You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કર્ણાટક રાજકીય સંકટ : 21 પ્રધાનોએ પદ છોડ્યાં, વધુ 10 MLA રાજીનામાં આપશે
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
મંગળવારે કર્ણાટકમાં પ્રવર્તમાન રાજકીય અનિશ્ચિતતાનો પડઘો સંસદમાં પણ સાંભળવા મળ્યો હતો. હંગામાને કારણે રાજ્યસભાની કાર્યવાહી મોકૂફ કરવી પડી હતી, જ્યારે લોકસભામાં કૉંગ્રેસના સંસસદભ્યોએ વૉકાઉટ કર્યું હતું.
સંસદમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે કર્ણાટકમાં જે કંઈ થઈ રહ્યું છે, તે કૉંગ્રેસની આંતરિક બાબત છે અને ભાજપને તેના સાથે કોઈ લેવાં-દેવાં નથી.
કર્ણાટકના પૂર્વ મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ પત્રકાર પરિષદ સંબોધીને નારાજ ધારાસભ્યોને પરત ફરવા અપીલ કરી હતી, તેમણે ભાજપ ઉપર કૉંગ્રેસની સરકારને અસ્થિર કરવાનો આરોપ મૂક્યો હતો.
આ સિવાય તેમણે ધારાસભ્યો સામે પક્ષાંતર વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી કરી તેમને છ વર્ષ માટે ગેરલાયક ઠેરવવાની માગ કરી હતી.
કૉંગ્રેસ દ્વારા રાજ્યભરમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કાર્યક્રમ અપાય રહ્યાં છે.
આ પહેલાંનો ઘટનાક્રમ
કર્ણાટકમાં કૉંગ્રેસ તથા જેડીએસે તેમની સરકારને બચાવવા માટે મરણિયા પ્રયાસો હાથ ધર્યા છે.
સરકારમાં સામેલ કૉંગ્રેસના તમામ 21 ધારાસભ્યોએ તેમનાં પદ છોડી દીધાં છે, જેથી બળવાખોર ધારાસભ્યોને પ્રધાન બનાવીને તેમને મનાવી શકાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એવું માનવામાં આવે છે કે એચ. ડી. કુમારસ્વામી નવેસરથી પ્રધાનમંડળનું ગઠન કરશે અને નારાજ ધારાસભ્યોને પ્રધાન બનાવવામાં આવશે.
બેંગ્લુરુમાં ચર્ચા છે કે જનતા દળ સેક્યુલરના પ્રધાનો પણ ટૂંક સમયમાં રાજીનામાં ધરી દેશે.
કૉંગ્રેસના મહાસચિવ તથા કર્ણાટક કૉંગ્રેસના પ્રભારી કે. સી. વેણુગોપાલે મુખ્ય મંત્રીની હાજરીમાં મળેલી બેઠકમાં કહ્યું, "કૉંગ્રેસના પ્રધાનોએ સ્વૈચ્છાએ તેમનાં પદ છોડ્યાં છે. તેમણે કૉંગ્રેસ પાર્ટીને પ્રધાનમંડળમાં યોગ્ય ફેરફાર કરવા વિનંતી કરી છે."
આ બેઠકમાં સામેલ એક ધારાસભ્યે નામ ન છાપવાની શરતે બીબીસી હિંદીને કહ્યું, "જેડીએસના પ્રધાનો પણ રાજીનામાં ધરી દેશે. ત્યારબાદ મુખ્ય મંત્રી વજુભાઈ વાળાને મળશે અને રાજીનામું સ્વીકારી લેવા માટે ભલામણ કરશે."
દરમિયાન ભાજપના એક નેતાએ નામ ન છાપવાની શરતે કહ્યું કે વધુ દસ ધારાસભ્યો તેમના સભ્યપદેથી રાજીનામાં ધરી દેશે.
વધુ એક રાજીનામું
કર્ણાટકમાં કૉંગ્રેસના પ્રધાનોએ રાજીનામાં આપ્યાં, તે પછી વધુ એક અપક્ષ ધારાસભ્ય એચ. નાગેશે રાજ્યાપલને મળીને પ્રધાનપદેથી રાજીનામું ધરી દીધું હતું.
એચ. નાગેશ ભાજપ સાથે ભળે નહીં તે માટે 21 દિવસ અગાઉ તેમને પ્રધાન બનાવવામાં આવ્યા હતા.
આ રાજીનામાંઓને 'ઑપરેશન કમલ 4.0'થી પ્રભાવિત નહીં થયેલા ધારાસભ્યો માટે સંદેશ તરીકે જોવામાં આવે છે.
આ ધારાસભ્યો પ્રધાનપદ નહીં મળવાથી અથવા તો વિકાસકાર્ય માટે પૂરતું ફંડ નહીં મળવાને કારણે પોતાના સાથીપક્ષોના નેતાઓથી નારાજ છે.
વધુ રાજીનામાં પડશે....
અત્યારસુધીમાં કૉંગ્રેસ અને જેડીએસના એક ડઝનથી વધુ ધારાસભ્યોએ રાજીનામાં ધરી દીધાં છે. એવું કહેવાય છે કે તેઓ ભાજપના સંપર્કમાં છે.
કર્ણાટકમાં 'ઑપરેશન કમલ' હેઠળ સત્તાધારી યુતિના ધારાસભ્યો તેમના સભ્યપદેથી રાજીનામાં આપે અને કમળનાં નિશાન ઉપર ચૂંટણી લડે અને ચૂંટાઈ આવે, તેવી વ્યૂહરચના અપનાવવામાં આવી છે.
આ બળવાની બીજી બાજુ એ છે કે કેટલાક ધારાસભ્યોમાં પ્રધાનપદ નહીં મળવાને કારણે નારાજગી છે.
તેમનું કહેવું છે કે નાયબ મુખ્ય પ્રધાન જી. પરમેશ્વરા તથા અન્ય પ્રધાનોએ તેમના વિસ્તારના વિકાસકાર્યોને મંજૂરી આપી ન હતી.
કૉંગ્રેસના મહાસચિવ વેણુગોપાલે આ વાત સ્વીકારી અને કહ્યું કે 'આ મુદ્દે વાટાઘાટો ચાલી રહી છે.'
આથી, નારાજ ધારાસભ્યોને પ્રધાનપદ આપીને મનાવી લેવાની વ્યૂહરચનાના ભાગે વર્તમાન પ્રધાનોએ રાજીનામાં ધર્યાં.
નામ ન આપવાની શરતે એક વરિષ્ઠ નેતાએ કહ્યું, "તેઓ મજબૂત તથા ઇમાનદાર નેતા છે. તેમના વગર કૉંગ્રેસ આટલું સારું પ્રદર્શન ન કરી શકી હોત."
"તેમના કારણે જ 2018ની વિધાનસભા ચૂંટણી દરમિયાન મોદી અસરને ટાળીને બેંગ્લુરુમાં પોતાની પકડ જાળવી રાખી."
અપક્ષ ધારાસભ્ય એચ. નાગેશના રાજીનામા બાદ સરકારને તોડવાના ભાજપના પ્રયાસોને બળ મળ્યું.
જો વિધાનસભાના સ્પીકર રમેશ કુમાર કૉંગ્રેસ તથા જેડીએસના 12 ધારાસભ્યોનાં રાજીનામાં સ્વીકારી લે તો ગૃહની સભ્યસંખ્યા ઘટીને 212 રહેશે. આ સંજોગોમાં બહુમત માટે 106 બેઠકની જરૂર રહે.
ભાજપ પાસે પહેલાંથી જ 105 ધારાસભ્યો છે. વધુમાં અપક્ષ ધારાસભ્ય નાગેશે પણ રાજીનામું ધરી દીધું છે.
ભાજપના નેતાએ નામ ન છાપવાની શરતે બીબીસીને કહ્યું, "વધુ દસ ધારાસભ્યો તેમના સભ્યપદેથી રાજીનામાં ધરી દેશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો