You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિહાર પૂર : એક મૉડલ જલપરી બની ઊતરી આવી અને પછી પાણીમાં લાગી ગઈ 'આગ'
- લેેખક, અભિમન્યુકુમાર સાહા
- પદ, બીબીસી સંવાદદાતા
સતત વરસાદના કારણે બિહારનુ પાટનગર પટના જળમગ્ન થયું. રસ્તા પર હોડીઓ ચાલતી દેખાઈ છે પણ આ સ્થિતિમાં એક મૉડલ પર વિવાદ થયો છે.
એક તરફ ગળાડૂબ પાણીમાં રડી રહેલા એક રિક્ષાચાલકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જ્યારે બીજી તરફ જલમગ્ન પટનાના રસ્તા પર ફૅન્સી ફોટોશૂટ કરાવી રહેલી એક મૉડલ ચર્ચાનું કેન્દ્ર બની છે.
ફોટોમાં મૉડલ પૂર જેવી સ્થિતિની મજા માણતી દેખાઈ રહી છે. ગ્લૅમરસ અંદાજમાં પડાવેલી આ મૉડલની તસવીરોની લોકો ટીકા કરી રહ્યા છે તેમજ આ તસવીરોને અસંવેદનશીલ ગણાવી રહ્યા છે.
લોકોનું કહેવું છે કે પૂર જેવી સ્થિતિ એ કોઈ ઉજવણીની માટેની તક નથી, એમાં ઘણા લોકોનાં મોત થઈ જાય છે તેમજ ઘણા લોકો બેઘર બની જતા હોય છે. લોકો આ ફોટોશૂટ કરનાર ફોટોગ્રાફરને પણ લાગણીશૂન્ય ગણાવી રહ્યા છે.
ફોટોગ્રાફરનો ઉદ્દેશ
ફોટોગ્રાફર સૌરભ અનુરાજે આ તસવીરો ફેસબુક પર શૅર કરતાં કેપ્શનમાં લખ્યું - "આપદામાં જલપરી"
એક યૂઝરે આ તસવીરો પર કમેન્ટ કરી છે કે આ મૂર્ખતાપૂર્ણ પગલું છે અને પૂર જેવી આપત્તિની ગંભીરતા ઘટાડે છે, તો ઘણા આ પગલાને રચનાત્મક ગણાવી રહ્યા છે.
બીજી તરફ અનુરાજ ફોટોશૂટને સ્થિતિની ગંભીરતા તરફ લોકોનું ધ્યાન આકર્ષવાની રીત ગણાવી રહ્યા છે.
તેઓ જણાવે છે કે, "હું લોકોનું ધ્યાન બિહારના પૂર તરફ આકર્ષવા માગું છું. જ્યારે અન્ય રાજ્યોમાં પૂર આવે છે ત્યારે આખા દેશમાંથી લોકો પૂરગ્રસ્તોને મદદ કરવા માટે આગળ આવે છે, પરંતુ બિહારના પૂરથી સર્જાતી પરિસ્થિતિની ચર્ચા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મીડિયામાં એટલી થતી નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"જ્યારે તમે સોશિયલ મીડિયા પર પૂરની સામાન્ય તસવીરો શૅર કરો છો ત્યારે લોકો તેને જોઈને 'સો સેડ' કમેન્ટ કરે છે અને આગળ જતા રહે છે. હું ઇચ્છું છું કે લોકો તસવીરોને થોડા વધારે સમય સુધી જુએ, તેથી મેં આવું ફોટશૂટ કર્યું છે."
પરિસ્થિતિની મજાક ઉડાવતી મૉડલ?
ફોટોમાં દેખાઈ રહેલી મૉડલ અદિતિસિંહ જણાવે છે કે આ ફોટોશૂટનો ઉદ્દેશ પૂર જેવી સ્થિતિથી પીડિત લોકોની મજાક ઉડાવવાનો નહોતો. તે જણાવે છે કે સોશિયલ મીડિયા પર લોકો આ ફોટોશૂટને અયોગ્ય રીતે લઈ રહ્યા છે.
અદિતિ પટના NIFTનાં વિદ્યાર્થિની છે અને ફેશન ડિઝાઇનિંગનો કૉર્સ કરી રહ્યાં છે.
સોશિયલ મીડિયા પર થઈ રહેલી ટીકાથી પરેશાન અદિતિ જણાવે છે કે, "પટનાની હાલની સ્થિતિને લઈને હું ઘણી દુ:ખી છું. મને એ બધા લોકોની ખૂબ જ ચિંતા છે. આખું પટના પરેશાન છે અને હું પણ છું, પરંતુ લોકો એવું કહી રહ્યા છે કે અમે તેમની મજાક ઉડાવી રહ્યા છીએ, જે સાચું નથી."
એક તરફ જ્યાં ફોટોગ્રાફર સૌરભ અનુરાજ આ ફોટોશૂટને લોકોનું ધ્યાન આકર્ષવા માટેની રીત ગણાવી રહ્યા છે, તો બીજી તરફ અદિતિ આ ફોટોશૂટને પાણી ભરાયાંની સ્થિતિ ગંભીર બની એ પહેલાનું ગણાવી રહ્યાં છે.
તેઓ જણાવે છે કે, "આ ફોટોશૂટ પટનામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ એ પહેલાંનું છે. એ સમયે કોઈનેય ખબર નહોતી કે સ્થિતિ આટલી બધી ગંભીર બની જશે, પરંતુ લોકો તેને હાલની સ્થિતિ સાથે સાંકળીને જોઈ રહ્યા છે અને મને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરાઈ રહી છે."
અલગ રીત
આવું પહેલી વાર નથી બની રહ્યું કે લોકો એ ધ્યાન આકર્ષવા માટે આવું કંઈક કર્યું હોય. આ પહેલાં આંધ્ર પ્રદેશના એક ખેડૂતે પોતાના પાકને કુદૃષ્ટિથી બચાવવા માટે ખેતરમાં સની લિયોનીની તસવીર લગાવી દીધી હતી.
આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ આ રીત અપનાવાઈ રહી છે. પીઆર અને બ્રાન્ડ કૉમ્યુનિકેશન એક્સપર્ટ હર્ષેન્દ્રસિંહ વર્ધન જણાવે છે કે અમેરિકામાં એક વાર કચરાના ઢગલાની તરફ લોકોનું ધ્યાન આકર્ષવા માટે અને તેની સમસ્યા દર્શાવવા માટે એક ફોટોગ્રાફરે ફૅન્સી ફોટોશૂટ કર્યું હતું.
ફોટોગ્રાફર સૌરભ અનુરાજ જણાવે છે કે તેમણે પણ આ જ રીત અનુસરી છે. તેઓ જણાવે છે કે, "લોકોનું ધ્યાન સામાન્યપણે અસામાન્ય વસ્તુઓ પર જ જતું હોય છે."
એક તરફ લોકો મરી રહ્યા છે અને...
પરંતુ પટનાના વરિષ્ઠ ફોટો જર્નાલિસ્ટ પ્રશાંત રવિ માને છે કે દરેક વસ્તુનો એક સમય અને રીત હોય છે. વ્યક્તિએ ક્યારે શું કરવું જોઈએ, તે તેના વિવેક પર આધારિત છે.
તેઓ જણાવે છે કે, "અત્યારે લોકો મરી રહ્યા છે, એવા સમયે જ્યારે આવી તસવીરો આવશે તો લોકો તેની પર પ્રતિક્રિયા તો આપશે જ. ભાવનાત્મક સ્વરૂપે લોકોની પ્રતિક્રિયા ટીકાત્મક જ હશે. જેઓ પીડિત નથી પરંતુ પીડિતો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોય, તેઓ આવી તસવીરોની ટીકા જ કરશે."
પીઆર અને કોમ્યુનિકેશન એક્સપર્ટ હર્ષેન્દ્રસિંહ વર્ધન જણાવે છે કે આજે હિટ્સ, લાઇક અને કમેન્ટનો જમાનો છે, તેથી લોકો અસામાન્ય વસ્તુઓ કરે છે.
પ્રશાંત રવિ જણાવે છે કે, "આ ક્ન્ઝ્યૂમરિઝમનો જમાનો છે. તેથી આજકાલ કંઈ પણ શક્ય છે."
આ ફોટોશૂટને ભારતીય મીડિયા "આગ લગાડનાર" ગણાવી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર થઈ રહેલી ટીકાના કારણે અદિતિના પરિવારજનો પણ ચિંતિત છે. તેમને સતત ફોન અને મેસેજ આવી રહ્યા છે. તેનાથી પરેશાન થઈને અદિતિએ પોતાનો ફોન જ બંધ કરી દીધો છે.
અદિતિ જણાવે છે કે, "ફોટોશૂટનો આઇડિયા ફોટોગ્રાફરનો હતો અને હું તેમાં માત્ર એક મૉડલ તરીકે સામેલ થઈ હતી. હું તો બસ મારું કામ કરી રહી હતી."
શું આ ક્રિએટિવ ફ્રીડમ છે?
સોશિયલ મીડિયા પર લોકો એ વાતની પણ ટીકા કરી રહ્યા છે કે આવા ગમગીન વાતાવરણમાં મૉડલના ચહેરા પર હાસ્ય છે.
ફોટોગ્રાફર સૌરભ અનુરાજ તેને ક્રિએટિવ ફ્રીડમ ગણાવે છે અને જણાવે છે કે આ ફોટોશૂટ નકારાત્મકતામાં એક હકારાત્મક દૃષ્ટકોણ છે.
જોકે, વરિષ્ઠ ફોટો પત્રકાર પ્રશાંત રવિ જણાવે છે કે એક ફોટોગ્રાફર માનવીય સંવેદના અને ભાવના પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કરે છે. તેમનું કામ વાતાવરણનાં મર્મ અને દર્દને દેખાડવાનું છે.
"પરંતુ હાલ પટનાની જે હાલત છે, આ તસવીરોને જોતાં તેમાંથી દુ:ખ છલકાઈ રહ્યું હોય એવું તો નથી લાગી રહ્યું. એવું પણ નથી લાગી રહ્યું કે આ ફોટોશૂટ દ્વારા જાગૃતિ ફેલાવવાનો કોઈ પ્રયત્ન કરાઈ રહ્યો હોય."
પ્રશાંત રવિ જણાવે છે કે, "મને લાગે છે કે આ ફોટોશૂટ ચર્ચામાં આવવાના હેતુથી કરાયું હતું અને તેમાં તેઓ સફળ પણ થઈ ગયા છે."
તેમજ કોમ્યુનિકેશન એક્સપર્ટ હર્ષેન્દ્રસિંહ વર્ધન જણાવે છે કે, કોઈ પણ તસવીર સાથે ફોટો કે કૅપ્શનનું પણ મહત્ત્વ હોય છે. તે તસવીરના અર્થને બદલી નાખે છે.
તેઓ જણાવે છે કે એ એક કલાકાર પોતાના રચનાત્મક વિચાર પ્રમાણે ફોટોગ્રાફીનું લોકેશન પસંદ કરે, પરંતુ પૂરવાળી વિવાદિત તસવીરોમાં મૉડલના હાવભાવમાં ફોટોગ્રાફર ફેરફાર કરી શક્યા હોત.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો