શંકરસિંહ વાઘેલાના ઘરમાં ચોરી, બાપુએ કહ્યું, 'ચોકીદાર જ ચોર છે'

પૂર્વ મુખ્ય પ્રધાન અને તાજેતરમાં એનસીપીમાં જોડાનાર શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાન 'વસંત વગડો'માં ચોરીની ઘટના સામે આવી છે.

શંકરસિંહ વાઘેલાના ફાર્મ હાઉસ 'વસંત વગડો'ના કર્મચારી સૂર્યસિંહ હેમતુજી ચાવડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, એમના નિવાસસ્થાને બે લાખ રુપિયાના સોનાના દાગીના અને ત્રણ લાખ રુપિયા રોકડ સહિત પાંચ લાખની ચોરીની ઘટના બની છે.

આ ચોરીનો આરોપ ચાર વર્ષથી 'વસંત વગડો'માં કામ કરતા બાસુ દેવ નેપાળી ઉર્ફે શંભુ ગુરખા અને તેમનાં પત્ની શારદા પર મૂકવામાં આવ્યો છે.

આ અંગે પેથાપુર ગ્રામીણના પોલીસ સબઇન્સ્પેક્ટર આરતી અનુરકરે બીબીસીને કહ્યું, "બાસુ દેવ નેપાળી અને તેમનાં પત્ની ઑક્ટોબરમાં ગામડે જવાનું કહીને ગયા હતા. એ વખતે કંઈ ખબર નહોતી."

"સાફ-સફાઈ દરમિયાન આ અંગે ખ્યાલ આવતા વસંત વગડોના કર્મચારી સૂર્યસિંહે ફરિયાદ દાખલ કરી છે."

પોલીસે હાલ ફરિયાદ લઈને તપાસ શરૂ કરી છે. જરુર પડયે અમે આ અંગે નેપાળ પોલીસની મદદ લઈશું.

ફરિયાદમાં નોંધાવેલી વિગત મુજબ, પારિવારિક પ્રસંગ માટે રોકડ અને દાગીના મુકેલા હતાં, જેની જરુર ઉભી થતાં તે મળી આવ્યા નહોતા.

જયાં દાગીના અને રોકડ હતી ત્યાં સાફસફાઈની કામગીરી ઘરઘાટી અને તેમનાં પત્ની દ્વારા કરવામાં આવતી હતી.

આ દરમિયાન શંકરસિંહ વાઘેલા અને સૂર્યસિંહે ઘરઘાટી બાસુ સાથે ફોન પર વાત કરી હતી.

તેમણે પરત ફરશે એવું કહ્યું હતું પણ તે પરત ન ફરતાં ચોરીની શંકા મજબૂત થઈ હતી અને પોલીસ નોંધાઈ છે.

જ્યારે શંકરસિંહ વાઘેલાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે હા તેમણે આ મામલે ફરિયાદ નોંધાવી છે.

તેમણે કહ્યું, "એ શખ્સ અમારે ત્યાં ચોકીદારનું કામ કરતો હતો અને તેમનાં પત્ની ઘરકામ કરતાં હતાં."

"ઘણા સમય પહેલાં મારી પાસેથી પૈસા લીધા હતા, અમારી ફોન પર વાત થઈ રહી હતી પૈસા બાબતે."

"તેમણે પહેલાં આશ્વાસન આપ્યું હતું કે તેઓ પરત આપશે પરંતુ તેમણે રૂપિયા પરત આપ્યા નહીં એટલે હવે અમે ફરિયાદ નોંધાવી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો