકે કરવામાં આવ્યો છે.

પ્રોફેસર અશોક ચોસલકર કહે છે, "આ પ્રકારની સ્થિતિમાં રાજ્યપાલ રાજ્યના પ્રતિનિધિ તરીકે કામ કરે છે, રાજ્યની તમામ શક્તિઓ તેમના હાથમાં હોય છે."

"વિધાનસભા ફરજમોકૂફ થઈ જાય છે, જો કેટલાક સમયમાં સરકારનું ગઠન ન થાય તો વિધાનસભા ભંગ થઈ જાય છે. રાજ્યપાલના સલાહકાર તરીકે ત્રણ આઈએએસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો